Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 1-4

ભાગ પહેલો

(ગીત 1–41)

દુષ્ટ લોકોની સલાહ જેઓ સ્વીકારતાં નથી,
    પાપીઓનાં માર્ગમાં જેઓ ઉભા રહેતા નથી,
દેવની હાંસી ઉડાવનારા સાથે બેસતા નથી,
    તેઓ સાચેજ સુખી છે, તેઓને ધન્ય છે.
યહોવાના નિયમશાસ્ત્રથી તેઓ આનંદ માણે છે,
    રાત દિવસ યહોવાનાં વચનોનું જે મનન કરે છે;
    અને યહોવામય જીવન જીવવાં વિચાર્યા કરે છે,
તેઓ નદી કિનારે રોપાયેલાં વૃક્ષો જેવા છે,
    એ વૃક્ષો ઋતુ પ્રમાણે ઉત્તમ ફળો આપે છે;
તેઓનાં પાંદડા કદી કરમાતાં નથી.
    તેઓ જે કાઇ કામ કરે છે,
તેમાં સફળ થાય છે.

પણ દુષ્ટો એવા નથી હોતા, તેઓની વાત જુદી છે.
    તેઓ ખરેખર પવનમાં ઉડતાં ફોતરાં જેવા છે.
તેથી દુષ્ટો ન્યાયાસન આગળ ટકશે નહિ;
    ન્યાયીઓની સભામાં પાપીઓ ઊભા રહી શકશે નહિ.
યહોવા ન્યાયીઓની સંભાળ રાખે છે;
    પરંતુ તે દુષ્ટ લોકોનો વિનાશ કરે છે.

બીજા રાષ્ટના લોકો શા માટે ધાંધલ કરે છે?
    શા માટે તેઓ આવી નિરર્થક યોજનાઓ ઘડે છે?
કારણ, આ રાષ્ટના રાજાઓ અને નેતાઓ,
    યહોવા અને તેણે પસંદ કરેલા રાજાઓની વિરુદ્ધ જોડાયા છે.
તેઓ કહે છે, “આવો આપણે દેવના બંધન તોડી પાડીએ,
    ગુલામીમાંથી મુકત થઇ જઇએ.”

આકાશમાં બેઠેલા યહોવા તેમના પર હસે છે.
    મારો માલિક તેમની મજાક કરે છે.
અતિ ક્રોધમાં બોલી તેઓને ઠપકો આપશે,
    દેવના પ્રકોપથી તેઓ અતિ ત્રાસ પામશે.
યહોવા કહે છે, “મારા પવિત્ર સિયોન પર્વત પર
    મેં મારા રાજાને અભિષિકત કર્યો છે.”

મને સાંભળો, ઓ લોકો, હું તમને યહોવાના ઠરાવ વિષે કહીશ.
યહોવાએ મને કહ્યુ, “તું મારો પુત્ર છે,
    આજે હું તારો પિતા થયો છુ.”
તું મારી પાસે માગ,
    એટલે હું તને સર્વ જાતની પ્રજાઓ આપીશ.
તેમના પર લોઢાનાં દંડથી રાજ કર કે જે તેઓને વિખેરી નાખે
    જેવી રીતે લોઢાનો સળિયો માટીના ઘડાને તોડી નાખે તેમજ તું કરજે.

10 પૃથ્વીના રાજાઓ, તમે સૌ સમજણ રાખો, હજુ સમય છે,
    સત્તાધીશો તમે હવે આ બોધ લો.
11 યહોવાની સેવા આદર અને પ્રેમથી કરો, અને ભયથી થર થર કાંપો.
12 તેના પુત્રને ચુંબન કરો,
    જેથી તે રોષે ન ચઢે અને તારો નાશ ન થાય.
કારણ કે યહોવા કોઇપણ સમયે તેનો કોપ દેખાડવા તૈયાર છે.
    જેઓ યહોવા પર ભરોસો રાખે છે તેઓ આશીર્વાદીત છે.

પોતાના પુત્ર આબ્શાલોમથી નાસી જતી વખતનું દાઉદનું ગીત.

હે યહોવા, મારા વેરીઓ ઘણા વધી ગયા છે;
    ઘણા લોકો મારું ખોટું ઇચ્છનારા છે.
“મને દેવ કદી તારશે નહિ,” એમ પણ મારા વિષે અનેક લોકો કહે છે.

પણ, હે યહોવા, તમે મારી ઢાલ છો;
    તમે મારું ગૌરવ છો;
    શરમથી ઝૂકી ગયેલા મારા માથાને ફકત તમે જ ઉપર ઊઠાવી શકશો.

હું મારી વાણીથી યહોવાને વિનંતી કરું છું,
    ત્યારે તે પોતાના પવિત્ર પર્વત પરથી, તેમના મંદિરમાંથી મને ઉત્તર આપે છે.

પછી હું શાંતિથી સૂઇ જાઉં છું,
    સવારે જાગીશ પણ ખરો! કારણ યહોવા મારું રક્ષણ કરે છે.

જે હજારો શત્રુઓએ મને ઘેરી લીધો છે
    તેઓથી હું જરાય ડરીશ નહિ.

હે યહોવા, ઉઠો;
    મારું તારણ કરો મારા દેવ;
એમ હું તમને હાંક મારીશ;
    કારણકે તમે મારા સર્વ શત્રુઓના જડબાં પર પ્રહાર કર્યો છે અને તે દુષ્ટોના તમે દાંત તોડી નાખ્યાં છે.

યહોવાની પાસે તારણ છે,
    લોકો પર તમારો આશીર્વાદ ઉતારો.

નિર્દેશક માટે, તારવાળાં વાજીંત્રો સાથે ગાવા માટે. દાઉદનું ગીત.

મારા ઉમદા દેવ, હું જ્યારે પ્રાર્થના કરું ત્યારે,
    મને ઉત્તર આપજો,
મારી પ્રાર્થના સાંભળીને તમારી કૃપા વરસાવજો,
    મને મારી મુશ્કેલીઓમાં રાહત આપજો.

હે મનુષ્યો, કયાં સુધી મારા માટે ખરાબ બોલશો?
    ક્યાં સુધી મને કહેવા માટે નવા જૂઠાણાં શોધશો? તમે તો તે જૂઠાણાં કહેવાનું ચાહો છો.

તમારે જાણવું જોઇએ કે યહોવા તેમના વિશ્વાસુ અનુગામીને સાંભળે છે.
    તેથી હું હાંક મારીશ ત્યારે યહોવા જરૂર મને સાંભળશે.

તમે ગુસ્સે થયા હશો પણ પાપતો કરશોજ નહિ, જ્યારે તમે પથારીમાં સૂવા જાવ
    ત્યારે તમારાં હૃદયમાં ઉંડે સુધી વિચાર કરો અને શાંત થઇ જાવ.
યહોવાને ઉમદા અને યોગ્ય અર્પણો ચઢાવો,
    અને યહોવા પર ભરોસો રાખો.

એવું પુછનાર તો ધણા છે, “અમને દેવની સુંદરતા કોણ બતાવશે?
    હે યહોવા, તમારા ચમકતા ચહેરાનો પ્રકાશ અમને બતાવો!”
હે યહોવા, ઋતુંનો પાક જોઈ લોકો પ્રસન્નતા પામે છે.
    પરંતુ તે કરતાં અધિક પ્રસન્નતા તમે મારા હૃદયમાં મૂકી છે.
હું સૂઇ જઇશ ને શાંતિથી ઉંઘી પણ જઇશ, કારણ;
    હે યહોવા, તમે જ એક મને સુરક્ષાથી સુવા દો છો.

ગીતશાસ્ત્ર 7

દાઉદનું બિન્યામીનીતે કૂશના પુત્ર શાઉલના સંદર્ભમાં ગાયેલું યહોવાનું ગીત.

હે યહોવા મારા દેવ, હું તમારો વિશ્વાસ કરું છું.
    મારી પાછળ પડેલા શત્રુઓથી તમે મારી રક્ષા કરો ને મને બચાવો.
રખેને સિંહની જેમ તે મને ચીરીને ફાડી નાખે,
    મને છોડાવનાર કોઇ ના હોય, એવું થવા દેશો નહિ.

હે મારા યહોવા દેવ, જો મેં એમ કર્યુ હોય;
    તો મારા હાથમાં કઇ ભૂડાઇ હોય,
અને જો મેં શાંતિમાં મારી સાથે રહેનારનું નુકશાન કર્યું હોય,
    અને વિના કારણે કોઇ શત્રુ પર હુમલો કર્યો હોય
    અને તેમની પાસેથી વસ્તુઓ લૂંટી હોય.
તો ભલે મારા શત્રુઓ મને પકડીને મારો નાશ કરે,
    અને તેઓ મારું પતન કરે; અને મને ધૂળમાં રગદોળી નાખે!
    અને મારા આત્માને મૃત્યુની જગાએ ધકેલી દેવાય.

હે યહોવા, કોપ કરીને ઉઠો,
    મારા શત્રુઓના ક્રોધની સામે ઊભા થાઓ,
    હે યહોવા, મારા માટે જાગૃત થાઓ અને ન્યાયની માગણી કરો.
હે યહોવા, સર્વ પ્રજાઓને તમારી સમક્ષ એકત્ર કરો.
    તમારા રાજ્યાસન પર ઉચ્ચસ્થાને પુન: બિરાજો.
હે યહોવા, તમે સર્વ લોકોનો ન્યાય કરો છો,
    મને જાહેરમાં ન્યાયી ઠરાવો,
    અને તેઓ સમક્ષ મને તમે નિર્દોષ ને પ્રામાણિક સાબિત કરો.
હે યહોવા, દુષ્ટ લોકોના દુષ્ટ કાર્યોનો અંત લાવો.
    ન્યાયી અને નિષ્પક્ષ લોકોને ટેકો અને સાર્મથ્ય આપો,
કારણ કે તમે ન્યાયી દેવ છો,
    અને બધાના હૃદય અને આત્મા જોઇ શકો છો.

10 દેવ મારી ઢાલ છે, જે સત્ય
    અને ન્યાયી હૃદયવાળાને તારે છે.
11 દેવ ન્યાયી ન્યાયાધીશ છે, તે સત્યતાથી ન્યાય કરે છે;
    તે સર્વ દુષ્ટો પર હંમેશા કોપાયમાન થાય છે.
12 જો માણસ પાપનું પ્રાયશ્ચિત નહિ કરે,
    તો તે તેની તરવાર તીક્ષ્ણ કરશે.
તેણે પોતાના ધનુષ્યને
    તાણીને સિદ્ધ કર્યુ છે.
13 યહોવાએ તેને માટે ભયંકર હથિયાર સજ્જ કર્યા છે.
    અને પોતાના તીરોને અગ્નિથી સળગતાં કર્યા છે.

14 એક દુષ્ટ માણસ દુષ્ટ કૃત્યો કરવાની યોજના બનાવે છે.
    તે દુષ્ટ કૃત્યોનો ગર્ભ ધારણ કરે છે
    અને જૂઠને જન્મ આપે છે.
15 તેણે ખાડા અને ખાઇ ખોધ્યા છે.
    અને તે પોતેજ તેમાં જઇને પડશે.
16 પોતાના દુષ્કૃત્યોથી તે પોતેજ મુશ્કેલીમાં મુકાશે;
    તે પોતાની ઉગ્રતાથી
    પોતેજ ત્રાસ સહન કરશે.

17 હું યહોવાનો આભાર માનું છું, અને તેમની પ્રશંસા કરું છુ.
    કારણ, તે ન્યાયી છે.
    હું પરાત્પર યહોવાના નામને સન્માનવા સ્તોત્ર ગાઇશ.

યશાયા 1:10-20

10 હે યરૂશાલેમના રાજકર્તાઓ અને પ્રજાજનો, તમે સદોમના અને ગમોરાના રાજકર્તાઓ અને પ્રજાજનો જેવા થઇ ગયા છો. તમે યહોવાની વાણી સાંભળો, આપણા દેવના નિયમશાસ્ત્ર પ્રત્યે કાને ધરો. 11 યહોવા કહે છે, તમારા અસંખ્ય યજ્ઞો મારી આગળ તમે કર્યા છે છતાં તે મારે કોઇ કામના નથી. તમારા પુષ્ટ ઘેટાંની મારે જરૂર નથી. તમારાં અર્પણો, ગોધા, હલવાન તથા બકરાનું લોહી મને ભાવતું નથી. 12 તમને મારા માટે અર્પણો લાવવા કોણે કહ્યું હતું? મારા મંદિરના આંગણાને હવે જરાપણ કચડો નહિ.

13 “તમારા નકામા ખાદ્યાર્પણો લાવશો નહિ, ધૂપ તો મને તિરસ્કારરૂપ લાગે છે; ચંદ્રદર્શન, સાબ્બાથ દિવસો અને ધર્મમેળો એમાં કેવળ પાપીઓ જ ભેગા થાય છે. 14 તમારાઁ ચદ્રદર્શનને અને તમારા પર્વોને હું ધિક્કારું છું. હું તે સહન કરી શકતો નથી.

15 “પણ જો તમે મારી સામે તમારો હાથ ઉગામશો, ત્યારે હું મારી આંખો ફેરવી લઇશ. હવે વધારે હું તમારી પ્રાર્થનાઓને નહિ સાંભળું, કેમકે તમારો હાથ લોહીથી ખરડાયેલો છે.

16 “સ્નાન કરીને શુદ્ધ થાઓ. મારી આંખ આગળ દુષ્કૃત્યો કરવાનું બંધ કરો, ભૂંડા કામ કરવાના છોડી દો. અને ભલું કરતાં શીખો. 17 ન્યાયને માર્ગે ચાલો, જેમના પર ત્રાસ થાય છે તેમને બચાવો, અનાથનું રક્ષણ કરો, વિધવાઓ અને ગરીબોને મદદ કરો, તેમના પ્રત્યે માયાળુ બનો.”

18 યહોવા કહે છે, “આવો, આપણે એક સમજૂતી પર આવીએ. તમારાં પાપના ડાઘ ગમે તેટલા ઘેરા હશે, તો પણ હું તેને દૂર કરીશ. અને તમને તાજાં વરસેલાં હિમ જેવા; ને ઊન જેવા શ્વેત બનાવીશ.

19 “જો તમે રાજીખુશીથી આજ્ઞા પ્રમાણે વર્તશો, ને કામ કરશો તો તમે ધરતીનો મબલખ પાક ભોગવવા પામશો. 20 પણ જો તમે મારી આજ્ઞાઓનું ઉલ્લંઘન કરશો તો તમે તરવારના ભોગ થઇ પડશો.”

આ યહોવાના મુખનાં વચનો છે.

1 થેસ્સલોનિકીઓ 1

પાઉલ, સિલ્વાનુસ અને તિમોથી તરફથી થેસ્સલોનિકામા રહેતી મંડળી, તે મડંળી જોગ, દેવ બાપમાં અને પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં તમને કૃપા અને શાંતિ થાઓ.

થેસ્સલોનિકાના લોકોનો વિશ્વાસ અને જીવન

જ્યારે અમે પ્રાર્થના કરીએ છીએ ત્યારે અમે હંમેશા તમારા બધાનું સ્મરણ કરીએ છીએ અને તમારા બધા માટે અમે દેવની આભારસ્તુતિ કરીએ છીએ. જ્યારે અમે દેવ બાપને પ્રાર્થીએ છીએ ત્યારે તમારા વિશ્વાસને કારણે તમે જે કાર્યો કર્યા છે તેના માટે અમે સતત દેવનો આભાર માનીએ છીએ. અને તમારા પ્રેમને લીધે તમે જે કાર્યો કર્યો છે તેના માટે પણ અમે દેવનો આભાર માનીએ છીએ. અને તમે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં તમારી આશામાં દૃઢ બની રહો તે માટે અમે તેનો આભાર માનીએ છીએ.

ભાઈઓ અને બહેનો, દેવ તમને પ્રેમ કરે છે. અને અમે જાણીએ છીએ કે તમને તેના બનવા માટે તેણે પસંદ કર્યા છે. અમે તમને સુવાર્તા પહોંચાડી પરંતુ અમે ફક્ત શબ્દોનો જ ઉપયોગ ન કર્યો, અમે સુવાર્તાને સાર્મથ્યસહિત લઈ આવ્યા. અમે તેને પવિત્ર આત્મા અને પૂર્ણ જ્ઞાન સહિત લઈ આવ્યા જે સત્ય છે. તમારી સાથે અમે ઉપસ્થિત હતા ત્યારે અમે કેવું જીવન જીવતા હતા તે પણ તમે જાણો છો. અમે તમને મદદકર્તા થઈએ એ રીતે જીવ્યા હતા. અને તમે અમારા જેવા અને પ્રભુ જેવા બન્યા. તમે ઘણું સહન કર્યુ, પરંતુ તમે આનંદપૂર્વક પ્રભુની વાત સ્વીકારી. પવિત્ર આત્માએ તમને તે આનંદ આપ્યો.

તમે મકદોનિયા અને અખાયામાં તમામ વિશ્વાસીઓ માટે નમૂનારૂપ બન્યા. તમારા દ્વારા મકદોનિયા અને અખાયામાં પ્રભુની વાત ફેલાઈ અને દેવ પ્રતિ તમારો વિશ્વાસ સર્વત્ર પ્રગટ થયો છે. તેથી તમારા વિશ્વાસ વિષે અમારે કાંઈ કહેવાની જરુંર નથી. અમે જ્યારે તમારી સાથે હતા ત્યારે જે સદભાવપૂર્વક તમે અમને સ્વીકાર્યો તે વિષે લોકો સર્વત્ર વાત કરે છે. તમે કેવી રીતે મૂર્તિપૂજા બંધ કરી જીવતા અને સાચા દેવની સેવા કરવા તરફ વળ્યા તે વિષે લોકો વાત કરે છે. 10 તમે મૂર્તિપૂજા બંધ કરી અને હવે તમે આકાશમાંથી દેવનો દીકરો આવે તેની પ્રતીક્ષા કરો છો. દેવે તે દીકરાને મૂએલામાંથી ઉઠાડયો તે ઈસુ છે, કે જે આપણને દેવના આવનારા ન્યાયમાંથી બચાવે છે.

લૂક 20:1-8

યહૂદિ આગેવાનો ઈસુને પ્રશ્ર પૂછે છે

(માથ. 21:23-27; માર્ક 11:27-33)

20 એક દિવસ ઈસુ મંદિરમાં હતો. તે લોકોને બોધ આપતો હતો. ઈસુ દેવના રાજ્ય વિષેની સુવાર્તા લોકોને કહેતો હતો. ત્યારે મુખ્ય યાજકો, શાસ્ત્રીઓ અને વૃદ્ધ યહૂદિ આગેવાનો પણ ઈસુ સાથે વાત કરવા આવ્યા. તેઓએ કહ્યું કે, “અમને કહે! કયા અધિકારથી તું આ વસ્તુઓ કરે છે? આ અધિકાર તને કોણે આપ્યો?”

ઈસુએ ઉત્તર આપ્યો કે, “હું પણ તમને એક પ્રશ્ર પૂછીશ; મને કહો; જ્યારે યોહાને લોકોને બાપ્તિસ્મા આપ્યું ત્યારે તે આકાશમાંથી આવ્યું હતુ કે માણસોમાંથી?”

યાજકો, શાસ્ત્રીઓ, યહૂદિ આગેવાનો બધા આ અંગે વાતો કરવા લાગ્યા. તેઓ એકબીજાને કહેવા લાગ્યા. “જો આપણે ઉત્તર આપીશું કે, ‘યોહાનનું બાપ્તિસ્મા દેવથી થયુ હતુ તો એ કહેશે, તો તમે શા માટે યોહાનને માનતા નથી?’ પણ જો આપણે કહીએ કે, યોહાનનું બાપ્તિસ્મા માણસથી થયું હતુ તો પછી બધા લોકો આપણને પથ્થરોથી મારી નાખશે. કારણ કે તેઓ માને છે કે યોહાન એક પ્રબોધક હતો.” તેથી તેઓએ ઉત્તર આપ્યો કે, “અમે ઉત્તર જાણતા નથી.”

તેથી ઈસુએ તેઓને કહ્યું કે, “તો હું તમને કહેતો નથી કે કયા અધિકારથી હું આ કામો કરું છું.”

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International