Book of Common Prayer
નિર્દેશક માટે. દાઉદનું એક ગીત. લોકોને યાદ રાખવા માટે.
1 હે દેવ, મારું રક્ષણ કરો; હે યહોવા,
મને સહાય કરવાં દોડી આવો.
2 જેઓ મારો પ્રાણ લેવા ઇચ્છે છે,
તેઓ નિરાશ થાઓ અને મુંજાઇ જાઓ.
જેઓ મારું અનિષ્ટ ઇચ્છે છે
તેઓ પાછા પડો
અને શરમ અનુભવો.
3 જેઓ મારી મશ્કરી કરે છે,
તેઓ પોતાના પરાજયથી લજ્જિત થાઓ.
4 જેઓ તમારું મુખ શોધે છે,
તેઓ તમારામાં આનંદ કરો અને હર્ષ પામો;
જેઓ તમારા તારણ પર પ્રેમ કરે છે
તેઓ પોકારીને કહો કે દેવને મહાન માનો.
5 પણ હું તો દરિદ્રી અને લાચાર છું,
હે યહોવા, ઝટ તમે મારી મદદે આવો;
તમે જ એકલાં મારા સહાયક તથા ઉદ્ધાર કરનાર છો;
હે યહોવા, હવે જરાપણ વિલંબ ન કરો.
1 હે યહોવા, મેં તમારું શરણું લીધું છે.
મને શરમિંદો કરશો નહિ.
2 મારા તરફ ન્યાયી થાઓ, અને મને મુકત કરો;
મારી રક્ષા કરો, મારા તરફ વળો અને મારી તરફ કાન ધરી મારો ઉદ્ધાર કરો.
3 જ્યાં હું સદાને માટે રહી શકું તેવો ગઢ તમે થાઓ,
તમે મને તારવાની આજ્ઞા કરી છે
કારણકે તમે મારા ખડક અને મારો ગઢ છો.
4 હે મારા દેવ, તમે મને દુષ્ટોના
ઘાતકી અન્યાયી હાથોમાંથી બચાવો.
5 હે પ્રભુ, ફકત તમે જ મારી આશા છો!
મેં બાળપણથી તમારો વિશ્વાસ કર્યો છે.
6 હું ગર્ભસ્થાનમાં હતો, ત્યારથી તમે મારા આધાર રહ્યાં છો.
મારી માતાનાં ઉદરમાંથી મને કાઢનારા તમે જ છો.
હે દેવ, હું હંમેશા તમારી સ્તુતિ ગાઇશ.
7 હું બીજા લોકો માટે એક ષ્ટાંત બન્યો છું.
પણ તમે તો મારો શકિતશાળી આશ્રય છો.
8 તમારી સ્તુતિથી મારું મુખ ભરપૂર થશે,
આખો દિવસ તમારા ગૌરવની ભરપૂર વાતો થશે.
9 વૃદ્ધાવસ્થા કાળે, મારી શકિત ખૂટે
ત્યારે મને તરછોડી મારો ત્યાગ ન કરો.
10 મારા શત્રુઓ જેઓ મારી વિરુદ્ધ વાતો કરે છે,
મારો પ્રાણ લેવાં તાકી રહ્યાં છે;
તેઓ અંદરો અંદર મસલત કરે છે.
11 તેઓ કહે છે કે, “દેવે તેને તજી દીધો છે,
આપણે પાછળ દોડીને તેને પકડી પાડીએ; કારણકે તેને છોડાવનારું કોઇ નથી.”
12 હે દેવ, મારાથી દૂર ન જશો;
તમે મારી પાસે આવવાં ઉતાવળ કરો;
અને મને સહાય કરો.
13 મારા આત્માનાં દુશ્મનો
ફજેત થઇને નાશ પામો;
મને ઉપદ્રવ કરવાને મથનારાઓ નિંદા
તથા અપમાનથી ઢંકાઇ જાઓ.
14 પણ હું તમારી નિત્ય આશા રાખીશ;
અને દિવસે દિવસે અધિક સ્તુતિ કરીશ.
15 તમારાં ન્યાયીપણાનાં અને ઉદ્ધારનાં કૃત્યો મારું મુખ આખો દિવસ પ્રગટ કરશે.
તેઓની સંખ્યા કેટલી મોટી છે
તે હું જાણતો નથી.
16 હે પ્રભુ યહોવા, સર્વસમર્થ! હું આવીશ, અને તમારાં અદભૂત કાર્યોને પ્રગટ કરીશ!
તમારા ન્યાયીપણા વિષે લોકોને જણાવીશ.
17 હે દેવ, મારા બાળપણમાં તમે મને શીખવ્યું છે,
ત્યારથી હું તમારા ચમત્કારો વિષે જણાવતો રહ્યો છું.
18 હે દેવ, હું હવે ઘરડો થયો છું ને વાળ પણ સફેદ થયાં છે, ત્યારે મારો ત્યાગ ન કરશો.
તમારા સર્વ ચમત્કારો વિષે હું નવી પેઢી અને તેનાં સંતાનોને જણાવું તે માટે મને સમય આપો.
19 હે દેવ, તમારું ન્યાયીપણું અતિશય ઉચ્ચ છે;
હે દેવ, તમે મોટાં કામો કર્યાં છે;
તમારા જેવો બીજો કોણ છે?
20 ઘણાં ખેદજનક સંકટો તમે અમને દેખાડ્યાં છે;
તમે પૃથ્વીનાં ઊંડાણોમાંથી અમને પાછા કાઢી લાવશો;
તમે અમને પુર્નજીવિત કરશો.
21 તમે મને અગાઉ કરતાંય વધારે માન આપશો,
અને પાછા ફરીને મને દિલાસો પણ આપશો.
22 હું તમારું સિતાર સાથે સ્તવન કરીશ,
હે મારા દેવ, હું તમારી સત્યતાનું સ્તવન કરીશ;
હે ઇસ્રાએલનાં પવિત્ર દેવ;
હું વીણા સાથે તમારા સ્તોત્રો ગાઇશ.
23 હું તમારી સ્તુતિ કરીશ, ત્યારે મારા હોઠો હર્ષનો પોકાર કરશે,
અને ઉદ્ધાર પામેલો મારો આત્મા અતિશય આનંદ પામશે.
24 મારી જીભ આખો દિવસ તમારી દયા અને તમારા ન્યાયીપણાની વાતો કરશે;
જેઓ મને હાની પહોંચાડવા ઇચ્છે છે
તેઓને લજ્જિત અને અપમાનિત કરાયાં છે.
આસાફનું માસ્કીલ.
1 હે દેવ તમે અમને સદાને માટે શા માટે તજી દીધા છે?
તમે તમારાં ઘેટાનાં ટોળા સામે હજી આજેય ગુસ્સામાં છો?
2 હે યહોવા, સ્મરણ કરો; પુરાતન સમયમાં તમે લોકોને પસંદ કરીને ખરીદ્યા.
તમે લોકોને બચાવ્યાં અને તેમને તમારા પોતાના બનાવ્યા.
સ્મરણ કરો સિયોન પર્વત, જે જગાએ તમે રહો છો.
3 દેવ આવો અને આ પ્રાચીન ખંડેરમાંથી ચાલ્યા આવો.
તમારા પવિત્રસ્થાનને શત્રુઓએ કેટલું મોટું નુકશાન કર્યુ છે!
4 તમે જ્યાં અમારી મુલાકાત લો છો,
તે સ્થળમાં શત્રુ ગર્જના કરે છે; પોતાનો વિજય દર્શાવવા તેઓએ પોતાની ધ્વજાઓ ઊભી કરી છે.
5 તેઓ જંગલનાં વૃક્ષો પર
કુહાડા ઉગામનારાઓના જેવા છે.
6 તેઓ તેનું તમામ નકશીદાર કામ
કુહાડી-હથોડાથી તોડી નાખે છે.
7 તેઓએ તમારા પવિત્રસ્થાનને આગ લગાડી છે.
તેઓએ તમારાં રહેઠાણનો નાશ કર્યો છે.
8 તેઓએ તેમને પોતાને કહ્યું હતું: “તેમને પૂરેપૂરા કચડી નાંખીએ.”
તેઓએ દેશમાંના દેવના બધાં સભા સ્થાનોને બાળી મૂક્યાં.
9 અમે તમારા લોકો છીએને દર્શાવતી એક પણ નિશાની બચી નથી,
નાશ પામ્યાં છે સર્વ પ્રબોધકો, આ સર્વનો અંત ક્યારે?
કોણ કરી શકે?
10 હે દેવ, ક્યાં સુધી અમારા શત્રુઓ તમારા નામનું અપમાન કરશે?
શું તમે તેઓને સદા આમ કરવા દેશો?
11 શા માટે તમે વિલંબ કરો છો?
શા માટે તમારા સાર્મથ્યને અટકાવી રાખો છો?
હાથ ઉગામીને તેઓ પર તમારો અંતિમ ઘા કરો.
12 પુરાતન કાળથી, દેવ મારા રાજા છે.
તે પૃથ્વીના એક છેડાથી બીજા છેડા સુધી લોકોનું તારણ કરે છે.
13 તમે તમારા મહાન પરાક્રમ વડે રાતા સમુદ્રનાં બે ભાગ પાડ્યાં,
વળી તમે પાણીમાં મહા મત્સ્યોનાં માથાં ફોડી નાખ્યાઁ.
14 પેલા પ્રચંડ પ્રાણીઓના માથાઓને ટૂકડે ટૂકડા કરીને ભાંગી નાખ્યા
અને તેમના શરીરને રણનાં પ્રાણીઓને ખાવા માટે આપી દીધાં.
15 તમારા લોકોને પાણી પૂરુ પાડવાં, ઝરણાં અને નદીઓ સઘળે વહેવડાવી;
નિરંતર વહેતી નદીઓને સૂકવીને તમે સૂકી ભૂમિનો રસ્તો તૈયાર કર્યો.
16 દિવસ અને રાત બંને તમારા છે,
અને તમે જ સૂર્ય અને ચંદ્રનું સર્જન કર્યુ છે.
17 પૃથ્વીની સીમાઓ, સ્થાપન તમે જ કરી છે;
ઉનાળો-શિયાળો ઋતુઓ પણ તમે બનાવી છે.
18 હે યહોવા, શત્રુઓ તમારી મશ્કરી કરે છે,
મૂર્ખ લોકો તમારા નામનો તિરસ્કાર કરે છે,
આ વસ્તુઓ યાદ રાખો.
19 હે યહોવા, તમારા હોલાનો જીવ હિંસક પ્રાણીઓનાં હાથમાં જવા દેશો નહિ;
તમારા લોકોને ભૂલશો નહિ અને હિંસક પ્રાણીઓથી બચાવો.
20 હે યહોવા, તમે કરેલો કરારનું સ્મરણ કરો,
આ દેશના અંધકારમય ભાગમાં હિંસા વ્યાપક બની છે.
21 હે દેવ, તમારા આ દુ:ખી લોકોનું સતત અપમાન થવા ના દેશો.
દરિદ્રીઓ અને લાચારોને
તમારું સ્તવન કરવાને કારણ આપો.
22 હે દેવ તમે ઉઠો, અને તમારી લડાઇમાં લડો!
મૂર્ખો આખો દિવસ તમારું અપમાન કરે છે, તેનું સ્મરણ કરો.
23 જેઓ તમારી વિરુદ્ધ થયા છે અને નિત્ય ઊંચાને ઊંચા ચઢે છે તે તમારા શત્રુઓની ધાંધલ
અને બરાડાઓને તમે ના વિસરશો.
9 યહોવાએ કહ્યું, “તે દિવસે રાજાઓ
અને સરદારો ભયને લીધે કાંપશે,
યાજકોને તથા પ્રબોધકોને ભયને
કારણે ભારે આઘાત લાગશે.”
10 ત્યારે હું બોલ્યો, “આહા, પ્રભુ યહોવા, તેં અમને અને યરૂશાલેમના સર્વ લોકોને પૂર્ણપણે છેતર્યા છે તેઁ તેઓને કહ્યું, ‘તમે શાંતિ પામશો.’ પણ તમાર માથા પર તો તરવાર લટકી રહી છે.”
યર્મિયાનું રૂદન
19 અરે! ઓહ! માંરુ અંતર કેવું વલોવાય છે!
મારી છાતી કેવી ધડકે છે!
હું શાંત રહી શકતો નથી,
કારણ મેં રણશિંગડાનો ધ્વનિ સાંભળ્યો છે.
20 સંકટ પર સંકટ આવે છે,
દેશ આખો ખેદાન મેદાન થઇ ગયો છે,
મારા તંબુઓ એકાએક ઢળી પડ્યા છે.
તેના પડદાઓના લીરા ઊડે છે.
21 મારે ક્યાં સુધી રણધ્વજ જોવો
અને રણશિંગડાનો નાદ સાંભળવો?
22 દેવ કહે છે, “જ્યાં સુધી મારા લોકો મૂર્ખતા ન છોડે ત્યાં સુધી,
કારણ, મારા લોકો મૂરખ છે,
તેઓ મને ઓળખતા નથી; એ લોકો નાદાન બાળકો છે.
એમને કશી સમજ નથી.
એ લોકો ભૂંડુ કરવામાં ઘણાં ચાલાક છે,
પરંતુ સાચું આચરણ કરતાં એમને આવડતું નથી.”
વિનાશ આવી ગયું
23 મેં તેઓના દેશ પર ચારે દિશાઓમાં
જ્યાં સુધી નજર પહોંચે ત્યાં સુધી ષ્ટિ કરી.
સર્વત્ર વિનાશ વેરાયેલો હતો.
આકાશો પણ અંધકારમય હતા.
24 મેં પર્વતો તરફ જોયું,
તો તે ધ્રૂજતા હતા.
બધા ડુંગરો ડોલતા હતા.
25 મેં ષ્ટિ કરી, તો કોઇ મનુષ્ય દેખાયું નહોતું.
આકાશનાં પંખીઓ સુદ્ધાં ઊડી ગયા હતા.
26 મેં જોયું, તો ખેતરો વેરાન થઇ ગયાં હતાં,
બધાં નગરો ભોંયભેગા થઇ ગયા હતાં,
કારણ, યહોવા રોષે ભરાયા હતા.
27 કારણ કે યહોવાએ કહ્યું હતું કે,
“આખા દેશનો વિનાશ થઇ જશે,
પણ હું તેનો સંપૂર્ણ નાશ નહિ કરું.
28 સમગ્ર પૃથ્વી ચિંતા કરશે અને આકાશ અંધકારમય બની જશે.
કારણ, યહોવા બોલી ચૂક્યો છે
અને તેનો વિચાર તે બદલનાર નથી,
તેણે નિર્ણય કર્યો છે અને તેમાંથી ડગનાર નથી.”
12 જે લોકો પાસે મૂસાનું નિયમશાસ્ત્ર[a] છે અને એવા લોકો કે જેઓએ નિયમશાસ્ત્ર સાંભળ્યું નથી. તેઓ બધા જ જ્યારે પાપ કરે છે ત્યારે એક સમાન કક્ષાએ આવી જાય છે. જે લોકો પાસે નિયમશાસ્ત્ર નથી અને જે પાપીઓ છે તેઓ નાશ પામશે. અને જે લોકો પાસે નિયમશાસ્ત્ર છે અને તેઓ પાપી છે તેઓનો ન્યાય નિયમથી થશે. 13 આ નિયમશાસ્ત્ર માત્ર સાંભળી લેવાથી દેવની નજરે ન્યાયી થવાશે નહિ. એ નિયમશાસ્ત્ર પ્રમાણે જે લોકો આજ્ઞા પાળે છે તે દેવની સાથે નિયમ મુજબ ન્યાયી ઠરશે.
14 બિનયહૂદિ લોકો પાસે નિયમશાસ્ત્ર હોતુ નથી, નિયમશાસ્ત્ર જાણ્યા વગર પણ પોતાની સ્વતંત્ર બુદ્ધિ વડે નિયમ મુજબ તેઓ વર્તે છે. જો કે તેઓને નિયમ મળ્યો નથી છતાં તેઓ તેમની જાત માટે નિયમરૂપ છે. 15 તેઓ તેમના હૃદયમાં તે બતાવે છે. નિયમની અપેક્ષા મુજબ સાચું શું છે અને ખોટું શું છે તે તેઓના કામ દેખાડી આપે છે. જ્યારે તેઓ ખોટું કરે છે ત્યારે તેમના વિચારો તેમને કહે છે કે તેઓએ ખોટું કર્યુ છે, અને તેઓ ગુનેગારની લાગણી અનુભવે છે. કેટલીક વાર તર્ક બુદ્ધિથી એમને લાગે કે એમણે જે કઈ કર્યુ છે તે યોગ્ય છે ત્યારે તેઓ અપરાધ ભાવનાથી પીડાતા નથી.
16 જે દિવસે દેવ ન્યાય ચૂકવશે ત્યારે લોકોના હૃદયમાં છુપાયેલી ગુપ્ત વાતો બહાર આવશે. હું જે સુવાર્તાનો ઉપદેશ આપું છું તે કહે છે. દેવ, ખ્રિસ્ત ઈસુ દ્વારા લોકોનો ન્યાય કરશે.
યહૂદિઓ અને નિયમશાસ્ત્ર
17 પાઉલ યહૂદિઓને કહે છે: તમારા વિષે શું કહેવું, શું માનવું? તમે તો યહૂદિ હોવાનો દાવો કરો છો. નિયમના આધારે તમે દેવની નજીક હોવાનું અભિમાન ધરાવો છો. 18 દેવ તમારી પાસે કેવી અપેક્ષા રાખે છે તે તમે સારી રીતે જાણો છો. જે બાબતો અગત્યની છે તે પણ તમે જાણો જ છો કારણ કે નિયમશાસ્ત્રમાં તમે તેવું શીખ્યા છો. 19 તમે માનો છો કે જે લોકો સાચો માર્ગ જાણતા નથી, તેઓના માર્ગદર્શક તમે છો. જે લોકો અંધકારમાં છે તેમના માટે પ્રકાશરૂપ તમે છો. 20 તમે એમ ધારો છો કે મૂર્ખ માણસોને સાચો માર્ગ તમે બતાવી શકશો જે લોકોને હજી પણ શીખવાની જરૂર છે તેમના શિક્ષક તમે છો એમ તમે માનો છો. નિયમ શીખવાથી તમે વિચારો છો કે તમે બધું જ જાણો છો અને સર્વ સત્ય તમારી પાસે જ છે. 21 તમે બીજા લોકોને ઉપદેશ આપો છો, તો પછી તમારી જાતને ઉપદેશ કેમ આપતા નથી? તમે લોકોને કહો છો કે ચોરી ન કરવી, પરંતુ તમે પોતે જ ચોરી કરો છો. 22 તમો લોકોને કહો છો કે વ્યભિચારનું પાપ ન જ કરવું જોઈએ, પરંતુ તમે પોતે એ પાપના અપરાધી છો. તમે મૂર્તિ-પૂજાને ધિક્કારો છો, પરંતુ મંદિરોને લૂટો છો. 23 દેવના નિયમશાસ્ત્રનું જ્ઞાન હોવાની તમે બડાશો મારો છો પરંતુ નિયમશાસ્ત્રનું ઉલ્લંઘન કરીને તમે દેવને શરમાવો છો. 24 શાસ્ત્રોમાં લખેલું છે કે: “તમારા કારણે બિનયયહૂદિઓમાં દેવના નામની નિંદા થાય છે.”
ઈસુ પાસે દેવની સત્તા છે
19 પરંતુ ઈસુએ ઉત્તર આપ્યો, “હું તમને સત્ય કહું છું. દીકરો તેની જાતે કંઈ કરી શકે નહિ. દીકરો બાપને જે કંઈ કરતા જુએ છે, તે જ માત્ર કરે છે. પિતા જે કરે છે તે જ કામ દીકરો કરે છે. 20 પિતા દીકરા પર પ્રેમ કરે છે, અને પિતા પોતે જે કઈ કરે છે તે બધું જ દીકરાને દેખાડે છે; આ માણસ સાજો થયો હતો, પરંતુ પિતા દીકરાને આના કરતાં વધારે મોટાં કામ કરવાનાં દેખાડશે. પછી તમે બધા નવાઈ પામશો. 21 પિતા મૂએલાઓને ઊઠાડે છે અને તેઓને સજીવન કરે છે. તે જ રીતે દીકરો પણ તેની ઈચ્છા હોય તો મૂએલાઓને સજીવન કરે છે.
22 “કેમ કે પિતા કોઈનો ન્યાય ચૂકવતો નથી. પરંતુ પિતાએ ન્યાય કરવાની સર્વ સત્તા દીકરાને આપી છે. 23 દેવે આમ કર્યુ છે કારણ કે બધા લોકો જેમ પિતાને માન આપતા તેમ દીકરાને પણ માન આપે. જો કોઈ વ્યક્તિ દીકરાને માન આપતો નથી તો પછી તે વ્યક્તિ પિતાને પણ માન આપતો નથી. જેણે દીકરાને મોકલ્યો છે તે પિતા એક જ છે.
24 “હું તમને સત્ય કહું છું, જો કોઈ વ્યક્તિ હું જે કહું છું તે સાંભળે છે અને જેણે મને મોકલ્યો છે, તેમાં વિશ્વાસ કરે છે તેને અનંતજીવન મળે છે. તે વ્યક્તિ અપરાધી નહિ ઠરે. તેણે મૃત્યુંમાંથી નીકળીને જીવનમાં પ્રવેશ કર્યો છે. 25 હું તમને સત્ય કહું છું, હવે મહત્વનો સમય આવે છે, તે સમય અહીં આવી ચુક્યો છે. જે લોકો પાપમાં મૃત્યું પામ્યા છે, તેઓ દેવના દીકરાની વાણી સાંભળશે, અને તે લોકો એ જે કહે છે તેનો સ્વીકાર કરશે તેઓને અનંતજીવન પ્રાપ્ત થશે. 26 કારણ કે પિતા (દેવ) ના પોતાનામાંથી જીવન આવે છે. તેથી પિતાએ દીકરા (ઈસુ) ને પણ જીવન આપવાનો અધિકાર આપ્યો છે. 27 અને પિતાએ દીકરાને બધા લોકોનો ન્યાય ચુકવવાનો અધિકાર પણ આપ્યો છે. શા માટે? કારણ કે તે દીકરો માણસનો દીકરો છે.
28 “આથી તમે આશ્ચર્ય પામશો નહિ. એ સમય આવે છે જ્યારે જે લોકો મૃત્યુ પામ્યા છે અને તેઓની કબરોમાં છે તેઓ તેની વાણી સાંભળશે. 29 જે લોકોએ જીવનમાં સારા કામો કર્યા છે તેઓ સજીવન થશે અને અનંતજીવન મેળવશે. પરંતુ જે લોકોએ ભૂંડા કામ કર્યા છે તેઓને ન્યાયની સામે ઊભા કરવામાં આવશે.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International