Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 107:33-108:13

33 તે જ્યાં નદીઓ છે ત્યાં રણ કરી દે;
    અને જ્યાં ઝરા વહે છે ત્યાં તરસી ભૂમિ કરી દે.
34 વળી ત્યાં વસતાં લોકોની દુષ્ટતાને કારણે,
    ફળદ્રુપ ભૂમિને ખારવાળી બનાવે છે.
35 વળી તે રણમાં સરોવર કરે
    અને કોરી ભૂમિમાં તે ઝરણાંઓને વહેતા કરે છે
36 અને ત્યાં ભૂખ્યાંજનોને વસવા લાવે છે;
    જેથી તેઓ પોતાને રહેવા માટે નગર બાંધે છે.
37 તેઓ ખેતરમાં વાવેતર કરે છે, અને દ્રાક્ષાવાડીઓમાઁ રોપણી કરીને;
    તેઓ તેનાં ફળની ઊપજ ઉત્પન કરે છે.
38 તે તેઓને આશીર્વાદ આપે છે, તેથી તેમની પુષ્કળ વૃદ્ધિ થાય છે;
    અને ઢોર-ઢાંખર પણ વધે છે.
39 પરંતુ જેમ સમય પસાર થાય છે, તેમ તેમની વસ્તી જુલમો વિપત્તિઓ
    અને શોકથી ઓછી થાય છે તેમની સંખ્યામાં ઘટાડો થયો છે.
40 તે અમીર ઉમરાવો ઉપર તે અપમાન લાવે છે,
    અને માર્ગ વિનાના રણમાં રખડતાં કરી દે છે.
41 પણ પછી દેવ તે ગરીબ લોકોને તેમનાં દુ:ખોમાંથી બહાર કાઢયા
    અને તેમના કુટુંબોની સંખ્યા વધારી જે ઘેટાંના ટોળાઓની જેમ વધી હતી.
42 તે જોઇને ન્યાયીઓ આનંદ પામશે;
    અને સઘળાં અન્યાયીઓનાં મોઢા બંધ થશે.
43 જેનામાં શાણપણ છે, તે આ બધું ધ્યાનમાં લેશે;
    અને યહોવાના અવિકારી પ્રેમ વિષે વિચાર કરશે.

દાઉદનું ગીત.

હે દેવ, મેં મારા હૃદય અને આત્માને તૈયાર કર્યા છે,
    હું તમારી સ્તુતિ કરીશ.
ગીતો ગાઇશ અને તમારી સમક્ષ ખુશ થઇશ.
    જાગો, ઓ વીણા અને સારંગી;
    ચાલો આપણે પ્રભાતને જગાડીએ.
“હે યહોવા, હું પ્રજાઓની તથા બીજા લોકોની વચ્ચે
    પણ તમારી સ્તુતિ કરીશ, હું તમારા સ્તોત્ર ગાઇશ.”
કારણ, તમારી કૃપા આકાશ કરતાં મોટી છે
    અને તમારું વિશ્વાસુપણું વાદળો સુધી પહોંચે છે.
હે દેવ, સ્વર્ગથીય ઊંચા ઊઠો!
    ભલે સમગ્ર દુનિયા તમારું ગૌરવ જુએ!
દેવ, તમારા પ્રિય મિત્રોની રક્ષા માટે આ કરો,
    તમે તમારા મહાસાર્મથ્ય સહિત આવો અને તેમને ઉગારો.

દેવ તેમના પવિત્ર મંદિરમાંથી બોલ્યા,
    “હું યુદ્ધ જીતીશ અને આનંદ પામીશ.
હું આ ભૂમિ વહેંચીશ,
    અને તેમને શખેમ
    તથા સુકકોથની ખીણ આપીશ.
ગિલયાદ અને મનાશ્શા પણ મારા છે;
    એફ્રાઇમ માથાનો ટોપ છે અને,
    યહૂદિયા મારો રાજદંડ છે.
મોઆબ મારા પગ ધોવાનો વાટકો બનશે.
    અદોમ મારા ખાસડા ઊંચકી લાવશે,
    હું પલિસ્તીઓને હરાવીશ અને જયનાદ કરીશ!”

10 મને કોટબંધ નગરમાં કોણ લઇ જશે?
    અને મને અદોમમાં કોણ દોરી જશે?
11 હે યહોવા, શું તમે અમને તરછોડ્યાં છે?
    હે દેવ, તમે અમારા સૈન્યને તજ્યું છે?
12 અમને અમારા શત્રુઓ સામે મદદ કરો,
    અમને મદદ કરો, લોકો તરફની મદદ નકામી છે!
13 અમે દેવની સહાયથી પરાક્રમો કરીશું; હા,
    એ જ અમારા શત્રુઓને કચડી નાંખશે.

ગીતશાસ્ત્ર 33

હે ન્યાયી લોકો, યહોવામાં હરખાઓ;
    શુદ્ધ હૃદયવાળા લોકો યહોવાની સ્તુતિ કરે તે સારું છે.
વીણા વગાડી યહોવાની સ્તુતિ કરો, દશ તારનું વાજીંત્ર વગાડી ગાઓ;
    સ્તુતિના મધુર ગીતો આનંદથી ગાઓ.
યહોવાના નૂતન ગીતો ગાઓ;
    વાજીંત્રોને કુશળતાથી અને મોટેથી વગાડો.
યહોવાનો પ્રત્યેક શબ્દ ન્યાયી છે,
    તેનાં સર્વ કાર્ય ભરોસાપાત્ર છે.
તે ન્યાય અને નિષ્પક્ષતાને ચાહે છે.
    પૃથ્વી યહોવાની કૃપાથી ભરાઇ ગઇ છે.
એમણે શબ્દોચ્ચાર કર્યો અને અકાશનું નિર્માણ થયું,
    અને તેમના મુખમાંના શ્વાસે આકાશના સમગ્ર તારાઓની રચના કરી.
તેમણે સમુદ્રો બનાવ્યાં અને મશકની માફક પાણી ભેગા કર્યાર્
    અને તેના અતિશય ઊઁડાણોને વખારોમાં ભરી રાખે છે.
સમગ્ર પૃથ્વી યહોવાથી બીઓ,
    અને પૃથ્વીવાસી તેનું ભય રાખો અને આદર કરો.
કારણ, તેઓ બોલ્યા અને સૃષ્ટિ ઉત્પન્ન થઇ;
    અને તેમણે આજ્ઞા કરી અને તે સ્થિર થઇ.
10 યહોવા તેમનો વિરોધ કરતી પ્રજાઓની યોજનાઓને નિષ્ફળ બનાવે છે.
    જુઓ, યહોવા બધા લોકોની યોજનાઓને નિરર્થક બનાવે છે.
11 યહોવાની યોજનાઓ સદાકાળ ટકે છે.
    તેમણે કરેલી ઘારણા પેઢી દર પેઢી રહે છે.
12 જે પ્રજાના દેવ યહોવા છે, અને જેઓને તેમણે પોતાના લોકો તરીકે પસંદ કર્યા છે.
    તેઓને ધન્ય છે.
13 યહોવાનું નિવાસસ્થાન આકાશમાં છે,
    ત્યાંથી તે સર્વ માનવજાત પર નજર રાખે છે.
14 હા, તે આકાશમાંથી સૃષ્ટિમાં વસતા
    સર્વ જીવોને ધ્યાનથી જુએ છે.
15 યહોવા સર્વના હૃદયના સરજનહાર છે,
    અને તેઓ જે કાંઇ કરે છે તે એ સમજે છે.
16 રાજા ફકત તેના સુસજ્જ સૈન્યના બળથી જીતી ન શકે.
    બળવાન યોદ્ધો ફકત પોતાની બહાદુરીથી બચી જતો નથી.
17 યુદ્ધમાં વિજય માટે ધોડાઓ પર આધાર રાખવો વ્યર્થ છે,
    તેઓ પોતાના બાહુબળથી કોઇને ઉગારી શકતા નથી.
18 યહોવા તેઓની નજર અને સંભાળ રાખે છે જેઓ તેનો ભય રાખે છે;
    અને તેમનો આદર કરે છે જેઓ તેમની કૃપાની રાહ જુએ છે.
19 તે તેઓના જીવને મૃત્યુથી બચાવે છે,
    અને દુકાળ સમયે તેઓને જીવતાઁ રાખે છે.
20 અમે પૂર્ણ શ્રદ્ધાથી અમારી રક્ષા માટે યહોવાની પ્રતિક્ષા કરીએ છીએ, તે અમારા સાચા સહાયક છે,
    અને તે અમારી ઢાલ છે.
21 અમે યહોવામાં આનંદિત છીએ.
    અમે તેમનામાં ભરોસો રાખીએ છીએ.
    અમને તેમનાં પવિત્ર નામમાં વિશ્વાસ છે.
22 હે યહોવા, અમે રાહ જોઇ અને તમારી આશા રાખી છે
    કે તમારી કૃપા અમારા પર થાય.

યર્મિયા 23:9-15

જૂઠા પ્રબોધકો વિરુદ્ધ ન્યાય

અતિ કપટી જૂઠા પ્રબોધકોથી મારું હૃદય વ્યથિત થયું છે.
હું ભયથી જાગી જાઉં છું
    અને દ્રાક્ષારસ પીધેલાં માણસની જેમ લથડીયાં ખાઉં છું,
કારણ કે તેઓ માટે ભયંકર શિક્ષા રાહ જુએ છે,
    અને તેઓની વિરુદ્ધ યહોવાએ ન્યાયાસનનાં પવિત્ર વચનો ઉચ્ચાર્યાં છે.
10 કારણ કે દેશ વ્યભિચારીઓથી ભરાઇ ગયો છે;
    આ શાપને કારણે દેશ ઘેરી વ્યથામાં છે
અને દુકાળ પડ્યો છે.
    લોકો ખોટા માર્ગે છે
અને તેઓ પોતાની સત્તાનો
    યોગ્ય ઉપયોગ કરતા નથી.
11 યહોવા કહે છે,
“પ્રબોધકો અને યાજકો બંને ષ્ટ થઇ ગયા છે.
    મેં તેમને મારા મંદિરમાં પણ દુષ્ટતા આચરતા જોયા છે.
12 તેને લીધે તેઓના રસ્તાઓ અંધકારમય
    તથા લપસણા થઇ ગયા છે.
અંધકારમય જોખમી માર્ગ પર
    તેઓનો પીછો પકડવામાં આવશે અને તેઓ પછડાશે.
કારણ કે હું તેમના પર વિપત્તિ લાવવાનો છું.
    જ્યારે તેઓનો સમય આવશે
    ત્યારે તેઓને તેમનાં સર્વ પાપોની સજા કરવામાં આવશે.

13 “મેં સમરૂનના પ્રબોધકોમાં ઘૃણાજનક વસ્તુઓ જોઇ છે;
    તેઓએ બઆલ દેવને નામે પ્રબોધ કર્યો છે
    અને ઇસ્રાએલીઓને ખોટે માર્ગે દોર્યા છે.
14 પરંતુ યરૂશાલેમના પ્રબોધકોમાં તો મેં આનાથી પણ ભયંકર કૃત્યો જોયાં છે;
    તેઓ વ્યભિચાર કરે છે,
અને અન્યોને છેતરે છે,
    દુષ્ટ માણસોને સાથસહકાર આપે છે
જેથી દુષ્ટતામાંથી કોઇ પાછું વળતું નથી;
    મારે મન તેઓ બધા સદોમ અને ગમોરાના લોકો જેવા છે,
જેઓ સંપૂર્ણ રીતે ષ્ટ થઇ ગયા છે.”

15 તેથી સૈન્યોનો દેવ યહોવા કહે છે,
“હું તેઓને કડવી વેલ ખવડાવીશ
    અને ઝેર પાઇશ કારણ કે તેઓને લીધે
આ દેશ દુષ્ટતાથી ભરાઇ ગયો છે.”

રોમનો 9:1-18

દેવ અને યહૂદિ લોકો

હું ખ્રિસ્તમાં છું અને તમને સત્ય કહીં રહ્યો છું. હું અસત્ય બોલતો નથી. પવિત્ર આત્મા મારી સંવેદનાનું સંચાલન કરે છે. અને એવી સંવેદનાથી હું તમને કહું છું કે હું જૂઠું બોલતો નથી. યહૂદિ લોકો માટે હું ઘણો દિલગીર છું અને સતત મારા હૃદયમાં ઉદાસીનતા અનુભવું છું. તેઓ મારા ભાઈઓ અને બહેનો છે, મારું દુન્યવી કુટુંબ છે. એમને મદદ કરવાનું મને મન થાય છે. દેવનો અભિશાપ જો મારા પર કે મારાં સગાંઓ પર આવે તો તેનો પણ સ્વીકાર કરીને હું યહૂદિઓને મદદ કરવા તૈયાર છું. કારણ કે તેઓ તો ઈઝરાએલના લોકો છે. એ યહૂદિઓ તો ખાસ પસંદગી પામેલાં બાળકો છે. દેવે જે માનવો સાથે કરારો કર્યા છે એવા એ યહૂદિઓને દેવનો મહિમા પ્રાપ્ત થયેલો છે. દેવે મૂસાનું નિયમશાસ્ત્ર તેઓને આપીને ભક્તિની સાચી પધ્ધત્તિ બતાવી હતી. અને દેવે એ યહૂદિઓને માટે વચન પણ આપ્યું હતું. તેઓ આપણા પિતાઓના વંશજો છે. અને તેઓ ખ્રિસ્તના દુન્યવી કુટુંબીજનો છે. ખ્રિસ્ત સર્વોપરી દેવ છે. તેની સ્તુતિ નિત્ય કરો! આમીન.

હા, આ યહૂદિઓ માટે હું ઘણું દુ:ખ અનુભવું છું. એમને આપેલું વચન દેવ પાળી ન શક્યો, એમ હું કહેવા માગતો નથી. પરંતુ ઈસ્રાએલના માત્ર થોડાક યહૂદિઓ જ દેવના સાચા લોકો છે. અને ઈબ્રાહિમના વંશજોમાં ફક્ત થોડાક માણસો જ તમારાં દેવનો સાચાં સંતાનો છે. દેવે ઈબ્રાહિમને આમ કહ્યું હતું: “ઈસહાક જ તારો કાયદેસરનો દીકરો ગણાશે.”(A) આનો અર્થ એ છે કે ઈબ્રાહિમના બધા જ વંશજો કઈ દેવનાં સાચાં સંતાનો નથી. દેવે ઈબ્રાહિમને આપેલાં વચન પ્રમાણે જે સંતાનો દેવના થશે તે જ સંતાનો ઈબ્રાહિમનાં સાચાં સંતાનો થશે. ઈબ્રાહિમને આપેલું દેવનું વચન આવું હતું: “યોગ્ય સમયે હું પાછો આવીશ, અને સારાને દીકરો થશે.”(B)

10 માત્ર એટલું જ નહિ, રિબકાને પણ દીકરો થયો. એક જ પિતાના એ દીકરા હતા. તે જ આપણા પિતા ઈસહાક. 11-12 (રિબકાને) બે દીકરા જન્મ્યા, તે પહેલાં દેવે રિબકાને કહ્યું હતું, “તારો મોટો દીકરો નાના દીકરાની સેવા કરશે.”(C) એ છોકરાઓએ તેઓના જીવનમાં કંઈક સારું અથવા ખરાબ કર્યુ હોય એ પહેલા આવી ભવિષ્યવાણી થઈ હતી. તેમના જન્મ પહેલાં દેવે આ કહ્યું હતું. જેથી કરીને દેવની પોતાની યોજના પ્રમાણે દેવની પસંદગી પામેલા છોકરાને એ સ્થાન મળે. એ છોકરાની પસંદગી કરવામાં આવી કેમ કે માત્ર એને જ પસંદ કરવો એવી દેવની ઈચ્છા હતી અને તે એટલા માટે નહિ કે એ છોકરાઓએ તેમના જીવનમાં કઈક સારાં અથવા ખોટાં કામો કર્યા હોય. 13 શાસ્ત્ર કહે છે તેમ, “યાકૂબને હું ચાહતો હતો, પરંતુ એસાવને હું ધિક્કારતો હતો.”(D)

14 તો આ બાબતમાં આપણે શું કહીશું? શું દેવ ન્યાયી નથી? એવું તો આપણે કહી શકીએ એમ નથી. 15 દેવે મૂસાને કહ્યું હતું, “જે વ્યક્તિ પર મારે કૃપા કરવી હશે, તેના પર હું કૃપા કરીશ. જે વ્યક્તિ પર દયા બતાવવી હશે તેના પર હું દયા દર્શાવીશ.”(E) 16 તેથી જે વ્યક્તિ પર દયા કરવાનો દેવ નિર્ણય કરશે તેને દયા માટે દેવ પસંદ કરશે. લોકો શું ઈચ્છે છે અથવા તેઓ કેવા કેવા પ્રયત્ન કરે છે, તેના પર દેવની પસંદગીનો આધાર નથી. 17 શાસ્ત્રમાં દેવ ફારૂનને કહે છે: “તું મારું આ કામ કરે એટલા માટે મેં તને રાજા બનાવ્યો. તારા દ્વારા મારું સાર્મથ્ય પ્રગટ કરવાની મારી ઈચ્છા હતી. આખી દુનિયામાં મારું નામ પ્રગટ થાય એમ હું ઈચ્છતો હતો.”(F) 18 આમ જે લોકોની તરફ દયા બતાવવી હોય એમની તરફ દેવ દયા દર્શાવે છે. અને જે લોકોને હઠીલા બનાવવા હોય તેમને દેવ હઠીલા બનાવે છે.

યોહાન 6:60-71

ઘણા શિષ્યોએ ઈસુને છોડી દીધા

60 ઈસુના શિષ્યોએ આ સાંભળ્યું, શિષ્યોમાંના ઘણાએ કહ્યું, “આ ઉપદેશ સ્વીકારવો ઘણો કઠિન છે. આ ઉપદેશ કોણ સ્વીકારી શકે?”

61 ઈસુએ જાણ્યું કે તેના શિષ્યો આ વિષે ફરિયાદ કરે છે. તેથી ઈસુએ કહ્યું, “શૂં આ ઉપદેશ તમને ઠોકર ખવડાવે છે? 62 તો પછી માણસનો દીકરો જ્યાંથી આવ્યો તે જગ્યાએ પાછો ફરતો જોઈને તમને પણ ઠોકર લાગશે? 63 તે એ માંસ નથી જે વ્યક્તિને જીવન આપે છે. જે જીવાડે છે તે આત્મા છે; માંસથી કઈ લાભ થતો નથી. જે વાતો મેં તમને કહી છે, તે આત્મા તથા જીવન છે. 64 તમારામાંના કેટલાક વિશ્વાસ કરતા નથી.” (ઈસુ જે વિશ્વાસ કરતા નથી તે લોકોને જાણે છે. ઈસુએ આરંભથી જ આ વાતો જાણી અને કયો માણસ તેનો દ્રોહ કરવાનો છે તે પણ ઈસુએ જાણ્યું.) 65 ઈસુએ કહ્યું, “આ કારણે જ મેં કહ્યું, ‘જો પિતા કોઈ વ્યક્તિને મારી પાસે આવવા નહિ દે તો પછી તે વ્યક્તિ મારી પાસે આવી શકશે નહિ.’”

66 આ બાબતો ઈસુએ કહ્યા પછી, ઈસુના ઘણા શિષ્યો તેને છોડી ગયા. તેઓએ ઈસુની પાછળ જવાનું બંધ કર્યુ.

67 ઈસુએ બાર પ્રેરિતોને પૂછયું, “તમે પણ મને છોડીને જવા ઈચ્છો છો?”

68 સિમોન પિતરે ઈસુને ઉત્તર આપ્યો, “પ્રભુ, અમે ક્યાં જઈશુ? તારી પાસે જે વાતો છે તે અનંતજીવન આપશે. 69 અમને તારામાં વિશ્વાસ છે. અમે જાણીએ છીએ કે દેવનો પવિત્ર એક તું જ છે.”

70 પછી ઈસુએ ઉત્તર આપ્યો, “મેં તમારામાંથી તે બધા બાર પસંદ કર્યા છે છતાં પણ તમારામાંનો એક શેતાન છે.” 71 ઈસુ સિમોનના દીકરા યહૂદા ઈશ્કરિયોત વિષે વાત કરતોં હતો. યહૂદા બાર પ્રેરિતોમાંનો એક હતો. પરંતુ પાછળથી યહૂદા ઈસુને સુપ્રત કરનાર હતો.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International