Book of Common Prayer
મંદિરની પ્રતિષ્ઠા માટેનાં ગીતોમાંનુ. દાઉદનું ગીત.
1 હે યહોવા, હું તમારી સ્તુતિ કરીશ,
કારણ તમે મને મુશ્કેલીઓમાંથી બહાર કાઢયો છે.
તમે મારા શત્રુઓને વિજયનો આનંદ લેવા દીધો નથી.
2 હે યહોવા, મારા દેવ, મેં તમને અરજ કરી,
અને તમે મને સાજો કર્યો છે.
3 હે યહોવા, તમે મને શેઓલમાંથી પાછો કાઢી જીવતો રાખ્યો છે,
તમે મને કબરમાં પડવા દીધો નથી.
4 હે દેવના વિશ્વાસુ અનુયાયીઓ, તમે સૌ તેમની સ્તુતિ ગાઓ.
અને તેમના પવિત્ર નામની આભાર સ્તુતિ ગાઓ.
5 તેમનો કોપ તો કેવળ ક્ષણિક છે,
પણ તેમની કૃપા “જીવન” ભર માટે છે.
રૂદન ભલે આખી રાત રહે,
પણ સવારમાં હર્ષાનંદ થાય છે.
6 હું જ્યારે નિર્ભય અને સુરક્ષિત હતો, ત્યારે મેં કહ્યું હતું, “હું ડગીશ નહિ.”
હું સમજતો હતો કે આ સ્થિતિ સદાય રહેશે.
7 હે યહોવા, તમે મારા પર કૃપા કરી
મને પર્વતની જેમ સ્થિર બનાવ્યો છે,
પણ પછી મારાથી મુખ આડુ ફેરવીને
તમે મને ભયભીત કર્યો છે.
8 હે યહોવા, મેં તમને પોકાર કર્યો
અને મેં તમને વિનંતી કરી.
9 “હે યહોવા, હું મરી જઇશ તો
તમારું શું સારું થશે?
મારી કબરની ધૂળ
તમારી સ્તુતિ કરી શકશે?
શું તે તમારી વિશ્વસનીયતા વિષે કહી શકશે?
10 હે યહોવા, મારા પર દયા કરો,
મારી અરજીને સંભળો મને સહાય કરો.”
11 પછી તમે મારા દુ:ખનું સુખ કર્યુ, અને રૂદનને બદલે નૃત્યુ આપ્યું;
મારા શોકના વસ્ત્રો ઉતારી લીધા
અને મને ઉત્સાહથી ઢાંકી દીધો.
12 કબરમાં શાંત પડી રહેવાને બદલે, હું આનંદપૂર્વક યહોવાની સ્તુતિ કરીશ;
હે યહોવા, મારા દેવ, હું સદાય તમારી આભારસ્તુતિ કરીશ.
દાઉદનું ગીત. માસ્કીલ.
1 જેના દોષને માફી મળી છે,
તથા જેનું પાપ ઢંકાઇ ગયું છે
તેને ધન્ય છે અને તે જ સુખી છે.
2 જેને યહોવા દોષિત ગણતા નથી,
અને જેના આત્મામાં કંઇ કપટ નથી
તે માણસ આશીર્વાદિત છે.
3 હું ભયંકર પાપી છું તેનો હું સ્વીકાર કરતો ન હતો,
તે દિવસથી મારી વ્યથા વધી ગઇ
અને મારા હાડકાં ર્જીણ થઇ ગયા.
4 આખો દિવસ અને આખી રાત,
તમારો ભારે હાથ મારા પર હતો.
જેમ ઉનાળાની ગરમીમાં જળ સુકાઇ જાય
તેમ મારી શકિત હણાઇ ગઇ હતી.
5 પણ મેં મારા બધાં પાપો તમારી સમક્ષ કબૂલ કરવાનો નિર્ણય લીધો.
મે મારા પાપોને છુપાવવાનું બંધ કર્યુ.
મે પોતાને કહ્યું, “હું મારા પાપો યહોવા સમક્ષ કબૂલ કરીશ.”
અને તમે મારા પાપો બદલ મને ક્ષમા આપી.
6 તેથી જ્યારે દેવનાં અનુયાયીઓને તેમનાં પાપનું ભાન થાય,
ત્યારે તેઓ પ્રાર્થના કરીને તેમનાં પાપની કબૂલાત કરશે.
અને જો પ્રચંડ પૂરની જેમ મુશ્કેલીઓ આવશે તો
પણ તે તેઓ સુધી પહોંચી શકશે નહિ.
7 જીવનનાં સર્વ સંકટોમાં
તમે મારી છુપાવવાની જગા છો,
તમે મને સંકટોમાં ઉગારી લો છો;
મારી આસપાસ તમારા ઉધ્ધારનાં સ્તોત્રો ગવડાવશો.
8 યહોવા કહે છે, “જીવનનાં પ્રત્યેક તબક્કે
તારે ક્યાં માર્ગે ચાલવું તે હું તને બતાવીશ,
હું તારો સતત ખ્યાલ રાખીને હું તને હંમેશા સાચો બોધ આપીશ.
9 ધોડા તથા ખચ્ચર જેને કંઇ સમજ નથી તેને કાબૂમાં રાખવા માટે લગામની જરૂર છે.
તું તેમનાં જેવો અણસમજુ થઇશ નહિ.”
10 દુષ્ટ લોકોને ઘણી તકલીફો સહન કરવી પડે છે;
પણ જેઓ દેવમાં વિશ્વાસ કરે છે, તેઓ તો યહોવાની કૃપાથી ધેરાયેલાં રહેશે.
11 હે સદાચારી લોકો, યહોવાથી આનંદીત થાઓ અને પ્રસન્ન થાઓ.
હે શુદ્ધ હૃદયી માણસો, હર્ષના પોકાર કરો.
ભાગ બીજો
(ગીત 42–72)
નિર્દેશક માટે. કોરાહનાં કુટુંબઓનું માસ્કીલ.
1 હરણ જેમ પાણીના ઝરણાં માટે તલપે છે,
તેમ હે યહોવા, હું તમારા માટે તલપું છું.
2 મારો આત્મા જીવતા દેવ માટે તરસે છે.
હું મારી જાતને એમની સમક્ષ ક્યારે હાજર કરી શકીશ?
3 મારા આંસુ રાત દિવસ મારો ભોજન થયા છે.
શત્રુ મહેણા મારે છે, “તારા દેવ ક્યાં છે?”
4 હે મારા આત્મા, તે સમય કયાંથી વીસરી શકાય?
ઉત્સવના દિવસોમાં હું મોટા લોકસમુદાયમાંથી પસાર થયો,
જેઓ આનંદથી યહોવાના સ્તુતિગીતો ગાતા હતાં
અને હું સૌને એક સાથે દેવના મંદિરમાં દોરી જતો હતો.
એનું સ્મરણ કરતાં, મારું હૃદય ભાંગી જાય છે.
5 હે મારા આત્મા, તું ઉદાસ કેમ થયો છે?
તું આટલો અસ્વસ્થ અને વ્યાકુળ કેમ થયો છે?
દેવની મદદ માટે રાહ જો!
તેમની કૃપા અને મદદ માટે હું હજી
પણ તેમની પ્રાર્થના કરીશ.
6 હે મારા દેવ, મારો આત્મા નિરાશ થયો છે.
તેથી હું તમારી કૃપાનું મિઝાર પર્વત પરથી જયાં હેમોર્ન પર્વત
અને યર્દન નદી મળે છે ત્યાંથી હું સ્મરણ કરું છું.
7 ઘરતીના ઊંડાણનું પાણી ભાંગી ને
ઘોઘમાં પડવાનો અવાજ મને સંભળાય છે.
તમારા બધા મોજાઓ
અને મોટા મોજાઓ મારા પર ફરી વળ્યાઁ છે.
8 અને છતાં યહોવા મારા માટે તેમનો સાચો પ્રેમ પ્રતિદિન દર્શાવે છે.
અને રોજ રાત્રે હું તેમના સ્તુતિગીત ગાઉં છું, એટલે મારા જીવનદાતા દેવની પ્રાર્થના કરું છું.
9 દેવ મારા ખડક છે, હું તેમને કહીશ કે,
“તમે કેમ મને ભુલી ગયા? મને કેમ તજી દીધો છે?
શા માટે શત્રુઓના જુલમ મારે સહન કરવા પડે?”
10 તારો દેવ ક્યાં છે એમ મશ્કરીમાં રોજ પૂછીને
મારા શત્રુઓના મહેણાં મારા હાડકાં ને કચરી નાખે છે.
11 હે મારા આત્મા, શા માટે તું આટલો દુ:ખી છે?
તું શા માટે આટલો અસ્વસ્થ અને વ્યાકુળ બની ગયો છે?
દેવની મદદ માટે રાહ જો!
જે મારા મુખનું તારણ તથા મારો દેવ છે,
તેનું હું હજી સ્તવન કરીશ.
1 હે દેવ, મારો ન્યાય કરો, અને મને નિર્દોષ પુરવાર કરો.
અને જે તમારો સંનિષ્ઠ અનુયાયી નથી તેવાથી મને બચાવો,
તેવા ઠગ અને છેતરપીંડી કરનારા માણસથી મને બચાવો.
2 કારણ, હે દેવ, તમે મારું સાર્મથ્ય છો.
તમે મને શા માટે તજી દીધો?
દુશ્મનોની ક્રૂરતાને લીધે
હું શોક કરતો ફરૂં છું.
3 હે યહોવા, તમારું સત્ય અને પ્રકાશ પ્રગટ કરો;
જેથી હું માર્ગદર્શન મેળવું અને તેઓ મને તમારા પવિત્ર પર્વતમાં તથા તમારા મંડપમાં લાવે.
4 તમે મારા અતિઆનંદ છો,
તમારી વેદી પાસે હું જઇશ,
અને હે દેવ, મારી વીણા સાથે
હું તમારી આભારસ્તુતિ ગાઇશ.
5 હે મારા આત્મા, તું શા માટે આટલો બધો ઉદાસ છે?
તું શા માટે બેચેન છે?
દેવની મદદની રાહ જો, જે મારા મુખનું તારણ
તથા મારા દેવ છે હજી હું તેની કૃપા
અને મદદ માટે પ્રાર્થના કરીશ.
યહોવાનું પોતાના લોકોને મદદનું વચન
17 “કદાચ તમને એવો વિચાર આવે કે, ‘આ પ્રજાઓ તો અમાંરા કરતાં ઘણી તાકતવર છે; અમે તેમને શી રીતે કાઢી શકીએ?’ 18 પરંતુ તમે તેમનાથી ગભરાશો નહિ, તમાંરા યહોવા દેવે ફારુન તથા મિસર દેશના જે હાલ કર્યા હતા તેનું સ્મરણ કરવું. 19 યહોવા તેમના પર જે ભયાનક આફતો લાવ્યા તે યાદ કરો. તમે તમાંરી જાતે તે બનતા જોયું હતું. મિસરમાંથી તમને મુકત કરાવવા માંટે દેવે પોતાના પ્રચંડ બળ અને સાર્મથ્યનો ઉપયોગ કરીને જે પરચો બતાવ્યો હતો અને અદૃભૂત કૃત્યો કર્યા હતા તે યાદ કરો. તમે જે લોકોથી ડરો છો તેઓની સામે યહોવા દેવ એવું જ બળ વાપરશે.
20 “જે લોકો તમાંરાથી સંતાઈ ગયા હશે અને ભાગી ગયા હશે તેઓ વિરુદ્ધ યહોવા તમાંરા દેવ ભમરાં મોકલશે.[a] 21 એ પ્રજાથી તમે જરાય ડરશો નહિ. કારણ કે, તમાંરા દેવ યહોવા તમાંરી વચ્ચે છે; અને તે તો મહાન અને ભયંકર દેવ છે. 22 તે ધીમે ધીમે તમાંરી આગળથી એ પ્રજાઓને હાંકી કાઢશે; એક સામટો તેઓનો ઉચ્છેદ નહિ કરે. કારણ કે, કદાચ જંગલી પશુઓ વધી જાય અને તમને હેરાન કરે. 23 તમાંરા દેવ યહોવા એ લોકોને તમાંરા હવાલે કરશે, જ્યાં સુધી તેઓ નાશ ન પામે ત્યાં સુધી તે તેઓને યુદ્ધમાં ગભરાતા કરશે. 24 યહોવા તેઓના રાજાઓને તમાંરા હાથમાં સુપ્રત કરશે અને તમે લોકો પૃથ્વી પરથી તેમનું નામોનિશાન સમાંપ્ત કરી દેશો. તેમનો નાશ કરતાં સુધી કોઈ તમાંરો સામનો કરી શકશે નહિ.
25 “તમે લોકો તેઓની મૂર્તિઓને બાળી મૂકો. એ મૂર્તિઓ ઉપરના સોનાચાંદીના મોહમાં પડીને તે ધાતુઓને અડકશો નહિ. જો તમે તે ધાતુઓને લેશો તો તે તમાંરા માંટે ફાંદારૂપ બનશે, કારણ, તમાંરા દેવ મૂર્તિપૂજાને ધિક્કારે છે. 26 માંટે તમાંરે ધિક્કારપાત્ર કોઈ પણ મૂર્તિને તમાંરા ઘરમાં લાવવી નહિ, અને તેની પૂજા કરવી નહિ, જો તમે એમ કરશો તો મૂર્તિની જેમ તમાંરો પણ નાશ થશે. માંટે તમે તેને ધિક્કારો, તે શ્રાપિત વસ્તુ છે.
જીવન જીવવાનો સાચો માર્ગ
3 તું લોકોને કહે કે તેઓ હંમેશા આ બાબતો યાદ રાખે: રાજસત્તાને અને અધિકારીઓની સત્તા હેઠળ રહેવું; એ અધિકારીઓની આજ્ઞા પાળવી અને દરેક સારી વસ્તુ કરવા તત્પર રહેવું; 2 કોઈ પણ વ્યક્તિના વિષે ખરાબ ન બોલવું; બીજા લોકો સાથે શાંતિથી રહેવું; બીજા લોકો સાથે વિનમ્ર થવું; અને તેઓની સાથે માયાળુ થવું. બીજા લોકો સાથે દયાળુ બનવું. બધા લોકોની સાથે આવો વ્યવહાર કરવાનું તું વિશ્વાસીઓને કહે.
3 ભૂતકાળમાં તો આપણે પણ મૂર્ખ લોકો હતા. આપણે આજ્ઞાઓનું ઉલ્લંઘન કરતા હતા, આપણે ખોટા હતા, અને આપણાં શરીરની ઈચ્છાને આધીન થઈ આપણે અનેક પ્રકારનો ભોગ વિલાસ ભોગવતા હતા, અને આપણે તે ઈચ્છાઓ અને વિલાસના ગુલામ હતા. આપણે દુષ્ટ કાર્યોવાળું અને ઈર્ષ્યાળુ જીવન જીવતા હતા. લોકો આપણને ધિક્કારતા હતા અને આપણે એકબીજાને ધિક્કારતા હતા. 4 પરંતુ ત્યારબાદ દેવ આપણા તારનારની દયા અને પ્રેમ સૌને પ્રગટ થયાં. 5 તેની સાથે ન્યાયી થવા માટે આપણે કરેલા કૃત્યોને કારણે તેણે આપણને તાર્યા નથી. પરંતુ તેની દયાથી તેણે આપણને પુનર્જન્મના સ્નાનથી તેના પવિત્ર આત્મા દ્વારા આપણું નવીનીકરણ કરીને દેવે આપણને તાર્યા છે. 6 આપણા તારનાર ઈસુ ખ્રિસ્ત દ્વારા દેવે એ પવિત્ર આત્મા આપણા ઉપર પુષ્કળ રેડયો છે. 7 આમ, દેવની કૃપા વડે જ આપણે ન્યાયી થયા. અને દેવે આપણને આત્મા આપ્યો જેથી આપણને અનંતજીવન મળે. આપણે એની જ તો આશા રાખીએ છીએ. 8 આ વાત સાચી છે.
આ બધી બાબતો લોકો સમજે એની તું ખાતરી કર એમ હું ઈચ્છું છું. તો જ દેવમાં વિશ્વાસ કરનારા લોકો સારા કાર્યો કરવા માટે પોતાના જીવનને સમર્પિત કરશે. આ બધી વાતો સારી છે, અને સૌ લોકોને મદદરુંપ થશે.
9 એવા લોકોથી દૂર રહેજે જે મૂર્ખાઈભરી દલીલો કરતા હોય, જે લોકો નકામી વંશાવળીઓની વાતો કર્યા કરતા હોય, જે લોકો મૂસાના નિમયશાસ્ત્રના ઉપદેશ વિષે મુશ્કેલીઓ ઊભી કરીને ઝધડતા હોય. આ બાબતો નકામી છે અને તે લોકોને સહાયરુંપ નહિ થાય. 10 જો કોઈ વ્યક્તિ દલીલબાજી કરવાનું કારણ માગતી હોય, તો તું એને ચેતવણી આપ. જો એ વ્યક્તિ દલીલબાજી કરવાનું કારણ ચાલુ રાખે, તો ફરી એક વાર એને ચેતવજે. તેમ છતાં જો તે દલીલબાજી કરવાનું કારણ ચાલુ જ રાખે, તો તે માણસ સાથે કોઈ સંબંધ રાખતો નહિ. 11 તું જાણે છે કે એવી વ્યક્તિ દુષ્ટ અને પાપી હોય છે. તેનાં પાપ જ સાબિત કરે છે કે તે ખોટો છે.
યાદ રાખવા જેવી કેટલીક બાબતો
12 હું આર્તિમાસ અને તુખિકસને તારી પાસે મોકલીશ. જ્યારે તેઓને હું ત્યાં મોકલું ત્યારે, તું નિકોપુલિસમાં મારી પાસે આવવાનો પ્રયત્ન કરજે. આ શિયાળા દરમ્યાન ત્યાં રહેવાનું મેં નક્કી કર્યુ છે. 13 ત્યાંથી ઝેનાસ શાસ્ત્રી અને અપોલોસ પ્રવાસ કરવાના છે. તારાથી થઈ શકે એટલી બધીજ મદદ તું એમના પ્રવાસ માટે કરજે. જરુંર હોય એવી દરેક વસ્તુ એમને મળી રહે એની તું ખાતરી કરજે. 14 આપણા લોકોએ સારા કામો કરવા માટે તેમના જીવનનો ઉપયોગ કરવાનું શીખવું જ પડશે. જે લોકોને જરુંર હોય એવાનું તેઓએ ભલું કરવું જોઈએ. તે પછી તે લોકોના જીવન નકામા નહિ રહે.
15 અહીં મારી સાથેના બધા લોકો તને ક્ષેમકુશળ કહે છે. વિશ્વાસમાંના જેઓ આપણા પર પ્રેમ રાખે છે તેમને તું ક્ષેમકુશળ કહેજે.
તમ સર્વ પર કૃપા થાઓ.
43 બીજે દિવસે ઈસુએ ગાલીલ જવાનું નક્કી કર્યુ. ઈસુ ફિલિપને મળ્યો અને તેને કહ્યું, “મને અનુસર.” 44 ફિલિપ બેથસૈદાનો એટલે આંન્દ્રિયા તથા પિતરના શહેરનો હતો. 45 ફિલિપ નથાનિયેલને મળ્યો અને કહ્યું, “યાદ કરો કે નિયમશાસ્ત્રમાં મૂસાએ શું કહ્યું છે. મૂસાએ જે માણસ આવવાનો હતો તેના વિષે લખ્યું. પ્રબોધકોએ પણ તેના વિષે લખ્યું અમે તેને મળ્યા છીએ. તેનું નામ ઈસુ છે, તે યૂસફનો દીકરો છે. તે નાસરેથમાંનો છે.”
46 પણ નથાનિયેલે ફિલિપને કહ્યું, “શું નાસરેથમાંથી કંઈક સારું નીકળી શકે?”
ફિલિપે ઉત્તર આપ્યો, “આવો અને જુઓ.”
47 ઈસુએ નથાનિયેલને તેના તરફ આવતા જોયો. ઈસુએ કહ્યું, “આ માણસ જે મારી પાસે આવે છે તે ખરેખર દેવના લોકોમાંનો એક છે તેનામાં કંઈ દુષ્ટતા નથી.”
48 નથાનિયેલે પૂછયું, “તું મને કેવી રીતે ઓળખે છે?”
ઈસુએ ઉત્તર આપ્યો, “જ્યારે તું અંજીરના વૃક્ષ નીચે હતો, ત્યારે મેં તને જોયો. ફિલિપે તને મારા વિષે કહ્યું તે પહેલાં તું ત્યાં હતો.”
49 પછી નથાનિયેલે ઈસુને કહ્યું, “રાબ્બી, તું દેવનો દીકરો છે. તું ઈસ્રાએલનો રાજા છે.”
50 ઈસુએ નથાનિયેલને કહ્યું, “મેં તને કહ્યું કે મેં તને અંજીરના વૃક્ષ નીચે જોયો. તેથી તે મારામાં વિશ્વાસ મૂક્યો. પણ તું તેના કરતાં પણ વધારે મહાન વાતો જોશે.” 51 ઈસુએ વધારામાં કહ્યું, “હું તને સત્ય કહું છું. તમે બધા આકાશને ઊઘડેલું જોશો, તમે દેવના દૂતોને માણસના દીકરા ઊપર ચઢતા ઉતરતા જોશો.”
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International