Book of Common Prayer
આસાફનું માસ્કીલ.
1 મારા લોકો, મારો નિયમ સાંભળો;
મારા મુખના શબ્દોને તમે ધ્યાનથી સાંભળો.
2 હું ષ્ટાંતો દ્વારા તમારી સાથે વાત કરીશ,
અને હું ભૂતકાળનાં રહસ્યોની વાત સમજાવીશ.
3 જે વાત આપણે સાંભળી છે તથા જાણી છે;
જે આપણા પૂર્વજોએ આપણને કહી છે.
4 યહોવાના મહિમાવંત સ્તુતિપાત્ર કૃત્યો,
તેમનું પરાક્રમ અને આશ્ચર્યકર્મો
આપણા સંતાનોથી આપણે સંતાડીશું નહિ;
આપણે આપણી ભાવિ પેઢીને જણાવીશું.
5 કારણકે તેમણે યાકૂબ સાથે તેમનો કરાર કર્યો
અને તેણે ઇસ્રાએલને નિયમ આપ્યો,
તેમણે આપણા પૂર્વજોને આદેશ આપ્યો
કે તેમણે તેમના બાળકોને આ બાબતમાં કહેવું.
6 જેથી આવતી પેઢીનાં જે બાળકો જન્મે તેઓ તે જાણે,
અને તેઓ મોટાઁ થઇને પોતાનાં સંતાનોને તે જણાવે.
7 જેથી તેઓ સહુ દેવનો આશા રાખે,
અને દેવનાં અદભૂત કાર્યોને વિસરી જાય નહિ,
અને તેમની આજ્ઞાઓને પાળે.
8 વળી તેઓ પોતાના
પિતૃઓ જેવા હઠીલા, બંડખોર,
અવિશ્વાસુ અને દેવને પોતાનું અંત:કરણ
સોંપવાનો નકાર કરનાર ન થાય.
9 એફ્રાઇમના લોકો શસ્રસજ્જ હતાં
છતાં તેઓએ યુદ્ધ દિને પીછેહઠ કરી.
10 કારણ, તેમણે દેવનો કરાર પાળ્યો નહિ;
અને તેમના નિયમ પ્રમાણે વર્તવાની ના પાડી.
11 તેમણે કરેલા અદૃભૂત ચમત્કારો તેઓએ નિહાળ્યા હતાઁ,
છતાં તેમનાં કૃત્યો વિસરી ગયા.
12 તેઓના પિતૃઓએ મિસર દેશમાં, સોઆનનાં મેદાનમાં;
દેવે કરેલા ચમત્કારો જોયા હતાં.
13 તેમણે તેઓની સમક્ષ સમુદ્રનાં બે ભાગ કર્યા હતાં,
તેઓને તેમાં થઇને સામે પાર મોકલ્યા હતાં.
તેઓની બંને બાજુએ પાણી દિવાલની જેમ સ્થિર થઇ ગયું હતું,
14 વળી તે તેઓને દિવસે મેઘથી અને આખી રાત,
અગ્નિનાં પ્રકાશથી દોરતો.
15 તેમણે રણમાં ખડકને તોડીને,
ઊંડાણમાંથી વહેતું હોય તેમ પુષ્કળ પાણી તેઓને આપ્યું.
16 પછી તેમણે ખડકમાંથી પાણી કાઢયું,
અને વહેતી નદીની જેમ પ્રવાહ વહેવડાવ્યો.
17 તેમ છતાં તેઓએ દેવ વિરુદ્ધ પાપ કરવાનું ચાલું જ રાખ્યું,
અને અરણ્યમાં પરાત્પર દેવ વિરુદ્ધ બંડ કરતાં રહ્યા.
18 તેઓએ હઠીલાઇ કરીને દેવની કસોટી કરી,
દેવ તેઓને આપતાહતા તે કરતાં જુદા જ ખોરાકની માગણી કરી.
19 તેઓ દેવની વિરુદ્ધ બોલ્યા અને કહ્યું,
“શું રણમાં તે ભોજન મોકલી શકે?
20 તેમણે ખડકને લાકડી મારી ને,
પાણીના ઝરણાં વહેવડાવ્યાં તે સાચું છે;
શું તે આપણને રોટલી આપી શકે છે?
અને તેમનાં લોકોને માંસ આપી શકે?”
21 તેઓએ જે કહ્યું તે સાંભળ્યા પછી, યહોવા કોપાયમાન થયા,
તેઓ ઇસ્રાએલ પર ભારે કોપાયમાન થયા
અને યાકૂબ પર બહુ જ ગુસ્સે થયા.
22 કારણ, તેઓએ દેવમાં તેમનો વિશ્વાસ મૂક્યો નહિ,
અને તેમના તારણ પર વિશ્વાસ કર્યો નહિ.
23 છતાં તેમણે વાદળાંને આજ્ઞા આપી,
અને આકાશનાં દ્વાર ખોલી નાખ્યાં.
24 તેઓના ખોરાક માટે માન્નાની વૃષ્ટિ કરી;
અને તેમણે સ્વર્ગમાંથી ભોજન આપ્યું.
25 તેઓએ દેવદૂતોનો ખોરાક ખાધો!
અને તેઓ તૃપ્ત થયા ત્યાં સુધી યહોવાએ ભોજન આપ્યું.
26 દેવે તેમનાં મહાન સાર્મથ્યથી દક્ષિણ
અને પૂર્વનો પવન ફૂંકાવ્યો.
27 તેમણે ધૂળની જેમ માંસ અને સમુદ્રની
રેતીની જેમ પક્ષીઓ તેમનાં પર વરસાવ્યાઁ.
28 તેમણે તેઓની છાવણી મધ્યે
અને તેઓનાં તંબુઓની ચોપાસ પક્ષીઓ પાડ્યાં.
29 લોકો ધરાઇ રહ્યાં ત્યાં સુધી ખાધું,
યહોવાએ તેઓને, માગણી પ્રમાણે આપ્યું.
30 પણ તેઓ તેમની ભૂખનું નિયંત્રણ કરી શક્યાં નહિ,
અને માંસ હજી પણ તેમના મોંઢાં માઁ હતું.
31 પછી તેમની સામે યહોવાનો કોપ પ્રગટયો,
અને તેમણે ઇસ્રાએલમાં જેઓ સૌથી વધુ શકિતશાળી હતા તેમને મારી નાખ્યાં,
તેમણે શ્રેષ્ઠ યુવાનોને મારી નાખ્યાં.
32 આમ છતાં લોકો પાપ કરતાં રહ્યાં,
અને તેમના ચમત્કારો પર ભરોસો કર્યો નહિ.
33 દેવે તેઓના વ્યર્થ જીવનનો
અંત આપત્તિઓ સાથે કર્યો.
34 જ્યારે જ્યારે તેમણે તેમાંના કેટલાંકને મારી નાખ્યા,
ત્યારે બીજાઓ તેમના તરફ વળ્યા, અને તેમની મદદ માંગી.
35 ત્યારે તેઓએ યાદ કર્યુ કે, દેવ તેઓના ખડક છે,
અને પરાત્પર દેવ તેઓના તારક છે.
36 પરંતુ તેઓએ પોતાના મુખે તેની પ્રસંશા કરી,
અને પોતાની જીભે તેની સમક્ષ જૂઠું બોલ્યા.
37 તેઓનાં હૃદય યહોવા પ્રત્યે વિશ્વાસુ નહોતા;
તેઓ કરારને વફાદાર નહોતા.
38 તેમ છતા તેમણેં દયા દર્શાવી,
તેઓનાં પાપોની ક્ષમા આપી, નાશ ન કર્યો;
તેમણે ઘણીવાર ક્રોધ સમાવી દીધો;
અને પોતાનો પૂરો કોપ પ્રગટ કર્યો નહિ.
39 યહોવાએ સંભાર્યુ કે તેઓ કેવળ ક્ષુદ્ર છે;
અને એક ક્ષણમાં પસાર થતાં વાયુ જેવા છે.
40 તેઓએ વર્ષો દરમ્યાન કેટલીવાર રણમાં યહોવા વિરુદ્ધ બંડ કર્યું;
અને રાનમાં દુ:ખી તેમને કર્યા.
41 વારંવાર તેઓએ દેવની કસોટી કરી
અને તેઓએ ઇસ્રાએલના પવિત્ર યહોવાને દુ:ખી કર્યા.
42 તેઓ દેવનાં મહાન સાર્મથ્યને ભૂલી ગયા,
તથા તેમણે શત્રુઓથી તેઓને બચાવ્યાં હતાં, તે ભૂલી ગયાં.
43 યહોવાએ મિસરમાં ચમત્કારિક ચિન્હો
અને સોઆનના મેદાનમાં આશ્ચર્યકર્મો કર્યા હતાં તે પણ ભૂલી ગયા.
44 તેણે તેઓની નદીઓને તથા તેઓના વહેળાઓને
લોહી વહેતાં બનાવી દીધાં જેથી તેઓ પી ન શકે.
45 તેમણે મધમાખીઓનું મોટું ઝૂંડ મોકલ્યું, અને જે તેઓને કરડ્યા,
અને દેડકાઓએ બધી વસ્તુઓનો નાશ કર્યો.
46 તેઓની ફસલ તેમણે કાતરાઓને આપી હતી,
ને તેઓનો બધો જ પાક તીડો ખાઇ ગયા હતા.
47 તેમણે તેઓની દ્રાક્ષવાડીઓ,
કરાથી તથા હિમથી તેઓના ગુલ્લરઝાડોનો નાશ કર્યો હતો.
48 તેઓના ઢોરઢાંખર પર આકાશમાંથી મોટાં કરાનો માર પડ્યો,
અને ઘેટાનાં ટોળાઁ પર વીજળીઓ પડી.
49 દેવે પોતાનો કોપ તેઓ પર પ્રગટ કર્યો, તેમનો રોષ, ગુસ્સો અને તિરસ્કાર;
તેઓની વિરુદ્ધ નાશ કરનારા દૂતોની માફક મોકલ્યા.
50 તેમણે પોતાના કોપ માટે રસ્તો ખૂલ્લો કર્યો;
અને મિસરવાસીઓના જીવન બચાવ્યાં નહિ,
પણ તેઓને વિપત્તિ તથા માંદગીને સોંપી દીધા.
51 પછી તેણે સર્વ પ્રથમ, મિસરમાં સર્વ પ્રથમ જનિતને મારી નાખ્યાઁ;
હામના પ્રથમ જનિત નર બાળકોને તંબુઓમાં માર્યા.
52 પરંતુ તે પોતાના લોકોને ઘેટાઁનાં ટોળાઁની જેમ બહાર લાવ્યાં;
અને રણમાં થઇને તેઓને સુરક્ષિત ચલાવ્યા.
53 તેઓને તેમણે એવા સુરક્ષિત ચલાવ્યા
કે તેઓ બીધા નહિ,
પરંતુ સમુદ્રના પાણી શત્રુઓ પર ફરી વળ્યાં.
54 તેણે તેઓને તેની પવિત્ર ભૂમિમાં,
ડુંગરોવાળા દેશ તરફ જે તેઓએ તેમની શકિતથી લીધો હતો તેમા ચાલતાં કર્યા.
55 અને તેમણે અન્ય રાષ્ટ્રોને તે જમીનમાંથી આગળ કાઢી મૂક્યા.
ઇસ્રાએલનાં પ્રત્યેક કુટુંબસમુહને કાયમ વસવાટ કરવા માટે જમીનનો હિસ્સો આપ્યો.
56 છતાં ત્યારે પણ, તેઓએ પરાત્પર દેવની કસોટી કરવાનું
અને તેમની વિરુદ્ધ બંડ કરવાનું ચાલુ રાખ્યું અને તેમની આજ્ઞાઓનું અનુસરણ કરવાનો ઇન્કાર કર્યો.
57 તેઓ દેવ પાસેથી દૂર થયા.
તેઓ તેમનાં પૂર્વજોની જેમ દેવને અવિનયી થયાં.
ફેંકનાર[a] તરફ પાછા ફરતાં,
વાંકા શસ્રની જેમ તેઓ પૂર્વજોની જેમ દિશા બદલતા હતા.
58 તેઓએ ઉચ્ચાસ્થાનો બનાવીને
અને જૂઠાં દેવોની મૂર્તિથી દેવને ગુસ્સે કર્યા.
59 જ્યારે તેઓનાં કૃત્યો દેવે જોયાં દેવનો ક્રોધ પ્રબળ થયો,
અને પોતાના લોકોનો ત્યાગ કર્યો.
60 પછી માણસો મધ્યે તે નિવાસ કરતા;
એ શીલોહના મંડપનો તેમણે ત્યાગ કર્યો.
61 દેવે બીજા લોકોને પોતાના લોકોને પકડવાં દીધા.
દુશ્મનોએ દેવનું “ગૌરવ રત્ન” લઇ લીધું.
62 તેમણે પોતાના લોકોનો સંહાર થવા દીધો, કારણકે,
તેમનો ક્રોધ અતિ વધારે હતો.
63 તેઓના યુવાનો અગ્નિથી નાશ પામ્યાં;
અને તેઓની કન્યાઓ તેઓનાં લગ્નગીતો ગવાય તે પહેલાં જ મૃત્યુ પામી.
64 યાજકોનો વધ થયો અને તેઓની વિધવાઓ
તેઓ માટે રૂદન કરે તે પહેલાં તેઓ પણ મૃત્યુ પામી.
65 ત્યારે ઊંઘમાંથી કોઇ જાગે, તેમ,
તથા દ્રાક્ષારસમાંથી શૂરવીર પુરૂષને શૂરાતન આવે તેમ યહોવા ઊઠયા.
66 તે તેમના શત્રુઓ તરફ ઢળ્યા, તેમણે તેઓને પાછા વાળ્યા
અને તેઓને કાયમ માટે હિણપદ કર્યા.
67 દેવે યૂસફના પરિવારનો અસ્વીકાર કર્યો,
અને એફાઇમના પરિવારનો પણ સ્વીકાર કર્યો નહિ.
68 પણ યહૂદા કુળને તથા જેના ઉપર તે પ્રેમ કરતા હતા
તે સિયોન પર્વતને તેમણે પસંદ કર્યા.
69 ત્યાં તેમણે પર્વત જેવું ઉન્નત અને સદા માટે સ્થાપન કરેલી
પૃથ્વી જેવું અચળ પોતાનું પવિત્રસ્થાન બાંધ્યું.
70 તેમણે ઘેટાંની સંભાળ રાખનાર દાઉદને
પોતાના સેવક તરીકે પસંદ કર્યો.
71 જ્યાં એ ઘેટા ચારતો હતો ત્યાંથી દેવ તેને લઇ આવ્યા અને પોતાના લોકો,
યાકૂબનાં સંતાન અને ઇસ્રાએલનાં લોકોના પાલક તરીકે અને દેવની સંપત્તિના પાલક તરીકે નિયુકત કર્યો.
72 દાઉદે તેમને શુદ્ધ હૃદયથી
અને કૌશલ્ય સભર શાણપણથી દોર્યા.
એસ્તેરની રાજાને અરજ
5 ત્રીજા દિવસે એસ્તેર રાણીનો પોષાક પહેરીને રાજાના ખંડની સામે મહેલની અંદરના પ્રવેશમાં જઇને ઊભી રહી. એ વખતે રાજા રાજમહેલના પ્રવેશદ્વાર આગળ સિંહાસન પર બિરાજેલ હતા. 2 તેમણે એસ્તેરને દરબારમાં ઊભેલી જોઇ અને તેને જોઇને ખુશ થયા, તેમણે સોનાનો રાજદંડ લંબાવ્યો. એટલે એસ્તેરે જઇને રાજદંડની અણીને સ્પર્શ કર્યો.
3 રાજાએ પૂછયું, “રાણી એસ્તેર, તારી શી ઇચ્છા છે? તારી શી માગણી છે? તું અડધું રાજ માગશે તો પણ તે તને આપવામાં આવશે.”
4 એસ્તેરે તેને કહ્યું કે, “આપ નામદાર જો મારા પર પ્રસન્ન હોય તો આજે મેં રાખેલી ઉજાણીમાં આપ હામાન સાથે પધારો.”
5 એટલે રાજાએ નોકરોને કહ્યું કે, હામાનને જલદી હાજર કરો કે જેથી આપણે એસ્તરના કહેવા મુજબ કરી શકીએ.
તેથી રાજા તથા હામાન એસ્તેરની ઉજાણીમાં આવ્યા. 6 દ્રાક્ષારસ પીતાં પીતાં રાજાએ એસ્તેરને કહ્યું, “એસ્તેર રાણી, તારી ખરેખર શી માગણી છે તે કહે, અડધા રાજ સુધી હું તે મંજૂર કરીશ.”
7 ત્યારે એસ્તેરે પ્રત્યુત્તર આપ્યો, “મારી અરજ તથા મારા અંતરની ઇચ્છા આ છે: 8 જો આપની મારા પર કૃપાદ્રષ્ટિ હોય, અને જો આપને મારી અરજ પ્રમાણે ઇનામ આપવાની તથા મારી વિનંતી પ્રમાણે આપ આપવા માગતા હોય તો આવતી કાલે પણ આપ તથા હામાન આજ રીતે ઉજાણીમાં પધારો. આવતી કાલે હું આપની આગળ મારી ઇચ્છા પ્રગટ કરીશ.”
મોર્દૃખાય પર ક્રોધિત હામાન
9 ત્યારે તે દિવસે ઉજાણીમાંથી વિદાય લેતી વખતે હામાન ખુશ-ખુશાલ દેખાતો હતો! પાછા જતાં તેણે મોર્દખાયને દરવાજામાં બેઠેલો જોયો, તેણે જોયું કે, તેને જોઇને તે ઊભો થયો નહિ કે બીકથી થથર્યો પણ નહિ, તેથી હામાન ખૂબજ ક્રોધે ભરાયો. 10 તેમ છતાં હામાને ગુસ્સા પર કાબૂ રાખ્યો અને ઘેર પાછો આવ્યો અને તેની પત્ની ઝેરેશ તથા તેના મિત્રોને ભેગા કર્યા. 11 તેઓની સમક્ષ પોતાની પુષ્કળ સમૃદ્ધિ, પોતાનાં સંતાનોની વિશાળ સંખ્યા, કેવી રીતે રાજાએ તેનું સન્માન કર્યું અને તેને બીજા બધા આગેવાનોથી ઉંચી પદવી આપી તેની બડાઇ હાંકવા લાગ્યો. 12 પછી તેણે કહ્યું: “એસ્તેર રાણીએ જે આપેલી ઉજાણીમાં તેણીએ મારા અને રાજા સિવાય બીજા કોઇને પણ આમંત્રણ આપ્યું નહોતું અને આવતી કાલે પણ તેણીએ મને રાજા સાથે ઉજાણી માટે આમંત્રણ આપ્યું છે. 13 પરંતુ જ્યાં સુધી પેલા યહૂદી મોર્દખાયને હું રાજાના દરવાજા આગળ બેઠેલો જોઉં ત્યાં સુધી આ સર્વ મને કંઇ સંતોષ આપતું નથી.”
14 ત્યારે તેની પત્ની તથા મિત્રોએ તેને સલાહ આપી, “પંચોતેર ફૂટ ઊંચો ફાંસીનો માચડો તૈયાર કરાવ અને સવારે રાજા પાસેથી મોર્દખાયને તે પર લટકાવી મારી નાખવાની પરવાનગી લઇ આવ. અને આમ થશે ત્યારે તું આનંદથી રાજા સાથે ઉજાણી માણી શકશે.”
આ સલાહ હામાનને પસંદ પડી અને તેણે ફાંસીનો માચડો તૈયાર કરવાનો હુકમ કર્યો.
ગાલિયો સમક્ષ પાઉલ
12 ગાલિયો અખાયા દેશનો અધિકારી બન્યો. તે સમયે, યહૂદિઓ પાઉલની વિરૂદ્ધમાં ભેગા થઈને આવ્યા. તેઓ પાઉલને ન્યાયાસન આગળ લઈ ગયા. 13 યહૂદિઓએ ગાલિયોને કહ્યુ, “યહૂદિઓના આપણા નિયમશાસ્ત્રની તદ્દન વિરૂદ્ધ લોકોને દેવની ભક્તિ કરવાનું શીખવે છે!”
14 પાઉલ કંઈક કહેવા તૈયાર હતો, પરંતુ ગાલિયોએ યહૂદિઓને કહ્યું. ગાલિયોએ કહ્યું, “જો તમે ખરાબ ગુના કે કંઈક ખોટા માટે ફરિયાદ કરવાના હશો તો હું તમને યહૂદિઓને ધ્યાનથી સાંભળીશ. 15 પણ તમે યહૂદિઓ જે વાતો કહો છો. તેમાં શબ્દો, નામો, તમારા પોતાના યહૂદિના નિયમશાસ્ત્ર વિષેની દલીલો માટેના ફક્ત પ્રશ્રો હોય છે. તેથી તમારે તમારી જાતે આવી બાબતોમાં નિકાલ કરવો જોઈએ. હું આ બાબતોમાં ન્યાયાધીશ થવા ઈચ્છતો નથી.” 16 ગાલિયોએ તેઓને ન્યાયાસન આગળથી કાઢી મૂક્યા.
17 પછી તેઓએ બધાએ (સભાસ્થાનના આગેવાન) સોસ્થનેસને પકડ્યો. તેઓએ ન્યાયાલયની આગળ સોસ્થનેસને માર્યો. પરંતુ ગાલીયોએ આની કોઇ પરવા કરી નહિ.
અંત્યોખમાં પાઉલનું પાછા ફરવું
18 પાઉલ ભાઈઓ સાથે ઘણા દિવસો સુધી રહ્યો. પછી તેણે તેમની રજા લઈને વિદાય લીધી અને સિરિયા જવા વહાણ હંકાર્યું. પ્રિસ્કિલા અને અકુલાસ પણ તેમની સાથે હતા. કિંખ્રિયામાં પાઉલે તેનું માથું મુંડાવ્યું હતું. આ બતાવે છે કે તેણે દેવની પાસે માનતા લીધી છે. 19 પછી તેઓ એફેસસ શહેરમાં ગયા. જ્યાં પાઉલે પ્રિસ્કિલા અને અકુલાસને છોડ્યા હતા તે આ સ્થળ છે. જ્યારે પાઉલ એફેસસમાં હતો; તે સભાસ્થાનમાં ગયો અને યહૂદિઓ સાથે વાતો કરી. 20 યહૂદિઓએ પાઉલને વધારે લાંબો સમય રહેવા માટે કહ્યું, પણ તેણે અસ્વીકાર કર્યો. 21 પાઉલે તેઓની વિદાય લીધી અને કહ્યું, “જો દેવની ઈચ્છા મને મોકલવાની હશે તો હું તમારી પાસે ફરીથી પાછો આવીશ.” અને તેથી પાઉલે એફેસસથી દૂર વહાણ હંકાર્યુ.
22 પાઉલ કૈસરિયાના શહેરમાં ગયો. પછી તે યરૂશાલેમમાં મંડળીને અભિનંદન આપવા ગયો. તે પછી પાઉલ અંત્યોખ શહેરમાં ગયો. 23 પાઉલ અંત્યોખમાં થોડો સમય રહ્યો. પછી તેણે અંત્યોખ છોડ્યું અને ગલાતિયા તથા ફુગિયાના દેશોમાં થઈને ગયો. આ દેશોમાં પાઉલે ગામડે ગામડે મુસાફરી કરી. તેણે ઈસુના બધા શિષ્યોને વધારે મજબૂત બનાવ્યા.
એફેસસ અને અખાયા (કરિંથ) માં અપોલોસ
24 એક અપોલોસ નામનો યહૂદિ એફેસસમાં આવ્યો. અપોલોસ આલેકસાંદ્રિયા શહેરમાં જનમ્યો હતો. તે એક શિક્ષિત માણસ હતો. તે ધર્મલેખો ઘણી સારી રીતે જાણતો. 25 અપોલોસને પ્રભુ વિષે શીખવવામાં આવ્યું હતું. અપોલોસ જ્યારે લોકોને પ્રભુ વિષે કહેતો ત્યારે તે હંમેશા ઉત્સાહી હતો. અપોલોસને પ્રભુ વિષે જે શીખવવામાં આવ્યું હતું તે સાચું હતું પરંતુ ફક્ત બાપ્તિસ્મા જે અપોલોસ જાણતો તે યોહાને શીખવેલું બાપ્તિસ્મા હતું. 26 અપોલોસે સભાસ્થાનમાં બહુ બહાદુરીપૂર્વક બોલવાનું શરું કર્યુ. પ્રિસ્કિલાએ તથા અકુલાસે તેનો બોધ સાંભળ્યો. તેઓ તેને તેઓના ઘેર લઈ ગયા અને દેવનો માર્ગ વધારે સારી રીતે તેમને સમજવામાં મદદ કરી.
27 અપોલોસ અખાયાના પ્રદેશમાં જવા ઈચ્છતો હતો. તેથી એફેસસના ભાઈઓએ તેમને મદદ કરી. તેઓએ અખાયામાં ઈસુના શિષ્યોને પત્ર લખ્યો. તેઓએ પત્રમાં આ શિષ્યોને અપોલોસને સ્વીકારવા કહ્યું. અખાયાના આ શિષ્યો દેવની કૃપાથી ઈસુમાં વિશ્વાસ કરતા હતા. જ્યારે અપોલોસ ત્યાં ગયો, તેણે તેઓને ઘણી મદદ કરી. 28 તેણે બધા લોકોની આગળ યહૂદિઓની વિરૂદ્ધ ખૂબ મજબૂત દલીલો કરી. અપોલોસ સ્પષ્ટ રીતે સાબિત કર્યુ કે યહૂદિઓ ખોટા હતા. તેણે ધર્મશાસ્ત્રોનો ઉપયોગ કર્યો અને બતાવ્યું કે ઈસુ એ જ ખ્રિસ્ત છે.
15 બધાજ લોકો ખ્રિસ્તના આગમનની પ્રતિક્ષા કરી રહ્યા હતા અને યોહાન અંગે નવાઇ પામી વિચારતા હતા કે, “કદાચ યોહાન એ તો ખ્રિસ્ત નહિ હોય.”
16 યોહાને બધા લોકોને ઉત્તર આપ્યો, “મેં તો તમારું ફક્ત પાણીથી બાપ્તિસ્મા કર્યુ પણ હું જે કરું છું, તેનાથી વધારે શક્તિશાળી વ્યક્તિનું આગમન થઈ રહ્યું છે. હું તો તેના પગના જોડાની દોરી ખોલવા માટે પણ યોગ્ય નથી. તે પવિત્ર આત્માથી અને અજ્ઞિથી તમારું બાપ્તિસ્મા કરશે. 17 તેનું સૂંપડું તેના હાથમાં છે. તે ખળીમાંથી દાણા જુદા પાડવા તેયાર છે. તે દાણા ભેગા કરશે અને તેની વખારમાં મૂકશે. અને તે ભૂસાંને આગમાં બાળશે, જે કદી હોલવાશે નહિ.” 18 યોહાને લોકોને સુવાર્તા આપવાનુ ચાલુ રાખ્યું અને લોકોને મદદરૂપ થવા બીજી ઘણી બાબતો કહી.
યોહાનની કાર્યસમાપ્તિ
19 યોહાને રાજા હેરોદની તેના ભાઈની પત્નિ સાથેના તેના સંબંધ માટે ટીકા કરી. તથા તેના બીજા ખરાબ કાર્યો માટે યોહાને તેની ટીકા કરી. 20 તેથી હેરોદે યોહાનને કેદ કરવાનું બીજું એક ખરાબ કામ કર્યુ. આમ હેરોદના દુષ્કર્મોમાં એકનો વધારો થયો.
યોહાન દ્ધારા ઈસુને બાપ્તિસ્મા
(માથ. 3:13-17; માર્ક 1:9-11)
21 યોહાનને જેલમાં કેદ કરવામાં આવ્યો તે પહેલા, બધાજ લોકો તેના દ્ધારા બાપ્તિસ્મા પામ્યા હતા. પછી ઈસુ પણ બાપ્તિસ્મા પામ્યો. જ્યારે ઈસુ પ્રાર્થના કરતો હતો ત્યારે, આકાશ ઊઘડ્યું. 22 પવિત્ર આત્મા કબૂતર રૂપે તેના પર ઊતર્યો. ત્યાર બાદ આકાશમાંથી આકાશવાણી થઈ, “તું મારો વહાલો દીકરો છે અને હું તને ચાહું છું. હું તારા પર ખૂબ પ્રસન્ન થયો છું.”
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International