Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 119:49-72

ઝાઇન

49 હું તમારો સેવક છું, કૃપા કરીને મને આપેલા તમારા વચનને યાદ કરો,
    તે વચન મને આશા આપે છે.
50 મને મારા દુ:ખમાઁ આશ્વાસન મળ્યું છેં;
    અને તમારા વચને મને જિવાડ્યો છે.
51 અભિમાની લોકો મારી મજાક કરે છે,
    પણ હું તમારા નિયમમાંથી પાછો હઠયો નથી.
52 હે યહોવા, પુરાતન કાળથી પ્રચલિત તમારા ન્યાયવચનો મેં મારા બાળપણથીજ યાદ રાખ્યા છે.
    અને મને હંમેશા સાંત્વન મળ્યું છે.
53 જે ભૂંડાઓ તમારા નિયમ અવગણના કરે છે;
    તેઓ પર મને ક્રોધ ઉપજે છે.
54 તમારા વિધિઓ આ મારી જીવનયાત્રામાં
    મારા માટે આનંદદાયક સ્તોત્ર બન્યા છે.
55 હે યહોવા, મને રાત્રે તમારા નામનું સ્મરણ થાય છે,
    અને હું તમારા નિયમો પાળુ છું.
56 આ મારું આચરણ છે; હું તમારા શાસનો પાલન કરું છું.

ખેથ

57 હે યહોવા, મારો વારસો છો તમે; હું વચનો પાળીશ તમારા, એમ મે કહ્યું છે.
58 મેં મારા હૃદયની ઉત્કંઠાથી તમારી કૃપાની માંગણી કરી છે;
    તમારા વચન પ્રમાણે તમે મારા ઉપર દયા કરો.
59 મેં મારા જીવનના રસ્તાઓ વિષે વિચાર કર્યો છે,
    અને પછી વળ્યો છું તમારા કરાર તરફ.
60 તમારી આજ્ઞાઓ પાળવા માટે મેં ઉતાવળ કરી છે;
    જરાય મોડું કર્યુ નથી.
61 મને દુષ્ટોનાં બંધનોએ ઘેરી લીધો છે;
    પણ તમારા નિયમોને હું ભુલ્યો નથી.
62 હું મધરાતે ઊઠીને તમારા ન્યાયવચનો બદલ
    તમારો આભાર માનીશ.
63 જે કોઇ તમારો ભય રાખે છે, તમારામાં વિશ્વાસ કે છે,
    અને તમારા શાસનોનું પાલન કરે છે તે મારા મિત્રો છે.
64 હે યહોવા, પૃથ્વી તમારી કૃપાથી ભરેલી છે,
    મને તમારા વિધિઓ શીખવો.

ટેથ

65 હે યહોવા, તમે તમારા સેવકને વચન આપ્યા પ્રમાણે,
    મારા માટે સારું જ કર્યુ છે.
66 મને યોગ્ય ચપળતા શીખવો અને મને જ્ઞાન આપો,
    હું તમારા આજ્ઞાઓ પર વિશ્વાસ કરું છું.
67 મેં દુ:ખ સહ્યું તે પહેલા મેં ઘણી ખોટી બાબતો કરી,
    પણ હાલમાં હું તમારા વચન પાળું છું.
68 તમે ઉત્તમ છો અને ઉત્તમ કરો છો;
    મને તમારા વિધિઓ શીખવો.
69 ધમંડી લોકો મારા વિશે જૂઠું બોલે છે,
    પણ હું તમારાં નિયમો ખરા હૃદયથી પાળીશ.
70 તેઓનું અંત:કરણ સ્થૂળ છે;
    પણ હું તો તારા નિયમમાં પરમાનંદ પામું છું.
71 મેં જે સહન કર્યુ તે મારા સારા માટે પૂરવાર થયું,
    એ રીતે હું તમારા વિધિઓ શીખ્યો.
72 હજારો સોના ચાંદી કરતાં તમારા મુખનો નિયમ
    મારે માટે વધુ મૂલ્યવાન છે.

ગીતશાસ્ત્ર 49

નિર્દેશક માટે. કોરાહનાં કુટુંબનું ગીત.

હે સર્વ પ્રજાજનો, તમે આ સાંભળો;
    હે વિશ્વવાસી લોકો તમે સાંભળો.
    નિમ્ન કક્ષના કે ઉચ્ચકક્ષાનાં, શ્રીમંત કે દરિદ્રી, તમે સૌ માણસો મારા શબ્દો પર ધ્યાન આપો.
હું બુદ્ધિ વિષે મારા મુખેથી બોલીશ;
    મારા હૃદયમાંથી નિકળતા ઉદૃગારો જ્ઞાન વિષે હશે.
હું દ્રષ્ટાંત પર કાન લગાડીશ,
    અને વીણા પર મારો મર્મ ખોલીશ.
જ્યારે સંકટો આવે છે ત્યારે,
    ચારેબાજુથી મને શત્રુઓ ઘેરી લે એવા દુષ્ટોના સકંજામાં મારે ડરવાની જરૂર નથી.
જેઓ પોતાની સંપત્તિ પર ભરોસો રાખે છે,
    તેઓ કેટલાં ધનવાન છે તેનું અભિમાન કરે છે.
તેઓમાંનો કોઇ પોતાના ભાઇને કોઇ રીતે છોડાવી શકતાં નથી;
    દેવને તે તેનાં બદલામાં ખંડણી આપી શકતાં નથી.
માનવ-જીવનની એટલી મોટી કિંમત છે
    કે દુન્યવી સંપત્તિથી તેનો મૃત્યુદંડ ચૂકવી શકાતો નથી.
જેથી તે સદાકાળનું જીવન પામે,
    અને નરકનાં ખાડાની શિક્ષાથી બચી જાય.
10 બધા લોકો સાક્ષી છે કે વિદ્ધાન મૃત્યુ પામે છે,
    અને મૂર્ખ તેમજ હેવાન માણસો પણ મૃત્યુ પામે છે.
    અને તેઓ તેમની પાછળ તેમની સંપત્તિ બીજાઓ માટે મૂકી જાય છે.
11 તેઓ જમીનજાગીરને પોતાના નામથી ઓળખાવે છે,
    જાણેકે સદાકાળને માટે તે તેઓની જ રહેવાની હોય;
    અને જાણે તેઓ સદાકાળ અધિકાર ભોગવવાના હોય.
12 માણસો ભલે ધનવાન હોય, પણ તેઓ અહીં કાયમ માટે રહેવાના નથી.
    જેવી રીતે બીજા પ્રાણીઓ મરી જાય છે તેમ તેઓ પણ મૃત્યુ પામશે.
13 એવા મૂર્ખ લોકો જેમણે તેમની સંપત્તિનો વિશ્વાસ રાખ્યો હતો,
    અંતે તો તેમનો અંત એવોજ આવશે.
14 પેલા લોકો બરાબર ઘેટાઁ જેવાજ છે.
    શેઓલ તેમનો વાડો બનશે અને મૃત્યુ તેમનો ઘેટાંપાળક બનશે.
જ્યારે પેલાં અભિમાની લોકોના શરીરો
    તેમના વૈભવી ઘરોથી ખૂબ દૂર શેઓલમાં ધીમેથી સડી જશે
    તે દિવસે નિષ્ઠાવાન લોકો વિજયી બનશે.

15 દેવ મને શેઓલની પકડમાંથી છોડાવશે કારણ કે
    તેઓ મને તેમની સાથે રહેવા લઇ જશે.

16 કારણ, તે લોકો ધનવાન છે, અને વૈભવી મકાનો ધરાવે છે
    એટલા માટે તે લોકોથી ડરશો નહિ.
17 તેઓ જ્યારે મૃત્યુ પામે છે ત્યારે તેઓ સાથે કશુંય લઇ જઇ શકશે નહિ
    અને તેમનો વૈભવ તેમની પાછળ જવાનો નથી.
18 ધનવાન વ્યકિત તેના જીવનકાળ દરમ્યાન પોતાની જાતને મહાન ગણતી હશે,
    અને પોતાની જાતને ધન્યવાદ આપ્યા હશે કે તે મહાન હતા,
    તેની દુન્યવી સફળતાઓ માટે લોકોએ પ્રશંસા કરી હતી.
19 પરંતુ આખરે તો તે પણ તેના પૂર્વજોની જેમ મૃત્યુ પામશે
    અને પછી તે જીવનનું અજવાળું ક્યારેય પણ નહિ જુએ.
20 જે વ્યકિત પાસે દુન્યવી વૈભવ છે, પણ આત્મિક સમજ નથી;
    તે વ્યકિત બુદ્ધિહીન નાશ પામનાર પશુ સમાન છે.

ગીતશાસ્ત્ર 53

નિર્દેશક માટે. માહલાથ સાથે ગાવાનું. દાઉદનું માસ્કીલ.

માત્ર મૂર્ખ પોતાના મનમાં કહે છે કે, “દેવ છે જ નહિ” તેનું હૃદય દુષ્ટતાથી ભરેલું છે.
    તેવા માણસો ઘૃણાને પાત્ર અને દુષ્ટ કૃત્યો કરે છે.
    તેઓમાં કોઇ સારા કૃત્યો કરનાર નથી.
દેવ આકાશમાંથી નીચે મનુષ્યો ઉપર દૃષ્ટિ કરીને તપાસ કરે છે
    કે એવી કોઇ વ્યકિત છે જેને સાચી સમજ હોય;
    ને મનથી દેવની શોધ કરતી હોય.
તેઓમાંનાં દરેક માર્ગષ્ટ થયા છે,
    અને તેઓ સઘળા અશુદ્ધ થયા છે;
કોઇ વ્યકિત ન્યાયી જીવન જીવતી નથી.
    ભલું કરનાર હવે કોઇ રહ્યુ નથી.

દેવ કહે છે કે, “દુષ્ટ કરનારાઓ શું આ નથી સમજતા?
    મારા લોકોને તે જાણે રોટલી ખાતાં હોય તેમ ખાઇ જાય છે.
    તેઓ દેવ પાસે જતા નથી, અને કદી પ્રાર્થના કરતાં નથી.”

જોકે કશું ડરવા જેવું નહિ હોય
    ત્યાં તેઓ અચાનક ભયભીત થઇ જશે.
દેવે તે બધા દુષ્ટ લોકોને નકાર્યા છે.
    તેથી દેવના લોકો તેમને હરાવશે,
અને દેવ તે દુષ્ટ લોકોના હાડકાઁને વિખેરી નાખશે.

સિયોનમાંથી ઇસ્રાએલનું તારણ વહેલું આવે!
    યહોવા પોતે પોતાના લોકોને બંધનમાંથી છોડાવશે
અને તેમને પાછા તેમના વતનમાં લાવશે,
    અને પછી યાકૂબ ખુશ થશે,
    તથા ઇસ્રાએેલ આનંદિત થશે.

યશાયા 9:8-17

દેવ ઇસ્રાએલને સજા કરશે

પ્રભુએ ઇસ્રાએલ વિરુદ્ધ યાકૂબના વંશજો વિરુદ્ધ પોતાનો ફેંસલો જણાવ્યો છે. ઇસ્રાએલના પાટનગર સમરૂનના સૌ વતનીઓને એની જાણ થશે.

એ લોકો તો પોતાના અભિમાન અને તુમાખીમાં કહે છે કે, 10 “ભલે ઇંટો પડી ગઇ, હવે આપણે ઘડેલા પથ્થરોથી બાંધીશું. ઉંબરના પાટડા તોડી નાખવામાં આવ્યા છે. પણ આપણે એની જગાએ સાગના લાવીશું.”

11 પરંતુ યહોવાએ તેમના દુશ્મનોને તેમની વિરુદ્ધ ઉશ્કેર્યા છે; 12 પૂર્વમાંથી અરામીઓ અને પશ્રિમમાંથી પલિસ્તીઓ ઇસ્રાએલને એક જ કોળિયામાં મુખ પહોળું કરીને ગળી જશે. આ બધું થવા છતાં યહોવાનો રોષ ઊતર્યો નથી. અને તેમનો હાથ હજી ઉગામેલો જ રહ્યો છે.

13 આમ છતાં એ લોકો પોતાને ઘા કરનાર સૈન્યોના દેવ પાસે પાછા આવ્યાં નથી કે તેનું શરણું તેમણે સ્વીકાર્યુ નથી. 14 આથી યહોવા એક દિવસે ઇસ્રાએલનું માથું, પૂંછડી, નાડ અને બરૂ કાપી નાખશે. 15 વડીલો અને સન્માનનીય પુરુષો તે માથું અને ખોટો ઉપદેશ કરનાર પ્રબોધકો તે પૂંછડી છે.

16 આ લોકોના આગેવાનોએ તેમને અવળે માર્ગે ચડાવ્યા છે. તેમને ભૂલા પાડ્યા છે. 17 આથી પ્રભુ તેમના યુવાનો પ્રત્યે રાજી થશે નહિ. તેમજ અનાથો અને વિધવાઓ પ્રત્યે જરાયે સહાનુભૂતિ દાખવશે નહિ. બધાજ દુરાચારીઓ છે, દેવને શું જોઇએ છે તે જાણવાની કોઇને કાળજી નથી, એકે એક વ્યકિત અનિષ્ઠ વસ્તુઓ બોલે છે.

આ બધાને લીધે યહોવાનો ગુસ્સો ઓછો નથી થયો અને તેમનો બાહુ હજી પણ ઉગામેલો જ છે.

2 પિતર 2:1-10

જૂઠાં ઉપદેશકો

ભૂતકાળમાં દેવના લોકો વચ્ચે ખોટા પ્રબોધકો ઊભા થયા હતા. અત્યારે પણ એવું જ છે. તમારા સમૂહમાં કેટલાએક જૂઠાં ઉપદેશકો છે. તેઓ જે વસ્તુ ખોટી છે તેનો ઉપદેશ આપશે કે જેનાથી લોકો ખોવાઇ જાય. આ ખોટા ઉપદેશકો એ રીતે ઉપદેશ આપશે કે જેથી તેઓ ખોટા છે તે શોધવું તમારા માટે મુશ્કેલ બની જશે. તેઓ સ્વામી (ઈસુ) કે જેના દ્ધારા તેઓને સ્વતંત્રતા મળી છે, તેનો પણ સ્વીકાર કરવાનો નકાર કરશે. અને આથી તેઓ પોતાની જાતે ઉતાવળે નાશ વહોરી લેશે. ઘણા લોકો અનિષ્ટ વસ્તુઓમાં તેઓને અનુસરશે. ઘણા લોકો આ ખોટા ઉપદેશકોને કારણે સત્યના માર્ગ વિશે નિંદા કરશે. આ ખોટા ઉપદેશકો માત્ર નાણાની ઈચ્છા રાખે છે. તેથી તેઓ જે વસ્તુ સાચી નથી તે તમને કહીને તેનો દુરુંપયોગ કરશે. પરંતુ ઘણા સમયથી આ ખોટા ઉપદેશકોનો ન્યાય તોળાઇ ચૂક્યો છે. અને તેઓ તે જે એકથી છટકી શકશે નહિ અને તે તેઓનો નાશ કરશે.

જ્યારે દૂતોએ પાપ કર્યુ ત્યારે, દેવે તેઓને પણ શિક્ષા કર્યા વગર છોડ્યા નહિ. ના! દેવે તેઓને નરકમા ફેકી દીધા. અને દેવે તે દૂતોને અંધકારના ખાડાઓમાં ન્યાયકરણનો દિવસ આવે ત્યાં સુધી ત્યાં રાખ્યા.

જે અનિષ્ટ લોકો બહુ વખત પહેલા જીવતા હતા, દેવે તેઓને પણ શિક્ષા કરી. અધર્મી દુનિયાને પણ દેવે છોડી નહિ. દેવ જગત પર જળપ્રલય લાવ્યો. પરંતુ દેવે નૂહ અને તેની સાથેનાં સાત માણસોને બચાવી લધા. નૂહ એ વ્યક્તિ હતો કે જેણે લોકોને ન્યાયી જીવન જીવવા કહ્યું હતું.

દેવે સદોમ અને ગમોરા જેવાં દુષ્ટ શહેરોને પણ શિક્ષા કરી. ભસ્મ ન થઈ જાય ત્યાં સુધી આ શહેરોને દેવે બળવા દીધા અને જે લોકો દેવની વિરૂદ્ધ છે તેઓનું ભવિષ્યમાં શું થશે તે માટેનુ ઉદાહરણ દેવે આ શહેરો દ્ધારા પૂરું પાડ્યું. પરંતુ દેવે તે શહેરોમાંથી લોતને બચાવી લીધો. લોત ન્યાયી માણસ હતો. તે દુષ્ટ લોકોના દુરાચારથી ત્રાસ પામતો હતો. લોત ન્યાયી માણસ હતો, પરંતુ દુષ્ટ લોકો સાથે પ્રતિદિન રહેવાને કારણે તે જે દુષ્કર્મો જોતો તેને કારણે તેના ન્યાયી આત્મામાં તે ખિન્ન થતો હતો.

હા, દેવે આ બધુંજ કર્યુ. અને પ્રભુ દેવની સેવા કરનાર બધા જ લોકોને જ્યારે પરીક્ષણ આવશે ત્યારે પ્રભુ દેવ દ્ધારા તેઓને હંમેશા બચાવશે. જ્યારે પ્રભુ અનિષ્ટ કાર્યો કરનારાં લોકોને ધ્યાનમા રાખશે અને ન્યાયના દિવસે તેઓને શિક્ષા કરશે. 10 આ શિક્ષા ખાસ કરીને એ લોકોને આપવામા આવશે જે લોકો પોતાની પાપી જાતને સંતોષ આપવા ખરાબ કાર્યો કરે છે, અને જેઓ પ્રભુના અધિકારનો અનાદર કરે છે. અને જેઓ પ્રભુની સત્તાને ધિક્કારે છે.

આ ખોટા ઉપદેશકો પોતાની ઇચ્છા મુજબ ગમે તેમ કરશે, અને તેઓ પોતાના વિષે બડાશો મારશે. તેઓ મહિમાવાન દૂતોની વિરૂદ્ધ બોલતા પણ ગભરાશે નહિ.

માર્ક 1:1-8

ઈસુનુ આગમન

(માથ. 3:1-12; લૂ. 3:1-9, 15-17; યોહ. 1:19-28)

દેવના દીકરા, ઈસુ ખ્રિસ્ત વિષેની સુવાર્તાનો આરંભ. યશાયા પ્રબોધકે જે કહ્યુ છે તે થશે. યશાયાએ લખ્યું છે:

“ધ્યાનથી સાંભળો! હું (દેવ) મારા દૂતને તારી આગળ મોકલીશ.
    તે તારા માટે માર્ગ તૈયાર કરશે.” (A)

“ત્યાં એક વ્યક્તિ છે જે રેતીના રણમાં પોકાર કરે છે:
‘પ્રભુ માટે માર્ગ તૈયાર કરો.
    તેના રસ્તા સીધા કરો.’” (B)

તેથી યોહાન બાપ્તિસ્ત આવ્યો અને રણપ્રદેશમાં લોકોને બાપ્તિસ્મા આપતો હતો. તેણે લોકોને કહ્યું કે જો તેઓ તેમના જીવનમાં પરિવર્તન ઈચ્છતા હોય તો તે બતાવવા માટે બાપ્તિસ્મા પામે પછી તેમના પાપો માફ કરવામાં આવશે. યહૂદિયા દેશના અને યરૂશાલેમના બધા લોકો યોહાન પાસે આવવા નીકળ્યા. આ લોકોએ કરેલાં પાપોની કબૂલાત કર્યા પછી યર્દન નદીમાં તેઓ યોહાન દ્ધારા બાપ્તિસ્મા પામ્યા.

ઊંટના વાળમાંથી બનાવેલાં વસ્ત્રો યોહાન પહેરતો હતો. યોહાન તેની કમરે એક ચામડાનો પટટો બાંધતો હતો. તે તીડો તથા જંગલી મધ ખાતો હતો.

યોહાન લોકોને જે ઉપદેશ આપતો હતો તે આ છે: “મારા કરતાં જે વધારે મહાન છે તે મારી પાછળ આવે છે. હું તો તેના ઘૂંટણે પડવા તથા તેના જોડાની દોરી છોડવા માટે પણ યોગ્ય નથી. મેં તમારું પાણીથી બાપ્તિસ્મા કર્યુ. પણ જે વ્યક્તિ આવે છે તે તમારું પવિત્ર આત્માથી બાપ્તિસ્મા કરશે.”

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International