Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 118

યહોવાનો આભાર માનો; કારણકે તે ભલા છે
    તેમનો સાચો પ્રેમ સદાય રહે છે.
ઇસ્રાએલના પ્રજાજનો, તેમની સ્તુતિ કરો આ શબ્દોથી,
    “તેમની કૃપા સદાય રહે છે.”
હારુન પુત્રો, આ પ્રાર્થના ગીત ગાઓ,
    “તેમનો સાચો પ્રેમ સદાય રહે છે.”
યહોવાના અન્ય ભકતો, તમે પણ કહો કે;
    “તેમનો સાચો પ્રેમ સદાય રહે છે.”

મારા સંકટમાં મેં યહોવાને વિનંતી કરી;
    તેમણે મને ઉત્તર આપી ને મને બચાવ્યો.
યહોવા મારા પક્ષમાં છે, મને ડર શાનો?
    પૃથ્વી પરનો માણસ મને શું કરી શકે?
યહોવા મને મદદ કરશે, તે મારા પક્ષમાં છે;
    તેથી મારી સગી આંખે હું મારા શત્રુઓને પરાજીત થતાં જોઇશ.
માણસો પર ભરોસો રાખીએ તે કરતાં;
    યહોવા પર ભરોસો રાખીએ તે વધુ સારુ છે.
સમર્થ રાજાઓના આશ્રયે જવું તે કરતાં;
    યહોવામાં આશ્રય મેળવવો તે વધું સારો છે.

10 બધી પ્રજાઓએ મને ઘેરી લીધો છે,
    પણ હું યહોવાનું નામ લઇને તેમને પરાજીત કરીશ.
11 હા, મને શત્રુઓએ ઘેર્યો હતો ખરેખર તેમણે મને ઘેર્યો હતો;
    પણ યહોવાના નામેં હું તેમને હરાવીશ.
12 તેઓએ મને મધમાખીઓની જેમ ઘેર્યો હતો;
    પણ તેઓ સળગતાં કાંટાની જેમ તુરંત જ ઓલવાઇ ગયા છે.
    હું તેમને યહોવાનું નામ લઇને હરાવીશ.

13 ઓ મારા શત્રુઓ, તમે મારો વિનાશ કરવા ઘણી મહેનત કરી.
    પણ મને યહોવાએ સહાય કરી.
14 પણ યહોવા મારું સાર્મથ્ય છે અને વિજયગીત છે;
    તે જ મારું તારણ થયા છે.
15 સદાચારીઓના મંડપમાં, વિજયોત્સવના હર્ષનાદ સંભળાય છે,
    યહોવાનો જમણો હાથ બહાદુરીના કાર્યો કરે છે.
16 યહોવાનો જમણો હાથ ઊંચો થયેલો છે;
    અને યહોવાનો જમણો હાથ પરાક્રમ કરે છે.

17 હું મરીશ નહિ પણ હું જીવતો રહીશ;
    અને યહોવાએ કરેલા સર્વ કાર્યોને ઉચ્ચારીશ.
18 યહોવાએ મને ભારે શિક્ષા કરી,
    પણ તેણે મને મૃત્યુને સ્વાધીન કર્યો નથી.
19 ન્યાયીપણાનું પ્રવેશદ્વાર ઉઘાડો, હું તેમા થઇને જઇશ;
    અને યહોવાનો આભાર માનીશ.
20 એ દ્વાર યહોવાની સમક્ષ જવાનું છે;
    યહોવાનો ભય રાખનાર ન્યાયીઓ તેમાં જશે.
21 હે યહોવા, તમે મારી પ્રાર્થનાનો જવાબ આપ્યો છે;
    અને મારો ઉદ્ધાર કર્યો છે, હું તમારો આભાર માનું છું.

22 જે પથ્થરને ઘર બાંધનારાઓએ નકાર્યો હતો;
    તે જ ખૂણાનો મુખ્ય પથ્થર થયો છે.
23 આ કાર્ય તો યહોવાથી થયું છે;
    આપણી દ્રૃષ્ટિમાં તે આશ્ચર્યકારક છે.
24 યહોવાએ આપણને આ દિવસ આપ્યો છે;
    આપણે તેમાં આનંદોત્સવ કરીએ.

25 હે યહોવા, અમારી ઉપર દયા રાખ અને અમને તારણ આપો;
    હે યહોવા, અમારી પર દયા કર અને મહેરબાની કરીને અમને સફળ બનાવો.
26 યહોવાને નામે જે આવે છે તેને ધન્ય છે;
    યહોવા મંદિરમાંથી અમે તમને આશીર્વાદ દીધો છે.
27 યહોવા તે જ દેવ છે અને તે અમારો પ્રકાશ છે.
    બલિદાન માટે બાંધેલા ઘેટાને વેદીના શિંગ તરફ લઇ જતાં ઉત્સવના સરઘસમાં તમે બધાં જોડાઇ જાઓ.

28 તમે મારા યહોવા, હું તમારો આભાર માનીશ;
    તમે મારા દેવ છો, હું તમને મોટા માનીશ.
29 યહોવાનો આભાર માનો, તે ઉત્તમ છે;
    અને તેમની કૃપા સર્વકાળ ટકે છે.

ગીતશાસ્ત્ર 145

દાઉદનું ગીત.

હે મારા દેવ, મારા રાજા, હું તમારા નામનું ગૌરવ વધારીશ!
    હું તમારા નામની સ્તુતિ સદાય અને હંમેશા કરીશ!
હું પ્રતિદિન તમારી પ્રશંશા કરીશ,
    અને સદા હું તમારા નામની સ્તુતિ ગાઇશ.
યહોવા મહાન છે તે બહુ જ સ્તુતિપાત્ર છે;
    તેમની મહાનતાનો તાગ પામી શકાય તેમ નથી.
પેઢી દરપેઢી તમારાં કામની પ્રશંસા થશે;
    અને તમારા પરાક્રમનાં કાર્યો પ્રગટ કરાવાશે.
હું તમારી મહાનતા અને તમારા મહિમા વિષે બોલીશ;
    હું તમારા અદ્ભૂત ચમત્કારો વિષે ચર્ચા કરીશ.
લોકો તમારાં પરાક્રમી કૃત્યોનું સાર્મથ્ય પ્રગટ કરશે;
    હું તમારી મહાનતા વર્ણવીશ.
તેઓ તમારા અનહદ પરોપકારનું સ્મરણ કરીને તમારી કીર્તિ ગજાવશે;
    અને તમારા ન્યાયીપણા વિષે ગીતો ગાશે.

યહોવા દયાળુ અને કૃપાળુ છે;
    તે ક્રોધ કરવામાં ધીમા અને પ્રેમથી ભરપૂર છે.
તેઓ પ્રત્યેક સાથે ભલા છે;
    અને તે જે કરે છે, તેમાં તેમની દયાની પ્રતીતિ થાય છે.
10 હે યહોવા, જે બધાં તમારું સર્જન છે તે બધાં તમારો આભાર માનો,
    અને તમારા ભકતો તમારી સ્તુતિ કરે.
11 તેઓ ભેગા મળીને તમારા રાજ્યના મહિમા વિષે વાત કરશે; અને
    તમારું પરાક્રમ પ્રગટ કરશે.
12 જેથી સર્વ લોકો તમારા ચમત્કાર વિષે,
    તથા તમારા રાજ્યના મહિમા વિષે અને પ્રતાપ વિષે જાણે.
13 કારણકે તમારા રાજ્યનો અંત કદી આવતો નથી;
    અને તમારું શાસન પેઢી દરપેઢી ચાલું રહે છે.

14 ભંગિત થયેલ સૌનો આધાર યહોવા પોતે છે;
    બોજા તળે કચડાયેલાઓને તે બળવાન કરે છે.
15 સર્વ કોઇ તમને આતુરતાથી જોઇ રહ્યાં છે.
    અને તેઓની જરૂરિયાત પ્રમાણે તમે અન્ન પૂરું પાડો છો.
16 પ્રત્યેક સજીવોની ભૂખ
    અને તરસ તમે સતત સંતોષો છો.
17 યહોવા જે કઇ કરે છે તે સર્વમાં પ્રામાણિક
    અને દયાથી ભરપૂર છે.
18 જેઓ પ્રામાણિકપણે તેમને મદદ માટે પોકારે છે;
    તેઓની સાથે યહોવાની આત્મીયતા રહે છે.
19 યહોવાનો ભય રાખનારા, અને તેમના પર ભરોસો રાખનારાઓની મનોકામનાઓ પૂર્ણ કરે છે;
    સદાય માટેની તેમની વિનંતીઓ સાંભળીને તેઓને છોડાવે છે.
20 તેમના પર પ્રેમ રાખનારા સર્વ કોઇનું તે રક્ષણ કરે છે;
    પણ દુષ્ટોનો નાશ કરે છે.
21 હું મારા મુખે યહોવાની સ્તુતિ કરીશ;
    તેમના પવિત્ર નામની સ્તુતિ દરેક જણ સદાકાળ કરતો રહેશે!

ઝખાર્યા 9:9-16

ભવિષ્યનો રાજા

સિયોનના લોકો, આનંદોત્સવ મનાઓ,
    હે યરૂશાલેમના લોકો, હર્ષનાદ કરો! કારણ, જુઓ,
તમારો રાજા તમારી પાસે આવે છે.
    તે વિજયવંત થઇને આવે છે.
    પણ નમ્રપણે, ગધેડા પર સવારી કરીને, ખોલકાને-ગધેડીના બચ્ચાને વાહન બનાવીને આવે છે.
10 તે એફ્રાઇમ અને યરૂશાલેમમાં યુદ્ધના રથોને,
    અશ્વોને અને શસ્ત્રોનો નાશ કરશે.

સમગ્ર પ્રજાઓમાં તે શાંતિ સ્થાપશે,
    અને તેનું રાજ્ય સાગરથી સાગર સુધી
    અને ફ્રાતનદીથી પૃથ્વીના છેડા સુધી વિસ્તરશે.

યહોવા પોતાના લોકોની રક્ષા કરશે

11 યહોવા કહે છે, “તમારી સાથે લોહીથી કરેલા કરાર મુજબ
    હું દેશવટો ભોગવતા તમારા ભાઇઓને કારાવાસની ગર્તામાંથી મુકત કરું છું.
12 તમે સઘળા બંદીવાનો, સુરક્ષિત જગ્યાએ આવો,
    હજુ પણ આશા છે, હું આજે તમને કહું છું કે,
હું તમને તમે ભોગવેલાં કષ્ટો કરતા
    બેવડા આશીર્વાદ આપીશ.
13 ગ્રીસના લશ્કર સામે લડવા માટે
    યહૂદિયા મારું ધનુષ થશે,
ઇસ્રાએલ મારું તીર થશે
    અને સિયોન પુત્રો મારી વીંઝાતી તરવાર થશે.”
14 યહોવા તેઓને દેખાશે,
    અને તેના તીર વીજળીની જેમ પ્રહાર કરશે;
યહોવા મારા પ્રભુ, રણશિંગું વગાડશે
    અને દક્ષિણમાં વંટોળિયાની જેમ યહોવા તેમના શત્રુઓની સામે જશે.
15 સૈન્યોનો દેવ યહોવા તેમની ઢાલ થશે,
    અને તેઓ દુશ્મનોને પથ્થરથી નાશ કરી નાખશે,
    તેઓ લોહી દ્રાક્ષારસની જેમ પીશે.
તેઓ વેદીના ખૂણાઓ પરના પ્યાલાઓમાંથી જેવી રીતે રેડાય છે,
    તેવી રીતે લોહી રેલાવશે.
16 તે સમયે તેમનો દેવ યહોવા કોઇ
    ભરવાડ ઘેટાંને બચાવી લે તેમ
    તેના પોતાના લોકોને તે ઉગારી લેશે,
અને તેઓ રાજમુગુટમાં જડેલાં રત્નોની
    જેમ પોતાના સમગ્ર પ્રદેશમાં ઝગમગશે.

1 પિતર 3:13-22

13 જો તમે હંમેશા સત્કર્મને સમર્પિત હો તો કોઇ પણ વ્યક્તિ તમને નુકસાન પહોંચાડી શકશે નહિ. 14 પરંતુ સત્કર્મ કરવા છતાં પણ તમારે દુ:ખ સહન કરવું પડે. જો આમ થાય તો તમને ધન્ય છે. તમને દુ:ખી કરનાર લોકોથી ગભરાશો નહિ કે મુશ્કેલી અનુભવશો નહિ. 15 પરંતુ ખ્રિસ્તને તમારા પ્રભુ તરીકે તમારા હ્રદયમાં પવિત્ર માનો. તમારી આશા માટે સંદેહ કરે તેને પ્રત્યુત્તર આપવા હંમેશા તૈયાર રહો. 16 પરંતુ તમારો પ્રત્યુત્તર વિનમ્ર અને માનસહિત હોવો જોઈએ. તમે હંમેશા સારું કરો છો તેવી લાગણી અનુભવવા માટે સાર્મથ્યવાન બનો. તમે જ્યારે આમ કરશો ત્યારે, તમારા માટે ખરાબ બોલનાર લોકો શરમાશે. ખ્રિસ્તમાંની તમારી સારી ચાલની તેઓ નિંદા કરે છે અને તેથી તમારા વિષે ખરાબ માટે તેઓ શરમાશે.

17 ખરાબ કામ કરી અને સહન કરવું એના કરતાં સારું કામ કરી અને સહન કરવું તે વધારે સારું છે. હા, જો દેવ તમે ઈચ્છતો હોય તો તે વધારે સારું છે.

18 ખ્રિસ્ત પોતે તમારા માટે મરણ પામ્યો.
    અને મરણ તે તમારા પાપની એક ચૂકવણી હતી.
તે ગુનેગાર નહોતો.
    પણ ગુનેગાર લોકો માટે તે મરણ પામ્યો.
    તમને બધાને દેવની નજીક લાવવા
તેણે આમ કર્યુ તેનું શરીર મરણ પામ્યું,
    પરંતુ આત્મા દ્ધારા તે સજીવન થયો.

19 તે કારાવાસમાં ગયો અને આત્માઓને આત્મામાં ઉપદેશ કર્યો. 20 તે એ આત્માઓ હતા કે જેમણે ઘણો વખત પહેલા એટલે કે નૂહના સમયમાં દેવની અવજ્ઞા કરનારા હતા. જ્યારે નૂહ વહાણ બાંધી રહ્યો હતો ત્યારે દેવ ધીરજપૂર્વક રાહ જોઈ રહ્યો હતો. તે વહાણમાં માત્ર થોડાક જ લોકોને બચાવવામાં આવ્યા હતા. તેઓ આઠ જણ હતા. તે લોકો પાણીથી બચાવી લેવાયા. 21 એ દષ્ટાત પ્રમાણે તે પાણી બાપ્તિસ્મા સમાન છે જે તમને અત્યારે બચાવે છે. બાપ્તિસ્મા એ શરીરનો મેલ દૂર કરવાની પ્રક્રિયા નથી. બાપ્તિસ્મા તો ઈશ્વર પાસે શુદ્ધ હ્રદય માટેની એક યાચના છે. તે તમને બચાવે છે કારણ કે ઈસુ ખ્રિસ્ત મૂએલામાંથી પુનરૂત્થાન પામ્યો હતો. 22 હવે, ઈસુ આકાશમાં ગયો છે. તે દેવની જમણી બાજુએ છે. તે દૂતો, અધિકારીઓ, અને પરાક્રમીઓ પર રાજ કરે છે.

માથ્થી 21:1-13

ઈસુનો રાજાની માફક યરૂશાલેમમાં પ્રવેશ

(માર્ક 11:1-11; લૂ. 19:28-38; યોહ. 12:12-19)

21 ઈસુ અને તેના શિષ્યો યરૂશાલેમની નજીક જૈતૂન પહાડ પર બેથફગે ગામ સુધી આવ્યા. ત્યારે ઈસુએ બે શિષ્યોને મોકલ્યા. ઈસુએ તેના શિષ્યોને કહ્યું, “જે ગામ તમે સામે જુઓ છો ત્યાં જાઓ. તમે ત્યાં પ્રવેશ કરશો, એટલે એક ગધેડાને અને તેના બચ્ચાંને બાંધેલા જોશો, તેને છોડીને અહીં લઈ આવો. જો કોઈ તમને કઈ પૂછે તો એટલું જ કહેજો કે, ‘પ્રભુને તેની જરુંર છે. પછી એ તેને તરત જ મોકલી આપશે.’”

પ્રબોધક દ્વારા જે કહેવાયું હતું તે પૂર્ણ થાય તે માટે આમ થયું:

“સિયોનની દીકરી,
    ‘જો તારો રાજા તારી પાસે આવે છે,
તે નમ્ર છે તથા એક ગધેડા પર,
    એક કામ કરનાર પ્રાણીથી જન્મેલા નાના ખોલકા પર
    સવાર થઈન આવે છે.’”(A)

શિષ્યો ગયા અને ઈસુએ કહ્યું તે પ્રમાણે કર્યુ. શિષ્યો ગધેડી અને નાના ખોલકાને ઈસુ પાસે લાવ્યા. તેઓએ તેમના લૂગડાં ખોલકા પર મૂક્યા, ઈસુ તે પર બેઠો. લોકોમાંથી ઘણાએ પોતાનાં વસ્ત્રો ઈસુના માર્ગમાં બિછાવ્યાં. જ્યારે ઘણા લોકોએ વૃક્ષોની ડાળીઓ કાપીને તેના માર્ગમાં બીછાવી. કેટલાક લોકો ઈસુની આગળ ચાલી રહ્યા હતા, કેટલાક ઈસુની પાછળ ચાલતા હતા. તેઓ પોકારતા હતા,

“દાઉદના દીકરાને હોસાન્ના!
    ‘પ્રભુના નામે જે આવે છે તેને ધન્ય છે. પરમ ઊચામાં હોસાન્ના.’(B)

આકાશમાં દેવનો મહિમા થાઓ!”

10 પછી ઈસુ યરૂશાલેમમાં દાખલ થયો. શહેરના બધા જ લોકો મૂંઝાઈ ગયા. તેઓએ પૂછયું, “આ માણસ કોણ છે?”

11 તે ટોળામાંથી ઘણાએ ઉત્તર આપ્યો, “આ તો ગાલીલના નાસરેથમાંનો પ્રબોધક ઈસુ છે.”

ઈસુનો મંદિરમાં પ્રવેશ

(માર્ક 11:15-19; લૂ. 19:45-48; યોહ. 2:13-22)

12 ઈસુ મંદિરમાં ગયો અને જેઓ વેચાણ કરવાનો અને ખરીદવાનો ધંધો મંદિરમાં કરતા હતા તે બધાને હાંકી કાઢયા અને શરાફોના ગલ્લા અને કબૂતર વેચનારાઓના આસનો તેણે ઊંધા વાળ્યા. 13 તેણે ત્યાં હાજર હતા તે બધાજ લોકોને જણાવ્યું કે, “શાસ્ત્રમાં લખ્યું છે કે ‘મારું ઘર પ્રાર્થનાના ઘર તરીકે ઓળખાશે.’(C) પરંતુ તમે તો તેને ‘લૂટારાની ગુફા’(D) બનાવી દીઘી છે.”

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International