Book of Common Prayer
1 યહોવા શાસન કરે છે.
હે પૃથ્વી, આનંદિત થાઓ!
હે દૂરનાં પ્રદેશો,
સુખી થાઓ!
2 તેની આસપાસ મેઘ ને અંધકાર છે;
ન્યાયીપણું તથા ન્યાય તેના રાજ્યાસનનો પાયો છે.
3 અગ્નિ તેમની આગળ ચાલે છે
અને તેમનાં સર્વ શત્રુઓને ભસ્મ કરે છે.
4 તેમની વીજળીઓ જગતને ચમકાવે છે અને પ્રકાશિત કરે છે;
તે જોઇને પૃથ્વી થરથર કાંપે છે.
5 પૃથ્વી પરના બધાં પર્વતો સમગ્ર પૃથ્વીના
પ્રભુ યહોવા સમક્ષ મીણની જેમ પીગળી ગયાં.
6 તેનું ન્યાયીપણું આકાશો પ્રગટ કરે છે;
અને સર્વ લોકોએ તેનો મહિમા જોયો છે.
7 મૂર્તિઓનું પૂજન કરનારા
અને તેના વિષે ડંફાસ હાંકનારા સહુ શરમાઓ,
તેમના “દેવો” નમશે
અને યહોવાની ઉપાસના કરશે.
8 હે યહોવા, તમારા અદલ ન્યાયથી સિયોન આનંદ પામ્યું,
તે સાંભળી યહૂદિયાની દીકરીઓ હરખાઇ.
9 હે યહોવા, સમગ્ર પૃથ્વીના પરાત્પર દેવ છો;
અને તમે સર્વ દેવો કરતાં શ્રેષ્ઠ છો.
10 હે યહોવા, પર પ્રેમ કરનારાઓ,
તમે દુષ્ટતાને ધિક્કારો,
તે પોતાના ભકતોના આત્માઓનું રક્ષણ કરે છે.
તે તેઓને દુષ્ટોના હાથમાંથી છોડાવે છે.
11 સજ્જનો પર તેજ પ્રકાશે છે,
જેઓના હૃદય શુદ્ધ છે તેઓને સુખથી ભરી દેવામાં આવે છે.
12 હે ન્યાયી લોકો, તમે યહોવામાં આનંદ કરો;
અને તેનાં પવિત્ર નામને માન આપો!
1 યહોવા રાજ કરે છે,
પ્રજાઓ તેમની સમક્ષ કાઁપો,
કરૂબીમ પર તે બિરાજે છે,
સમગ્ર પૃથ્વી કાપો.
2 સિયોનમાં યહોવા મહાન છે
તે સર્વ પ્રજાઓમાં પ્રતિષ્ઠિત છે!
3 તેઓ તમારા મહાન
અને ભયાવહ નામની સ્તુતિ કરો;
તે પવિત્ર છે.
4 સાર્મથ્યવાન રાજા ન્યાયને ચાહે છે, હે દેવ,
તમે ભલાઇનું સર્જન કર્યુ છે
અને તમે ભલમનસાઇ અને ન્યાય ઇસ્રાએલમાં સ્થાપિત કર્યો છે.
5 આપણા દેવ યહોવા મોટો મનાવો,
અને તેમના ચરણોમાં તેમના પાયાસન પાસે આવો
અને તેની ઉપાસના કરો, તે પવિત્ર છે.
6 તેમના યાજક, મૂસા, હારુન અને શમુએલે,
સહાયને માટે યહોવાને વિનંતી કરી;
ત્યારે તેમણે તેઓને ઉત્તર આપ્યો.
7 તેમણે મેઘસ્તંભમાંથી તેમની સાથે વાત કરી,
તેઓ તેમને આપેલા તેના આદેશો
અને કાયદાને અનુસર્યા.
8 હે યહોવા, અમારા દેવ, તેં તેઓને ઉત્તર દીધો;
જો કે તેં તેઓના કામનો બદલો વાળી દીધો.
તો પણ તેઓને ક્ષમા કરનાર દેવ તો તું હતો.
9 આપણા યહોવા દેવને પ્રતિષ્ઠિત કરો.
પવિત્ર પર્વત પર તેમની ઉપાસના કરો,
કેમ કે આપણા દેવ યહોવા પવિત્ર છે.
આભારસ્તુતિનું ગીત.
1 હે પૃથ્વીના લોકો, યહોવાની સમક્ષ ગાઓ!
2 આનંદથી યહોવાની સેવા કરો, હર્ષથી સ્તુતિગાન કરતાં;
તેમની સમક્ષ આવો.
3 અને તમે જાણો, યહોવા તે જ દેવ છે;
તેણે આપણને ઉત્પન્ન કર્યા છે, અને આપણે તેનાં જ છીએ;
આપણે તેમનાં લોકો અને આપણે તેમનાં ઘેટા છીએં.
4 આભારસ્તુતિ સાથે તેમના દરવાજામાંથી પ્રવેશો,
અને સ્તવન કરતાં તેના આંગણામાં આવો;
આભાર માનીને તેના નામને આશીર્વાદ આપો.
5 કારણ, યહોવા ઉત્તમ છે,
તેમની કૃપા સર્વકાળ છે;
અને પેઢી દરપેઢી તેમનું ન્યાયીપણું ટકી રહે છે.
1 હે દેવ યહોવા, ખોટું કરનારને તમે શિક્ષા કરો છો,
હે બદલો લેનારા દેવ! દર્શન આપો!
2 હે પૃથ્વીના ન્યાયાધીશ,
ઊઠો અને ગવિર્ષ્ઠોને યોગ્ય શિક્ષા કરો.
3 હે યહોવા, ક્યાં સુધી તમે દુષ્ટ લોકોને તેમની હસીમજાક કરવા દેશો?
કેટલી વધારે?
4 તેઓ અભિમાન યુકત વાતો કરે છે;
અને સર્વ અન્યાય કરનારા વડાઇ કરે છે.
5 હે યહોવા, તેઓ તમારા લોકો પર જુલમ કરે છે;
અને તેઓ તમારા વારસાને દુ:ખ દે છે.
6 તેઓ વિધવાઓ અને વિદેશીઓની ભારે હત્યા કરે છે;
અનાથની હત્યા કરે છે.
7 તેઓ કહે છે, “યહોવા અમને જોતા નથી.
યાકૂબના દેવ ધ્યાન આપતા નથી.”
8 હે મૂર્ખ લોકો,
ડાહ્યાં થાઓ!
ઓ અજ્ઞાની લોકો
તમે ક્યારે ડાહ્યાં થશો?
9 જે કાનનો ઘડનાર છે,
તે નહિ સાંભળે?
આંખનો રચનાર જે છે
તે શું નહિ જુએ?
10 જે રાષ્ટ્રોને શિસ્તમાં રાખે છે, તે શું તમને સખત ઠપકો આપતા નથી?
દેવ લોકોને તેઓ જે જાણે છે તે શીખવે છે.
11 યહોવા સારી રીતે જાણે છે
કે માનવજાતના વિચારો કેવાં વ્યર્થ અને મર્યાદિત છે!
12 હે યહોવા, તમે જેને શિસ્તમાં રાખો છો અને તમારા નિયમશાસ્ત્ર શીખવો છો,
તેઓને આશીર્વાદ મળેલા છે.
13 તમે તેના પર સંકટના દિવસો નથી આવવા દેતા,
દુષ્ટને માટે ખાડો ખોદાય ત્યાં સુધી.
14 યહોવા, પોતાના લોકોને તરછોડશે નહિ;
અને પોતાના વારસાનો ત્યાગ કરશે નહિ.
15 કારણ, ન્યાય પાછો વળશે અને તે ન્યાયીપણું લાવશે
અને સર્વ યથાર્થ હૃદયવાળાં તેને અનુસરશે.
16 મારો પક્ષ લઇને દુષ્ટોની સામે કોણ ઉભું રહેશે?
દુષ્કમીર્ઓથી મારું રક્ષણ કરવા કોણ મારી બાજુમાં ઉભું રહેશે?
17 યહોવાએ મારી સહાય ન કરી હોત
તો હું જરૂર મૃત્યુ પામ્યો હોત.
18 જ્યારે મેં વિચાર્યુ કે હું હવે પડવાનો છું
ત્યારે યહોવા દેવે મને ટેકો આપ્યો.
19 હે યહોવા, મારા મન અને હૃદય ચિંતા અને પરેશાનીથી ભરાઇ ગયા હતાં.
પરંતુ તમે મને દિલાસો આપ્યો અને મને સુખી બનાવ્યો.
20 હે દેવ, ચોક્કસ, તમે દુષ્ટ શાસકોને ટેકો આપતા નથી જેઓએ
પોતાના નિયમો દ્વારા લોકોનું જીવન વધારે મુશ્કેલ બનાવી દીધું છે.
21 તેઓ સારા લોકો પર હુમલો કરે છે;
તેઓ નિર્દોષને દોષિત ઠરાવીને તેમને મૃત્યદંડ આપે છે.
22 પણ યહોવા મારા ગઢ છે, અને મારો દેવ મારા સાર્મથ્યવાન ખડક છે;
અને હું તેમનો આશ્રય લઉં છું.
23 દેવ દુષ્ટ માણસોના પાપ પ્રમાણે તેઓને બદલો આપ્યો છે;
અને તે બધાનો સંહાર કરશે, તેઓની દુષ્ટતાને કારણે,
યહોવા આપણો દેવ તેઓનો જરૂર સંહાર કરશે.
1 આવો, યહોવા સમક્ષ આપણે ગાઇએ;
આપણા તારણના ખડક સમક્ષ હર્ષનાદ કરીએ.
2 તેની હજૂરમાં આભારસ્તુતિ સાથે આવીએ;
અને આપણે તેની સમક્ષ સ્તુતિગાન કરીએ.
3 કારણ, યહોવા મહાન દેવ છે;
તે સર્વ દેવો પર મહાન રાજા છે.
4 તેમનાં હાથમાં પૃથ્વીનાં ઊંડાણો છે;
અને ઊંચા પર્વતોના માલિક પણ તે છે.
5 જેણે સમુદ્ર બનાવ્યો અને કોરી ભૂમિ
પણ બનાવી તેમના તે માલિક છે.
6 આવો આપણે તેને ભજીએ અને નમીએ;
ને આપણા કર્તા યહોવાને ઘૂંટણિયે પડીએ.
7 કારણ તે આપણા દેવ છે,
આપણે તેના ચારાના લોક
અને તેના હાથના ઘેટાં છીએ.
આજે જો તમે તેની વાણી સાંભળો તો કેવું સારું!
8 દેવ કહે છે, “ઇસ્રાએલી લોકોએ અરણ્યમાં મરીબાહમાં તથા માસ્સાહમાં,
પોતાના હૃદય કઠણ કર્યા, તેવું તમે કરશો નહિ.
9 તમારા પિતૃઓએ મારી કસોટી કરી,
પરંતુ પછીથી તેઓએ જોયું કે હું શું કરી શકું છું!”
10 યહોવા દેવ કહે છે, “ચાળીસ વર્ષ સુધી મેં તે પેઢીને સહન કરી છે પણ જ્યારે હું તેમનાથી કંટાળ્યો ત્યારે મેં કહ્યું,
તે લોકો અવિનયી છે.
તેઓએ મારા માર્ગો કદી શીખ્યાં નથી.
11 મેં મારા અતીશય ક્રોધમાં પ્રતિજ્ઞા લીધી
કે મેં તેઓ માટે નક્કી કરેલા વિશ્રામમાં વચનનાં દેશમાં,
તેઓ કદાપિ પ્રવેશ કરશે જ નહિ.”
સાબ્બાથ દિવસને પવિત્ર ગણવો
19 યહોવાએ મને આ પ્રમાણે કહ્યું, “જા, જે દરવાજે થઇને યહૂદિયાના રાજાઓ આવજા કરે છે તે ‘જનતાના દરવાજા’ આગળ અને યરૂશાલેમના બધા દરવાજા આગળ ઊભો રહે.
20 “અને કહે: ‘આ દરવાજામાંથી પસાર થનાર હે યહૂદિયાના રાજાઓ, યહૂદિયાના બધા લોકો અને યરૂશાલેમના વાસીઓ! તમે યહોવાની વાણી સાંભળો. 21 આ યહોવાના હુકમો છે: ધ્યાન રાખજો કે વિશ્રામવારને દિવસે કોઇ બોજો ઉપાડશો નહિ કે યરૂશાલેમના દરવાજામાં થઇને અંદર લાવશો નહિ. 22 વિશ્રામવારના દિવસે ઘરમાંથી બોજો ઉપાડી બહાર જશો નહિ અને કોઇ કામ કરશો નહિ! તમારા પિતૃઓને મેં આજ્ઞા આપી હતી તેમ વિશ્રામવારના દિવસને પવિત્ર માનો. 23 તમારા પૂર્વજોએ મારા હુકમોં માન્યાં નહિ, તેઓએ તે ધ્યાન પર પણ લીધાં નહિ, અને હઠે ચડીને ન તો સાંભળ્યું કે ન તો શિખામણ લીધી.’”
24 યહોવા કહે છે, “‘હવે જો તમે મને આધીન થશો અને વિશ્રામવારને દિવસે કોઇ કામ નહિ કરો તેને અલગ કરાયેલો-વિશિષ્ટ અને પવિત્ર દિવસ માની તેની પવિત્રતા જાળવો.
25 “‘તો રાજાઓ જે દાઉદના સિંહાસન પર બેઠા છે તેઓ આ શહેરના દરવાજામાંથી, રથો અને ઘોડાઓ પર સવાર લશ્કરના સરદારો સાથે, અને યહૂદિયાના લોકો અને યરૂશાલેમના વતનીઓ સાથે આવજા કરશે અને આ નગર યરૂશાલેમ સદાકાળ હર્યુભર્યુ વસેલું રહેશે. 26 યહૂદિયાના નગરોમાંથી, યરૂશાલેમની આસપાસના ગામોમાંથી, બિન્યામીનના, નીચાણના તેમજ પહાડી પ્રદેશમાંથી અને દક્ષિણમાંથી લોકો દહનાર્પણ, બલિઓ, ખાદ્યાર્પણ અને ધૂપ તથા ઉપકારાર્થાર્પણ લઇને મંદિરે આવશે.
27 “‘પરંતુ જો તમે મારું સાંભળશો નહિ અને વિશ્રામવાર દિવસને પવિત્ર માનવાની ના પાડશો, તથા અન્ય દિવસોની જેમ વિશ્રામવારને દિવસે પણ તમે યરૂશાલેમના દરવાજાઓમાંથી વેપારની ચીજ-વસ્તુઓ લાવશો, તો હું આ દરવાજાઓને આગ ચાંપીશ. તે અગ્નિ રાજમહેલ સુધી ફેલાશે અને તેનો સંપૂર્ણ નાશ થશે અને અગ્નિની ભભૂકતી જવાળાઓને કોઇ હોલવી શકશે નહિ.’”
13 તો આનો અર્થ શું એવો થાય કે જે કઈક સારું છે તે જ મારા માટે મૃત્યુ લાવ્યું? ના! પરંતુ પાપે જે મારું મૃત્યુ લાવી શકે તેવા સારાપણાનો ઉપયોગ કર્યો. આમ એટલા માટે બન્યું કે પાપનું ખરું સ્વરૂપ પ્રગટ થઈ શકે. અને તેના બધા અનિષ્ટોમાં પાપ બતાવી શકાય આ બધું આજ્ઞા દ્વારા જ થયું હતું.
માનવ (હૃદય) માં સંઘર્ષ
14 આપણે જાણીએ છીએ કે નિયમ આધ્યાત્મિક છે. પરંતુ હું આધ્યાત્મિક નથી. જાણે કે હું તેનો સેવક હોઉં તેમ પાપ મારા પર સત્તા ચલાવે છે. 15 હું જે કોઈ કામો કરું છું, તે સમજી શકતો નથી. તેથી જે સારાં કામો કરવાની મારી ઈચ્છા છે, તે હું કરી શકતો નથી. અને જે ખરાબ કામો કરવાનું હું ધિક્કારું છું તે હું કરું છું. 16 ત્યારે હું જે ઈચ્છતો નથી તે જો હું કરું છું, તો હું નિયમ વિષે કબૂલ કરું છું કે તે સારો છે. 17 પરંતુ આ ખરાબ કામો કરનાર ખરેખર હું નથી. મારામાં રહેતું પાપ ખરાબ કામો કરે છે. 18 હા, હું જાણું છું કે મારામાં એટલે મારા દેહમાં કંઈ જ સારું વસતું નથી. મારો કહેવાનો અર્થ એ છે કે મારા અસ્તિત્વનો જે અંશ આધ્યાત્મિક નથી, તેમાં કોઈ સારાપણાનો સમાવેશ નથી. મારી ઈચ્છા તો એવી છે કે હું સારાં જ કામો કરું. પરંતુ હું તે કરતો નથી. 19 મારે જે સારાં કામો કરવાં છે તે હું કરતો નથી. તેને બદલે જે ખરાબ કામો જે મારે નથી કરવાં તે મારાથી થઈ જાય છે. 20 તેથી જે કામો મારે કરવાં નથી, તે જો મારાથી થઈ જતાં હોય, તો એવાં કામો કરનાર ખરેખર હું નથી. મારામાં રહેતું પાપ એ બધાં ખરાબ કામો કરે છે.
21 તેથી મેં આ સિદ્ધાંત શોધ્યો. જ્યારે હું સારું કરવા ઈચ્છું છું ત્યારે ભૂડું જ ઉપલબ્ધ હોય છે. 22 દેવના નિયમમાં હું અંતરના ઊડાણમાં ખૂબ સુખી છું. 23 પરંતુ મારા શરીરમાં કોઈ જુદો જ નિયમ કાર્ય કરતો જોઉ છું. માનસિક સ્તરે મારા મનમાં જે નિયમનો સ્વીકાર થયો છે તેની સામે પેલો શારીરિક સ્તર પર ચાલતો નિયમ યુદ્ધ છેડે છે. મારા શરીરમાં ચાલતો એ નિયમ તે પાપનો નિયમ છે, અને એ નિયમ મને એનો કેદી બનાવે છે. 24 તેથી હું દુ:ખી છું! મારા માટે મૃત્યુ લાવનાર આ શરીરથી મને કોણ બચાવશે? 25 દેવ જ મને બચાવશે! આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા હું તેનો આભાર માનું છું!
આમ મારા મનમાં હું મારી જાતે દેવના નિયમને અનુસરું છું. પણ મારા પાપમય સ્વભાવથી હું પાપના નિયમનો દાસ છું.
ઈસુ પાણી પર ચાલે છે
(માથ. 14:22-27; માર્ક 6:45-52)
16 તે સાંજે ઈસુના શિષ્યો સરોવર (ગાલીલ સરોવર) તરફ નીચે ગયા. 17 હવે અંધારું થયું હતું અને હજુ ઈસુ તેઓની પાસે પાછો આવ્યો ન હતો. શિષ્યો હોડીમાં બેઠા અને કફરનહૂમ તરફ બીજી બાજુ જવાનું શરું કર્યુ. 18 પવન ઘણો સખત ફૂંકાતો હતો. સાગર પરનાં મોજાં મોટાં થતાં જતાં હતાં. 19 તેઓએ ત્રણથી ચાર માઈલ હોડી હંકારી પછી તેઓએ ઈસુને જોયો. તે પાણી પર ચાલતો ચાલતો હોડી તરફ આવતો હતો. શિષ્યો બીતા હતા. 20 પણ ઈસુએ તેઓને કહ્યું, “ગભરાશો નહિ. તે હું જ છું.” 21 ઈસુએ આમ કહ્યા પછી, શિષ્યો ઈસુને હોડીમાં લઈને ખુશ થયા. પછી તે હોડી તેઓ જે જગ્યાએ જવા ઈચ્છતા હતા ત્યાં આવી પહોંચી.
લોકો ઈસુને શોધે છે
22 બીજો દિવસ આવ્યો, કેટલાક લોકો સમુદ્રની બીજી બાજુએ રહ્યા. આ લોકોએ જાણ્યું કે ઈસુ તેના શિષ્યો સાથે હોડીમાં ગયો નહિ. લોકોએ જાણ્યું કે ઈસુના શિષ્યો હોડીમાં એકલા હતા અને તેઓએ જાણ્યું કે ત્યાં એક જ હોડી હતી. 23 પણ પછી તિબેરિયાસથી કેટલીક હોડીઓ આવી. આગલા દિવસે લોકોએ જ્યાં ભોજન કર્યુ હતું તે સ્થળની નજીક હોડીઓ આવી. પ્રભુ (ઈસુ) નો આભાર માન્યા પછી તેઓએ રોટલી ખાધી હતી તે આ જ જગ્યા હતી. 24 લોકોએ જોયું કે ઈસુ અને તેના શિષ્યો હવે ત્યાં ન હતા. તેથી લોકો હોડીઓમાં બેસી ગયા અને કફર-નહૂમ ગયા. તેઓની ઈચ્છા ઈસુને શોધવાની હતી.
ઈસુ, જીવનની રોટલી
25 લોકોએ ઈસુને સમુદ્રની બીજી બાજુએ જોયો. તેઓએ ઈસુને પૂછયું, “રાબ્બી, તું ક્યારે અહીં આવ્યો?”
26 ઈસુએ ઉત્તર આપ્યો, “તમે શા માટે મને શોધો છો? તમે મને શોધી રહ્યા છો કારણ કે તમે મારી શક્તિના અદભૂત કાર્યો જોયા છે. જે મારી સત્તાની સાબિતી છે. ના! હું તમને સાચું કહું છું. તમે મને શોધતા હતા. કારણ કે તમે રોટલી ખાઈને તૃપ્ત થયા હતા. 27 ભૌતિક ભોજન નાશવંત છે. તેથી તે પ્રકારનું ભોજન મેળવવા માટે કામ ન કરો. પરંતુ જે તમને અનંતજીવન આપે છે અને હમેશા સારું છે તે ભોજન મેળવવા કામ કરો. માણસનો દીકરો તમને તે ભોજન આપશે. દેવ પિતાએ બતાવ્યું છે કે તે માણસના દીકરા સાથે છે.”
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International