Book of Common Prayer
નિર્દેશક માટે. દાઉદનું ગીત.
1 જે દરિદ્રીની ચિંતા કરે છે, તે યહોવાથી આશીર્વાદિત છે;
સંકટ સમયે ખરેખર યહોવા તેને વિપત્તિમાંથી છોડાવે છે.
2 તેનું યહોવા રક્ષણ કરે છે તથા તેને જીવંત રાખે છે;
તે તેના શત્રુઓના બળને નષ્ટ કરે છે
અને જાહેરમાં તેને માન આપે છે જેથી તે સંસારમાં સુખ પામે.
3 યહોવા તેને બીમારીના બિછાના પર ટકાવી રાખશે,
અને મંદવાડમાં તેનાં દુ:ખ અને ચિંતા લઇ લેશે.
4 મેં પ્રાર્થના કરી, “હે યહોવા, મારા પર દયા રાખો અને મને મારી માંદગીમાંથી સાજો કરો,
કારણકે મેં કબૂલાત કરી હતી કે મેં તમારી વિરુદ્ધ પાપ કર્યા છે.”
5 મારા શત્રુઓ આ બધી ખરાબ બાબતો મારી વિરુદ્ધ કહે છે, “તે ટૂંક સમયમાં મૃત્યુ પામશે.
તેનું નામ સમગ્ર સંસારમાંથી વિસરાઇ જશે.”
6 મારી માંદગીમાં મુલાકાતે આવી, ઢોંગ કરી મિત્રતાનો દાવો કરે છે,
અને હૃદયમાં અન્યાયનો સંગ્રહ કરે છે;
જ્યારે તે બહાર જાય છે તો નામોશી કરી અને તે જાહેર કરે છે
અને નિર્બળતાની હાંસી ઉડાવે છે.
7 મારો દ્વેષ કરનારા અંદરો અંદર કાનમાં વાતો કરે છે,
અને મારા વિષે તે અત્યંત ખરાબ કલ્પના કરે છે.
8 તેઓ કહે છે; “તેની માંદગી એવી પ્રાણધાતક છે
કે તે પથારીમાં પડ્યો છે
ઓટલે પાછો ઊઠવાનો નથી.”
9 મારો જે શ્રેષ્ઠ મિત્ર હતો, જેની સાથે મેં ઘણીવાર ભોજન લીધું હતુ
અને મને જેના પર ભરોસો હતો, તે મારી વિરુદ્ધ થઇ ગયો છે.
10 હે યહોવા, મારા પર કૃપા કરો, અને મને ફરી સાજો કરો;
મને પથારીમાંથી ઊઠાડો, જેથી હુ તેમનો ઇલાજ કરું.
11 તમે મારા પર પ્રસન્ન છો એની મને ખબર છે;
તમે મારા પર શત્રુઓને વિજય આપ્યો નથી.
12 હું નિર્દોષ હતો અને તમે મને ટેકો આપ્યો હતો.
તમારી સમક્ષ હંમેશા ઉભો રહેવા તમે મારી મદદ કરી.
13 ઇસ્રાએલનાં દેવ યહોવા પુરાતન કાળથી
તે અનંતકાળ સુધી સ્તુત્ય રહે.
આમીન તથા આમીન.
નિર્દેશક માટે. દાઉદનું માસ્કીલ, જ્યારે દોએગ અદોમીએ આવીને શાઉલને ખબર આપી કે, “દાઉદ અહીમેલેખને ત્યાં આવ્યો છે,” તે વખતે લખાયેલું છે.
1 અરે ઓ જુલમગાર, તું તારા દુષ્ટ કાર્યો વિષે શા માટે અભિમાન કરે છે?
તું લગાતાર દેવને અપકીર્તિ કરનાર છે?
2 તું દુષ્ટ યોજનાઓ બનાવે છે.
તારી જીભ અણીદાર અસ્રા જેવી છે.
તારી જીભ દુષ્ટતા કરવા જૂઠું બોલ્યા કરે છે.
3 તું ભલાઇ કરતાં વધારે દુષ્ટતા ચાહે છે,
તું સત્ય કરતાં વધારે અસત્ય આચરે છે.
4 તું અને તારી જૂઠી જીભ લોકોને ઇજા કરવા માંગે છે.
5 પણ દેવ તને નીચો પાડશે, અને તને ઘરમાંથી ખેંચી કાઢશે;
અને ઇહલોકમાંથી તને ઉખેડી નાખશે.
6 નિષ્પક્ષો આ જોશે અને ભય રાખશે,
અને દેવને માન આપશે
તેઓ હસશે અને કહેશે કે,
7 “જે પુરુષે ઇશ્વરને પોતાનો આશ્રય ન કર્યો,
અને દુષ્કર્મોને વળગી રહ્યો તે પોતાના આ ધન પર ભરોસો રાખીને રહ્યો.”
8 પણ હું તો દેવના મંદિરમાં આબાદી પામતાં જૈતવૃક્ષ જેવો છું.
હું હંમેશા ઇશ્વરની કૃપા પર ભરોસો રાખીશ.
9 હે યહોવા, તમે જે કાંઇ કર્યું છે, તે માટે હું સદાકાળ આભાર સ્તુતિ કરીશ.
તમારા સંતોની સામે તમારું નામ ઉત્તમ છે એવું હું પ્રગટ કરીશ.
નિર્દેશક માટે. કોરાહનાં કુટુંબનું ગીત. માસ્કીલ.
1 હે દેવ, તમે પુરાતન કાળમાં, પિતૃઓના સમયે,
જે મહાન કૃત્યો કર્યા હતા, તેના વિષે તેઓએ અમને કહ્યું,
તે અમે અમારા કાનોએ સાંભળ્યું છે.
2 વિદેશીઓની પ્રજાને,
તમે તમારા હાથે હાંકી કાઢી,
ઇસ્રાએલીઓને એક છેડાથી બીજા છેડા સુધી
તેઓને ત્યાં વસાવ્યા હતા.
3 જેણે તેમને વિજય અપાવ્યો, તે તેમની તરવારો ન હતી.
અને તેમને તે ભૂમિનો કબજો લેવા દીધો હતો.
તેઓ પોતાના હાથની શકિતથી પોતાનું રક્ષણ કરી શક્યાં ન હતા,
પરંતુ તમારા જમણા હાથે,
તમારા ભુજે તમારા દૈવી પ્રકાશે તેઓને બચાવ્યાં હતા.
કારણ, તમે તેમનાથી પ્રસન્ન હતાં.
4 હે દેવ, તમે મારા રાજા છો.
આજ્ઞા આપો અને યાકૂબના લોકોને તારણ સુધી દોરી જાવ.
5 અમે અમારા શત્રુઓને માત્ર તમારી સહાયથી હરાવીશું;
અને તમારા નામે અમે અમારા વેરીઓને કચરી નાખીશું.
6 હું મારા ધનુષ પર ભરોસો રાખતો નથી, “તરવાર”
પણ મારો બચાવ કરી શકશે નહિ.
7 તમે અમારા શત્રુના લશ્કરથી અમારી રક્ષા કરી છે,
જેઓ અમારો દ્વેષ કરે છે, તેઓને તમે લજ્જિત કરો છો
8 આખો દિવસ પર્યંત અમો દેવની સ્તુતિ કરીશું!
અમે સદાકાળ તમારા નામની આભારસ્તુતિ ચાલુ રાખીશું!
9 પણ હે યહોવા, તમે અમને તજી દીધા છે અને શરમિંદા કર્યા છે.
તમે અમારી સાથે યુદ્ધ માટે આવ્યાં ન હતાં.
10 તમે શત્રુઓ આગળ અમારી પીછેહઠ કરાવી છે,
અને તેઓએ અમને તેમની ઇચ્છા મુજબ લૂંટયા છે.
11 તમે અમને તજી દીધાં છે, અમારી હાલત કાપવા માટેનાં ઘેટાઁઓ જેવી થઇ છે,
અને તમે અમને વિદેશી પ્રજાઓમાં વિખેરી નાખ્યા છે.
12 તમે અમને નજીવી કિંમતમાં વેચી દીધાં છે,
શું તમારી નજરમાં અમારી કોઇ કિંમત નથી?
13 અમારા પડોશીઓ આગળ તમે અમને નિંદા રૂપ બનાવ્યાં છે;
અને અમારી આસપાસનાં લોકો સમક્ષ અમને હાંસીરૂપ બનાવ્યા છે.
14 તમે અમને રાષ્ટ્રો વચ્ચે તિરસ્કાર અને હાંસીને પાત્ર બનાવ્યા છે.
તેઓ અમારી સામે જુએ છે, તેઓના માથા હલાવે છે અને અમારા પર હસે છે.
15 આખો દિવસ હું મારું કલંક જોઉં છું
અને મારું માથું શરમથી ઝૂકી ગયું છે.
16 કારણ, મારી નિંદા થાય છે અને મારા વિષે ખરાબ બોલાય છે.
જુઓ, મારા શત્રુ તથા વેર વાળનારા આવું કરે છે.
17 ભલે, આ બધું અમારા પર આવી પડ્યું,
તોય અમે તમને ભૂલી નથી ગયા;
ને તમારા કરાર પ્રતિ વિશ્વાસઘાતી નથી થયા.
18 અમારું હૃદય તમારાથી પાછું હઠી ગયું નથી,
અને તમારા માર્ગથી, અમે એક ડગલું પણ ચલિત થયા નથી.
19 તો પણ તમે અમને શિયાળવાની જગામાં કચડ્યા છે;
અને અમને તમે મોતની ગાઢ છાયાથી ઢાંકી દીધાં છે
20 જો અમે અમારા દેવનું નામ ભૂલી ગયા હોત
અથવા પારકા દેવોની તરફ અમારા હાથ ફેલાવ્યા હોત,
21 તો શું દેવે તે જાણ્યું ન હોત? હા,
યહોવા સર્વના હૃદયનું રહસ્ય જાણે છે.
22 પરંતુ તમારે કારણે જ અમે આખો દિવસ માર્યા જઇએ છીએ.
તમારે કારણે અમને કાપવા માટે દોરી જવાતાં ઘેટાં જેવા ગણવામાં આવે છે.
23 હે યહોવા, જાગૃત થાઓ!
હવે ઊંઘસો નહિ;
અને અમને સદાને માટે, દૂર કરશો નહિ.
24 તમે તમારું મુખ અમારાથી શા માટે અવળું ફેરવો છો?
તમે અમારા સંકટો અને અમારી સતા વણીની અવગણના શા માટે કરો છો?
25 અમો ધૂળમાં નીચે મ્હો રાખીને પડયાં છીએ
અને અમારા પેટ જમીનમાં દબાઇ રહ્યાં છે.
26 હે દેવ, અમને મદદ કરવા ઊઠો,
અને તમારી કૃપાથી અમને બચાવી લો.
બે સાક્ષીઓ
11 પછી મને ચાલવા માટેની લાકડી જેટલો લાબો એક માપદંડ આપવામાં આવ્યો. મને કહેવામાં આવ્યું કે, “જા અને દેવના મંદિરનું અને વેદીનું માપ લે, અને ત્યાં ઉપાસના કરનારા લોકોની ગણતરી કર. 2 પણ મંદિરની બહારના આંગણાનું માપ લઈશ નહિ. તે એકલું છોડી દે. તે જે લોકો યહૂદી નથી તેઓને આપવામાં આવેલ છે. તેઓ 42 મહિના સુધી પવિત્ર શહેરને ખૂંદી વળશે. 3 અનેં હું મારા બે સાક્ષીઓને આધિકાર આપીશ અને તેઓ 1,260 દિવસ માટે પ્રબોધ કરશે. તેઓ શણના કપડાં પહેરશે.”
4 આ બે સાક્ષીઓ, જૈતુનનાં જે બે વૃક્ષ, તથા બે દીવીઓ જે પૃથ્વીના પ્રભુની સમક્ષ ઊભા રહે છે તે છે. 5 જો કોઈ વ્યક્તિ સાક્ષીઓને નુકશાન કરવાનો પ્રયત્ન કરે છે તો તેઓનાં મુખોમાંથી અગ્નિ નીકળે છે અને તેઓના દુશ્મનોનો નાશ કરે છે. જો કોઈ વ્યક્તિ તેઓને ઇજા કરવાનો પ્રયત્ન કરે છે તો આ રીતે તે મૃત્યુ પામશે. 6 તેઓના પ્રબોધ કરવાના સમય દરમિયાન આ સાક્ષીઓને વરસાદને આકાશમાંથી વરસતો રોકવાની સત્તા છે. આ સાક્ષીઓને પાણીનું લોહી કરવાની સત્તા છે. તેઓને પૃથ્વી પર દરેક પ્રકારની વિપતિ મોકલવાની સત્તા છે. તેઓ જેટલી વખત ઈચ્છે તેટલી વખત આ કરી શકે છે.
7 જ્યારે તે બે સાક્ષીઓ પોતાનો સંદેશ કહેવાનું પૂર્ણ કરશે, ત્યારે શ્વાપદ તેઓની વિરુંદ્ધ લડશે. આ તે પ્રાણી છે જે અસીમ ઊંડી ખાઈમાંથી બહાર આવે છે. તે પ્રાણી તેઓને હરાવશે, અને તેઓને મારી નાખશે. 8 તે બે સાક્ષીઓના મૃતદેહો મોટા શહેરની શેરીમાં પડ્યાં રહેશે. આ શહેર સદોમ અને મિસર કહેવાય છે. તે શહેરના આ નામો હોવાનો વિશિષ્ટ અર્થ છે. આ તે શહેર છે જ્યાં તેઓના પ્રભુને મારી નાખવામાં આવ્યો હતો. 9 દરેક જાતિઓ, કુળો, ભાષાઓ અને દેશોમાથી આવેલા લોકો બે સાક્ષીઓના મૃતદેહોને સાડા ત્રણ દિવસો સુધી જોશે. લોકો તેઓને દફનાવવાની ના પાડશે. 10 જે લોકો પૃથ્વી પર રહે છે, તેઓ ખુશ થશે. કારણકે આ બે મૃત્યુ પામેલ છે. તેઓ મિજબાનીઓ કરશે અને અકબાજાને ભેટ મોં કલશે. તેઓ આ બધું કરશે કારણ કે આ બે પ્રબોધકોએ જે લોકો પૃથ્વી પર રહે છે તેઓને ખૂબ દુ:ખ દીધું છે.
11 પરંતુ સાડા ત્રણ દિવસ પછી આ બંને પ્રબોધકોના શરીરમાં દેવ તરફથી જીવનનો શ્વાસ આવ્યો. તેઓ પોતાના પગો પર ઊભા થયા. જે બધા લોકોએ તેઓને જોયા તેઓ ભયભીત થયા. 12 પછી તે બે પ્રબોધકોએ આકાશમાંથી મોટા સાદે વાણીને પોતાને કહેતા સાંભળી કે; “અહી ઉપર આવ!” અને તે બે પ્રબોધકો આકાશમાં ઊંચે એક વાદળામાં ગયા. તેઓનાં શત્રુંઓએ તેઓને ચઢતાં જોયા.
13 તે જ સમયે ત્યાં એક મોટો ધરતીકંપ થયો. શહેરનો દશમો ભાગ નાશ પામ્યો. અને 7,000 લોકો ધરતીકંપમાં મૃત્યુ પામ્યા. જે લોકો મૃત્યુ પામ્યા નહોતા તે ઘણા ગભરાયા હતા. તેઓએ આકાશના દેવને મહિમા આપ્યો.
14 (બીજી મોટી આપત્તિ પૂરી થઈ છે. હવે ત્રીજી મોટી આપત્તિ જલદીથી આવી રહી છે.)
ઈસુનું સાર્મથ્ય દેવ તરફથી
(માથ. 12:22-30; માર્ક 3:20-27)
14 એક વખતે ઈસુ માણસમાંથી ભૂતને બહાર કાઢતો હતો. તે માણસ વાત કરી શકતો ન હતો. જ્યારે દુષ્ટ આત્મા બહાર આવ્યો ત્યારે તે માણસ બોલી શક્યો. લોકો અચરત પામ્યા હતા. 15 કેટલાએક લોકોએ કહ્યું, “લોકોમાંથી ભૂતોને બહાર કાઢવા ઈસુ બાલઝબૂલની તાકાતનો ઉપયોગ કરે છે. બાલઝબૂલ ભૂતોનો સરદાર હતો.”
16 બીજા લોકો ઈસુનું પરીક્ષણ કરવા ઈચ્છતા હતા. તેઓએ ઈસુની પાસેથી આકાશમાંથી નિશાની માગી. 17 તેઓ શું વિચારતા હતા તે જાણીને ઈસુએ લોકોને કહ્યું, “જે કોઈ રાજ્યમાં ફૂટ પડે છે તેને નાશ થાય છે અને પરિવારના સભ્યો એકબીજા સાથે ઝઘડે તો તેથી તેમા ભાગલા પડે છે. 18 તેથી જો શેતાન પોતાની સામે થયેલો હોય તો તેનું રાજ્ય કેવી રીતે ટકી શકે? તમે કહો છો કે ભૂતોને બહાર કાઢવામાં હું બાલઝબૂલની શક્તિનો ઉપયોગ કરું છું. 19 પણ જો હું બાલઝબૂલની શક્તિથી ભૂતોને બહાર કાઢતો હોઉં તો કમારા લોકો કઈ શક્તિનો ઉપયોગ કરે છે જ્યારે તેઓ ભૂતોને બહાર કાઢે છે? તેથી તમારા પોતાના લોકો જ સાબિત કરે છે કે તમે ખોટા છો. 20 પણ હું તો ભૂતોને કાઢવા માટે સાર્મથ્યનો ઉપયોગ કરું છું, આ બતાવે છે કે દેવનું રાજ્ય તમારી પાસે આવ્યું છે!
21 “જ્યારે બળવાન માણસ ઘણા હથિયારોથી પોતાનું ઘર સાચવે છે ત્યારે તેના ઘરમાં વસ્તુઓ સલામત રહે છે. 22 પણ ધારો કે બીજો મજબૂત માણસ આવે છે અને તેને હરાવે છે, તે જેના પર પ્રથમ માણસે તેના ઘરને સલામત રાખવા વિશ્વાસ કર્યો હતો તે હથિયારો તે મજબૂત માણસ લઈ જશે. પછી વધારે મજબૂત માણસ બીજા માણસોની માલમિલ્કત બાબતે તેની ઈચ્છા પ્રમાણે કરે છે.
23 “જે વ્યક્તિ મારા પક્ષનો નથી તે મારી વિરૂદ્ધ છે. જે માણસ મારી સાથે કામ કરી શકતો નથી તે મારી વિરૂદ્ધ કામ કરે છે.”
ખાલી માણસ
(માથ. 12:43-45)
24 “જ્યારે માણસમાંથી અશુદ્ધ આત્મા બહાર આવે છે, પછી નિર્જળ પ્રદેશોમાં આરામ માટેની જગાની શોધમાં તે ભટકતો ફરે છે. પણ તે આત્માને આરામ માટેની જગ્યા મળતી નથી. તેથી આત્મા કહે છે, ‘જે ઘરમાંથી હું નીકળ્યો તે જ ઘરમાં હું પાછો જઇશ.’ 25 જ્યારે આત્મા પેલા માણસ પાસે પાછો આવે છે, ત્યારે તેનું અગાઉનું ઘર સ્વચ્છ અને સુશોભિત જુએ છે. 26 પછી તે અશુદ્ધ આત્મા બહાર જાય છે અને તેના કરતાં વધારે દુષ્ટ સાત અશુદ્ધ આત્માઓને લઈને આવે છે. પછી બધાજ અશુદ્ધ આત્માઓ તે માણસમાં પ્રવેશીને ત્યાં જ રહે છે અને પેલા માણસની હાલત પહેલાં કરતાં વધારે ભૂંડી બને છે.”
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International