Book of Common Prayer
નિર્દેશક માટે. યહોવાના સેવકનું ગીત, જે દિવસે યહોવાએ તેને તેના બધાં શત્રુઓના હાથમાંથી તથા શાઉલનાં હાથમાંથી છોડાવ્યો, તે દિવસે તેણે યહોવાને આ ગીતનું વચન કહ્યું.
1 “હે યહોવા, મારા સાર્મથ્ય,
હું તમને ચાહું છું.”
2 યહોવા મારો ખડક, મારો મજબૂત કિલ્લો છે.
દેવ મારો ખડક છે.
તે મારું આશ્રયસ્થાન છે.
તે મારી ઢાલ છે.
તેની શકિત મારું રક્ષણ કરે છે.[a]
પર્વતોમાં ખૂબ ઉંચાઇ પર તે મારું સુરક્ષાનું સ્થાન છે.
3 યહોવા સ્તુતિપાત્ર છે,
હું તેમને વિનંતી કરીશ
અને મારું સર્વ શત્રુઓથી રક્ષણ થશે.
4 મને મૃત્યુનાં બંધનોએ ઘેરી લીધો છે,
અને દુષ્ટતાનાં મોજાં મારા પર ફરી વળ્યાં છે.
5 શેઓલનાં બંધનોએ મને બધી બાજુએથી ધેરી લીધો છે.
મૃત્યુનો ગાળિયો; મારી સામેજ આવી પડ્યો છે.
6 મને મારા સંકટમાં સહાય કરવાં
મેં યહોવાને કરુણાભરી વિનંતી કરી,
તેમણે પોતાના પવિત્રસ્થાનમાં મારો અવાજ સાંભળ્યો,
અને તેનાં કાનમાં મારી અરજ પહોંચી ગઇ.
7 ત્યારે ધરતી થરથર ધ્રુજી ઊઠી ને પર્વતોના પાયા ખસી ગયા,
અને હલવા લાગ્યા.
પર્વતો ધ્રુજી ઊઠયા, કારણ, યહોવા કોપાયમાન થયા હતાં.
8 તેમનાં નસકોરાંમાંથી ધુમાડો નીકળવા લાગ્યો,
અને દેવના મુખમાંથી ભસ્મ કરનાર અગ્નિ નીકળવા લાગ્યો.
તેમનામાંથી સળગતાં તણખા નીકળ્યાં.
9 તેમણે આકાશને ચીર્યુ અને પગની નીચે કાળા
વાદળા સાથે નીચે ઉતર્યા.
10 તેકરૂબ પર ચડીને ઊડતા હતાં.
અને તેઓ પવનમાં ઉંચે ઊડતા હતાં.
11 તેમણે પોતાની આસપાસ અંધકારથી ઢાંકી દીધું છે.
અને પોતાના માર્ગને મેઘજળનાં ગાઢ વાદળોથી ઢાંકી દીધેલ છે.
12 એકાએક તેમના ઉજ્જવળ ધડાકા સાથે વીજળી ચમકી.
પરિણામે ત્યાં કરાં વરસવાં લાગ્યા અને આગના તણખાં ઝર્યા.
13 યહોવાએ આકાશમાંથી ગર્જના કરી અને પરાત્પર દેવે મોટો અવાજ કાઢયો.
એના પરિણામે ત્યાં કરાઁ પડ્યા અને વીજળીના ચમકારા થયા.
14 તેણે તેના વીજળીના તીક્ષ્ણ બાણો મારાં બધાં શત્રુઓ પર
છોડ્યા અને તેમને મુંજવીને વિખેરી નાખ્યાં.
15 પછી હે યહોવા, તમારી આજ્ઞાથી, જુઓ,
સમુદ્રનાં તળિયાં દેખાયાઁ.
તમારાં નસકોરાઁના શ્વાસથી
ધરતીના પાયા ઉઘાડા થઇ ગયા.
16 તેમણે હાથ લંબાવી મને આકાશમાંથી પકડી લીધો
અને મહા વિપત્તિના ઊંડા પાણીમાંથી મને બહાર ખેંચી લીધો.
17 તેમણે મને મારા બળવાન શત્રુથી અને દ્વેષીઓથી બચાવ્યો,
કારણ કે તેઓ મારા કરતાઁ જોરાવર હતા અને મને ધિક્કારતાં હતા.
18 મારી વિપત્તિનાં દિવસોમાં તેઓ મારા પર તૂટી પડ્યા,
અને હું તો અતિ નિર્બળ હતો પરંતુ યહોવાએ મને સ્થિર રાખ્યો.
19 તેઓ મને ખુલ્લી જગામાં દોરી ગયાં.
અને એ તેઓ હતાં કે જેણે મને બચાવ્યો, કારણકે તેઓ મારાથી ખુશ હતા.
20 મને યહોવાએ, મારા ન્યાયીપણાનું ફળ આપ્યું છે,
મારા જીવનની શુદ્ધતા પ્રમાણે તેમણે મને પાછું વાળી આપ્યું છે.
21 કારણ કે મેં યહોવાની આજ્ઞા પાળી છે,
અને મેં તેમની વિમુખ થઇને ભૂંડાઇ કરી નથી.
22 હું તેમનાં સર્વ નિયમોને કાળજીપૂર્વક અનુસર્યો છું.
મેં તેમની આજ્ઞા હંમેશા મારી સંમુખ રાખી છે અને તેમાની એકેય આજ્ઞાની અવગણના કરી નથી.
23 હું તેમની સાથે વિશુદ્ધ અને પ્રામાણિક હતો
અને મેં મારી જાતને અનિષ્ટ અને અયોગ્ય કરવાથી દૂર રાખી છે.
24 યહોવાએ મારું ન્યાયીપણુઁ અને મારા હાથની શુદ્ધતા જોઇને
તે પ્રમાણે મને પ્રતિદાન દીધું છે.
25 હે યહોવા, જેઓ તમારી પ્રત્યે વિશ્વાસુ છે, તેને તમે વિશ્વાસુ છો.
જેઓ તમારી પ્રત્યે એકનિષ્ઠ છે, એને તમે એકનિષ્ઠ છો.
26 જેઓ શુદ્ધ અને સારા છે તેમની સાથે તમે શુદ્ધ અને સારા છો.
પણ જેઓ હઠીલા છે તેઓને સાથે હઠીલા દેખાશો.
27 તમે ગરીબ લોકોને બચાવો છો,
અને અભિમાની લોકોને અપમાનિત કરો છો.
28 યહોવા, મારા દેવ! તમે મારા હૃદયમાં દીવાં પ્રગટાવો છો!
મારા અંધકારને તમે પ્રકાશમાં ફેરવ્યો છે.
29 તમારા સાર્મથ્ય વડે હું હવે કિલ્લો પણ કૂદી જાઉઁ છું.
અને કોઇપણ સૈન્યની ટૂકડી પર હું આક્રમણ કરી શકું છુ.
30 દેવનો માર્ગ તો પરિપૂર્ણ છે અને યહોવાનો શબ્દ પરખેલો છે;
જેઓ તેના પર ભરોસો રાખે છે તે સઘળાની તે ઢાલ છે.
31 કારણ, યહોવા વિના બીજા દેવ કોણ છે?
તેનાં વિના ખડક સમાન બીજું કોણ છે?
32 તેમની શકિતથી તેઓ મને ભરી દે છે
અને પવિત્ર જીવન જીવવાં માટે મને સહાય કરે છે.
33 તે મારા પગોને હરણીના જેવું દોડવાં જેવા બનાવે છે
અને ઉંચાઇઓ પર મને સ્થિર રાખે છે.
34 મારા હાથોને તેઓ લડતાં શીખવે છે.
પિત્તળનું ધનુષ્ય ખેંચવાની શકિત તેઓ મને આપે છે.
35 તમે તમારા તારણની ઢાલ મને છે,
તમારા જમણા હાથથી તમે મને ટેકો આપ્યો છે,
અને તમારી અમીષ્ટિએ મને મોટો કર્યો છે.
36 તમે મને ઝડપથી દોડવામાં મદદ કરી છે,
જેથી મારા પગ કદી લપસ્યાં નથી.
37 હું મારા શત્રુઓને તેઓની પાછળ પડીને જરૂર પકડી પાડીશ;
અને તેઓનો નાશ નહિ થાય ત્યાં સુધી પાછો ફરીશ નહિ.
38 હું તેઓને એવા વીંધી નાખીશ કે તેઓ ફરી ઊભા નહિ થઇ શકે.
તેઓ મારા પગે પડશે.
39 કારણ તમે મને યુદ્ધને સારુ શકિતરૂપી શસ્ત્રથી સજ્જ કર્યો છે.
મારી સામે થનારને તમે મારે તાબે કર્યો છે.
40 શત્રુઓની ડોક પર પ્રહાર કરવાની તમે મને તક આપી હતી.
તેથી જેઓએ મારો તિરસ્કાર કર્યો છે, તે સવેર્નો મેં સંહાર કર્યો છે.
41 તેઓએ ઘણી બૂમો પાડી છતાં
તેઓને બચાવનાર કોઇ નહોતું. હા,
તેઓએ યહોવાને વિનંતી કરી,
પરંતુ કોઇ જવાબ મળ્યો નહિ.
42 પવનથી ફૂંકાતી ધૂળની જેમ તેમને મેં વિખેરી નાખ્યાં છે
અને ગલીઓમાંની ધૂળની જેમ તેમને કચડી નાખ્યાં છે.
43 તમે મને મારા વિરુદ્ધ લડતાં લોકોથી બચાવો.
મને બીજા રાષ્ટ્રોનો રાજા બનાવો.
જે લોકોને હું જાણતો પણ નથી તેઓ મારી સેવા કરશે.
44 મારે શરણે પરદેશીઓ આવ્યાં છે.
અને મારો હુકમ સાંભળતાં જ તેઓ મારી આજ્ઞાને આધીન થાય છે.
45 પરદેશીઓ હિંમત ગુમાવી બેઠાં છે,
અને ધૂજતા ધૂજતા તેઓ કિલ્લાની બહાર આવે છે.
46 યહોવા જીવતા જાગતા દેવ છે.
મારા રક્ષકને ધન્ય હો;
મારો ઉદ્ધાર કરનાર દેવની મહાનતાનો પ્રચાર કરો.
47 યહોવા મારા દુશ્મનોને શિક્ષા કરે છે
અને રાષ્ટ્રોને મારા તાબામાં મૂકે છે.
48 તે મારા શત્રુઓથી મને છોડાવે છે.
અને મારી સામે થનાર પર મને વિજય અપાવે છે.
મારી લાજ લૂંટનાર માણસથી મને બચાવે છે.
49 માટે હે યહોવા, વિદેશીઓમાં હું તારી સ્તુતિ કરીશ,
અને હું તારા નામનાં સ્રોત્ર ગાઇશ.
50 યહોવા તેમના દ્વારા પસંદ કરેલા રાજાઓને ઘણા વિજયો મેળવવામાં મદદ કરે છે,
યહોવા પોતે અભિષિકત કરેલા રાજાઓ પ્રતિ દયા બતાવે છે.
યહોવા દાઉદ તથા તેનાં વંશજો પ્રતિ હંમેશા વિશ્વાસુ રહેશે.
દેવનાં સ્તુતિગાન
12 તમે તે દિવસે ગાશો:
“હે યહોવા હું તમારો આભાર માનું છું!
તમે મારા પર રોષે ભરાયા હતા,
હવે તમારો રોષ સમી ગયો છે
અને તમે મને પ્રેમ આપ્યો છે.
2 દેવ મારા ઉદ્ધારક છે;
અને હવે મને વિશ્વાસ બેઠો છે અને ડર રહ્યો નથી;
મારો આશ્રય યહોવા દેવ જ છે;
ને મારા રક્ષણહાર એ જ છે; ને એ જ મારા ઉદ્ધારક બન્યા.”
3 અને તમે ઉદ્ધારના ઝરણામાંથી
આનંદભેર પાણી ભરશો.
4 તમે તે દિવસે કહેશો કે,
“યહોવાની સ્તુતિ ગાવ, અને તેના નામનું આહવાહન કરો;
સર્વ પ્રજામાં તેનાં કાર્યોની ઘોષણા કરો;
તેનું નામ સવોર્પરી છે એવું જાહેર કરો.”
5 યહોવાની ઝળહળતી સિદ્ધિઓ માટે
તમે તેના સર્વદા ગુણગાન ગાઓ;
ને સમગ્ર દુનિયામાં એની જાણ કરો.
6 હે સિયોનનાં વાસીઓ, આનંદના પોકાર કરો,
ઇસ્રાએલના મહાન પરમ પવિત્ર દેવ છે.
અને તમારા સૌની વચ્ચે વસે છે.
યોહાન આ પુસ્તક વિષે કહે છે
1 આ ઈસુ ખ્રિસ્તનું પ્રકટીકરણ છે. હવે ટૂંક સમયમાં શું બનવાનું છે, તે તેના સેવકોને દર્શાવવા દેવે ઈસુને તે અંગેની માહિતી આપી. ખ્રિસ્તે પોતાના સેવક યોહાનને આ વાતો બતાવવા માટે પોતાના દૂતને મોકલ્યો. 2 યોહાને જે કઈ જોયું હતું તે વિષે જણાવ્યું. ઈસુ ખ્રિસ્તે યોહાન સમક્ષ જે પ્રગટ કયુ તે સત્ય છે. તે તો દેવ તરફ સંદેશ છે. 3 જે વ્યક્તિ દેવ તરફથી મળેલ આ સંદેશના વચનો વાંચે છે, તેઓને ધન્ય છે. અને જે લોકો આ સંદેશ સાંભળે છે અને તેમાં લખેલું છે તે પ્રમાણે કરે છે તેઓને પણ ધન્ય છે. હવે વધુ સમય બાકી રહ્યો નથી.
યોહાન મંડળીઓ માટે ઈસુના સંદેશાઓ લખે છે
4 આસિયા[a] પ્રાંતમાંની સાત મંડળીઓ જોગ લખિતંગ યોહાન:
જે (દેવ) છે જે હતો અને જે આવી રહ્યો છે તેના તરફથી અને તેના રાજ્યાસનની આગળ જે સાત આત્મા છે, તેઓના તરફથી; 5 અને ઈસુ ખ્રિસ્ત પાસેથી, તમને કૃપા અને શાંતિ થાઓ. ઈસુ ખ્રિસ્ત વિશ્વાસુ સાક્ષી છે. મૂએલાંમાંથી સજીવન થનાર તે સર્વ પ્રથમ હતો. ઈસુ પૃથ્વીના રાજાઓનો અધિપતિ છે.
ઈસુ એક જ છે જે આપણને પ્રેમ કરે છે. અને ઈસુ એ એક છે જેણે પોતાના રક્ત વડે આપણને આપણા પાપમાથી મુક્ત કર્યા; 6 ઈસુએ આપણને એક રાજ્ય તથા તેના પિતા દેવની સેવાને અર્થ યાજકો બનાવ્યા. ઈસુનો મહિમા તથા અધિકાર સદાસર્વકાળ પર્યંત હોજો! આમીન.
7 જુઓ, ઈસુ વાદળાંસહિત આવે છે! પ્રત્યેક વ્યક્તિ જેઓએ તેને વીધ્યો[b] છે તેઓ પણ તેને જોશે. પૃથ્વી પરની બધી જ જાતિઓ તેને લીધે વિલાપ કરશે. હા, આ બનશે જ! આમીન.
8 પ્રભુ દેવ કહે છે કે, “હું આલ્ફા તથા ઓમેગા[c] છું, હું તે એક છું જે છે, જે હંમેશા હતો અને જે આવનાર છે, હું સવૅશક્તિમાન છું,”
ઈસુ પવિત્ર આત્મા વિષે કહે છે
37 પર્વનો છેલ્લો દિવસ આવ્યો. તે ઘણો જ અગત્યનો દિવસ હતો. તે દિવસે ઈસુ ઊભો થયો અને મોટા સાદે કહ્યું, “જો કોઈ માણસ તરસ્યો હોય તો તે મારી પાસે આવે અને પીએ. 38 જો કોઈ માણસ મારામાં વિશ્વાસ મૂકે છે તો તેના હૃદયમાંથી જીવતા પાણીની નદીઓ વહેશે. શાસ્ત્ર જે કહે છે તે એ જ છે.” 39 ઈસુ પવિત્ર આત્મા વિષે કહેતો હતો. પવિત્ર આત્મા હજુ લોકોને આપવામાં આવ્યો ન હતો કારણ કે હજુ ઈસુ મૃત્યુ પામીને મહિમાવાન થયો ન હતો. પણ પાછળથી પેલા લોકો જે ઈસુમાં વિશ્વાસ રાખશે તેઓ આત્માને પ્રાપ્ત કરશે.
ઈસુની લોકો વિષે દલીલ
40 લોકોએ ઈસુએ જે બધી બાબતો કહી તે સાંભળી. કેટલાક લોકોએ કહ્યું, “આ માણસ ખરેખર પ્રબોધક જ છે.”
41 બીજા કેટલાક લોકોએ કહ્યું, “તે જ ખ્રિસ્ત છે.”
બીજા લોકોએ કહ્યું, “ખ્રિસ્ત ગાલીલમાંથી આવશે નહિ. 42 શાસ્ત્ર કહે છે, ખ્રિસ્ત દાઉદના વંશમાંથી આવનાર છે, અને શાસ્ત્ર કહે છે કે ખ્રિસ્ત બેથલેહેમમાંથી આવનાર છે, જે શહેરમાં દાઉદ હતો.” 43 તેથી લોકો ઈસુ વિષે એકબીજા સાથે સંમત થયા નહિ. 44 કેટલાક લોકો ઈસુની ધરપકડ કરવા ઈચ્છતા હતા. પણ આમ કરવાનો કોઈએ પ્રયત્ન કર્યો નહિ.
યહૂદિ અધિકારીઓએ વિશ્વાસ કરવાની ના પાડી
45 મંદિરના ભાલદારો મુખ્ય યાજકો અને ફરોશીઓ પાસે પાછા ગયા. યાજકો અને ફરોશીઓએ પૂછયું, “તમે ઈસુને શા માટે લાવ્યા નથી?”
46 મંદિરના ભાલદારોએ ઉત્તર આપ્યો, “તે જે બાબતો કહે છે તે કોઈ પણ માણસના શબ્દો કરતા મહાન છે.”
47 ફરોશીઓએ ઉત્તર આપ્યો, “ઈસુએ તમને પણ મૂર્ખ બનાવ્યા શું! 48 અધિકારીઓમાંથી કોઈએ તેનામાં વિશ્વાસ કર્યો? ના! શું આપણા ફરોશીઓમાંથી કોઈને તેનામાં વિશ્વાસ હતો? ના! 49 પણ પેલા લોકો બહાર છે તેઓ નિયમશાસ્ત્ર વિષે જાણતા નથી. તેઓ દેવના શાપિત છે!”
50 નિકોદેમસ ત્યાં તે સમૂહમાં હતો. નિકોદેમસ તેઓમાંનો એક જે અગાઉ ઈસુ પાસે આવ્યો હતો. નિકોદેમસે કહ્યું,
51 “માણસને પહેલા સાંભળ્યા વિના શું આપણું નિયમશાસ્ત્ર આપણને તેનો ન્યાય કરવા દે છે? જ્યાં સુધી તેણે શું કર્યું છે તે આપણે જાણીએ નહિ ત્યાં સુધી આપણે તેનો ન્યાય કરી શકતા નથી.”
52 યહૂદિ અધિકારીઓએ ઉત્તર આપ્યો, “શું તું પણ ગાલીલનો છે? શાસ્ત્રોનો અભ્યાસ કર, તું વાંચી શકીશ કે કોઈ પ્રબોધક ગાલીલમાંથી આવનાર નથી.”
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International