Book of Common Prayer
આસાફનું માસ્કીલ.
1 મારા લોકો, મારો નિયમ સાંભળો;
મારા મુખના શબ્દોને તમે ધ્યાનથી સાંભળો.
2 હું ષ્ટાંતો દ્વારા તમારી સાથે વાત કરીશ,
અને હું ભૂતકાળનાં રહસ્યોની વાત સમજાવીશ.
3 જે વાત આપણે સાંભળી છે તથા જાણી છે;
જે આપણા પૂર્વજોએ આપણને કહી છે.
4 યહોવાના મહિમાવંત સ્તુતિપાત્ર કૃત્યો,
તેમનું પરાક્રમ અને આશ્ચર્યકર્મો
આપણા સંતાનોથી આપણે સંતાડીશું નહિ;
આપણે આપણી ભાવિ પેઢીને જણાવીશું.
5 કારણકે તેમણે યાકૂબ સાથે તેમનો કરાર કર્યો
અને તેણે ઇસ્રાએલને નિયમ આપ્યો,
તેમણે આપણા પૂર્વજોને આદેશ આપ્યો
કે તેમણે તેમના બાળકોને આ બાબતમાં કહેવું.
6 જેથી આવતી પેઢીનાં જે બાળકો જન્મે તેઓ તે જાણે,
અને તેઓ મોટાઁ થઇને પોતાનાં સંતાનોને તે જણાવે.
7 જેથી તેઓ સહુ દેવનો આશા રાખે,
અને દેવનાં અદભૂત કાર્યોને વિસરી જાય નહિ,
અને તેમની આજ્ઞાઓને પાળે.
8 વળી તેઓ પોતાના
પિતૃઓ જેવા હઠીલા, બંડખોર,
અવિશ્વાસુ અને દેવને પોતાનું અંત:કરણ
સોંપવાનો નકાર કરનાર ન થાય.
9 એફ્રાઇમના લોકો શસ્રસજ્જ હતાં
છતાં તેઓએ યુદ્ધ દિને પીછેહઠ કરી.
10 કારણ, તેમણે દેવનો કરાર પાળ્યો નહિ;
અને તેમના નિયમ પ્રમાણે વર્તવાની ના પાડી.
11 તેમણે કરેલા અદૃભૂત ચમત્કારો તેઓએ નિહાળ્યા હતાઁ,
છતાં તેમનાં કૃત્યો વિસરી ગયા.
12 તેઓના પિતૃઓએ મિસર દેશમાં, સોઆનનાં મેદાનમાં;
દેવે કરેલા ચમત્કારો જોયા હતાં.
13 તેમણે તેઓની સમક્ષ સમુદ્રનાં બે ભાગ કર્યા હતાં,
તેઓને તેમાં થઇને સામે પાર મોકલ્યા હતાં.
તેઓની બંને બાજુએ પાણી દિવાલની જેમ સ્થિર થઇ ગયું હતું,
14 વળી તે તેઓને દિવસે મેઘથી અને આખી રાત,
અગ્નિનાં પ્રકાશથી દોરતો.
15 તેમણે રણમાં ખડકને તોડીને,
ઊંડાણમાંથી વહેતું હોય તેમ પુષ્કળ પાણી તેઓને આપ્યું.
16 પછી તેમણે ખડકમાંથી પાણી કાઢયું,
અને વહેતી નદીની જેમ પ્રવાહ વહેવડાવ્યો.
17 તેમ છતાં તેઓએ દેવ વિરુદ્ધ પાપ કરવાનું ચાલું જ રાખ્યું,
અને અરણ્યમાં પરાત્પર દેવ વિરુદ્ધ બંડ કરતાં રહ્યા.
18 તેઓએ હઠીલાઇ કરીને દેવની કસોટી કરી,
દેવ તેઓને આપતાહતા તે કરતાં જુદા જ ખોરાકની માગણી કરી.
19 તેઓ દેવની વિરુદ્ધ બોલ્યા અને કહ્યું,
“શું રણમાં તે ભોજન મોકલી શકે?
20 તેમણે ખડકને લાકડી મારી ને,
પાણીના ઝરણાં વહેવડાવ્યાં તે સાચું છે;
શું તે આપણને રોટલી આપી શકે છે?
અને તેમનાં લોકોને માંસ આપી શકે?”
21 તેઓએ જે કહ્યું તે સાંભળ્યા પછી, યહોવા કોપાયમાન થયા,
તેઓ ઇસ્રાએલ પર ભારે કોપાયમાન થયા
અને યાકૂબ પર બહુ જ ગુસ્સે થયા.
22 કારણ, તેઓએ દેવમાં તેમનો વિશ્વાસ મૂક્યો નહિ,
અને તેમના તારણ પર વિશ્વાસ કર્યો નહિ.
23 છતાં તેમણે વાદળાંને આજ્ઞા આપી,
અને આકાશનાં દ્વાર ખોલી નાખ્યાં.
24 તેઓના ખોરાક માટે માન્નાની વૃષ્ટિ કરી;
અને તેમણે સ્વર્ગમાંથી ભોજન આપ્યું.
25 તેઓએ દેવદૂતોનો ખોરાક ખાધો!
અને તેઓ તૃપ્ત થયા ત્યાં સુધી યહોવાએ ભોજન આપ્યું.
26 દેવે તેમનાં મહાન સાર્મથ્યથી દક્ષિણ
અને પૂર્વનો પવન ફૂંકાવ્યો.
27 તેમણે ધૂળની જેમ માંસ અને સમુદ્રની
રેતીની જેમ પક્ષીઓ તેમનાં પર વરસાવ્યાઁ.
28 તેમણે તેઓની છાવણી મધ્યે
અને તેઓનાં તંબુઓની ચોપાસ પક્ષીઓ પાડ્યાં.
29 લોકો ધરાઇ રહ્યાં ત્યાં સુધી ખાધું,
યહોવાએ તેઓને, માગણી પ્રમાણે આપ્યું.
30 પણ તેઓ તેમની ભૂખનું નિયંત્રણ કરી શક્યાં નહિ,
અને માંસ હજી પણ તેમના મોંઢાં માઁ હતું.
31 પછી તેમની સામે યહોવાનો કોપ પ્રગટયો,
અને તેમણે ઇસ્રાએલમાં જેઓ સૌથી વધુ શકિતશાળી હતા તેમને મારી નાખ્યાં,
તેમણે શ્રેષ્ઠ યુવાનોને મારી નાખ્યાં.
32 આમ છતાં લોકો પાપ કરતાં રહ્યાં,
અને તેમના ચમત્કારો પર ભરોસો કર્યો નહિ.
33 દેવે તેઓના વ્યર્થ જીવનનો
અંત આપત્તિઓ સાથે કર્યો.
34 જ્યારે જ્યારે તેમણે તેમાંના કેટલાંકને મારી નાખ્યા,
ત્યારે બીજાઓ તેમના તરફ વળ્યા, અને તેમની મદદ માંગી.
35 ત્યારે તેઓએ યાદ કર્યુ કે, દેવ તેઓના ખડક છે,
અને પરાત્પર દેવ તેઓના તારક છે.
36 પરંતુ તેઓએ પોતાના મુખે તેની પ્રસંશા કરી,
અને પોતાની જીભે તેની સમક્ષ જૂઠું બોલ્યા.
37 તેઓનાં હૃદય યહોવા પ્રત્યે વિશ્વાસુ નહોતા;
તેઓ કરારને વફાદાર નહોતા.
38 તેમ છતા તેમણેં દયા દર્શાવી,
તેઓનાં પાપોની ક્ષમા આપી, નાશ ન કર્યો;
તેમણે ઘણીવાર ક્રોધ સમાવી દીધો;
અને પોતાનો પૂરો કોપ પ્રગટ કર્યો નહિ.
39 યહોવાએ સંભાર્યુ કે તેઓ કેવળ ક્ષુદ્ર છે;
અને એક ક્ષણમાં પસાર થતાં વાયુ જેવા છે.
40 તેઓએ વર્ષો દરમ્યાન કેટલીવાર રણમાં યહોવા વિરુદ્ધ બંડ કર્યું;
અને રાનમાં દુ:ખી તેમને કર્યા.
41 વારંવાર તેઓએ દેવની કસોટી કરી
અને તેઓએ ઇસ્રાએલના પવિત્ર યહોવાને દુ:ખી કર્યા.
42 તેઓ દેવનાં મહાન સાર્મથ્યને ભૂલી ગયા,
તથા તેમણે શત્રુઓથી તેઓને બચાવ્યાં હતાં, તે ભૂલી ગયાં.
43 યહોવાએ મિસરમાં ચમત્કારિક ચિન્હો
અને સોઆનના મેદાનમાં આશ્ચર્યકર્મો કર્યા હતાં તે પણ ભૂલી ગયા.
44 તેણે તેઓની નદીઓને તથા તેઓના વહેળાઓને
લોહી વહેતાં બનાવી દીધાં જેથી તેઓ પી ન શકે.
45 તેમણે મધમાખીઓનું મોટું ઝૂંડ મોકલ્યું, અને જે તેઓને કરડ્યા,
અને દેડકાઓએ બધી વસ્તુઓનો નાશ કર્યો.
46 તેઓની ફસલ તેમણે કાતરાઓને આપી હતી,
ને તેઓનો બધો જ પાક તીડો ખાઇ ગયા હતા.
47 તેમણે તેઓની દ્રાક્ષવાડીઓ,
કરાથી તથા હિમથી તેઓના ગુલ્લરઝાડોનો નાશ કર્યો હતો.
48 તેઓના ઢોરઢાંખર પર આકાશમાંથી મોટાં કરાનો માર પડ્યો,
અને ઘેટાનાં ટોળાઁ પર વીજળીઓ પડી.
49 દેવે પોતાનો કોપ તેઓ પર પ્રગટ કર્યો, તેમનો રોષ, ગુસ્સો અને તિરસ્કાર;
તેઓની વિરુદ્ધ નાશ કરનારા દૂતોની માફક મોકલ્યા.
50 તેમણે પોતાના કોપ માટે રસ્તો ખૂલ્લો કર્યો;
અને મિસરવાસીઓના જીવન બચાવ્યાં નહિ,
પણ તેઓને વિપત્તિ તથા માંદગીને સોંપી દીધા.
51 પછી તેણે સર્વ પ્રથમ, મિસરમાં સર્વ પ્રથમ જનિતને મારી નાખ્યાઁ;
હામના પ્રથમ જનિત નર બાળકોને તંબુઓમાં માર્યા.
52 પરંતુ તે પોતાના લોકોને ઘેટાઁનાં ટોળાઁની જેમ બહાર લાવ્યાં;
અને રણમાં થઇને તેઓને સુરક્ષિત ચલાવ્યા.
53 તેઓને તેમણે એવા સુરક્ષિત ચલાવ્યા
કે તેઓ બીધા નહિ,
પરંતુ સમુદ્રના પાણી શત્રુઓ પર ફરી વળ્યાં.
54 તેણે તેઓને તેની પવિત્ર ભૂમિમાં,
ડુંગરોવાળા દેશ તરફ જે તેઓએ તેમની શકિતથી લીધો હતો તેમા ચાલતાં કર્યા.
55 અને તેમણે અન્ય રાષ્ટ્રોને તે જમીનમાંથી આગળ કાઢી મૂક્યા.
ઇસ્રાએલનાં પ્રત્યેક કુટુંબસમુહને કાયમ વસવાટ કરવા માટે જમીનનો હિસ્સો આપ્યો.
56 છતાં ત્યારે પણ, તેઓએ પરાત્પર દેવની કસોટી કરવાનું
અને તેમની વિરુદ્ધ બંડ કરવાનું ચાલુ રાખ્યું અને તેમની આજ્ઞાઓનું અનુસરણ કરવાનો ઇન્કાર કર્યો.
57 તેઓ દેવ પાસેથી દૂર થયા.
તેઓ તેમનાં પૂર્વજોની જેમ દેવને અવિનયી થયાં.
ફેંકનાર[a] તરફ પાછા ફરતાં,
વાંકા શસ્રની જેમ તેઓ પૂર્વજોની જેમ દિશા બદલતા હતા.
58 તેઓએ ઉચ્ચાસ્થાનો બનાવીને
અને જૂઠાં દેવોની મૂર્તિથી દેવને ગુસ્સે કર્યા.
59 જ્યારે તેઓનાં કૃત્યો દેવે જોયાં દેવનો ક્રોધ પ્રબળ થયો,
અને પોતાના લોકોનો ત્યાગ કર્યો.
60 પછી માણસો મધ્યે તે નિવાસ કરતા;
એ શીલોહના મંડપનો તેમણે ત્યાગ કર્યો.
61 દેવે બીજા લોકોને પોતાના લોકોને પકડવાં દીધા.
દુશ્મનોએ દેવનું “ગૌરવ રત્ન” લઇ લીધું.
62 તેમણે પોતાના લોકોનો સંહાર થવા દીધો, કારણકે,
તેમનો ક્રોધ અતિ વધારે હતો.
63 તેઓના યુવાનો અગ્નિથી નાશ પામ્યાં;
અને તેઓની કન્યાઓ તેઓનાં લગ્નગીતો ગવાય તે પહેલાં જ મૃત્યુ પામી.
64 યાજકોનો વધ થયો અને તેઓની વિધવાઓ
તેઓ માટે રૂદન કરે તે પહેલાં તેઓ પણ મૃત્યુ પામી.
65 ત્યારે ઊંઘમાંથી કોઇ જાગે, તેમ,
તથા દ્રાક્ષારસમાંથી શૂરવીર પુરૂષને શૂરાતન આવે તેમ યહોવા ઊઠયા.
66 તે તેમના શત્રુઓ તરફ ઢળ્યા, તેમણે તેઓને પાછા વાળ્યા
અને તેઓને કાયમ માટે હિણપદ કર્યા.
67 દેવે યૂસફના પરિવારનો અસ્વીકાર કર્યો,
અને એફાઇમના પરિવારનો પણ સ્વીકાર કર્યો નહિ.
68 પણ યહૂદા કુળને તથા જેના ઉપર તે પ્રેમ કરતા હતા
તે સિયોન પર્વતને તેમણે પસંદ કર્યા.
69 ત્યાં તેમણે પર્વત જેવું ઉન્નત અને સદા માટે સ્થાપન કરેલી
પૃથ્વી જેવું અચળ પોતાનું પવિત્રસ્થાન બાંધ્યું.
70 તેમણે ઘેટાંની સંભાળ રાખનાર દાઉદને
પોતાના સેવક તરીકે પસંદ કર્યો.
71 જ્યાં એ ઘેટા ચારતો હતો ત્યાંથી દેવ તેને લઇ આવ્યા અને પોતાના લોકો,
યાકૂબનાં સંતાન અને ઇસ્રાએલનાં લોકોના પાલક તરીકે અને દેવની સંપત્તિના પાલક તરીકે નિયુકત કર્યો.
72 દાઉદે તેમને શુદ્ધ હૃદયથી
અને કૌશલ્ય સભર શાણપણથી દોર્યા.
પાપ સંબંધી ચેતવણી ને યહોવાની સહાય
59 જુઓ, યહોવાનો હાથ કઇં એવો નિર્બળ નથી કે તે તમારો બચાવ ન કરી શકે અથવા તેનો કાન એવો બહેરો નથી કે સાંભળી ન શકે. 2 પણ તમારા પાપોએ તમારી અને દેવની વચ્ચે આડ ઊભી કરી છે; તમારાં પાપને કારણે તે તેમને દર્શન આપતો નથી કે નથી સાંભળતો. 3 તમારા હાથ લોહીથી, ને અપરાધોથી ખરડાયેલા છે; ને તમારી જીભ જૂઠું બોલે છે અને દગાફટકાથી વાત કરે છે. 4 અદાલતમાં સાચી ફરિયાદ કરવાં કોઇ જતું નથી. સૌ પોકળ દલીલો પર આશા બાંધે છે, ને સૌ કોઇ જૂઠાણું ચલાવે છે. દુષ્ટ મનસૂબા ઘડે છે અને અધર્મ આચરે છે. 5 તેઓ સાપનાં ઇંડા સેવે છે અને કરોળિયાનાં જાળાં ગૂંથે છે; જે એ ઇંડા ખાય છે તે મોતને ભેટે છે, ને જે ઈંડુ ફૂટે છે તેમાંથી સાપ નીકળે છે.
6 તેમનાં જાળાં કઇં વસ્ત્ર તરીકે કામ આવવાનાં નથી, કોઇ તેને પહેરી શકવાનું નથી.
તેમનાં કર્મો કુકર્મો છે અને તેમના હાથ હિંસા આચરે છે. 7 દુષ્ટ કૃત્યો કરવા તેમના પગ દોડી જાય છે, ને નિર્દોષનું લોહી રેડવા તેઓ ઉતાવળા થાય છે, તેઓ હંમેશા કાવાદાવાના જ વિચાર કરતા હોય છે, અને પોતાની પાછળ વિનાશ અને પાયમાલી મુકતા જાય છે, 8 તેઓ શાંતિનો માર્ગ જાણતા નથી. તેમના માર્ગમાં કોઇ ન્યાય નથી. તેમના માર્ગો છેતરામણા છે અને એ માર્ગે જનારા કોઇને શાંતિ મળતી નથી.
ઇસાએલના પાપોથી મુશ્કેલીઓનું આવવું
9 તેથી આપણને ન્યાય મળતો નથી,
આપણી મુકિત હજી દૂર છે.
અમે અજવાળાની આશા રાખીએ છીએ,
પણ જુઓ અંધકારમાં; તેજ ઝંખીએ છીએ
અને અંધકારમાં અટવાઇએ છીએ.
10 આપણે અંધજનની જેમ ભીંતે
હાથ દઇને ફાંફા મારીએ છીએ,
આપણે ભરબપોરે જાણે અંધારી
રાત્રિ હોય એમ ઠોકર ખાઇએ છીએ;
જાણે આપણે ભટકતાં મૃત લોકો ના હોઇએ!
11 આપણે બધા રીંછની જેમ ઘૂરકીએ છીએ,
ને હોલાની જેમ કણીએ છીએ.
આપણે ન્યાયને ઝંખીએ છીએ,
પણ ન્યાય મળતો નથી,
તારણની આશા રાખીએ છીએ,
પણ તે અમારાથી દૂર રહે છે.
12 હે યહોવા, અમે તારા અનેક અપરાધો કર્યા છે
અને અમારાં પાપ અમારી વિરુદ્ધ સાક્ષી પૂરે છે.
અમને અમારા પાપોનું ભાન છે,
અમારા પાપ અમે જાણીએ છીએ.
13 તારી સામે અમે બળવો કર્યો છે
અને તારો નકાર કર્યો છે,
અમે તમને,
અમારા દેવને અનુસરવાનું છોડી દીધું છે,
અમે ઘોર ત્રાસ
અને બળવાની વાતો કરીએ છીએ,
અમે જૂઠાણાંઓ વિચારીએ છીએ
અને તેને જ ઉચ્ચારીએ છીએ.
14 અમે ન્યાયને પાછો કાઢીએ છીએ
અને ધર્મને આઘો રાખીએ છીએ.
ન્યાયીપણું નગરનાં ચોકમાં ઠોકર ખાય છે,
અને પ્રામાણિકતાને પ્રવેશવા દેવામાં આવતી નથી.
15 હા, સત્યનો સદંતર અભાવ છે,
અને જે સત્યને વળગી રહેવા પ્રયત્ન કરે છે તેના ઉપર આક્રમણ થાય છે.
યહોવાએ સર્વ દુષ્ટતા નિહાળી છે
અને પાપની વિરુદ્ધ કોઇ પગલું લેવામાં આવ્યું નથી તેથી તે નારાજ થાય છે.
1 ઈસુ ખ્રિસ્તના પ્રેરિત પાઉલ તરફથી કુશળતા હો. દેવની ઇચ્છાથી હું પ્રેરિત બન્યો છું. ખ્રિસ્ત ઈસુમાં જીવન વિષે જે વચન છે તે વિષે લોકોને જણાવવા દેવે મને મોકલ્યો છે.
2 હવે તિમોથીને સંબોધન કરું છું. તું તો મારા પ્રિય પુત્ર સમાન છે.
દેવ-પિતા તથા આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફથી તને કૃપા, દયા અને શાંતિ પ્રાપ્ત થાઓ.
આભારસ્તુતિ અને પ્રોત્સાહન
3 રાત-દિવસ હંમેશા મારી પ્રાર્થનાઓમાં હું તને યાદ કરું છું. એ પ્રાર્થનાઓમાં તારા માટે હું દેવની આભારસ્તુતિ કરું છું. મારા પૂર્વજો જેની સેવા કરતા હતા તે એ જ દેવ છે. હું જે જાણું છું તે સાચું છે એમ સમજી, મેં હંમેશા એ દેવની સેવા કરી છે. 4 તારાં આંસુઓ સંભારતાં તને મળવાનું મને ઘણું મન થાય છે જેથી મારું હૈયું આનંદથી છલકાઇ જાય. 5 તારો સાચો વિશ્વાસ પણ મને યાદ આવે છે. તારી દાદી લોઈસ અને તારી માતા યુનિકા સૌ પ્રથમ એવો જ વિશ્વાસ ધરાવતાં હતાં. હું જાણું છું કે એ જ વિશ્વાસ હવે તું ધરાવે છે. 6 માટે હું તને યાદ દેવડાવા ઈચ્છું છું કે, જ્યારે મેં મારા હાથો તારા માથા પર મૂક્યા, દેવે તને તે કૃપાદાન આપ્યું. જેમ એક નાની સરખી જ્યોત ધીરે ધીરે મોટા અગ્નિમાં પરિવર્તન પામે છે, તેમ દેવે તને આપેલ તે ખાસ કૃપાદાન વધુ ને વધુ ખીલે અને તું એનો ઉપયોગ કરે એમ હું ઈચ્છું છું. 7 કેમ કે દેવે આપણને ભયનો આત્મા નહિ, પણ સાર્મથ્યનો તથા પ્રેમનો તથા સાવધ બુધ્ધિનો આત્મા આપ્યો છે.
8 તેથી આપણા પ્રભુ ઈસુ વિષે લોકોને કહેતાં તું શરમ કે સંકોચ ન રાખીશ. અને મારા માટે પણ તારે શરમિંદા બનવાની જરૂર નથી કેમ કે હું પ્રભુને ખાતર જ કેદમાં છું. પરંતુ એ સુવાર્તાને લીધે તું પણ મારી સાથે દુ:ખ સહન કર એ સહન કરવા દેવ આપણને સાર્મથ્ય આપે જ છે.
9 દેવે આપણને તાર્યા છે અને આપણને તેના સંતો બનાવ્યા છે. આપણા પોતાના પ્રયત્નને કારણે એ થયું નથી. ના! તેની કૃપાને કારણે દેવે આપણને બચાવ્યા અને આપણને તેના સંતો બનાવ્યા કારણ કે એવી દેવની ઈચ્છા હતી. સમયનો પ્રારંભ થયો તે પહેલા ખ્રિસ્ત ઈસુ ધ્વારા દેવે એ કૃપા આપણને આપેલી હતી. 10 અત્યાર સુધી એ કૃપા આપણને પ્રગટ થઈ ન હતી. જ્યારે આપણો તારનાર ખ્રિસ્ત ઈસુ આવ્યો ત્યારે આપણને તેની કૃપા પ્રગટ થઈ. ઈસુએ મરણને નાબૂદ કર્યુ અને આપણને જીવન મેળવવાનો માર્ગ બતાવ્યો. હા! સુવાર્તા દ્ધારા ઈસુએ આપણને અવિનાશી જીવન પ્રાપ્ત કરવાનો માર્ગ દેખાડ્યો.
11 તે સુવાર્તાના પ્રચાર માટે, સુવાર્તાના પ્રેરિત તથા ઉપદેશક થવા માટે મારી પસંદગી કરવામાં આવી હતી. 12 અને અત્યારે હું દુ:ખ સહન કરી રહ્યો છું કેમ કે હું સુવાર્તા બધે કહેતો ફરું છું. પણ તેથી કઈ હું શરમાતો નથી. જેને મેં સ્વીકાર્યો છે તે એક (ઈસુ) ને જાણું છું. તે દિવસ આવે ત્યાં સુધી મને સોંપેલી વસ્તુઓનું રક્ષણ કરવા તે સમર્થ છે, એની મને ખાતરી છે.
13 મારી પાસેથી તેં જે સત્ય વચનો સાંભળ્યાં છે તેને તું અનુસર. ખ્રિસ્ત ઈસુમાં આપણને જે વિશ્વાસ અને પ્રેમ છે તેના ધ્વારા એ ઉપદેશને તું અનુસર. એ ઉપદેશ નમૂનારૂપ છે, કે જે દર્શાવે છે કે તારે કેવો ઉપદેશ આપવો જોઈએ. 14 તને જે સત્ય મળેલ છે તેનું તું રક્ષણ કર. પવિત્ર આત્માની સહાય વડે એ વસ્તુઓને તું સંભાળી રાખ. એ પવિત્ર આત્મા આપણા અંત:કરણમાં જ વસે છે.
પ્રલોભનો વિષે ચેતવણી
(માથ. 18:6-9; લૂ. 17:1-2)
42 “જો આ નાના બાળકોમાંનો એક મારામાં વિશ્વાસ કરે અને બીજી એક વ્યક્તિ તે બાળકને પાપ કરવા કારણરૂપ બને, તો તે વ્યક્તિ માટે તે ઘણું ખરાબ હશે. તે વ્યક્તિ તેના ગળે ઘંટીનું પડ બાંધીને દરિયામાં જાતે ડૂબી જાય તે વધારે સારું છે. 43 જો તારો હાથ તને પાપ કરાવે તો તે કાપી નાખ. તારા માટે તારા શરીરનો ભાગ ગુમાવવો એ વધારે સારું છે, પરંતુ જીવન તો સદા માટે રહેશે. બે હાથો સાથે નરકમાં જવું તેના કરતાં તે વધારે સારું છે. તે જગ્યામાં કદાપિ અગ્નિ હોલવાતો નથી. [44 નરકમાં લોકોને જે જંતુઓ ખાય તે કદાપિ મરતા નથી. નરકમાં અગ્નિ કદાપિ હોલવાતો નથી.][a] 45 જો તારો પગ તને પાપ કરાવે, તો તેને કાપી નાખ. તારા માટે તારા શરીરનો ભાગ ગુમાવવો તે વધારે સારું છે. પણ જીવન તો સદાય રહે. બે પગો સાથે નરકમાં ફેંકવામાં આવે તેના કરતાં તે વધારે સારું છે. [46 નરકમાં લોકોને જે જંતુઓ ખાય તે કદાપિ મરતા નથી. નરકમાં અગ્નિ કદાપિ હોલવાતો નથી.][b] 47 જો તારી આંખ તને પાપ કરાવે તો તેને બહાર કાઢી નાખ, તારી પાસે ફક્ત એક આંખ હોવી વધારે સારું છે. પણ જીવન તો સદાય રહે. બે આંખો સાથે નરકમાં ફેકવામાં આવે તેના કરતાં તે એક આંખ સાથે દેવના રાજ્યમાં પ્રવેશ કરવો તે વધારે સારું છે. 48 નરકમાં લોકોને જે જંતુઓ ખાય તે કદાપિ મરતા નથી. નરકમાં અગ્નિ કદાપિ હોલવાતો નથી.
49 “પ્રત્યેક વ્યક્તિ અગ્નિ વડે શિક્ષા પામશે.”
50 “મીઠું એ સારું છે. પરંતુ મીઠું તેનો ખારો સ્વાદ ગુમાવે પછી તમે તેને ફરીથી ખારું બનાવી શકતા નથી. તેથી ભલાઇથી પૂર્ણ બનો અને એકબીજા સાથે શાંતિ રાખો.”
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International