Book of Common Prayer
નિર્દેશક માટે. રાગ: “ના કરશો વિનાશ.” આસાફના સ્તુતિગીતોમાંનુ એક.
1 હે યહોવા, અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ, તમારું નામ સન્નિધ છે;
માટે તમારો આભાર માનીએ છીએ.
લોકો તમારા આશ્ચર્યકારક કામો પ્રગટ કરે છે.
2 યહોવાએ પ્રત્યુતર આપ્યો, “હા, હું ચોક્કસપણે ચુકાદા માટે સમય પસંદ કરીશ
અને નિષ્પક્ષતાથી ન્યાય કરીશ.
3 પૃથ્વી અને તેનાં બધાં નિવાસીઓ કદાચ ધ્રુજતાં હશે,
અને પડવાની તૈયારીમાં હશે પણ હું તેને સ્થિર કરીશ.
4 “મેં ધમંડીઓને અભિમાન નહિ કરવાં ચેતવણી આપી છે
અને દુષ્ટોને મેં કહ્યું છે કે, ‘ઘમંડ કરીને ડંફાસ ન મારો.’
5 શિંગ ઉંચું કરીને અભિમાન સાથે ન બોલો
ઘમંડ કરીને ડંફાસ ન મારો.”
6 તેથી જે લોકોને મહત્વના બનાવે તે નથી પૂર્વમાંથી કે નથી પશ્ચિમમાંથી આવતો.
તે રણ પર્વતોમાંથી પણ નથી આવતો.
7 પણ દેવ છે, તે જ ન્યાયાધીશ છે;
તે એકને નીચે પાડી નાખે છે,
અને બીજાને ઊંચો કરે છે.
8 યહોવાના હાથમાં કડક ક્રોધના દ્રાક્ષારસનો પ્યાલો છે;
ને ન્યાય ચુકાદો છે જે પૃથ્વી પરના
દુષ્ટો પર રેડી દેવાય છે.
અને દુષ્ટોએ તેને છેલ્લાં ટીપાં સુધી પીવો પડશે.
9 પરંતુ હું તો સદાકાળ બીજાઓને આ બાબતો માટે કહીશ.
અને હું યાકૂબના દેવની સ્તુતિઓ ગાઇશ.
10 યહોવા કહે છે કે, “હું દુષ્ટ લોકોનાં સાર્મથ્યને નષ્ટ કરીશ,
પરંતુ હું ન્યાયીઓનાં શિંગ ઊંચા કરીશ.”
નિર્દેશક માટે. વાજીંત્રો સાથે. આસાફનું સ્તુતિ ગીત.
1 યહૂદિયામાં દેવ પ્રગટ થયેલો છે,
ઇસ્રાએલમાં તેમના નામનો ઊંચો આદર છે.
2 તેમનો મંડપ યરૂશાલેમમાં છે,
અને તેમનું નિવાસસ્થાન સિયોનમાં છે.
3 ત્યાં તેણે ચળકતાં બાણોને ભાંગી નાખ્યાં,
ઢાલ-તરવારને શસ્ર ભાંગી નાઁખ્યાં.
4 દેવ, તમે તમારા શત્રુઓને જ્યાં હરાવ્યાં તે ટેકરીઓ પાછળથી
તમે આવો છો ત્યારે તમે મહિમાવંત લાગો છો.
5 જેઓ શૂરવીર છે, તેઓ લૂંટાયા છે,
ને ચિર નિંદ્રાવશ થયા છે;
અને કોઇ પરાક્રમીઓના હાથથી કઁઇ પણ થઇ શક્યું નથી.
6 હે યાકૂબના દેવ, તમારી ધમકીથી રથ
અને ઘોડા બંને ચિરનિદ્રામાં પડ્યાં છે.
7 દેવ તમે ભયાવહ છો, તમે કોપાયમાન હો
ત્યારે તમારી સામે કોણ ઊભું રહી શકે?
8 તમે આકાશમાંથી ન્યાય ચુકાદો ફરમાવ્યો,
અને ધરતી ભયભીત બની શાંત થઇ ગઇ.
9 હે દેવ, તમે ન્યાય કરવા માટે
તથા દેશના નમ્ર લોકોને બચાવવા માટે ઊભા થયા છો.
10 તમારા માણસો વિરુદ્ધ કોપ તમારી ખચીત પ્રશંસા કરાવશે;
અને તમારો જે કોપ બાકી રહ્યો તે તમે તમારી કમરે બાંધશો.
11 જે પ્રતિજ્ઞાઓ તમે યહોવા તમારા દેવની સમક્ષ લીધેલી છે
તે તમે પૂર્ણ કરો.
ભયાવહ દેવ સમક્ષ તમે સૌ,
તમારા દાન લાવો.
12 પૃથ્વીના રાજાઓ તેમનો ભય રાખે છે,
કારણ સરદારોનો ગર્વ તે તોડી નાખે છે.
દાઉદનું ગીત.
1 યહોવા મારા પાલનકર્તા છે.
તેથી મને કશી ખોટ પડશે નહિ.
2 તે મને લીલાં બીડમાં સુવાડે છે
અને મને શાંત જળની તરફ દોરી જાય છે.
3 તે મને નવું સાર્મથ્ય ને તાજગી આપે છે.
તેમનાં નામનો મહિમા વધે તે માટે
તે મને ન્યાયીપણાને માર્ગે ચલાવે છે.
4 મૃત્યુની કાળી ખીણમાં પણ મારે ચાલવાનું હશે તો હું ડરીશ નહિ;
કારણ હે યહોવા, તમે મારી સાથે છો,
તમારી લાકડી તથા તમારી છડી મને દિલાસો દે છે.
5 તમે મારા દુશ્મનોની સામે મારું મેજ ગોઠવો છો.
અને મારા માથા પર તેલ રેડો છો.
મારો પ્યાલો તમે વરસાવેલા આશીર્વાદથી છલકાઇ જાય છે.
6 તમારી ભલાઇ અને દયા મારા જીવનનાં સર્વ દિવસોમાં મારી સાથે રહેશે;
અને હું યહોવાની સાથે તેના ઘરમાં લાંબા સમય સુધી રહીશ.
દાઉદનું ગીત.
1 યહોવા મારું તારણ અને પ્રકાશ છે;
શા માટે મારે કોઇથીય ડરવું?
યહોવા, મારા જીવનનું સાર્મથ્ય છે,
શા માટે મારે કોઇનાથી ડરવું?
2 જ્યારે દુષ્ટ શત્રુઓ મારો સંહાર કરવા આવશે,
ત્યારે તેઓ ઠોકર ખાઇને નીચે પડશે.
3 ભલે સૈન્ય મારી વિરુદ્ધ છાવણી નાખે,
તો પણ હું જરાય ડરવાનો નથી;
ભલે એ મારી વિરુદ્ધ યુદ્ધ કરે;
પણ મને યહોવા પર ભરોસો છે કે, તેઓ મારું રક્ષણ કરશે.
4 હું એકજ વસ્તુ માંગુ છું યહોવાથી,
“મારા જીવનના સર્વ દિવસો પર્યંત
મને યહોવાનાં મંદિરમાં બેસવા દો
જેથી સદા યહોવાના દિવ્ય સૌંદર્યનું અવલોકન કરી શકું
અને તેમના પવિત્રસ્થાનની મુલાકાત કરું.”
5 સંકટના સમયે તેઓ ખરેખર
મને પોતાના પવિત્ર મંડપમાં સંતાડી દેશે.
અને મને તેમની સુરક્ષિત જગાએ લઇ જશે.
6 મારા શત્રુઓ મને ઘેરી વળ્યા છે, પણ તેમને હરાવવા યહોવા મારી મદદ કરશે.
હું તેના મંડપમાં હર્ષનાદ સાથે અર્પણો ચઢાવીશ.
હું સ્તુતિગીતો ગાઇશ, અને તેઓ જે મારો આભાર યહોવાને વ્યકત કરે.
7 હે યહોવા, મારી વિનંતી સાંભળો.
મારા પર દયા કરીને મને જરૂરી સહાયતા આપો.
8 મારું હૃદય તમારા વિષે કહે છે કે તમે ઇચ્છો છો કે અમે તમને શોધીએ, તેથી હે યહોવા,
હું તમારી પાસે તમારૂં મુખડું શોધવા આવું છું.
9 હે યહોવા, હું તમારી પાસે આવું છું.
તમે તમારું મુખ મારાથી ફેરવશો નહિ.
તમારા આ સેવક પર ગુસ્સો ન કરો, હે મારા તારણહાર,
મારા દેવ, હવે મને છોડી ન દેતા
અને મને તજી ન દો.
10 મારા માતાપિતાએ મને તજી દીધો છે,
પરંતુ યહોવા મને સંભળશે અને સ્વીકારશે.
11 હે યહોવા, મને કહો, હવે મારે શું કરવું?
હું શત્રુઓથી ધેરાએલો છું અને તમારી મદદની રાહ જોઉ છું માટે હવે
મને તમે સત્કર્મના સરળ માર્ગે દોરી જાઓ.
12 હે યહોવા, મને મારા શત્રુઓના હાથમાં સુપ્રત ન કરો.
કારણકે તેઓએ મારા ઉપર ખોટા આરોપો મૂક્યાં છે
તથા તેઓ હંમેશા મને નિષ્ઠુરતાથી ઇજા પહોંચાડવાની યોજનાઓ કરે છે.
13 હું આશા રાખું છું કે યહોવા ખરેખર મને ફરીથી છોડાવશે,
અને હું આ જીવનમાં તેમની દયાનો અનુભવ કરીશ.
14 તું યહોવાની રાહ જોજે, ધૈર્ય ગુમાવીશ નહિ;
તેઓ જરૂર આવશે અને તને બચાવશે;
બળવાન થા અને હિંમત રાખ;
હા, તું યહોવાની રાહ જોજે,
તેઓ તને સહાય કરશે.
બાબિલોનનો વિનાશ
18 પછી મેં બીજા એક દૂતને આકાશમાંથી નીચે આવતા જોયો. આ દૂત પાસે વધારે સત્તા હતી. તે દૂતના મહિમાથી પૃથ્વી પ્રકાશિત થઈ. 2 તે દૂતે મોટા શક્તિશાળી અવાજ સાથે બૂમ પાડી કે:
“તેનો વિનાશ થયો છે!
તે મોટા શહેર બાબિલોનનો નાશ થયો છે!
તે ભૂતોનું ઘર બન્યું.
તે શહેર દરેક અશુદ્ધ આત્માઓને રહેવા માટેનું સ્થળ બન્યું છે.
તે બધી જાતના અશુદ્ધ પક્ષીઓથી ભરેલું શહેર બન્યું છે.
તે બધા અશુદ્ધ તિરસ્કૃત પ્રાણીઓનું શહેર બન્યું છે.
3 પૃથ્વી પરના બધા લોકોએ તેના વ્યભિચારના પાપનો તથા દેવના કોપનો દ્રાક્ષારસ પીધો છે.
પૃથ્વી પરના રાજાઓએ તેની સાથે વ્યભિચારનાં પાપ કર્યા છે
અને પૃથ્વી પરના વેપારીઓ તેની સમૃદ્ધ સંપત્તિ અને મોજશોખમાંથી શ્રીમંત થયા છે.”
4 પછી મેં બીજો એક અવાજ આકાશમાંથી કહેતા સાંભળ્યો કે:
“મારા લોકો, તે શહેરમાથી બહાર આવો,
જેથી તમે તેના પાપોના ભાગીદાર ન થાઓ.
પછી તમે તેના પર આવનારી વિપત્તિઓને તમારે સહન કરવી પડશે નહિ.
5 તે શહેરનાં પાપો દૂર આકાશ સુધી પહોંચ્યા છે.
તેણે જે ખરાબ કૃત્યો કર્યા છે તે દેવ ભૂલ્યો નથી.
6 તે શહેરને એટલું ભરી આપો, જેટલું તેણે બીજાઓને ભરી આપ્યું છે.
તેણે જેટલું કર્યુ છે તેનાથી બમણું આપો;
તેને માટે દ્રાક્ષારસ જેટલો તેણે બીજાઓ માટે તૈયાર કર્યો હતો તેનાથી બમણો તેજ તૈયાર કરો.
7 બાબિલોને પોતાને મોટી કીર્તિ અને મોજશોખ જીવનમાં પ્રાપ્ત કર્યા,
તેટલાં દુ:ખો અને વેદનાઓ પણ તેને આપો;
તે તેની જાતને કહે છે, ‘હું મારા રાજ્યાસન પર બેઠેલી એક રાણી છું.
હું વિધવા નથી,
હું કદી ઉદાસ થનાર નથી.’
8 તેથી એક દિવસમાં આ બધી
ખરાબ બાબતો મૃત્યુ, શોક અને દુકાળ તેની પાસે આવશે.
તેનો અગ્નિથી નાશ થશે,
કારણ કે પ્રભુ દેવ જે તેનો ન્યાય કરે છે તે શક્તિશાળી છે.”
9 પૃથ્વીના રાજાઓ, જેમણે તેની સાથે વ્યભિચારનાં પાપ કર્યા અને તેની સંપત્તિમાં ભાગ પડાવ્યો તેઓ તેની આગનો ધૂમાડો જોશે. પછી તે રાજાઓ તેના મૃત્યુને કારણે રડશે અને દુ:ખી થશે. 10 તેની વેદનાના ભયથી તે રાજાઓ દૂર ઊભા રહેશે. તે રાજાઓ કહેશે કે:
“અરેરે! ભયંકર! કેવું ભયંકર, મહાન બાબિલોન નગર,
બાબિલોનનું બળવાન નગર!
તારી શિક્ષા એક કલાકમાં થઈ!”
11 અને પૃથ્વી પરના વેપારીઓ તેના માટે શોક કરશે અને તેને માટે દુ:ખી થશે. તેઓ દિલગીર થશે કારણ કે હવે તેઓ જે વેચે છે તેને ખરીદનારા ત્યાં કોઈ નથી. 12 તેઓ સોનું, રૂપું, કિંમતી રત્નો, મોતીઓ, સુંદર બારીક શણના કપડાં, જાંબુડી કાપડ, રેશમી તથા કિરમજી કાપડ સર્વ જાતના સુગંધીદાર કાષ્ટ, હાથીદાંતની મૂલ્યવાન કાષ્ટની, પિતળની, લોઢાની તથા સંગેમરમરની, સર્વ જાતની વસ્તુઓ વેચતાં. 13 તે વેપારીઓ, તજ, તેજાનાં, ધૂપદ્ધવ્યો, અત્તર, લોબાન, દ્ધાક્ષારસ, તેલ, ઝીણો મેંદો, ઘઉં, તથા ઢોરઢાંકર, ઘેટાં, ઘોડા, રથો, ગુલામો તથા માણસોના પ્રાણ, પણ તેઓ વેચતા. તે વેપારી માણસો રડશે અને કહેશે કે:
14 “ઓ બાબિલોન, તમે જે સારી વસ્તુઓની ઈચ્છા છે તે તારી પાસેથી દૂર થઈ છે.
તારી બધી કિંમતી અને સુંદર વસ્તુઓ અદૃશ્ય થઈ ગઈ છે.
તને ફરીથી તે વસ્તુઓ કદાપિ મળશે નહિ.”
વિશ્રામવારે સાજાં કરવું યોગ્ય છે?
14 ઈસુ ફરોશીઓના અધિકારીઓમાંના એકને ઘરે વિશ્રામવારે તેમની સાથે ખાવા માટે ગયો. ત્યાં લોકો ઈસુને ખૂબ નજીકથી તાકી રહ્યાં હતા. 2 જલંદરનો રોગવાળા માણસને ઈસુની આગળ ઊભો રાખ્યો હતો. 3 ઈસુએ શાસ્ત્રીઓને અને ફરોશીઓને કહ્યું, “વિશ્રામવારે સાજાં કરવું સારું છે કે ખરાબ?” 4 પણ તેઓએ ઉત્તર આપ્યો નહિ. તેથી ઈસુએ તે માણસને લક્ષમાં લીધો અને તેને સાજો કર્યો. પછી ઈસુએ તે માણસને મોકલી દીધો. 5 ઈસુએ ફરોશીઓ અને શાસ્ત્રીઓને કહ્યું, “જો તમારો દીકરો અથવા કામ કરનાર પ્રાણી વિશ્રામવારે કૂવામાં પડે તો તમે તરત જ તેને બહાર કાઢશો.” 6 ઈસુએ જે કહ્યું તેની સામે ફરોશીઓ અને શાસ્ત્રીઓ કંઈ જ કહી શક્યા નહિ.
તમારી જાતને મહત્વ ન આપો
7 પછી ઈસુનું ધ્યાન કેટલાએક મહેમાનો ઉત્તમ જગ્યાએ બેસવાની પસંદગી કરતા હતા તે તરફ ગયું, તેથી ઈસુએ તેઓને આ વાર્તા કહી; 8 “જ્યારે કોઈ માણસ તમને લગ્નમાં નિમંત્રણ આપે તો સૌથી મહત્વની બેઠક પર ના બેસો. તે માણસે કદાચ તમારા કરતાં વધારે મહત્વના માણસને નિમંત્રણ આપ્યું હોય. 9 અને જો તમે સૌથી મહત્વની બેઠક પર બેઠા હોય અને પછી જે માણસે તમને નિમંત્રણ આપ્યું હોય તે તમારી પાસે આવે અને કહે, ‘આ માણસને તારી બેઠક આપ.’ પછી તમે છેલ્લી જગ્યાએ જવાની શરૂઆત કરશો. અને તમે ખૂબ શરમિંદા બનશો.
10 “તેથી માણસ જ્યારે તમને નિમંત્રણ આપે તો જે ઓછી મહત્વની હોય એ બેઠક પર બેસવા માટે જાઓ. પછા જે માણસે તમને નિમંત્રણ આપ્યું છે તે તમારી પાસે આવશે અને કહેશે, ‘મિત્ર, આ તરફ વધારે મહત્વની બેઠક પર આવ.’ પછી બીજા બધા મહેમાનો પણ તમને માન આપશે. 11 પ્રત્યેક માણસ જે પોતાને અગત્યનો બનાવે છે. તેને નીચો કરવામાં આવશે. પણ જે માણસ પોતાને નીચો બનાવે છે તે મહત્વનો બને છે.”
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International