Book of Common Prayer
ભાગ પહેલો
(ગીત 1–41)
1 દુષ્ટ લોકોની સલાહ જેઓ સ્વીકારતાં નથી,
પાપીઓનાં માર્ગમાં જેઓ ઉભા રહેતા નથી,
દેવની હાંસી ઉડાવનારા સાથે બેસતા નથી,
તેઓ સાચેજ સુખી છે, તેઓને ધન્ય છે.
2 યહોવાના નિયમશાસ્ત્રથી તેઓ આનંદ માણે છે,
રાત દિવસ યહોવાનાં વચનોનું જે મનન કરે છે;
અને યહોવામય જીવન જીવવાં વિચાર્યા કરે છે,
3 તેઓ નદી કિનારે રોપાયેલાં વૃક્ષો જેવા છે,
એ વૃક્ષો ઋતુ પ્રમાણે ઉત્તમ ફળો આપે છે;
તેઓનાં પાંદડા કદી કરમાતાં નથી.
તેઓ જે કાઇ કામ કરે છે,
તેમાં સફળ થાય છે.
4 પણ દુષ્ટો એવા નથી હોતા, તેઓની વાત જુદી છે.
તેઓ ખરેખર પવનમાં ઉડતાં ફોતરાં જેવા છે.
5 તેથી દુષ્ટો ન્યાયાસન આગળ ટકશે નહિ;
ન્યાયીઓની સભામાં પાપીઓ ઊભા રહી શકશે નહિ.
6 યહોવા ન્યાયીઓની સંભાળ રાખે છે;
પરંતુ તે દુષ્ટ લોકોનો વિનાશ કરે છે.
1 બીજા રાષ્ટના લોકો શા માટે ધાંધલ કરે છે?
શા માટે તેઓ આવી નિરર્થક યોજનાઓ ઘડે છે?
2 કારણ, આ રાષ્ટના રાજાઓ અને નેતાઓ,
યહોવા અને તેણે પસંદ કરેલા રાજાઓની વિરુદ્ધ જોડાયા છે.
3 તેઓ કહે છે, “આવો આપણે દેવના બંધન તોડી પાડીએ,
ગુલામીમાંથી મુકત થઇ જઇએ.”
4 આકાશમાં બેઠેલા યહોવા તેમના પર હસે છે.
મારો માલિક તેમની મજાક કરે છે.
5 અતિ ક્રોધમાં બોલી તેઓને ઠપકો આપશે,
દેવના પ્રકોપથી તેઓ અતિ ત્રાસ પામશે.
6 યહોવા કહે છે, “મારા પવિત્ર સિયોન પર્વત પર
મેં મારા રાજાને અભિષિકત કર્યો છે.”
7 મને સાંભળો, ઓ લોકો, હું તમને યહોવાના ઠરાવ વિષે કહીશ.
યહોવાએ મને કહ્યુ, “તું મારો પુત્ર છે,
આજે હું તારો પિતા થયો છુ.”
8 તું મારી પાસે માગ,
એટલે હું તને સર્વ જાતની પ્રજાઓ આપીશ.
9 તેમના પર લોઢાનાં દંડથી રાજ કર કે જે તેઓને વિખેરી નાખે
જેવી રીતે લોઢાનો સળિયો માટીના ઘડાને તોડી નાખે તેમજ તું કરજે.
10 પૃથ્વીના રાજાઓ, તમે સૌ સમજણ રાખો, હજુ સમય છે,
સત્તાધીશો તમે હવે આ બોધ લો.
11 યહોવાની સેવા આદર અને પ્રેમથી કરો, અને ભયથી થર થર કાંપો.
12 તેના પુત્રને ચુંબન કરો,
જેથી તે રોષે ન ચઢે અને તારો નાશ ન થાય.
કારણ કે યહોવા કોઇપણ સમયે તેનો કોપ દેખાડવા તૈયાર છે.
જેઓ યહોવા પર ભરોસો રાખે છે તેઓ આશીર્વાદીત છે.
પોતાના પુત્ર આબ્શાલોમથી નાસી જતી વખતનું દાઉદનું ગીત.
1 હે યહોવા, મારા વેરીઓ ઘણા વધી ગયા છે;
ઘણા લોકો મારું ખોટું ઇચ્છનારા છે.
2 “મને દેવ કદી તારશે નહિ,” એમ પણ મારા વિષે અનેક લોકો કહે છે.
3 પણ, હે યહોવા, તમે મારી ઢાલ છો;
તમે મારું ગૌરવ છો;
શરમથી ઝૂકી ગયેલા મારા માથાને ફકત તમે જ ઉપર ઊઠાવી શકશો.
4 હું મારી વાણીથી યહોવાને વિનંતી કરું છું,
ત્યારે તે પોતાના પવિત્ર પર્વત પરથી, તેમના મંદિરમાંથી મને ઉત્તર આપે છે.
5 પછી હું શાંતિથી સૂઇ જાઉં છું,
સવારે જાગીશ પણ ખરો! કારણ યહોવા મારું રક્ષણ કરે છે.
6 જે હજારો શત્રુઓએ મને ઘેરી લીધો છે
તેઓથી હું જરાય ડરીશ નહિ.
7 હે યહોવા, ઉઠો;
મારું તારણ કરો મારા દેવ;
એમ હું તમને હાંક મારીશ;
કારણકે તમે મારા સર્વ શત્રુઓના જડબાં પર પ્રહાર કર્યો છે અને તે દુષ્ટોના તમે દાંત તોડી નાખ્યાં છે.
8 યહોવાની પાસે તારણ છે,
લોકો પર તમારો આશીર્વાદ ઉતારો.
નિર્દેશક માટે, તારવાળાં વાજીંત્રો સાથે ગાવા માટે. દાઉદનું ગીત.
1 મારા ઉમદા દેવ, હું જ્યારે પ્રાર્થના કરું ત્યારે,
મને ઉત્તર આપજો,
મારી પ્રાર્થના સાંભળીને તમારી કૃપા વરસાવજો,
મને મારી મુશ્કેલીઓમાં રાહત આપજો.
2 હે મનુષ્યો, કયાં સુધી મારા માટે ખરાબ બોલશો?
ક્યાં સુધી મને કહેવા માટે નવા જૂઠાણાં શોધશો? તમે તો તે જૂઠાણાં કહેવાનું ચાહો છો.
3 તમારે જાણવું જોઇએ કે યહોવા તેમના વિશ્વાસુ અનુગામીને સાંભળે છે.
તેથી હું હાંક મારીશ ત્યારે યહોવા જરૂર મને સાંભળશે.
4 તમે ગુસ્સે થયા હશો પણ પાપતો કરશોજ નહિ, જ્યારે તમે પથારીમાં સૂવા જાવ
ત્યારે તમારાં હૃદયમાં ઉંડે સુધી વિચાર કરો અને શાંત થઇ જાવ.
5 યહોવાને ઉમદા અને યોગ્ય અર્પણો ચઢાવો,
અને યહોવા પર ભરોસો રાખો.
6 એવું પુછનાર તો ધણા છે, “અમને દેવની સુંદરતા કોણ બતાવશે?
હે યહોવા, તમારા ચમકતા ચહેરાનો પ્રકાશ અમને બતાવો!”
7 હે યહોવા, ઋતુંનો પાક જોઈ લોકો પ્રસન્નતા પામે છે.
પરંતુ તે કરતાં અધિક પ્રસન્નતા તમે મારા હૃદયમાં મૂકી છે.
8 હું સૂઇ જઇશ ને શાંતિથી ઉંઘી પણ જઇશ, કારણ;
હે યહોવા, તમે જ એક મને સુરક્ષાથી સુવા દો છો.
દાઉદનું બિન્યામીનીતે કૂશના પુત્ર શાઉલના સંદર્ભમાં ગાયેલું યહોવાનું ગીત.
1 હે યહોવા મારા દેવ, હું તમારો વિશ્વાસ કરું છું.
મારી પાછળ પડેલા શત્રુઓથી તમે મારી રક્ષા કરો ને મને બચાવો.
2 રખેને સિંહની જેમ તે મને ચીરીને ફાડી નાખે,
મને છોડાવનાર કોઇ ના હોય, એવું થવા દેશો નહિ.
3 હે મારા યહોવા દેવ, જો મેં એમ કર્યુ હોય;
તો મારા હાથમાં કઇ ભૂડાઇ હોય,
4 અને જો મેં શાંતિમાં મારી સાથે રહેનારનું નુકશાન કર્યું હોય,
અને વિના કારણે કોઇ શત્રુ પર હુમલો કર્યો હોય
અને તેમની પાસેથી વસ્તુઓ લૂંટી હોય.
5 તો ભલે મારા શત્રુઓ મને પકડીને મારો નાશ કરે,
અને તેઓ મારું પતન કરે; અને મને ધૂળમાં રગદોળી નાખે!
અને મારા આત્માને મૃત્યુની જગાએ ધકેલી દેવાય.
6 હે યહોવા, કોપ કરીને ઉઠો,
મારા શત્રુઓના ક્રોધની સામે ઊભા થાઓ,
હે યહોવા, મારા માટે જાગૃત થાઓ અને ન્યાયની માગણી કરો.
7 હે યહોવા, સર્વ પ્રજાઓને તમારી સમક્ષ એકત્ર કરો.
તમારા રાજ્યાસન પર ઉચ્ચસ્થાને પુન: બિરાજો.
8 હે યહોવા, તમે સર્વ લોકોનો ન્યાય કરો છો,
મને જાહેરમાં ન્યાયી ઠરાવો,
અને તેઓ સમક્ષ મને તમે નિર્દોષ ને પ્રામાણિક સાબિત કરો.
9 હે યહોવા, દુષ્ટ લોકોના દુષ્ટ કાર્યોનો અંત લાવો.
ન્યાયી અને નિષ્પક્ષ લોકોને ટેકો અને સાર્મથ્ય આપો,
કારણ કે તમે ન્યાયી દેવ છો,
અને બધાના હૃદય અને આત્મા જોઇ શકો છો.
10 દેવ મારી ઢાલ છે, જે સત્ય
અને ન્યાયી હૃદયવાળાને તારે છે.
11 દેવ ન્યાયી ન્યાયાધીશ છે, તે સત્યતાથી ન્યાય કરે છે;
તે સર્વ દુષ્ટો પર હંમેશા કોપાયમાન થાય છે.
12 જો માણસ પાપનું પ્રાયશ્ચિત નહિ કરે,
તો તે તેની તરવાર તીક્ષ્ણ કરશે.
તેણે પોતાના ધનુષ્યને
તાણીને સિદ્ધ કર્યુ છે.
13 યહોવાએ તેને માટે ભયંકર હથિયાર સજ્જ કર્યા છે.
અને પોતાના તીરોને અગ્નિથી સળગતાં કર્યા છે.
14 એક દુષ્ટ માણસ દુષ્ટ કૃત્યો કરવાની યોજના બનાવે છે.
તે દુષ્ટ કૃત્યોનો ગર્ભ ધારણ કરે છે
અને જૂઠને જન્મ આપે છે.
15 તેણે ખાડા અને ખાઇ ખોધ્યા છે.
અને તે પોતેજ તેમાં જઇને પડશે.
16 પોતાના દુષ્કૃત્યોથી તે પોતેજ મુશ્કેલીમાં મુકાશે;
તે પોતાની ઉગ્રતાથી
પોતેજ ત્રાસ સહન કરશે.
17 હું યહોવાનો આભાર માનું છું, અને તેમની પ્રશંસા કરું છુ.
કારણ, તે ન્યાયી છે.
હું પરાત્પર યહોવાના નામને સન્માનવા સ્તોત્ર ગાઇશ.
દેવે દુનિયા બનાવી તે તેનો શાસનકર્તા છે
12 સમુદ્રના જળને ખોબામાં લઇને કોણે માપ્યાં છે
અને આકાશને કોણે પોતાના વેંતથી માપ્યું છે?
સમગ્ર પૃથ્વીનું તથા પર્વતો
અને ટેકરીઓનું વજન ત્રાજવાના પલ્લામાં કોણે તોળ્યુ છે?
13 યહોવાના આત્માનો તાગ કોણે મેળવ્યો છે?
કોણે તેમને સલાહ આપી છે?
14 કોણ તેમને શીખવી શકે કે સલાહ આપી શકે?
શું તેમને કોઇ વ્યકિત સલાહ આપે તે ઉચિત છે?
શું યોગ્ય છે અને શ્રેષ્ઠ શું છે
તે જાણવા કોઇના સૂચનની શું તેમને જરૂર છે?
15 અરે, એમને મન પ્રજાઓ તો ડોલમાંથી ટપકતાં પાણીના ટીપા સમાન છે,
ત્રાજવાને ચોંટેલી રજ બરાબર છે.
ટાપુઓ ધૂળના કણ જેવા હલકા છે.
16 આખો લબાનોન પર્વત એના યજ્ઞ માટે
પૂરતાં લાકડાં કે હોમવા માટે
પુરતાં પશુઓ પૂરાં પાડી શકે એમ નથી.
17 તેમની આગળ બધી પ્રજાઓ કશી વિસાતમાં નથી,
તેમને મન એ બધી નહિવત, શૂન્યવત છે.
દેવ શું છે લોકો કલ્પના પણ નથી કરી શકતા
18 તો તમે દેવની તુલના શાની સાથે કરશો?
તમે તેમનું વર્ણન કઇ રીતે કરી શકશો?
19 શું મૂર્તિની સાથે?
મૂર્તિને તો કારીગર ઢાળે છે,
સોની સોનાના પતરાથી મઢે છે
અને રૂપાના હાર ચઢાવે છે.
20 નિર્ધન માણસ તેના અર્પણ તરીકે
લાકડું પસંદ કરે છે તે સડતું નથી,
પછી તે કુશળ કારીગર પાસે એવી મૂર્તિ બનાવડાવે છે
જે પોતાની જગાએથી પડે નહિ કે હાલી પણ શકે નહીં.
21 શું તમે અજ્ઞાત છો?
તમે સાંભળ્યું નથી?
તમને અગાઉથી કહ્યું નહોતું?
પૃથ્વીનો પાયો કોણે નાખ્યો એ તમને ખબર નથી?
22 તે તો સૃષ્ટિના નભોમંડળ પર બિરાજમાન એવા દેવ છે.
એની નજરમાં તો પૃથ્વી પરના લોકો ક્ષુદ્ર કીડી જેવા છે!
તેમણે આકાશને ચંદરવાની જેમ ફેલાવ્યું છે,
અને પોતાનું નિવાસસ્થાન બનાવ્યું છે.
23 તે જગતનો ન્યાય કરે છે, તે પૃથ્વીના અધિપતિઓને વિસાત વિનાના કરી દે છે
અને જગતના રાજકર્તાઓને શૂન્યમાં મેળવી દે છે.
1 ઈસુ ખ્રિસ્તનો પ્રેરિત પાઉલ તરફથી કુશળતા હો. દેવની ઈચ્છાથી હું પ્રેરિત થયો છું. એફેસસમાં રહેલા, ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસ ઘરાવતા, સર્વ દેવના સંતો પ્રતિ.
2 આપણા દેવ બાપ અને પ્રભુ ખ્રિસ્ત તરફથી તમને કૃપા અને શાંતિ થાઓ.
ખ્રિસ્તમાં આત્મિક આશીર્વાદ
3 આપણા પ્રભુ ઈસૂ ખ્રિસ્તનો દેવ તથા બાપ સ્તુત્ય હો. તેણે સ્વર્ગીય સ્થાનોમાં દરેક આત્મિક આશીર્વાદથી આપણને ખ્રિસ્તમાં આશીર્વાદિત કર્યા છે. 4 વિશ્વનું સર્જન થયું તે પહેલા ખ્રિસ્તમાં દેવે અમને પસંદ કર્યા છે. દેવે અમને તેની પાસે પવિત્ર અને નિર્દોષ થઈએ તે માટે પસંદ કર્યા. 5 અને ઈસુ ખ્રિસ્તમાં પ્રસ્થાપિત દેવે, વિશ્વનું સર્જન થયું તે પહેલા પણ આપણને તેના સંતાન બનાવવા નકકી કર્યુ. દેવ આમ કરવા ઈચ્છતો હતો. અને તેમ કરવાથી તે પ્રસન્ન હતો. 6 તેની અદભુત કૃપાને કારણે દેવનો મહિમા થયો. દેવે તેની આ કૃપા આપણને મુક્ત રીતે અને ઊદારતાથી આપી. આપણને આ કૃપા તેણે ખ્રિસ્તમાં આપી, એ ખ્રિસ્ત કે જેને તે ચાહે છે.
7 ખ્રિસ્તમય આપણો તેના રકતથી ઉદ્ધાર થયો. દેવની સમૃદ્ધ કૃપાથી આપણને પાપોની માફી મળી છે. 8 દેવે તે કૃપા આપણને ઊદારતાથી અને મુક્તપને આપી. તેની રહસ્યપૂર્ણ યોજનાની માહિતી દેવે આપણને પૂરી સમજ અને જ્ઞાનથી આપી. 9 આપણે તેના ગૂઢ રહસ્યોને જાણીએ. આ બધી જ દેવની ઈચ્છા હતી. અને ખ્રિસ્ત થકી આમ કરવાનું તેનું આયોજન હતું. 10 દેવની યોજના યોગ્ય સમયે તેના આયોજનને પરિપૂર્ણ કરવાની હતી. દેવનું આયોજન હતું કે ઈસુ ખ્રિસ્તમાં સ્વર્ગમાંની અને પૃથ્વીની દરેક વસ્તુનું એકીકરણ થાય.
11 ખ્રિસ્તમાં આપણે દેવના લોકો તરીકે પસંદ કરાયા. દેવે આપણને તેના વારસો બનાવવાનું આયોજન ક્યારનું ય કર્યુ હતું. કારણ કે દેવ એ જ ઈચ્છતો હતો. અને દેવ એક છે જે ઈચ્છે છે અને માંગે છે તેને અનુરૂપ બધી વસ્તુઓને કરી શકે છે. 12 જેઓને ખ્રિસ્તમાં આશા હતી તેવા આપણે સૌથી પહેલા લોકો હતા. અને આપણે દેવના મહિમાની સ્તુતિ કરીએ તે માટે આપણે પસંદ કરાયા હતા. 13 તમારી સાથે પણ આવું જ છે. તમે સત્યનું વચન તમારા તારણની સુવાર્તા સાભળી. જ્યારે તમે આ સુવાર્તા સાંભળી ત્યારે તમે ખ્રિસ્તમાં વિશ્વાસ કર્યો. અને ખ્રિસ્ત થકી દેવે પવિત્ર આત્મા રૂપે પોતાનું ચિહન તમારામાં પ્રસ્થાપિત કર્યુ. આમ કરવાનું દેવે વચન આપ્યું હતું. 14 દેવે તેના લોકોને જે વચન આપ્યું છે તે પરિપૂર્ણ થશે, તેની ખાતરી તે આ પવિત્ર આત્મા છે. જે લોકો દેવના છે તેઓને આના થકી સંપૂર્ણ મુક્તિ પ્રાપ્ત થશે. આ સર્વનો ધ્યેય દેવના મહિમાને માટે સ્તુતિ કરવાનો છે.
ઈસુનુ આગમન
(માથ. 3:1-12; લૂ. 3:1-9, 15-17; યોહ. 1:19-28)
1 દેવના દીકરા, ઈસુ ખ્રિસ્ત વિષેની સુવાર્તાનો આરંભ. 2 યશાયા પ્રબોધકે જે કહ્યુ છે તે થશે. યશાયાએ લખ્યું છે:
“ધ્યાનથી સાંભળો! હું (દેવ) મારા દૂતને તારી આગળ મોકલીશ.
તે તારા માટે માર્ગ તૈયાર કરશે.” (A)
3 “ત્યાં એક વ્યક્તિ છે જે રેતીના રણમાં પોકાર કરે છે:
‘પ્રભુ માટે માર્ગ તૈયાર કરો.
તેના રસ્તા સીધા કરો.’” (B)
4 તેથી યોહાન બાપ્તિસ્ત આવ્યો અને રણપ્રદેશમાં લોકોને બાપ્તિસ્મા આપતો હતો. તેણે લોકોને કહ્યું કે જો તેઓ તેમના જીવનમાં પરિવર્તન ઈચ્છતા હોય તો તે બતાવવા માટે બાપ્તિસ્મા પામે પછી તેમના પાપો માફ કરવામાં આવશે. 5 યહૂદિયા દેશના અને યરૂશાલેમના બધા લોકો યોહાન પાસે આવવા નીકળ્યા. આ લોકોએ કરેલાં પાપોની કબૂલાત કર્યા પછી યર્દન નદીમાં તેઓ યોહાન દ્ધારા બાપ્તિસ્મા પામ્યા.
6 ઊંટના વાળમાંથી બનાવેલાં વસ્ત્રો યોહાન પહેરતો હતો. યોહાન તેની કમરે એક ચામડાનો પટટો બાંધતો હતો. તે તીડો તથા જંગલી મધ ખાતો હતો.
7 યોહાન લોકોને જે ઉપદેશ આપતો હતો તે આ છે: “મારા કરતાં જે વધારે મહાન છે તે મારી પાછળ આવે છે. હું તો તેના ઘૂંટણે પડવા તથા તેના જોડાની દોરી છોડવા માટે પણ યોગ્ય નથી. 8 મેં તમારું પાણીથી બાપ્તિસ્મા કર્યુ. પણ જે વ્યક્તિ આવે છે તે તમારું પવિત્ર આત્માથી બાપ્તિસ્મા કરશે.”
ઈસુનું બાપ્તિસ્મા
(માથ. 3:13-17; લૂ. 3:21-22)
9 તે વખતે ઈસુ ગાલીલના નાસરેથથી જ્યાં યોહાન હતો તે જગ્યાએ આવ્યો. યોહાને યર્દન નદીમાં ઈસુને બાપ્તિસ્મા આપ્યુ. 10 જ્યારે ઈસુ પાણીમાંથી બહાર આવતો હતો ત્યારે તેણે આકાશ ઊઘડેલું જોયું. પવિત્ર આત્મા ઈસુ પર કબૂતરની જેમ આવ્યો. 11 આકાશમાંથી એક અવાજ આવ્યો અને કહ્યું, “તું મારો વ્હાલો દીકરો અને હું તને ચાહુ છું. હું તારા પર ઘણો પ્રસન્ન થયો છું.”
ઈસુનું પરીક્ષણ
(માથ. 4:1-11; લૂ. 4:1-13)
12 પછીથી આત્માએ ઈસુને રણમાં મોકલ્યો. 13 ઈસુ રણમાં 40 દિવસો રહ્યો હતો. તે ત્યાં જંગલી પશુઓ સાથે હતો. જ્યારે ઈસુ રણમાં હતો શેતાનથી તેનું પરીક્ષણ થયું હતું. અને દૂતોએ આવીને ઈસુની સેવા કરી.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International