Book of Common Prayer
એક ગરીબ માણસની પ્રાર્થના. જ્યારે તે દુ:ખી હોય છે ત્યારે તે દેવને ફરિયાદ કરે છે.
1 હે યહોવા, મારી પ્રાર્થના સાંભળો;
મારા પોકારને કાન પર આવવા દો.
2 મારા સંકટને દુ:ખના સમયમાં તમે મારાથી મુખ અવળું ના ફેરવો;
કાન ધરીને તમે મને સાંભળો અને તમે મને જલ્દી ઉત્તર આપો.
3 કારણ, મારા દહાડા; ધુમાડાની જેમ વીતી જાય છે,
અને મારા હાડકાં ખોયણાની જેમ બળે છે.
4 મારું હૃદય તો ઘાસના જેવું કપાયેલું અને ચીમળાયેલું છે;
તે એટલે સુધી કે રોટલી ખાવાનું પણ હું ભુલી જાઉં છું.
5 મારા ઘેરા વિષાદ ને નિસાસાને કારણે ફકત ચામડીથી
ઢંકાયેલા હાડપિંજર જેવો હું થઇ ગયો છું.
6 હું દૂરના રણનાં ઘુવડ જેવો થઇ ગયો છું;
વિધ્વંસની વચ્ચે જીવતા એક ઘુવડ જેવો.
7 હું જાગતો પડ્યો રહું છું,
છાપરે બેઠેલી એકલવાયી ચકલીના જેવો થઇ ગયો છું.
8 મારા શત્રુ આખો દિવસ મને મહેણાઁ મારે છે;
અને બીજાને શાપ દેવા મારા નામનો ઉપયોગ કરે છે.
9 રોટલીને બદલે હું રાખ ખાઉં છું;
મારા આંસુ વહીને મારા પ્યાલામાં પડે છે.
10 તે તમારા રોષ તથા કોપને કારણે છે;
કેમકે તમે મને ઊંચો કરી નીચે ફેંકી દીધો છે.
11 મારા દિવસો નમતી છાયા જેવા છે;
ઘાસની જેમ હું કરમાઇ ગયો છું.
12 પરંતુ હે યહોવા, તમે સદાકાળ શાસન કરશો!
પેઢી દર પેઢી સુધી તમે યાદ રહેશો.
13 મને ખબર છે; તમે ચોક્કસ આવશો અને તમે સિયોન પર તમારી કૃપા વરસાવશો.
તમારા વચન પ્રમાણે, મદદ કરવાનો અને તેના પર કૃપા વરસાવવાનો આજ સમય છે.
14 કારણકે તમારા સેવકો તેની દીવાલનાં પ્રત્યેક પથ્થરને ચાહે છે,
અને તેની શેરીઓની ધૂળ પ્રત્યે તેઓ મમતા ધરાવે છે.
15 પ્રજાઓ બીશે અને યહોવાના નામનો આદર કરશે,
અને તેમના રાજાઓ તમારા ગૌરવનો આદર કરશે!
16 કારણ, યહોવા સિયોનને ફરીથી બાંધ્યું છે;
અને તે તમારી સમક્ષ પોતાનાં સંપૂર્ણ મહિમા સહિત પ્રગટ થયો છે!
17 તે લાચાર અને દુ:ખીની પ્રાર્થનાઓ સાંભળશે;
અને તેમની પ્રાર્થનાની અવગણના કરી નથી.
18 આવનાર પેઢી માટે આ સર્વ બાબતોની નોંધ કરો;
જેથી તેઓ યહોવાની સ્તુતિ કરે.
અને જે લોકો હજી જન્મ્યા નથી તેઓ યહોવાની સ્તુતિ કરશે.
19 તેઓને કહો કે; દેવે સ્વર્ગમાંથી
નીચે પૃથ્વી પર દ્રૃષ્ટિ કરી છે.
20 તે બંદીવાનોની પ્રાર્થના સાંભળશે,
જેઓ મૃત્યુ માટે દોષી ઠરાવાયા હતા તેઓને મુકત કરશે.
21 પછી સિયોનનાં લોકો યહોવાનું નામ જાહેર કરે છે
અને તેઓ યરૂશાલેમમાં તેમની સ્તુતિ કરશે.
22 તે વખતે યહોવાની સેવા કરવા માટે લોકો
તથા પૃથ્વીનાં રાજ્યો એકઠાં થશે.
23 મારા જીવનનાં મધ્યાહને તેમણે
મારી શકિત ઘટાડી ને મારા દિવસો ટૂંકા કર્યા.
24 મેં તેમને પોકાર કર્યો, “હે મારા દેવ, તમે સદા સર્વકાળ જીવંત છો!
મને મારા જીવનના મધ્યાહને મરવા ન દેશો.
25 તમે યુગો પહેલાં પૃથ્વીનો પાયો નાખ્યો હતો
અને તમારા હાથો વડે આકાશો રચ્યાં હતાં.
26 એ સર્વ પણ નાશ પામશે, તમે સર્વકાળ છો;
તેઓ જૂના થશે, ફાટી ગયેલાં કપડા જેવાં થશે;
અને માણસ જૂનું વસ્ર ફેંકી નવું ધારણ કરે,
તેમ તમે પણ તેઓને બદલી નાંખશો.
27 પરંતુ તમે હે દેવ, તમે કદી બદલાતાં નથી;
અને તમારા વર્ષોનો કદી અંત આવશે નહિ.
28 તમારા સેવકોનાં બાળકો અહીં વસશે,
અને તેમનાં વંશજો
તમારી સમક્ષ પ્રસ્થાપિત થશે.”
ભાગ પાંયમો
(ગીત 107–150)
1 યહોવાનો આભાર માનો, કારણ તે ઉત્તમ છે;
અને તેમની કૃપા સર્વકાળપર્યંત ટકે છે.
2 જે યહોવાના છોડાવાયેલા છે તેઓએ આ પ્રમાણે કહેવું જોઇએ,
કે દેવે તેઓને તેમના શત્રુઓથી બચાવ્યા.
3 પૃથ્વીના દૂર દૂરનાં ખૂણે ખૂણેથી
અને પૂર્વ, પશ્ચિમ, ઉત્તર દક્ષિણ દિશામાંથી તેમણે પોતાના લોકોને સાથે ભેગા કર્યા.
4 કેટલાંક ઉજ્જડ માર્ગે રણમાં ભટકતાં હતાં
અને તેઓને વસવા નગર ન મળ્યું.
5 તેઓ ભૂખ્યા અને તરસ્યા હતાં,
અને નબળા પડી રહ્યાં હતાં.
6 પોતાના સંકટમાં તેઓએ યહોવાને પોકાર કર્યો,
અને યહોવાએ તેઓને દુ:ખમાંથી છોડાવ્યાં.
7 યહોવા તેઓને, જ્યાં તેઓ વસવાટ કરી શકે તેવા નગરમાં સીધે રસ્તે દોરી ગયાં.
8 દેવની કૃપા માટે તથા માનવ જાત માટે તેમણે કરેલાં અદભૂત કાર્યો
માટે માણસો યહોવાની સ્તુતિ કરે તો કેવું સારું!
9 કારણ કે તે તરસ્યા આત્માને સંતોષે છે,
અને ભૂખ્યા આત્માને ઉત્તમ વાનાઁથી તૃપ્ત કરે છે.
10 કારણ કે તેઓએ દેવના વચનોની સામે બંડ પોકાર્યુ હતું
તેમણે પરાત્પર દેવના બોધનો તિરસ્કાર કર્યો હતો.
11 કેટલાંક લોકોને અંધારી જેલમાં સળિયા પાછળ
તાળું મારીને કેદ કરવામાં આવ્યાં હતા.
12 તેઓ તેમની મુશ્કેલીઓથી
નરમ થઇ ગયાં છે.
તેઓ લથડીને નીચે પડ્યાં,
છતાં તેમને મદદ કરનાર કોઇ ન હતું.
13 તેઓએ પોતાના સંકટમાં યહોવાને પોકાર કર્યો;
એટલે તેણે તેઓને દુ:ખમાંથી તાર્યા.
14 તે તેઓને અંધકાર અને મરણછાયામાંથી કાઢી લાવ્યાં;
અને બંધન તોડી નાખ્યાઁ.
15 ભલે આભાર માને તેઓ યહોવાનો તેમની કૃપા માટે
અને વિસ્મયજનક કાર્યો જે તેઓ માનવજાત માટે કરે છે.
16 તેણે બંદીખાનાના પિત્તળના દરવાજા તોડી નાખ્યા
અને તેઓની લોખંડની ભૂંગળો પણ તોડી નાખી.
17 મૂર્ખ લોકો પોતાના પાપથી
તથા પોતાની ભૂંડાઇથી સંકટમાં આવી પડે છે.
18 સર્વ પ્રકારના ખોરાકથી, તેઓના જીવ કંટાળી જાય છે;
અને મૃત્યુ તરફ પહોંચી જાય છે.
19 પોતાના સંકટોમા તેઓ યહોવાને પોકારે છે;
અને યહોવા તેઓને દુ:ખમાંથી તારે છે.
20 તેઓ પોતાનું વચન મોકલીને તેમને સાજા કરે છે,
અને તેણે તેઓને દુર્દશામાંથી ઉગાર્યા છે.
21 ભલે આભાર માને તેઓ યહોવાનો તેમની કૃપા માટે
અને વિસ્મયજનક કાર્યો જે તેઓ માનવજાત માટે કરે છે.
22 તેમને દેવને આભારસ્તુતિનાં અર્પણો આપવા દો.
યહોવાના કાર્યોને ગીતો દ્વારા પ્રગટ થવા દો.
23 જે નાવિકો સમુદ્રમાં એક બાજુએથી બીજી બાજુ સુધી નૌકા વિહાર કરે છે
અને સમુદ્ર પર કૌશલ્યનું કામ કરે છે,
24 તેઓ પણ દેવની કાર્યશકિત નિહાળે છે;
અને અદ્ભૂત કૃત્યો ઊંડાણોમાં જુએ છે.
25 તે આજ્ઞા આપે છે તો તોફાની પવનો ચડી આવે છે;
તેથી મોજાઓ ઊંચા ઊછળે છે.
26 મોજા સાથે તેઓના વહાણો ઊંચા ઊંચકાય છે;
અને પાછા ઊંડાણમાં પટકાય છે;
લાચાર સ્થિતિમાં ખલાસીઓની હિંમત ઓગળી જાય છે.
27 તેઓ પીધેલાની જેમ આમતેમ ડોલતા લથડે છે;
અને તેમ તેઓની બુદ્ધિ બહેર મારી જાય છે.
28 તેઓ સંકટમાં હોય ત્યારે “યહોવાને” પોકારે છે;
તે તેઓને દુ:ખમાંથી કાઢે છે.
29 તેણે તોફાનને અટકાવ્યા
તથા મોજાઓને શાંત કર્યા છે.
30 પછી તેઓ મહાસાગરની સ્થિરતાનો આનંદ માણે છે
અને દેવ તેઓને તેમની પસંદગીના બંદરે દોરી જાય છે.
31 તેમની આ કૃપા તથા માનવજાતને માટેના, તેનાં અદભૂત કાર્યો માટે;
તેઓને યહોવાનો આભાર માનવા દો.
32 લોકોની સભામાં યહોવાને મોટા મનાવો;
અને વડીલોના મંડળમાં તેઓની સ્તુતિ કરો.
એક નવો સમય આવી રહ્યો છે
17 યહોવા કહે છે, “જુઓ, હું નવું આકાશ અને નવી પૃથ્વી સર્જુ છું.
પહેલાની સૃષ્ટિને કોઇ સંભારશે નહિ,
તેનું કોઇને સ્મરણ પણ નહિ થાય.
18 પરંતુ હું જે સર્જું છું, તેથી તમે ખુશ થઇને સદા આનંદોત્સવ કરો, કારણ,
હું એક યરૂશાલેમનું સર્જન કરીશ,
જે મારા માટે આનંદ લાવશે
અને જેના લોકો મારાથી ખુશખુશાલ હશે.
19 “હું યરૂશાલેમમાં આનંદ પામીશ
અને ત્યાં રહેતા લોકોથી ખુશ રહીશ.
ત્યાં ફરીથી રૂદન
તથા આક્રંદનો અવાજ સંભળાશે નહિ.
20 ત્યાં નવાં જન્મેલા બાળકો થોડા
દિવસ જીવીને મૃત્યુ પામશે નહિ;
પૂરું આયુષ્ય ભોગવ્યા વિના કોઇ વૃદ્ધ મૃત્યુ પામશે નહિ;
અને સો વરસ પૂરાં ન જીવવું એ શાપરૂપ મનાશે.
21 “લોકો જે ઘર બાંધશે તેમાં રહેવા પામશે,
જે દ્રાક્ષની વાડીઓ રોપશે તેના ફળ ખાવા પામશે.
22 કોઇ ઘર બાંધે ને કોઇ વસે,
કોઇ વાડી રોપે ને કોઇ
ખાય એવું નહિ બને.
વૃક્ષની જેમ મારા લોકો લાંબું જીવશે.
મારા અપનાવેલા લોકો
પોતાના પરિશ્રમના ફળ ભોગવવા પામશે.
23 તેઓની મહેનત વ્યર્થ નહિ જાય,
અને તેમણે ઉછેરેલા બાળકો
આફતનો ભોગ નહિ બને,
કારણ, હું યહોવા, તેમને અને તેમના સંતાનોને આશીર્વાદ આપીશ.
24 તેઓ મને પોકારે તે પહેલાં જ હું જવાબ આપીશ,
તેઓ બોલે ના બોલે ત્યાં તો મેં સાંભળી લીધું હશે.
25 વરૂ તથા ઘેટાનું બચ્ચું સાથે ચરશે,
સિંહ બળદની જેમ કડબ ખાશે,
અને ઝેરી સર્પો કદી ડંખ મારશે નહિ!
મારા આખા પવિત્ર પર્વતમાં તેઓ ઉપદ્રવ કરશે નહિ ને વિનાશ કરશે નહિ.”
એમ યહોવા કહે છે.
વડીલોને સાથે રહેવા માટે કેટલાક નિયમો
17 મંડળીનો સારી રીતે અધિકાર ચલાવનાર વડીલોને માન પાત્ર ગણવા જોઈએ. ખાસ કરીને આ સાચું છે કે વડીલોને માન મળવું જોઈએ. જેઓ ઉપદેશ કરવામાં તથા શિક્ષણ આપવામાં શ્રમ લે છે. 18 એવું શા માટે? કારણ કે શાસ્ત્ર કહે છે કે, “જ્યારે કામમાં જોતરેલો બળદ અનાજ છુટું પાડવાનું કામ કરતો હોય ત્યારે, એનું મોઢું બાંધીને તેને અનાજ ખાતો રોકવો નહી.”(A) અને વળી શાસ્ત્ર એ પણ કહે છે કે, “મજૂરને તેની મજૂરી આપવી જોઈએ.”(B)
19 મંડળીના વડીલ પર આક્ષેપ મૂકનાર વ્યક્તિની વાત સાંભળતો નહિ. એ વડીલે કંઈક ખોટું કર્યુ છે એવું કહેનાર બીજા બે-ત્રણ માણસો નીકળે તો જ પેલા માણસની વાત સાંભળવી. 20 પાપ કરનારાઓને કહેજે કે તેઓ ખોટા છે. આખી મંડળીની સમક્ષ આ કર. જેથી બીજા લોકોને પણ ચેતવણી મળી જશે.
21 દેવ તથા ઈસુ ખ્રિસ્ત અને ખાસ પસંદગી પામેલા દૂતોની સમક્ષ હું તને આ બધું કરવાની આજ્ઞા આપું છું. પરંતુ સત્ય હકીકતો જાણ્યા વિના તું લોકોનો ન્યાય તોળવા બેસી ના જતો. અને દરેક વ્યક્તિ સાથે એક સરખો વ્યવહાર રાખજે.
22 કોઈ પણ વ્યક્તિને મંડળીના વડીલ તરીકે નિયુક્ત કરવા તું તેના પર હાથ મૂકે તે પહેલા કાળજીપૂર્વક વિચાર કરજે. બીજા લોકોના પાપમાં ભાગીદાર થતો નહિ. તું તારી જાતને શુદ્ધ રાખજે.
23 તિમોથી, આજ સુધી તે ફક્ત પાણીજ પીધા કર્યુ છે. હવે પાણી પીવાનું બંધ કરીને થોડો દ્રાક્ષારસ પીજે. તેનાથી તારું પેટ સારું થશે, અને તું વારંવાર બિમાર નહિ થાય.
24 કેટલાએક લોકોનાં પાપ સહેલાઈથી જણાઈ આવે છે. તેઓનાં પાપ જણાવે છે કે તેઓને ન્યાય તોળોશે. પરંતુ બીજા કેટલાએક લોકોનાં પાપ પાછળથી ખબર પડે છે. 25 સારાં કામો કે જે લોકો કરે છે તે બાબતમાં પણ આવું જ છે. લોકોનાં સારા કામો સહેલાઈથી દેખાઈ આવે છે. પરંતુ જ્યારે એ સારા કામો સહેલાઈથી ન દેખાય, તો પણ તે છુપાવી શકતા નથી.
કંઈ આજ્ઞા સૌથી મહત્વની?
(માથ. 22:34-40; લૂ. 10:25-28)
28 શાસ્ત્રીઓમાંનો એક ઈસુ પાસે આવ્યો. તેણે ઈસુને સદૂકીઓ અને ફરોશીઓ સાથે દલીલો કરતા સાંભળ્યો. તેણે જોયું કે ઈસુએ તેમના પ્રશ્નોના સારા ઉત્તર આપ્યા. તેથી તેણે ઈસુને પૂછયું, “કંઈ આજ્ઞઓ સૌથી મહત્વની છે?”
29 ઈસુએ ઉત્તર આપ્યો, “સૌથી વધારે મહત્વની આજ્ઞાઆ છે: ‘ઈસ્ત્રાએલના લોકો, ધ્યાનથી સાંભળો! પ્રભુ આપણો દેવ છે તે ફક્ત પ્રભુ છે. 30 તારે પ્રભુ તારા દેવને પ્રેમ કરવો જોઈએ. તારે તેને તારા પૂરા હ્રદયથી, ને તારા પૂરા જીવથી, ને તારા પૂરા મનથી, ને તારા પૂરા સામર્થ્યથી પ્રેમ કરવો જોઈએ.’ 31 બીજી સૌથી મહત્વની આજ્ઞા આ છે: ‘તું તારી જાતને પ્રેમ કરે છે તે જ રીતે તારે તારા પડોશી પર પ્રેમ કરવો જોઈએ.’ આ બે આજ્ઞાઓ સૌથી અગત્યની છે.”
32 તે માણસે ઉત્તર આપ્યો. “તે એક સારો ઉત્તર હતો. ઉપદેશક, જ્યારે તેં આ બાબતો કહી તું સાચો હતો. દેવ જ ફક્ત પ્રભુ છે, અને બીજો કોઈ દેવ નથી. 33 અને વ્યક્તિએ દેવને પૂરા હૃદયથી, પૂરા મનથી, પૂરા સામર્થ્યથી પ્રીતિ કરવી જોઈએ. અને વ્યક્તિ તેની જાતને પ્રેમ કરે છે તે જ રીતે પડોશીને પ્રેમ કરવો જોઈએ. આ આજ્ઞાઓ, દેવને અર્પિત બઘા જ પ્રાણીઆ અને બલિદાનોથી વધારે મહત્વની છે.”
34 ઈસુએ જોયું કે માણસે તેને ડહાપણથી ઉત્તર આપ્યો. તેથી ઈસુએ માણસને કહ્યું, “તું દેવના રાજ્યની નજીક છે.” અને તે પછી કોઈએ ઈસુને વધારે પ્રશ્નો પૂછવાની હિમ્મત ન કરી.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International