Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 140

નિર્દેશક માટે. દાઉદનું ગીત.

હે યહોવા, દુષ્ટ માણસોથી મને મુકત કરો;
    જુલમગારોથી તમે મારું સદા રક્ષણ કરો.
તેઓ પોતાના અંતરમાં દુષ્ટ યોજનાઓ ઘડે છે;
    ને રોજ રોજ નવા ઝગડા ઊભા કર્યા કરે છે.
તેઓએ પોતાની જીભ સાપની જેવી તીક્ષ્ણ બનાવી છે;
    અને તેઓની જીભની નીચે નાગનું વિષ છે.

હે યહોવા, દુષ્ટોના હાથોમાંથી મને બચાવો;
    જેઓએ મને હાની પહોંચાડવાની યોજના કરી છે;
    એવા હિંસક માણસોથી તમે મને બચાવો.
હે ગવિર્ષ્ઠ માણસોએ મને પકડવા છટકું ગોઠવ્યું છે;
    આચકો મારીને મને ઊંચે ખેંચીને હવામાં લટકતા છોડવા માટે જાળ પાથરી છે;
    તેઓ મારા ઉપર જાળ નાખવા જાડીમાં છુપાયા છે.

મેં યહોવાને કહ્યું, તમે મારા દેવ છો;
    હે યહોવા, દયા માટેની મારી અરજ સાંભળો.
હે પ્રભુ યહોવા, મારા સમર્થ તારક;
    યુદ્ધના દિવસે તમે મારા શિરનું રક્ષણ કરો છો.
હે યહોવા, આ દુષ્ટો જે ઇચ્છે છે તે તેમની પાસે ન હોય.
    તેઓની યોજનાઓને સફળ થવા દેશો નહિ;
    નહિ તો તેઓ ઊંચા ઊઠશે.

તેઓના કાવતરાંની જાળમાં તેઓ જ ફસાય તેવું થાઓ;
    મારું ભૂંડુ થાય તે માટે તેમણે જે યોજનાઓ કરી છે
    તેનાથી તેઓનો જ નાશ થાય તેવું થાઓ.
10 ધગધગતા અંગારા તેમના મસ્તક પર પડો;
    અથવા તેઓને અગ્નિમાં ફેંકી દેવામાં આવે;
    અથવા તો ઊંડા ખાડાઓમાં નાખવામાં આવે જ્યાંથી તેઓ કદી બચી શકે નહિ.
11 જૂઠું બોલનારાઓને આ દેશમાં રહેવા દેશો નહિ,
    તે દુષ્ટ હિંસક માણસોનો શિકાર અને વિનાશ થવા દો!
12 મને જાણ છે કે, યહોવા નિર્ધન લોકોનો નિષ્પક્ષતાથી ન્યાય કરશે,
    અને ગરીબોનો હક જાળવશે.
13 યહોવાનો ભય રાખનારા ન્યાયીઓ ખરેખર તમારા નામનો આભાર માનશે;
    કારણકે, યથાર્થ મનુષ્યો તમારી સક્ષમતામાં જીવશે.

ગીતશાસ્ત્ર 142

દાઉદ ગુફામાં હતો તે સમયે લખાયેલી તેની પ્રાર્થના. દાઉદનું માસ્કીલ.

હું મોટા સાદે યહોવાને આજીજી કરું છું;
    અને દયા માટે ઊંચા સ્વરે વિનંતી કરું છું.
હું તેમની આગળ મારી ફરિયાદો વરસાવું છું
    અને મારી મુશ્કેલીઓ વિષે હું તેમને જણાવું છું.
હું બેહોશ થવાનો હોઉં,
    ત્યારે મને શું થાય છે તે તમે જાણો છો પણ જે રસ્તે હું ચાલું છું;
    તેમા તેઓએ ફંદા ગોઠવ્યા છે.

જ્યારે હું આજુબાજુ જોઉં છું,
    હું કોઇ મિત્રને જોતો નથી,
જે મને મદદ કરી શકે,
    અથવા મારી સંભાળ રાખી શકે અથવા મારો બચાવ કરી શકે.
હે યહોવા, મારી પ્રાર્થનામાં મે તમને પોકાર કર્યો અને કહ્યું,
    “યહોવા, મારી સંતાવાની જગા માત્ર તમે જ છો.
    આ જીવનમાં મારી પાસે જે બધું છે તે તમે છો.”
મારા પોકારો સાંભળો,
    કેમકે હું દુ:ખી છું;
જેઓ મારી પાછળ પડ્યાં છે તેમનાથી મને બચાવો;
    કારણકે તેઓ મારા કરતાં વધુ બળવાન છે.
મને બંદીવાસમાંથી બહાર લાવો,
    જેથી હું તમારો આભાર માની શકું.
તમારી સર્વ મદદને માટે દેવનો ભય રાખનારા
    મારી સાથે આનંદ કરશે તમે મારા માટે ઉદાર છો.

ગીતશાસ્ત્ર 141

દાઉદનું ગીત.

હે યહોવા, જલ્દીથી મને ઉત્તર આપો;
    કારણકે, મેં પ્રાર્થના કરી છે.
    મદદ માટેનો પોકાર સાંભળો.
મારી પ્રાર્થના તારી સંમુખ ધૂપ જેવી થાઓ,
    મારા ઊંચા થયેલા હાથો તે વેદી પરના સંધ્યાકાળના દહનાર્પણોની જેમ તમને સ્વીકાર્ય હો!

હે યહોવા, મારા મુખને બંધ રાખવા
    અને મારા હોઠોને બીડેલા રાખવા મને સહાય કરો.
મારા હૃદયમાં કંઇ દુષ્ટ વસ્તુ પ્રવેશે નહિ,
    જેથી દુષ્કર્મો કરનારની સાથે તેમના દુષ્ટકાર્યોમાં હું જોડાઉં નહિ
    અને તેઓ જે કરવા ચાહે છે તેમાં હું તેમને સાથ ન આપું.
જો કોઇ ન્યાયી માણસ મને સુધારે તો
    હું તેમને સારી વસ્તુ કરવા તરીકે સમજીશ.
તેમનો ઠપકો માથા પર તેલ નાખવા જેવો રહેશે.
    હું કદાપિ આવા સ્વાસ્થ્ય વર્ધકનો નકાર ન કરું!
પણ ખરાબ લોકોનાં દુષ્ટ કૃત્યો વિરુદ્ધ હું પ્રાર્થના કરીશ.
તેઓના ન્યાયધીશો પર્વતની ટોચ ઉપરથી પાડી નાખવામાં આવે.
    તેઓ સાંભળશે અને અનુભવશે કે મારાં શબ્દો સાચા અને મીઠાં છે.

જેમ કોઇ જમીન ખેડે અને આજુબાજુ ગંદકી ફેલાવે,
    તેમ અમારાં હાડકાં કબરના પ્રવેશ આગળ વિખરાયેલાં હતા.
પણ હે યહોવા પ્રભુ, હું મદદ માટે તમારી તરફ જોઉં છું.
    હું તમારો વિશ્વાસ કરું છું.
    મારા આત્માનો નાશ ન થવા દો.
તેઓએ મારા માટે ગોઠવેલા ફાંદાથી
    અને ભૂંડુ કરનારાઓએ ગોઠવેલી જાળમાથી મને બચાવો.
10 દુષ્ટો પોતાની જાળમાં ફસાઇ જાય,
    અને તમે મારી રક્ષા કરો.

ગીતશાસ્ત્ર 143

દાઉદનું ગીત.

હે યહોવા, મારી પ્રાર્થના સાંભળો,
    મારી આજીજીનો જવાબ આપો
    અને મને બતાવો કે તમે ભલા અને ન્યાયી છો.
હે યહોવા, મારી, તમારા સેવકની, ચકાસણી ન કરો,
    કારણ કે તમારી આગળ કોઇ નિર્દોષ મળશે નહિ.
મારા શત્રુઓ મારી પાછળ પડ્યા છે;
    તેઓએ મને જમીન પર પછાડ્યો છે,
અને અંધકારમાં પૂરી દીધો છે,
    જાણે હું મરી ગયો હોઉં તેમ.
માટે મારો આત્મા ઘણો મૂંઝાઇ ગયો છે;
    અને મારું અંત:કરણ સ્તબ્ધ થઇ ગયું છે.
હું ભૂતકાળનાં વર્ષો સ્મરું છું;
    તે વખતે તમે મહિમાવંત ચમત્કારો કર્યા હતાં;
    તેનું મનન કરું છું.
હું મારા હાથ તમારા ભણી પ્રસારું છું;
    સૂકી ધરતીની જેમ મારો જીવ તમારા માટે તરસે છે.

હે યહોવા, મને જલ્દી જવાબ દો કારણકે હવે
    હું નબળો થતો જાઉં છું;
તમે મારાથી મોઢું ફેરવશો તો
    હું મૃત્યુ પામીશ.
મને પ્રભાતમાં તમારી કૃપા અનુભવવા દો;
    કારણકે, હું તમારા પર ભરોસો રાખું છું.
જે માર્ગે મારે ચાલવું જોઇએ તે મને બતાવો, કારણકે,
    હું મારું જીવન તમારા હાથોમાં મૂકું છું.
મારા શત્રુઓથી તમે મારી રક્ષા કરો;
    સંતાવા માટે હું તમારે શરણે આવ્યો છું.
10 મને તમારી ઇચ્છા પ્રમાણે વર્તવાનું શીખવો;
    કારણકે તમે મારા દેવ છો;
તમારો ઉત્તમ આત્મા મને સત્યને માર્ગે દોરી જાઓ.
11 હે યહોવા, તમારા નામને માટે મને જીવાડો;
    તમારા ન્યાયીપણાથી મને મુશ્કેલીમાંથી બચાવો.
12 મારા પ્રત્યેની કૃપાથી તમે મારા શત્રુઓનો નાશ કરો;
    અને મારા આત્માને સતાવનારાઓનો સંહાર કરો;
કારણકે હું તમારો સેવક છું.

ઝખાર્યા 14:1-11

નિર્ણયનો દિવસ

14 જુઓ, યહોવાનો એક દિવસ આવશે, જ્યારે યરૂશાલેમમાંથી લીધેલી લૂંટ તમારા દેખતાં વહેંચી લેવાશે. કારણકે યહોવા બધી પ્રજાઓને યરૂશાલેમ સામે યુદ્ધે ચઢવા ભેગી કરશે, નગર કબજે કરવામાં આવશે. ઘરો લૂંટી લેવામાં આવશે અને સ્ત્રીઓને ષ્ટ કરવામાં આવશે; અડધું નગર દેશવટે જશે, પરંતુ બાકીના લોકો નગરમાં જ રહેશે. ત્યારબાદ યહોવા પોતે લડાઇને માટે સુસજ્જ થઇને તે દેશોની વિરુદ્ધ લડવા માટે જશે. તે દિવસે યહોવા યરૂશાલેમની પૂર્વમાં આવેલા જૈતૂનના પર્વત ઉપર ઊભા રહેશે, પછી એ જૈતૂન પર્વત પૂર્વથી પશ્ચિમ સુધી બે ભાગમાં વહેચાંઇ જશે, અને વચ્ચે એક મોટી ખીણ થઇ જશે, અડધો પર્વત ઉત્તર તરફ હઠી જશે અને બાકીનો અડધો દક્ષિણ તરફ. તમે પર્વતોની વચ્ચેની ખીણમાં થઇને નાસી જશો. તમારા વડવાઓ યહૂદિયાના રાજા ઉઝિઝયાના અમલ દરમ્યાન ધરતીકંપ વખતે ભાગી ગયેલા જેવા તમે લાગશો.

ત્યારબાદ તમારા દેવ યહોવા પોતાની સાથે સર્વ પવિત્ર લોકોને લઇને આવશે. તે દિવસે એ ખૂબ મહત્વનો દિવસ હશે, દિવસ પણ નહિ અને રાત પણ નહિ, ફકત યહોવા જ જાણે છે કે તે કેવી રીતે બનશે, સાંજે પણ અજવાળું હશે. તે દિવસે યરૂશાલેમમાંથી ઝરણું વહેવા માંડશે; અડધું પૂર્વ સમુદ્રમાં જશે અને અડધું પશ્ચિમ સમુદ્રમાં જશે. એ ઉનાળામાં તેમ જ શિયાળામાં પણ સતત વહેતું જ રહેશે. પછી યહોવા આખી પૃથ્વી ઉપર રાજ્ય કરશે. તે વખતે યહોવા જ એક દેવ હશે અને તે એક જ નામે ઓળખાશે. 10 યરૂશાલેમની આસપાસનો સમગ્ર પ્રદેશ ઉત્તરમાં ગેબાના મેદાનથી તે દક્ષિણમાં રિમ્મોન સુધી સપાટ મેદાન થઇ જશે, પણ યરૂશાલેમ બિન્યામીનના દરવાજાથી ખૂણાના દરવાજા સુધી જ્યાં પહેલાં એક દરવાજો હતો, અને હનાનએલના બુરજથી તે રાજાના દ્રાક્ષ ગૂંદવાના કૂંડાઓ સુધી, પોતાની જગ્યાએ ઊંચું જ રહેશે. 11 લોકો ત્યાં રહેવા માટે જશે. એના ઉપર પછી કદી શાપ ઉતરશે નહિ. યારૂશલેમ સહીસલામત રહેશે.

રોમનો 15:7-13

ખ્રિસ્તે તમને સ્વીકાર્યા, તેવી રીતે તમારે એકબીજાને સ્વીકારવા જોઈએ. એમ કરવાથી દેવને મહિમા મળશે. મારે તમને એ કહેવું છે કે દેવ જે વચન આપે છે તે સત્ય છે, એમ બતાવવા ખ્રિસ્ત યહૂદિઓનો સેવક થયો. દેવે યહૂદિઓના પૂર્વજોને જે જે વચનો આપ્યાં હતાં તે દેવ કરી બતાવશે, એ સાબિત કરવા માટે ખ્રિસ્તે આમ કર્યુ. અને બિનયહૂદિઓ પણ દેવની દયાને માટે સ્તુતિ કરે. શાસ્ત્રમાં લખ્યું છે,

“માટે હું બિનયહૂદિઓમાં તારી સ્તુતિ કરીશ;
    અને તારા નામનાં સ્ત્રોત્ર ગાઈશ.” (A)

10 શાસ્ત્ર તો આમ પણ કહે છે:

“દેવના માણસોની સાથે સાથે સૌ
    બિનયહૂદિઓએ પણ આનંદિત થવું જોઈએ.” (B)

11 વળી શાસ્ત્ર આમ પણ કહે છે:

“તમે સૌ બિનયહૂદિઓ પ્રભુની સ્તુતિ કરો;
    અને સઘળાં લોકો પ્રભુનાં ગુણગાન ગાઓ.” (C)

12 અને યશાયા પ્રબોધક કહે છે:

“યશાઈના વંશમાંથી[a] એક વ્યક્તિ આવશે.
    તે વ્યક્તિ બિનયહૂદિઓ પર રાજ કરવાને આવશે;
    અને એ વ્યક્તિને કારણે બિનયહૂદિઓને આશા પ્રાપ્ત થશે.” (D)

13 હવે દેવ કે જેના પર તમે આશા રાખો છો, તે તમને તમારા વિશ્વાસને પૂર્ણ આનંદ અને શાંતિથી ભરી દો. જેથી કરીને તમે તે પવિત્ર આત્માના સાર્મથ્ય દ્વારા ભરપૂર આશાથી છલકાઈ જાઓ.

લૂક 19:28-40

યરૂશાલેમમાં ઈસુનો પ્રવેશ

(માથ. 21:1-11; માર્ક 11:1-11; યોહ. 12:12-19)

28 આ બાબતો કહ્યા પછી ઈસુએ યરૂશાલેમ તરફની મુસાફરી ચાલું રાખી. 29 ઈસુ બેથફગે તથા બેથાનીયા શહેર પાસે જૈતૂન નામના પહાડ નજીક આવ્યો. ઈસુએ તેના બે શિષ્યોને મોકલ્યા. 30 તેણે કહ્યું કે, “તમે ત્યાં જે શહેર જુઓ છો ત્યાં જાઓ, જ્યારે તમે શહેરમાં પ્રવેશસો તો તમે એક (ગધેડાનું) વછેરું ત્યાં બાધેલું જોશો. આ વછેરા પર કોઈએ કદાપિ સવારી કરી નથી. વછેરાને છોડીને મારી પાસે લઈ આવો. 31 જો કોઈ વ્યક્તિ તમને પૂછે કે તમે વછેરાને શા માટે લઈ જાઓ છો. તમારે કહેવું, ‘પ્રભુને આ વછેરાની જરૂર છે.’”

32 બે શિષ્યો શહેરમાં ગયા. ઈસુએ તેઓને કહ્યું હતું તે પ્રમાણે જ તેઓને વછેરું મળ્યું. 33 શિષ્યોએ વછેરાને છોડ્યું. પણ વછેરાના માલિકો બહાર આવ્યા. તેઓએ શિષ્યોને કહ્યું કે, “તમે અમારા વછેરાને શા માટે છોડો છો?”

34 શિષ્યોએ ઉત્તર આપ્યો કે, “પ્રભુને તેની જરુંર છે.” 35 તેથી ઈસુની પાસે તે શિષ્યો વછેરાને લાવ્યા. શિષ્યોએ વછેરાની પીઠ પર તેઓનાં લૂગડાં મૂક્યા. પછી તેઓએ ઈસુને વછેરા પર બેસાડ્યો. 36 ઈસુએ યરૂશાલેમના રસ્તે વછેરા પર સવારી કરી. શિષ્યો ઈસુની આગળ પોતાના લૂગડાં રસ્તા પર પાથરતાં હતા.

37 ઈસુ યરૂશાલેમની નજીક આવતો હતો. તે લગભગ જૈતૂનના પહાડની તળેટી નજીક આવ્યો હતો. શિષ્યોનો આખો સમૂહ ખુશ હતો. તેઓ ખૂબ ઉત્સાહમાં હતા. તેઓએ દેવની સ્તુતિ કરી. તેઓએ બધાજ પરાક્રમો જોયા હતા તે માટે દેવની સ્તુતિ કરી. 38 તેઓએ કહ્યું કે,

“‘પધારો! પ્રભુના નામે જે રાજા આવે છે તેને ધન્ય છે!’ (A)
આકાશમાં શાંતિ તથા પરમ ઊંચામાં મહિમા થાઓ!”

39 કેટલાએક ફરોશીઓ જે ટોળામાં હતાં તેઓએ ઈસુને કહ્યું કે, “ઉપદેશક, તારા શિષ્યોને કહે કે આવી વાતો ના ઉચ્ચારે!”

40 ઈસુએ ઉત્તર આપ્યો કે, “હું તમને કહું છું, આ બાબતો કહેવાવી જોઈએ. જો મારા શિષ્યો આ નહિં કહે તો આ પથ્થરો તેઓને બૂમો પાડીને કહેશે.”

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International