Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 69

નિર્દેશક માટે. રાગ: “શોશાન્નીમ.” દાઉદનું ગીત.

હે દેવ, મારા માથા સુધી પાણી ચઢી આવ્યું છે,
    મારી રક્ષા કરો.
કીચડમાં હું ઊંડે ને ઊંડે ખૂપતો જાઉં છું,
    જ્યાં ઊભા રહેવાને પણ આધાર નથી,
હું ઊઁડા જળમાં આવી પડ્યો છું,
    જળપ્રલયે મને ડૂબાડી દીધો છે.
હું રડી રડીને નિર્ગત થઇ ગયો છું અને મારું ગળું સુકાઇ ગયું છે.
    મારા દેવની વાટ જોતાં મારી આંખોનું તેજ ઘટી ગયું છે.
જેઓ વિનાકારણે મારો દ્વેષ કરે છે,
    તેઓ મારા માથાના વાળથી વધારે છે;
    હું નિર્દોષ છું છતાં મારો સંહાર કરવાની યોજના ઘડનારાં વધુ શકિતશાળી બન્યાં છે.
તે શત્રુઓ મારા વિષે અસત્ય બોલે છે.
    કહે છે મેં વસ્તુઓ ચોરી હતી.
    તેઓએ મેં જે વસ્તુઓ ચોરી ન હતી તેનું ભરણ કરવા મને ફરજ પાડે છે.
હે દેવ, તમે મારી મૂર્ખાઇ જાણો છો,
    અને મારા પાપો તમારાથી છુપાવેલા નથી.
હે સૈન્યના પ્રભુ યહોવા, મારા લીધે તમારા અનુયાયીઓ શરમીંદા ન થાય.
    હે ઇસ્રાએલનાં દેવ, ભલે જેઓ તમને શોધવા નીકળ્યા છે તેઓનું મારા લીધે અપમાન ન થાય.
મેં તમારા માટે શરમ સહન કરી છે,
    ને મારું મુખ પણ શરમથી ઢંકાયેલું છે.
મારા ભાઇઓને મન હું પારકા જેવો છું,
    અને મારી માના પુત્રને મન હું પરદેશી જેવો થયો છું.
કારણ, મારું હૃદય દેવ અને તેનાં મંદિર માટેના ઉત્સાહથી ઉત્તેજીત થયું છે.
    જેઓ તમારું અપમાન કરે છે તેમના અપમાનો મારી ઉપર આવ્યાં છે.
10 જ્યારે હું યહોવા સમક્ષ રૂદન અને ઉપવાસ કરું છું,
    ત્યારે તેઓ મારી મશ્કરી કરીને નિંદા કરે છે.
11 જ્યારે હું મારા પાપનું દુ:ખ પ્રગટ કરવા અને આત્માનું રાંકપણું દર્શાવવાં ટાટનાં વસ્ર ધારણ કરું છું,
    ત્યારે તેઓ મારી મશ્કરી કરે છે.
12 ભાગળમાં બેસનારાઓ મારી મશ્કરી કરે છે.
    અને છાકટાઓ મારા વિષે રાસડા ગાય છે.
13 પરંતુ હે યહોવા, તમારી કૃપાનાં સમયમાં મેં તમારી પ્રાર્થના કરવાનું ચાલુ રાખ્યું છે,
    તમારાં ભરપૂર પ્રેમમાં, તારણની સત્યતાએ પ્રત્યુતર આપો.
14 મને કીચડમાંથી કાઢો,
    મને ઊંડા પાણીમાં ડૂબવાં દેશો નહિ
અને દ્વેષીઓથી
    મારી રક્ષા કરો.
15 રેલ સંકટ મારા પર ફરી ન વળે,
    સાગરનાં ઊંડાણ મને ગળી ન જાય;
    અને ડરાવનાર કબરમાં મારી રક્ષા કરો.
16 હે યહોવા, મારી પ્રાર્થનાનો ઉત્તર આપો; કારણ તારી કૃપ ઉત્તમ છે;
    તમારા પુષ્કળ વાત્સલ્ય મુજબ મારા તરફ વળો.
17 તમારું મુખ તમારા આ દાસથી છુપાવશો નહિ,
    હું અપાર સંકટોમાં છું, મને જલદી ઉત્તર આપો.
18 હે યહોવા, આવો, મારા આત્માની રક્ષા કરો!
    મને મારા સર્વ શત્રુઓથી મુકત કરો.
19 તમે જાણો છો કે મારે શરમ તથા અપમાન અને નિંદા
    સહન કરવાં પડે છે.
    મારા શત્રુઓએ મારી સાથે કરેલી વસ્તુઓ તમે જોઇ છે.
20 નિંદાએ મારું હૃદય ભાંગ્યું છે,
    અને હું લાંબુ જીવવા
માટે ખૂબ દુર્બળ બની ગયો છું.
    દિલાસો અને આરામ
બતાવનારની રાહ જોઇ
    પરંતુ મને કોઇ પણ મળ્યું નહિ.
21 ખોરાકને બદલે મને પિત્ત ખાવા મળ્યું,
    ને તરસ લાગતાં મને સરકો પાવામાં આવ્યો.
22 ભલે તેમનું મેજ તેમના માટે છટકું બને,
    અને તેમનું મૈત્રીભોજન તેમનો ફાંસલો બને.
23 ભલે તેઓની આંખો કઇપણ જોવા માટે ઝાંખી બને,
    અને ભલે તેઓ અંધ બની જાય.
અને ભલે તેમની કમરો નબળી બને.
24 ભલે તમે તમારો કોપ તેઓ પર વરસાવો,
    તમારો ક્રોધાજ્ઞિ તેઓને પકડી પાડો.
25 તેમનાં ઘરો ઉજ્જડ થાઓ,
    ને તેમાં કદી કોઇ નિવાસ કરે નહિ.
26 કારણ, જેને તમે શિક્ષા કરી છે તેઓ તેની પૂઠ પકડે છે,
    અને જેને તમે ઘાયલ કર્યો છે તેનાં દુ:ખની વાત કરે છે.
27 તેઓને શિક્ષા કરો જેને તેઓ પાત્ર છે.
    તમે કેટલાં સારા છો તે તેમને ન બતાવો.
28 જીવન પુસ્તકમાંથી આ લોકોનાં નામ ભૂઁસી નાખો,
    સારા લોકોનાં નામોની યાદીના પુસ્તકમાં તેમનાં નામો સાથે ન મૂકો.
29 પણ હે દેવ હું તો નિ:સહાય અને ઉદાસ છું;
    હે દેવ, મારી રક્ષા કરો અને મને ઉપર ઊઠાઓ.
30 પછી હું ગીત ગાઇને દેવના નામનું સ્તવન કરીશ,
    અને આભાર માનીને તેમનાં નામની હું સ્તુતિ કરીશ.
31 અને તે બળદનાં અથવા વાછરડાંનાં બલિદાન કરતાં
    તેમને વધુ આનંદ આપશે.
32 નમ્ર જનો તે જોઇને આનંદ પામશે,
    દેવને શોધનારાઓ તમારા હૃદયો નવું જીવન પામો.
33 કારણ યહોવા દરિદ્રીઓની અરજ સાંભળે છે,
    અને તેમનાં જે લોકો બંદીવાન આપે છે તેઓનાથી તેઓ પોતાનું મુખ આડું ફેરવતાં નથી.
34 આકાશ તથા પૃથ્વી તેમનું સ્તવન કરો;
    સમુદ્રો તથાં તેમાનાં સર્વ જળચર તેમની સ્તુતિ કરો.
35 કારણ, દેવ સિયોનને તારશે
    અને યહૂદિયાનાં નગરોનું નવનિર્માણ કરશે;
તેનાં લોકો તે નગરોમાં વસવાટ કરશે અને તે જન્મભૂમિનો કબજો મેળવશે.
36     વળી તેના સેવકોનાં સંતાન દેશનો વારસો પામશે,
    તેમનાં નામ પર પ્રીતિ રાખનારાઁ તેમાં વસશે.

ગીતશાસ્ત્ર 73

ભાગ ત્રીજો

(ગીત 73–89)

આસાફના સ્તુતિગીત.

જેઓના હૃદય શુદ્ધ છે ઇસ્રાએલ પર;
    તેમના પર ખરેખર દેવ કૃપાવાન છે.
પરંતુ હું લગભગ લપસ્યો
    અને પાપ કરવા લાગ્યો,
કારણ જ્યારે મેં પેલા
    દુષ્ટ લોકોની શાંતિ અને સમૃદ્ધિ જોઇ.
તેઓને જીવનપર્યંત મુશ્કેલી આવતી નથી,
    અને તેઓ સમૃદ્ધ અને બળવાન થતાં જાય છે.
તેમનાં પર માનવજાતનાં દુ:ખો આવતાં નથી;
    અને બીજાઓની જેમ તેઓને પીડા થતી નથી.
તેઓનો ગર્વ ગળાની કંઠી જેવો છે, જે હીરાની જેમ ચમકે છે;
    તેઓએ હિંસા રૂપી વસ્ર ધારણ કર્યા છે.
તેઓ જે વસ્તુઓને જુએ છે તેને વધુ ને વધુ રાખવા ઇચ્છે છે;
    તેને પ્રાપ્ત કરવાના માર્ગો હંમેશા શોધે છે.
તેઓ અન્યોની મશ્કરી કરે છે અને ધિક્કારથી વાત કરે છે,
    તેમણે અન્યો પર કેવી રીતે દમન કર્યું તેના વિષે અભિમાનથી બોલે છે.
દેવની વિરુદ્ધ તેઓ બણગાં ફૂંકે છે,
    તેઓની જીભ અભિમાનથી વાતો કરે છે; પૃથ્વી પર.
10 તેથી દેવના લોકો પણ તેમની તરફ વળે છે
    અને તેઓ જે કહે તે સ્વીકારે છે.[a]
11 તેઓ પૂછે છે કે, “જે કાંઇ બની રહ્યું છે, તે વિષે શું દેવ માહિતગાર છે?
    શું પરાત્પરમાં કાંઇ જ્ઞાન છે?”

12 દુષ્ટ લોકોને જુઓ તો તેઓ હંમેશા ચિંતામુકત હોય છે;
    અને તેઓ શાંતિમાં રહીને સંપત્તિ વધારતા જાય છે.
13 મે મારું હૃદય શુદ્ધ રાખ્યું છે, અને મારા હાથ નિર્દોષ રાખ્યા છે;
    પણ તેથી કોઇ વિશેષ ફાયદો નથી.
14 કારણ હું આખો દિવસ પીડાયા કરું છું,
    અને દર સવારે મને શિક્ષા થાય છે.

15 પરંતુ જો મેં આ પ્રમાણે કહેવાનો નિર્ણય કર્યો હોત,
    તો મેં તમારા લોકોનો વિશ્વાસઘાત કર્યો હોત.
16 જ્યારે મેં તે સમજવા ઊંડો વિચાર કર્યો,
    ત્યારે મને લાગ્યું કે તે સમજવું મારે માટે બહુ કઠીન છે.
17 પછી હું દેવના પવિત્રસ્થાનમાં એક દિવસ ધ્યાન કરવા માટે ગયો,
    ત્યાં હું આખરે દુષ્ટ લોકો વિષે તેમનાં ભવિષ્ય અને તેમના અંત વિષે સમજ્યો.
18 તમે તેઓને લપસણી જગાએ મૂકો છો,
    અને તેઓને વિનાશમાં ફેંકી દો છો.
19 તેમની સુખસમૃદ્ધિનો તત્કાળ અંત આવશે,
    અને તેઓ અનંતકાળપર્યંત ત્રાસ પામશે.
20 તેઓનું વર્તમાન જીવન કેવળ એક સ્વપ્ન જેવું છે,
    માનવ સ્વપ્નમાંથી જાગી વાસ્તવિકતા નિહાળે છે;
તેમ તેઓ જાગ્રત થશે,
    હે યહોવા સત્ય સબંધી નીશ્ચે.

21 જ્યારે હું આ બધી વસ્તુઓ વિષે વિચારતો હતો
    ત્યારે મારું હૃદય ઉદાસ બની ગયું.
22 કેટલો મૂર્ખ અને અજ્ઞાની છું, હું તે જાણી શક્યો;
    હે દેવ, તમારી સમક્ષ હું તો હતો માત્ર એક પશુ જેવો.
23 પરંતુ, તેમ છતાંય, હું હંમેશા તમારી સાથે છું.
    અને તમે મારા જમણા હાથને પકડી રાખ્યો છે.
24 તમારા બોધથી અને સલાહથી જીવનપર્યત તમે દોરવણી આપશો;
    અને પછી તમે તમારા મહિમામાં મારો સ્વીકાર કરશો.
25 આકાશમાં તમારા વિના મારું બીજું કોણ છે;
    અને પૃથ્વી પર મને બીજું કોઇ પ્રિય નથી.
26 મારી તંદુરસ્તી ભલે મને છોડી જાય,
    મારું હૃદય ભલે તૂટી જાય, પણ મારી પાસે ખડક છે
    જેને હું ચાહું છું મારી પાસે દેવ સદાકાળ માટે છે.
27 પરંતુ તેઓ જે દેવથી દૂર છે તેમનો વિનાશ થશે.
    અને જેઓ તમને વફાદાર રહેતા નથી, તેમનો સંપૂર્ણ નાશ તમારા દ્વારા થશે.
28 પરંતુ હું દેવની નજીક રહ્યો છું અને તે મારા માટે સારું છે!
    મેં મારા પ્રભુ યહોવાને મારો આશ્રય બનાવ્યો છે!
    હું તમારા બધાં અદભૂત કૃત્યો વિષે કહેવા આવ્યો હતો.

એસ્તેર 1:1-4

રાણી વાશ્તી પદષ્ટ

આ બધું બન્યું ત્યારે અહાશ્વેરોશ રાજા, ભારતથી તે કૂશ સુધીના એકસો સત્તાવીસ પ્રાંતોનો સમ્રાટ હતો. રાજા અહાશ્વેરોશ પાટનગર સૂસામાં તેના સિંહાસન પર મહેલમાંથી રાજ્ય કરતો હતો.

તેના અમલના ત્રીજા વર્ષે તેણે પોતાના બધા અમલદારો અને દરબારીઓને એક ઉજાણી આપી. તે સમય દરમ્યાન ઇરાન તથા માદાયના લશ્કરી આગેવાનો અને મહત્વના નેતાઓ પણ ઉજાણીમાં હાજર હતા; તે સમયે તેણે તેમની સમક્ષ એક સો એંશી દિવસ સુધી પોતાના રાજ્યની વિપુલ સંપત્તિનું અને પોતાના રાજવૈભવનું પ્રદર્શન કર્યુ.

એસ્તેર 1:10-19

10 ઉજાણીના સાતમા દિવસે રાજા દ્રાક્ષારસ પીને ખુબ નશામાં હતો અને તેણે પોતાની સેવા કરતા સાત ખોજાઓ મહૂમાન, બિઝથા, હાબોર્ના, બિગ્થા, અબાગ્થા, ઝેથાર અને કાર્કાસને બોલાવ્યા અને હુકમ કર્યો કે, 11 રાણી વાશ્તીને તેણીનો મુગટ પહેરાવીને લાવો, જેથી આગેવાનો અને મહત્વના લોકો તેના સૌદર્યનું દર્શન કરે. રાણી સાચે જ બહુ સુંદર હતી.

12 પરંતુ જ્યારે ખોજાઓએ રાજાના આદેશ વિષે રાણીને કહ્યું ત્યારે તેણે આવવાનો ઇન્કાર કર્યો. આથી રાજાને ખૂબ ગુસ્સો ચઢયો, અને તે ક્રોધથી ભભૂકી ઊઠયો. 13 તેથી રાજાએ બુદ્ધિમાન માણસોની કાનૂની નિષ્ણાંતોની અને હાલના વિષયોમાં જાણકારોની સલાહ લીધી, કારણ, રાજા માટે કાનૂન અને વ્યવસ્થાના નિષ્ણાતોની સલાહ લેવાનો ત્યારે રિવાજ હતો. 14 બુદ્ધિમાન માણસો જે રાજાની ખૂબ નજીક હતાં તે કાર્શના, શેથાર આદમાથા, તાશીર્શ, મેરેસ, માર્સના, અને મમૂખાન જેવા સૌથી નજીકના માણસો હતા. એ સાતે ઇરાનના અને માદાયના નેતાઓ હતા. તેઓ રાજાને સીધા મળી શકતા હતા, અને રાજ્યમાં ઉંચી પદવીઓ ધરાવતા હતા. 15 રાજાએ તેઓને પ્રશ્ર્ન કર્યો, “દરબારીઓ મારફતે પહોંચાડવામાં આવેલી રાજાની આજ્ઞાનું ઉલ્લંઘન કરવા માટે કાયદેસર રીતે રાણી વાશ્તી સામે શાં પગલાં લેવાં જોઇએ?”

16 પછી રાજા અને તેના અમલદારો સમક્ષ મમૂખાને કહ્યુ કે, “વાશ્તી રાણીએ કેવળ રાજા વિરૂદ્ધ જ નહિ પરંતુ અહાશ્વેરોશના સામ્રાજ્યના પ્રત્યેક અધિકારી તથા પ્રત્યેક નાગરિક વિરૂદ્ધ અપરાધ કર્યો છે. 17 બધી જ સ્ત્રીઓને રાણીના વર્તનની જાણ થશે અને તેઓ પણ પોતાના પતિ પ્રત્યે અનાદર કરવા પ્રેરાશે, તેઓ પોતાના પતિઓને કહેશે કે, ‘અહાશ્વેરોશ રાજાએ વાશ્તી રાણીને પોતાની સંમુખ આવવા આજ્ઞા કરી પણ રાણીએ તેનુ પણ પાલન કર્યુ નહિ.’

18 “તે જ દિવસે ઇરાન તથા માદાયના આગેવાનો અને અમલદારોની પત્નીઓ જેને રાણીના જવાબની જાણ થઇ, તેઓ પોતાના પતિઓની સાથે એની વાત કરવાની અને તેને પરિણામે સમગ્ર રાજ્યમાં અવિનય અને ક્રોધ મોટી માત્રામાં ફેલાઇ જશે,

19 “જો રાજાને પસંદ પડે તો અમારીં સલાહ આ છે: જેને ઇરાન અને માદાયના કાનૂનોમાં લખવામાં આવશે અને તેને બદલી શકાશે નહિ, શાહી ફરમાન બહાર પાડો: ‘વાશ્તી રાણીએ અહાશ્વેરોશ રાજાની હાજરીમાં ક્યારેય ન આવવું.’ પછી આપ બીજી કોઇ વધુ પાત્રતાવાળી સ્ત્રીને રાણી બનાવો.

પ્રેરિતોનાં કૃત્યો 17:1-15

થેસ્સલોનિકમાં પાઉલ અને સિલાસ

17 પાઉલ અને સિલાસે અમ્ફિપુલિસ અને અપલોનિયાના શહેરોમાં થઈને મુસાફરી કરી. તેઓ થેસ્સલોનિકા શહેરમાં આવ્યા. ત્યાં તે શહેરમાં યહૂદિઓનું સભાસ્થાન હતું. પાઉલ આ સભાસ્થાનમાં યહૂદિઓને મળવા માટે ગયો. આ તેનો હંમેશનો રિવાજ હતો. પ્રત્યેક વિશ્રામવારે ત્રણ અઠવાડિયા સુધી પાઉલ યહૂદિઓ સાથે ધર્મશાસ્ત્રો વિષે વાતો કરતો. પાઉલ યહૂદિઓને આ ધર્મશાસ્ત્રો સમજાવતો. તેણે બતાવ્યું કે ખ્રિસ્તે મૃત્યુ પામવું અને પછી મૃત્યુમાંથી પાછા ઊઠવું એ આવશ્યક હતું. પાઉલે કહ્યું, “આ માણસ ઈસુ કે જેના વિષે હું તમને કહું છું તે ખ્રિસ્ત છે.” કેટલાએક યહૂદિઓના મનનું સમાધાન થયું અને તેઓ પાઉલ અને સિલાસ સાથે જોડાયા. સભાસ્થાનમાં ત્યાં કેટલાએક ગ્રીક માણસો પણ હતા જેઓ સાચા દેવની ભક્તિ કરતા હતા. ત્યાં કેટલીએક મહત્વની સ્ત્રીઓ પણ હતી, આ લોકોમાંના ઘણા પાઉલ અને સિલાસ સાથે જોડાયા.

પણ યહૂદિઓ જેઓ માનતા ન હતા તેઓ ઈર્ષ્યાળુ બન્યા. તેઓએ શહેરમાંથી કેટલાએક ખરાબ ભાડૂતી માણસો રાખ્યા. આ ખરાબ માણસોએ ઘણા લોકોને ભેગા કર્યા અને શહેરમાં મુશ્કેલીઓ ઊભી કરી. તે લોકો પાઉલ અને સિલાસની શોધમાં યાસોનના ઘરમાં ગયા. તે માણસો પાઉલ અને સિલાસને લોકોની આગળ બહાર કાઢવા ઇચ્છતા હતા. પણ તેઓ પાઉલ અને સિલાસને શોધી શક્યા નહિ. તેથી તે લોકોએ યાસોન અને બીજા કેટલાએક વિશ્વાસીઓને શહેરના આગેવાનો આગળ ઘસડી લાવ્યા. તે બધા લોકોએ બૂમો પાડી. “આ માણસોએ વિશ્વમાં દરેક જગ્યાએ મુશ્કેલી ઊભી કરી છે. અને તેઓ હવે અહીં આવ્યા છે. યાસોન તેઓને તેના ઘરમાં રાખે છે. તેઓ બધા કૈસરની નિયમની વિરૂદ્ધ ગયા અને તેઓ કહે છે કે ત્યાં બીજો એક ઈસુ નામે રાજા છે.”

શહેરના અધિકારીઓ અને બીજા લોકોએ આ વાતો સાંભળી. તેઓ ઘણા બેચેન બન્યા. તેઓએ યાસોનને તથા બીજા વિશ્વાસીઓને દંડ કર્યો. પછી તેઓએ વિશ્વાસીઓને છોડી દીધા.

પાઉલ અને સિલાસનું બરૈયામાં જવું

10 તે જ રાત્રે વિશ્વાસીઓએ પાઉલ અને સિલાસને બરૈયા નામના બીજા એક શહેરમાં મોકલ્યા. તેઓ ત્યાં આવીને બરૈયામાં યહૂદિઓના સભાસ્થાનમાં ગયા. 11 આ યહૂદિઓ થેસ્સલોનિકાના યહૂદિઓ કરતાં વધારે સારા લોકો હતા. આ યહૂદિઓ પાઉલ અને સિલાસે જે વાતો કહી તે ધ્યાનથી સાંભળીને ઘણા ખુશ થયા હતા. બરૈયાના આ યહૂદિઓ પ્રતિદિન ધર્મશાસ્ત્રોનો અભ્યાસ કરતા. તેઓ જો આ વસ્તુઓ સાચી હોય તો જાણવા ઈચ્છતા હતા. 12 આ યહૂદિઓમાંના ઘણા માનતા. ઘણા મહત્વના ગ્રીક માણસો અને ગ્રીક સ્ત્રીઓએ પણ વિશ્વાસ કર્યો.

13 પરંતુ જ્યારે થેસ્સલોનિકાના યહૂદિઓએ સાંભળ્યું કે પાઉલે બરૈયામાં દેવનાં વચન કહ્યા. તેઓ પણ બરૈયામાં આવ્યા. થેસ્સલોનિકાના લોકોએ બરૈયાના લોકોને ઉશ્કેરીને મુશ્કેલીમાં મૂક્યા. 14 તેથી વિશ્વાસીઓએ પાઉલને ઝડપથી સમુદ્ર કિનારે મોકલી દીધો. પરંતુ સિલાસ અને તિમોથી બરૈયામાં રહ્યા. 15 વિશ્વાસીઓ જે પાઉલની સાથે ગયા, તેઓ તેમને આસ્થેન્સ શહેરમાં લઈ ગયા. આ ભાઈઓ પાઉલ પાસેથી સંદેશો લઈને સિલાસ અને તિમોથી પાસે પાછા ગયા. સંદેશામાં કહ્યું, “મારી પાસે જેટલા બની શકે તેટલા જલ્દી આવો.”

યોહાન 12:36-43

36 તેથી જ્યાં સુધી તમારી પાસે પ્રકાશ હોય ત્યાં સુધી તમારો વિશ્વાસ પ્રકાશ પર રાખો. પછી તમે પ્રકાશના દીકરા બનશો.” જ્યારે ઈસુએ આ વાતો કહેવાનું પૂર્ણ કર્યુ ત્યારે તે વિદાય થયો. ઈસુ એવી જગ્યાએ ગયો જ્યાં લોકો તેને શોધી શકે નહિ.

યહૂદિઓએ ઈસુમાં વિશ્વાસ કરવાની ના પાડી

37 ઈસુએ ઘણા ચમત્કારો કર્યા. લોકોએ આ બાબતો જોઈ. પણ તેઓએ હજુ પણ તેનામાં વિશ્વાસ કર્યો નહિ. 38 તે સંપૂર્ણ રીતે સમજાવવા યશાયા પ્રબોધકે કહ્યું:

“પ્રભુ, અમે તેઓને જે કહ્યું છે તેને કોણે માન્યું છે?
    પ્રભુની સત્તા કોણે જોઈ છે?” (A)

39 આના કારણે જ લોકો વિશ્વાસ કરી શક્યા નહિ. કારણ કે યશાયાએ વળી કહ્યું હતુ કે,

40 “દેવે લોકોને આંધળા બનાવ્યા.
    દેવે તેમનાં મન જડ કર્યા દેવે
આ કર્યુ તેથી કરીને તેઓ પોતાની આંખોથી આ જોઈ શકે નહિ
અને તેમના મનથી સમજે નહિ. રખેને હું તેઓને સાજા કરું.” (B)

41 યશાયાએ આ કહ્યું કારણ કે તેણે તેનો (ઈસુનો) મહિમા જોયો. તેથી યશાયા તેના (ઈસુ) વિષે બોલ્યો.

42 પરંતુ ઘણા લોકોએ ઈસુમાં વિશ્વાસ મૂક્યો. ઘ્ૅંણા યહૂદિ આગેવાનોએ પણ ઈસુમાં વિશ્વાસ મૂક્યો. પરંતુ તેઓ ફરોશીઓથી બીતા હતા. તેથી તેઓ જાહેરમાં કહી શકતા નહોતા કે તેઓએ વિશ્વાસ મૂક્યો છે. તેઓને ભય હતો કે તેઓ તેમને કદાય સભાસ્થાનમાંથી કાઢી મૂકે. 43 આ માણસો દેવ તરફથી થતી પ્રસંશા કરતાં માણસો તરફથી થતી પ્રસંશાને વધારે ચાહતા હતા.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International