Book of Common Prayer
નિર્દેશક માટે. તારવાળાં વાજીંત્ર સાથે ગાવા માટે. દાઉદનું ગીત.
1 હે દેવ, મારી પ્રાર્થના સાંભળો
અને મારી અરજી પર ધ્યાન આપો.
2 જ્યારે મારું હૃદય વ્યાકુળ થશે,
ત્યારે પૃથ્વીને છેડેથી હું આપને પ્રાર્થના કરીશ!
હું પોતે સુરક્ષાનો મજબૂત ખડક ચઢી શકતો નથી,
તેથી તે પર તમે મને લઇ જજો.
3 તમે મારૂં આશ્રય છો અને મજબૂત બૂરજ છો જે
મને મારા શત્રુઓથી બચાવે છે!
4 હું સદાકાળ તમારા મંડપમાં રહીશ,
અને તારી પાંખોના આશ્રયે રહીશ.
5 હે દેવ, મેં તમને કરેલી પ્રતિજ્ઞાઓ તમે સ્વીકારી છે.
જેઓ તમારો ડર રાખે છે અને તમારો આદર કરે છે તેને તમે ઉપહાર આપો છો.
6 રાજાના વર્ષોમાં વૃદ્ધિ કરો જેથી
તે આવનાર પેઢીઓ સુધી જીવે.
7 તે સદાકાળ દેવની સંમુખ રહેશે.
તેની રક્ષા કરવા સત્ય ને કૃપા તૈયાર રાખજો.
8 હું, નિરંતર તમારા નામની સ્તુતિ ગાઇશ
અને દરરોજ મારી પ્રતિજ્ઞા પરિપૂર્ણ કરીશ.
નિર્દેશક માટે. યદૂથૂનની રીત મુજબ ગાવા માટે. દાઉદનું ગીત.
1 દેવ સમક્ષ મારો આત્મા શાંત રહે છે.
મારી રક્ષા કરવા તેની ધીરજથી રાહ જોઉ છું,
કારણ ફકત તે જ મારૂં તારણ કરી શકે છે.
2 હા, તે એકલાં જ મારા ખડક તથા તારક, તે મારા ગઢ છે;
સમર્થ શત્રુઓ પણ મને પરાજય આપી શકે તેમ નથી, પછી મને શાનો ભય?
3 જે વ્યકિત નમી ગયેલી ભીંત
કે ભાગી ગયેલી વાડ જેવી નિર્બળ છે,
તેના ઉપર તમે સર્વ માણસો
ક્યાં સુધી આક્રમણ કરશો?
4 તેઓ તેને તેના શ્રેષ્ઠ સ્થાનેથી નીચે
પાડી દેવા ચાહે છે;
તેઓ જૂઠથી હરખાય છે,
અને મુખેથી આશીર્વાદ આપે છે,
પરંતુ હૃદયથી શાપ આપે છે.
5 મારો આત્મા દેવ સમક્ષ શાંતિથી
અને ધૈર્યથી રાહ જુએ છે.
હું અપેક્ષા રાખુ છુ કે તે મારી રક્ષા કરે;
કારણ, તે એકલોજ મને બચાવી શકે તેમ છે.
6 હા, તે એકલા જ મારા ખડક, તારક અને ગઢ છે,
હું ઉથલાઇ જનાર નથી.
7 ઇશ્વરમાં મારું ગૌરવ તથા તારણ છે,
મારો સાર્મથ્યનો ખડક અને આશ્રય પણ ઇશ્વરમાંજ છે.
8 હે લોકો, દેવનો હંમેશા ભરોસો કરો,
અને તમારી શું મનોકામના છે તે તેને કહો.
આપણા સૌનો આશ્રય દેવ છે.
9 ખરેખર લોકો મદદ કરી શકતા નથી,
દેવની સાથે સરખાવીએ તો, તેઓ કાંઇજ નથી;
ફકત તમારી દમન
અને દબાણથી હવાના એક સુસવાટા સમાન છે.
10 દમન કરીને બળજબરીથી વસ્તુઓ લેવાની તમારી શકિત પર આધાર રાખશો નહિ.
લૂંટ કરીને મેળવવું છે એવું વિચારશો નહિ.
જો તમે ધનવાન બનો તો,
તમારી સંપત્તિ તમને મદદ કરશે એવો આધાર રાખશો નહિ.
11 દેવ એકવાર બોલ્યાં છે, ને મેં બે વાર સાંભળ્યું છે:
“સાર્મથ્ય દેવ પાસે છે.”
12 ઓ યહોવા, કૃપા પણ તમારી જ છે,
તમે પ્રત્યેક વ્યકિતને કર્માનુસાર તેના કર્મનું ફળ આપો છો.
નિર્દેશક માટે. પ્રશઁસાનું દાઉદનું ગીત.
1 હે દેવ ઊઠો, તમારા શત્રુઓ વિખરાઇ જાઓ;
તેનાં સર્વ શત્રુઓ તેની પાસેથી ભાગી જાઓ.
2 તેઓને ધુમાડાની જેમ ઉડાવી નાંખો,
જેમ મીણ અગ્નિથી ઓગળી જાય છે;
તેમ દુષ્ટો દેવ સંમુખ નાશ પામો.
3 પણ ન્યાયીઓ આનંદ કરો, અને હર્ષ પામો દેવ સંમુખ;
હા, સૌ અતિ આનંદ કરો.
4 દેવ સમક્ષ ગીત-ગાન કરો, તેમનાં નામનાં સ્તુતિગાન કરો;
જે રેતીનાં રણમાં તેનાં રથ પર સવારી કરે છે.
રણમાં તેમના માટે સડકો બાંધો;
જેમનું નામ છે યાહ,[a] તેમની સામે ઉલ્લાસ કરો.
5 આ દેવ, પોતાના પવિત્રસ્થાનમાં અનાથનાં પિતા ને વિધવાઓનાં રક્ષક છે.
6 દેવ એકાકી લોકોને ઘર આપે છે.
કેદીઓને બંધનમાથી મુકત કરે છે અને સંપન્ન કરે છે.
પણ બંડખોરોને સૂકા અને વેરાન પ્રદેશમાં રહેવાની ફરજ પાડે છે.
7 હે દેવ, જ્યારે તમે લોકોની આગળ આગળ ચાલ્યાં,
અને તમે વેરાન રણમાં કૂચ કરી.
8 દેવ, ઇસ્રાએલના દેવ સિનાઇ પર્વત પાસે આવ્યાં
અને ઘરા ધ્રુજી ઊઠી અને આકાશ ઓગળી ગયું.
9 હે દેવ, તમે ધોધમાર વરસાદ મોકલ્યો;
અને સૂક્કી જમીનને તાજી કરી.
10 ત્યાં તમારી પ્રજાએ કાયમી વસવાટ કર્યો,
હે દેવ, તમે તમારી સમૃદ્ધિથી દરિદ્રીઓની ભૂખ ભાંગી.
11 જ્યારે યહોવાએ આદેશ આપ્યો, સ્ત્રીઓનું મોટું ટોળું બધી જગાએ હતું.
લોકોને તે વિષે તું સારા સમાચાર વિષે કહે.
12 “ઉતાવળથી રાજાઓ અને તેના સૈન્યો ભાગી જાય છે
અને ઘરે સ્રીઓ લડાઇમાં કરેલી લૂંટ વહેંચી લે છે.
13 જેઓ ધેર રહ્યાં છે તેમને રૂપાથી મઢેલી
અને સુવર્ણથી ચળકતી કબૂતરની પાંખો મળશે.”
14 જેમ સાલ્મોનના હિમાચ્છાદિત શિખરોનો બરફ પીગળી જાય છે,
તેમ જુઓ દેવે તેઓના શત્રુઓને વિખેરી નાંખ્યા છે.
15 બાશાનનો પર્વત દેવનો ભવ્ય પર્વત છે,
બાશાનનો ઘણાં શિખરોવાળો પર્વત ઘણો મજબૂત છે.
16 હે પર્વતો, શા માટે તમે સિયોન પર્વતની અદેખાઇ કરો છો?
કે જેને યહોવા પોતાને રહેવા
માટે ઇચ્છતા હતાં જ્યાં તે સદાકાળ રહેશે.
17 યહોવા, પોતાના અસંખ્ય રથો સાથે સિનાઇના પર્વત પરથી આવે છે;
અને તે પોતાના પવિત્ર મંદિરમાં આવે છે.
18 જ્યારે તે ઉંચાઇ પર જાય છે,
તે બંદીવાનોની કૂચને ઘેરે છે,
જે લોકો તેમની વિરુદ્ધ થયા હતા
તેમની પાસેથી તથા માણસો[b] પાસેથી ભેટો સ્વીકારવા
યહોવા દેવ ત્યાં નિવાસ કરવાં ગયા.
19 ધન્ય છે પ્રભુને,
કે જેઓ રોજ આપણો બોજો ઊંચકી લે છે,
અને તેઓજ સૌનું તારણ કરે છે.
20 તેઓજ આપણને મૃત્યુથી મુકત કરે છે,
યહોવા જ આપણા તારણના દેવ છે.
21 પણ દેવ પોતાનાં શત્રુઓનાં માથા ફોડી નાખશે, કારણ,
તેઓ અપરાધના માર્ગો છોડી દેવાની ના પાડે છે.
22 મારા પ્રભુને કહ્યું, “હું તેમને બાશાનથી પાછા લાવીશ,
પરંતુ શત્રુઓને ઊંડા સમુદ્રમાંથી પાછા લાવીશ.
23 જેથી ભલે તમે શત્રુઓનાં રકતમાં ચાલો,
અને તમારા કૂતરાઓની જીભને પણ તે ભલે ચાખવા મળે.”
24 હે દેવ, તેઓ તમારી વિજયકૂચ જોશે!
તેઓ મારા રાજાને, વિજય કૂચને દોરતા મારા પવિત્ર દેવને જોશે.
25 આગલી હરોળમાં ગાયકો કૂચ કરતાં આવે છે.
તેમના પછી સંગીતકારો, અને તેઓ ડફલી વગાડતી કન્યાઓથી ઘેરાયેલા છે.
26 હે મંડળો, તમે દેવની સ્તુતિ કરો;
ઇસ્રાએલના સંતાનો તમે યહોવાની સ્તુતિ કરો.
કારણ, એ ઇસ્રાએલનાં ઝરા સમાન છે.
27 બિન્યામીનનું નાનું કુળ ત્યાં આગેવાની આપે છે,
યહૂદાના સરદારો, ઝબુલોન,
નફતાલીના સરદારો તેઓની સભા પાછળ છે.
28 હે યહોવા, તમારુ સામથર્ય બતાવો અને અગાઉ તમે અમારે માટે કર્યુ હતું તેમ,
તમારા મોટાં કાર્યો અમારી ભલાઇ માટે જાણ થાય.
29 યરૂશાલેમનાં તમારાં મંદિરમાં પૃથ્વીનાં
રાજાઓ ઉપહારો લઇને આવે છે.
30 બરુઓ વચ્ચે છુપાયેલા “પ્રાણીઓને” ઠપકો આપો,
રાષ્ટ્રોના વાછરડાઁ જેવા લોકોને આખલાઓનાં ટોળાઓને પણ ઠપકો આપો,
જેથી તેઓ તમારે શરણે આવે
અને તમારા માટે ચાંદીની ભેટો લાવે,
યુદ્ધમાં આનંદ માણનારાઓને વિખેરી નાંખો.
31 મિસરવાસીઓ તમારા માટે તેમની સંપત્તિ લઇને આવશે.
કૂશનાં લોકો દેવને તેઓની અર્પણ પ્રશંસા આપવાં ઉતાવળા થશે.
32 હે પૃથ્વીના સર્વ રાજ્યો તમે દેવ સમક્ષ ગાઓ,
અને યહોવાનું સ્તવન કરો.
33 પુરાતન કાળનાં આકાશોમાં થઇને વાદળ પર સવારી કરનારા,
એ અને જેમનાં પરાક્રમી અવાજથી આકાશમાં ગર્જના થાય છે તે દેવની સ્તુતિ કરો.
34 પરાક્રમ કેવળ દેવનું છે,
તેમની સત્તા ઇસ્રાએલ પર છે;
તેમનું સાર્મથ્ય તથા પરાક્રમ પણ આકાશોમાં છે.
35 હે દેવ, તમે તમારા પવિત્રસ્થાનોમાં અતિ મહિમાવાન અને ભયાવહ છો,
ઇસ્રાએેલના દેવ જેઓ પોતાના લોકોને સાર્મથ્ય તથા પરાક્રમ આપે છે.
તેમને ધન્ય હો!
ઇસ્રાએલે કરેલો યહોવાનો નકાર
2 ફરીથી યહોવાએ મારી સાથે વાત કરીને આ પ્રમાણે કહ્યુ: 2 “જા, અને યરૂશાલેમ સાંભળે તે રીતે ઘોષણા કર:
“‘આ યહોવાના વચન છે: મને યાદ છે કે,
જુવાનીમાં તારી ભકિત કેવી અચળ હતી!
નવાં નવાં પરણ્યાં ત્યારે તું મારા પર કેટલો પ્રેમ રાખતી હતી!
તું રણમાં ઉજ્જડ પ્રદેશમાં મારી પાછળ પાછળ આવી હતી.
3 એ દિવસોમાં, હે ઇસ્રાએલ, તું મને સમર્પિત હતી,
જાણે ફસલની પહેલી ઊપજ.
જે કોઇ તને ખાવા ધાતું તેને સજા થતી,
તેને માથે આફત ઊતરતી.’”
આ હું યહોવા બોલું છું.
4 હે યાકૂબના કુટુંબો, ઇસ્રાએલના કુળસમૂહો,
યહોવાની વાણીનો સંદેશો સાંભળો.
5 યહોવા કહે છે,
“તમારા પિતૃઓને મારામાં શો દોષ દેખાયો
કે તેઓ મને છોડીને દૂર ચાલ્યા ગયા?
તેઓ વિસાત વગરની મૂર્તિઓને ભજવા લાગ્યા
અને પોતે વિસાત વગરના થઇ ગયા.
6 તેઓએ પૂછયું નહી કે યહોવા ક્યાં છે?
જે અમને મિસરમાંથી સલામત બહાર લાવ્યા
અને અમને રેતી
અને ખડકોની ભૂમિમાંથી દોરી ગયાં,
જ્યાં સદાકાળ દુકાળ
અને અંધકાર હોય છે,
જ્યાં નથી કોઇ માણસના
ક્યારેય પગલાં પડ્યાં
કે નથી કોઇ ત્યાં ક્યારેય વસ્યું”
7 યહોવાએ કહ્યું, “હું જ તેમને ફળદ્રુપ પ્રદેશમાં લઇ આવ્યો,
જેથી તેઓ તેની મબલખ ઊપજ ભોગવે.
પણ તેમણે તો
તેમાં પ્રવેશ કરતાં
વેંત તેને અશુદ્ધ બનાવ્યો,
મેં આપેલી ભૂમિને ઘૃણાપાત્ર બનાવી દીધી.
8 “યાજકોએ કદી પૂછયું નથી કે,
‘યહોવા ક્યાં છે?’
શાસ્ત્રના જાણકારોએ મને ઓળખ્યો નથી,
લોકોના આગેવાનોએ મારી સામે બળવો કર્યો છે.
પ્રબોધકોએ બઆલદેવની આરાધના કરી
અને નકાંમા દેવોને ભજવામાં સમય બગાડ્યો.”
9 “આથી હું, યહોવા, ફરી એકવાર મારા લોકો સામે આરોપ મુકું છું-
તેમની અને તેમના વંશજો સામે.
10 સાગર પાર કરી પશ્ચિમમાં જાઓ
કે પૂર્વમાં તપાસ કરો.
ધ્યાનથી જુઓ અને વિચાર કરો,
આવું કદી બન્યું છે ખરુ?
11 કોઇ પ્રજાએ કદી દેવોને બદલ્યા છે?
ભલેને એ પછી નામના હોય?
પરંતુ મારા લોકોએ તો પોતાના ગૌરવશાળી
દેવના બદલામાં નકામી મૂર્તિઓને સ્વીકારી છે.
12 “આ જોઇને આઘાત પામો.
ઓ સ્વર્ગ આઘાત પામો,
અને સંપૂર્ણ વિનાશ પામો.”
આ યહોવાની વાણી છે.
13 મારા લોકોએ બે પાપ કર્યા છે;
તેમણે મારો ત્યાગ કર્યો છે,
જે જીવનજળનું ઝરણું છે તેના જળનો ત્યાગ કર્યો છે,
અને જેમાં જળ રહી શકતું નથી એવા ભાંગેલા ટાંકા
તેઓએ પોતાને માટે બાંધ્યા છે.
16 આ સુવાર્તા માટે હું ગર્વ અનુભવું છું. આ સુવાર્તા એવા સાર્મથ્યની છે, જેનો ઉપયોગ દેવ એવા લોકોને બચાવવા માટે કરે છે જેઓ વિશ્વાસ રાખે છે. સૌ પ્રથમ યહૂદિઓને પછી બિન-યહૂદિઓને. 17 દેવ લોકોને પોતાની સાથે કેવી રીતે ન્યાયી બનાવે છે તે દર્શાવવાનો આ સુવાર્તાનો હેતુ છે. આની શરૂઆત વિશ્વાસથી થાય છે અને તેનો અંત પણ વિશ્વાસથી જ થાય છે. શાસ્ત્રમાં કહ્યું છે તેમ, “દેવમાં વિશ્વાસ રાખીને જે વ્યક્તિ ન્યાયી થશે તે અનંતકાળ સુધી જીવશે.”(A)
સઘળા પાપી છે
18 સત્ય જાણ્યાં છતાં પણ લોકો અનિષ્ટ જીવન જીવે છે. તેથી આવા લોકો કે જે સત્ય ધર્મનો ત્યાગ કરીને અનિષ્ટ અને ખોટા કર્મો કરતા હોય તેમના પર સ્વર્ગમાંથી દેવનો કોપ ઉતરે છે. 19 દેવ પોતાનો કોપ વ્યક્ત કરે છે, કારણ કે તેના વિષે જે કંઈ જાણી શકાય તે બધુંજ તેઓ જાણે છે. કેમ કે દેવે જ તે તેમની આગળ પ્રગટ કર્યુ છે.
20 દેવની બાબતમાં કેટલીક વસ્તુઓ એવી છે જે જોઈ ન શકાય તેવી છે. જેમ કે દેવનું સનાતન પરાક્રમ અને એવા અન્ય બધા જ ગુણો કે જે તેને દેવ બનાવે છે. પરંતુ આ જગતનો પ્રારંભ થયો ત્યારથી એ બધી બાબતો ઘણી સરળતાથી લોકો સમજી શકે એમ છે. દેવે જે વસ્તુઓનું સર્જન કર્યું છે, એનું દર્શન કરીને દેવ વિષેની આ બાબતો લોકો સરળતાથી સમજી શકે છે. તેથી લોકો જે ખરાબ કાર્યો કરી રહ્યાં છે તેના પાપામાંથી છટકવા કોઈ પણ બહાનું ચાલશે નહિ.
21 આમ, દેવ વિષે સઘળું જાણ્યા પછી પણ તેઓએ દેવને મહિમા આપ્યો નહિ અને તેનો આભાર માન્યો નહિ. લોકોના વિચારોનું અધ:પતન થયું. તેમના મૂર્ખ મનમાં પાપરુંપી અંધકાર છવાઈ ગયો. 22 લોકોએ જ્ઞાની હોવાનો દાવો કર્યો. પરંતુ તેઓ તેમની જાતે મૂર્ખ બન્યા. 23 અવિનાશી દેવના મહિમાને બદલે, પૃથ્વી પરના માનવો જેવી મૂર્તિઓ બનાવીને લોકો તેની ભક્તિ કરવા લાગ્યા. પશુ, પક્ષી અને નાગો જેવી વસ્તુઓ દ્વારા લોકો દેવના મહિમાનો વેપાર કરવા લાગ્યા.
24 માત્ર અનિષ્ટ કાર્યો કરવાની ઈચ્છાને કારણે લોકોનું જીવન આમ પાપમય બની ગયું. તેથી દેવે તેઓને ત્યાગ કર્યો અને તેઓને મન ફાવે તેમ પાપના માર્ગે ચાલવા દીધા. લોકોએ નૈતિક અપવિત્રતાના કાર્યોમાં રોકાઈને પાપ કર્યા અને તેઓના શરીરનું અપમાન કર્યુ. 25 દેવ વિષેના સત્યનો અનાદર કરીને એ લોકોએ અસત્યનો વેપાર ચલાવ્યો. જેણે દરેક વસ્તુઓનું સર્જન કર્યુ તે દેવની સેવા-ભક્તિ કરવાને બદલે એ લોકો દેવ સર્જીત ભૌતિક વસ્તુઓની ભક્તિ તથા ઉપાસના કરવા લાગ્યા ખરેખર તો લોકોએ ઉત્પન્નકર્તાની સર્વકાળ સ્તુતિ કરવી. આમીન.
ઈસુનું અમીરના દીકરાને સાજા કરવું
(માથ. 8:5-13; લૂ. 7:1-10)
43 બે દિવસો પછી ઈસુ તે સ્થળ છોડીને ગાલીલમાં ગયો. 44 (ઈસુએ અગાઉ કહ્યું હતું કે પ્રબોધકનું તેના પોતાના ગામમાં માન નથી હોતું.) 45 જ્યારે ઈસુ ગાલીલમાં આવી પહોંચ્યો. ત્યાંના લોકોએ તેનું સ્વાગત કર્યુ. આ લોકોએ યરૂશાલેમમાં પાસ્ખા પર્વ વખતે ઈસુએ જે બધું કર્યુ તે જોયું હતું. આ લોકો પણ તે પર્વમાં ગયા હતા.
46 ઈસુ ફરીથી ગાલીલમાં કાના ગામની મુલાકાતે ગયો. કાના એ છે જ્યાં ઈસુએ પાણીમાંથી દ્રાક્ષારસ બનાવ્યો હતો. રાજાના અધિકારીઓમાંનો એક મહત્વનો અધિકારી કફરનહૂમ શહેરમાં રહેતો હતો. આ માણસનો દીકરો માંદો હતો. 47 તે માણસે સાંભળ્યું કે ઈસુ યહૂદિયાથી હવે ગાલીલ આવ્યો હતો. તેથી તે માણસ કાનામાં ઈસુ પાસે ગયો. તેણે ઈસુને કફર-નહૂમ આવીને તેના દીકરાને સાજો કરવા વિનંતી કરી. તેનો દીકરો મરવાની અણી પર હતો. 48 ઈસુએ તેને કહ્યું, “તમે લોકો ચમત્કારો અને અદભૂત કાર્યો જોયા વગર વિશ્વાસ કરવાના નથી.”
49 રાજાના અધિકારીએ કહ્યું, “પ્રભુ, મારો નાનો દીકરો મરી જાય, તે પહેલા મારે ઘેર આવ.”
50 ઈસુએ ઉત્તર આપ્યો, “જા તારો દીકરો જીવશે.”
તે માણસે ઈસુએ જે તેને કહ્યું તેમાં વિશ્વાસ કર્યો અને ઘરે ગયો. 51 ઘરે જતાં રસ્તામાં તે માણસના સેવકો આવ્યા અને તેને મળ્યા. તેઓએ તેને કહ્યું, “તારો દીકરો સાજો છે.”
52 તે માણસે પૂછયું, “કયા સમયે મારો દીકરો સાજો થયો?”
તે નોકરોએ ઉત્તર આપ્યો, “જ્યારે તેનો તાવ જતો રહ્યો ત્યારે ગઈકાલે લગભગ બપોરે એક વાગ્યો હતો.”
53 પિતાએ જાણ્યું કે ઈસુએ કહ્યું હતું કે, “તારો દીકરો જીવશે.” તે સમય પણ બપોરને એક વાગ્યાનો હતો. તેથી તે માણસે અને તેના ઘરના બધા લોકોએ ઈસુમાં વિશ્વાસ કર્યો.
54 યહૂદિયાથી ગાલીલ આવ્યા પછી ઈસુએ કરેલો તે બીજો ચમત્કા હતો.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International