Book of Common Prayer
નિર્દેશક માટે. દાઉદનું ગીત.
1 મેં ધીરજથી સહાય માટે યહોવાની વાટ જોઇ,
તેમણે મારી વિનંતી સાંભળી ને મને ઉત્તર આપ્યો.
2 યહોવાએ મને ઉંચકીને કબરની બહાર કાઢયો,
તેમણે મને કાદવમાંથી બહાર કાઢયો,
તેમણે મારા પગને અચળ ખડક પર ગોઠવ્યા,
અને મારા પગલા સ્થિર કર્યા.
3 તેમણે આપણા દેવનું સ્તોત્ર,
મારા મુખમાં મૂક્યું છે,
એટલે ઘણા નવું ગીત જોશે અને બીશે;
અને યહોવા પર ભરોસો રાખશે.
4 જે યહોવાનો વિશ્વાસ કરે છે તે ને ધન્ય છે.
તે દૈત્યો પાસે અને ખોટા દેવ પાસે મદદ માટે જતો નથી.
5 હે યહોવા મારા દેવ, તમે અમારા માટે મહાન ચમત્કારો કર્યા છે.
તમારી પાસે અમારા માટે અદૃભૂત યોજનાઓ છે.
તમારા જેવું કોઇ નથી!
હું તે અસંખ્ય અદભૂત કૃત્યોના વિષે વારંવાર કહીશ.
6 તમારે ખરેખર યજ્ઞોની અને ખાદ્યાર્પણની જરૂર નથી.
તમે દહનાર્પણ અથવા પાપાર્થાર્પણ માગ્યાઁ નથી.
તમે મારા કાન ઉઘાડ્યા છે જેથી હું તમારો સાદ સાંભળી શકુ.
7 મેં કહ્યું, “હું મારા વિષે પ્રબોધકોએ
ગ્રંથમાં લખાએલી ભવિષ્યવાણી પ્રમાણે આવ્યો છું.
8 હે મારા દેવ, હું તમારી ઇચ્છાનુસાર કાર્ય કરવાને માટે રાજી છું.
તમારો નિયમ મારા હૃદયમાં છે.”
9 એક મહા મંડળીમાં તમારાં ન્યાયના શુભ સમાચારની જાહેરાત કરી છે,
હે યહોવા, તમે જાણો છો કે મેં ક્યારેય મારું મોઢું બંધ નથી રાખ્યું.
10 મેં કયારેય તમારી નિષ્પક્ષતાને
મારા હૃદયમાં છુપાવી નથી.
મેં મહામંડળીમાં તમારી વિશ્વસનીયતા
અને તારણ વિષે જાહેરાત કરી છે.
11 હે યહોવા, તમારી અખૂટ કૃપા મારાથી પાછી ન રાખશો.
તમારો સાચો પ્રેમ હંમેશા મારી રક્ષા કરે છે.
12 કારણ, મારા માથે સમસ્યાઓનો
ઢગલો ખડકાયો છે;
મારા અસંખ્ય પાપોનાં બોજ નીચે
હું દબાઇ ગયો છું મારા પાપો
મારા માથાના વાળથીયે વધારે છે.
મેં મારી હિંમત ગુમાવી છે.
13 હે યહોવા, કૃપા કરી ને મારી રક્ષા કરો.
હે યહોવા, હવે મને સહાય કરવા ઉતાવળ કરો.
14 હે યહોવા, જેઓ મને મારી નાંખવાનો પ્રયત્ન કરે છે
તેઓ ફજેત થાઓ
અને પરાજય પામો જેઓ
મારું નુકશાન કરવા માગે છે
તેઓ શરમથી નાસી જાઓ.
15 જેઓ મારી મજાક કરે છે;
તેઓ પરાજયથી પાયમાલ થાઓ.
16 યહોવા પર અને તેના તારણ પર પ્રેમ કરનાર સર્વના હિતમાં, તેમના યહોવાના આનંદનો ભાગ સદા કાયમ રહો.
ઉદ્ધાર ચાહનારા નિરંતર કહો, “યહોવા મોટા મનાઓ.”
17 હું દીન તથા દરિદ્રી છું, મારી ચિંતા કરો;
હે મારા દેવ,
તમે મારા સહાયક તથા મુકિતદાતા છો;
માટે હવે વિલંબ ન કરશો.
નિર્દેશક માટે. વાજીંત્ર સાથે ગાવા માટે દાઉદનું માસ્કીલ. જ્યારે ઝીફીઓએ આવીને શાઉલને કહ્યું કે, “દાઉદ અમારી વચ્ચે સંતાઇ રહ્યો છે.” ત્યારનું ગીત.
1 હે યહોવા દેવ, તમારા નામે મને બચાવો;
અને તમારા પરાક્રમથી મારો ન્યાય કરો.
2 હે દેવ, મારી પ્રાર્થના સાંભળો;
મારા મોઢાંની વાતો કાને ઘરો.
3 વિદેશનાં માણસો મારી વિરુદ્ધ થયા છે, તેઓ અતિ ક્રૂર છે,
મારો જીવ લેવા ઇચ્છે છે. “દેવ છે” એ હકીકતની તેમને દરકાર નથી.
4 યહોવા દેવ, મને સહાય કરનાર છો,
મારા જીવનનો એજ આધાર છે.
5 યહોવા મારા શત્રુઓને દુષ્ટતાનો બદલો આપશે,
હે દેવ, તમારા સત્ય વચનો પ્રમાણે દુષ્ટોનો અંત લાવો.
6 હું તમારી પાસે, રાજીખુશીથી મારા અર્પણો લાવું છું;
હે યહોવા, હું તમારા શુભ નામની સ્તુતિ કરીશ.
7 દેવે મારી, સર્વકાળે સર્વ સંકટમાં રક્ષા કરી છે;
મારા શત્રુઓ પર વિજય અપાવ્યો, તે મેં નજરે નિહાળ્યું છે.
નિર્દેશક માટે. દાઉદનું ગીત.જ્યારે નાથાન પ્રબોધક દાઉદને મળ્યો, બાથશેબા સાથે પાપ કર્યા ત્યાર પછી લખાયું છે.
1 હે પ્રેમાળ દયાળુ દેવ!
મારા પર દયા કરો.
તમારી મહાન સહાનુભૂતિથી
મારા પાપો ભૂંસી નાખો.
2 હે યહોવા, મારા અપરાધ
અને પાપોથી મને ધુઓ અને મને પરિશુદ્ધ કરો.
3 હું મારા શરમજનક કૃત્યોની કબૂલાત કરું છું,
હું હંમેશા મારા પાપો વિશે વિચારું છું.
4 મેં તમારી વિરુદ્ધ પાપ કર્યાં છે,
હા તમારી વિરુદ્ધ;
જે ભયંકર કૃત્યો મેં કર્યા છે તે તમે જોયા છે.
તેથી તમે તમારા નિર્ણયો
અને મારી વિરુદ્ધ લીધેલા ઠરાવોમાં સાચા અને ન્યાયી છો.
5 હું પાપમાં જન્મ્યો હતો,
મારી માતાએ પાપમાં મારો ગર્ભ ધારણ કર્યો.
6 તમે માંગો છો અંત:કરણની સત્યતા અને પ્રામાણિકતા,
મારામાના ઊંડાણમાં સાચું જ્ઞાન મૂકો.
7 મારા પાપો ઝુફાથી દૂર કરો, જેથી હું શુદ્ધ થઇશ;
અને તેથી મને હિમથી પણ શ્વેત બનાવવા માટે ધુઓ.
8 મને સુખ અને આનંદ આપો, અને ભલે મારા હાડકાં,
જે તમે કચડી નાંખ્યા હતાં તે ફરીથી આનંદ પામે.
9 મારા પાપો તરફ જોશો નહિ,
ભૂંસી નાખો મારા સર્વ પાપ.
10 હે દેવ, મારામાં નવું શુદ્ધ હૃદય ઉત્પન્ન કરો,
અને મારા આત્માને મજબૂત કરો!
11 મને તમારી સંમુખથી સદાકાળ માટે દૂર કરશો નહિ,
અને તમે મારી પાસેથી તમારો પવિત્ર આત્મા છીનવી ન લેશો.
12 જ્યારે તમે મને બચાવતા જે આનંદ આપ્યો હતો તે મને પાછો આપો.
મારા આત્માને મજબૂત,
તૈયાર અને તમને અનુસરવા તત્પર બનાવો.
13 ત્યારે હું ઉલ્લંધન કરનારાઓને તમારા માર્ગો શીખવીશ,
અને પાપીઓ તમારા તરફ ફરશે.
14 હે મારા દેવ, મારા તારણહાર;
મને મૃત્યુદંડથી બચાવો;
હું આનંદથી તમારી સ્તુતિ ગાઇશ,
અને હું તમારી નિષ્પક્ષતા વિષે બોલીશ.
15 હે યહોવા, તમે મારા હોઠ ઉધાડો;
એટલે મારું મુખ સ્તુતિ પ્રગટ કરશે.
16 તમે યજ્ઞોથી રીઝતા નથી, નહિ તો હું તે અર્પણ કરત;
તમને વેદી પર અર્પણ કરેલાં દહનાર્પણ પસંદ નથી.
17 દેવને જે અર્પણ જોઇએ છે તે છે ભંગિત, ખેદિત,
પશ્ચાતાપી આત્મા. હે દેવ, નમ્ર અને આજ્ઞાંકિત હૃદયના વ્યકિતનો અસ્વીકાર તમે કરશો નહિ.
18 દેવ, તમે સિયોનનું ભલું કરો,
અને યરૂશાલેમની આજુબાજુ તમે ફરી દિવાલ બાંધો.
19 અને પછી તમારી વેદી પર, ગોધાઓનું અર્પણ થશે,
અને તમને ન્યાયીપણાના યજ્ઞોથી,
દહનાર્પણ તથા અખંડ દહનાર્પણોથી પ્રસન્ન કરાશે.
અયૂબનો રોષ
29 વધુમાં અયૂબે અનુસંધાનમાં કહ્યું:
24 “મેં મારી ધનસંપત્તિ પર કદી આધાર રાખ્યો નથી,
અને હંમેશા મદદ કરવા માટે મને દેવમાં વિશ્વાસ હતો.
મેં કદી કહ્યું નથી કે શુદ્ધ સ્વર્ણ, ‘તુંજ મારી એકમાત્ર આશા છે.’
25 હું ધનવાન છું પણ તેથી હું અભિમાની નથી.
હું ખૂબ પૈસા કમાયો.
પણ તે એકજ એવી વસ્તુ
નથી જેનાથી હું સુખી થયો.
26 મેં તેજસ્વી સૂર્ય કે સુંદર
ચંદ્રની પૂજા કરી નથી.
27 હું સૂર્ય અને ચંદ્રની પૂજા
કરું એવો મૂર્ખ ન હતો.
28 તે પણ એક પાપ છે જેની સજા થવીજ જોઇએ.
જો મેં એવી કોઇપણ વસ્તુની ઉપાસના કરી હોય તો હું દેવને વિશ્વાસુ રહ્યો હોઇશ નહિ.
29 “હું મારા શત્રુના દુ:ખે
કદી ખુશ થયો નથી.
તેઓની મુશ્કેલીમાં મેં
કદી હાંસી નથી ઉડાવી.
30 મે મારા મુખને મારા દુશ્મનોને શાપ આપવાનું
અને તેઓ મરી જાય તેમ ઇચ્છવાનું પાપ કદી કરવા દીધું નથી.
31 મારા ઘરમાં દરેક જણ જાણે છે
કે મેં અજાણ્યાને કાયમ ખાવાનું આપ્યું છે.
32 પરદેશીને માર્ગમાં ઉતારો કરવો પડતો નહોતો;
પણ મુસાફરને માટે મારાઁ બારણાં હંમેશા ઉઘાડાં હતાં.
33 જો આદમની જેમ
મેં મારાં પાપ સંતાડ્યાં હોય,
34 લોકો કદાચ શું કહેશે એવો મને કદી ડર લાગ્યો નથી.
ડરે મને કદી ચૂપ રહેવા દીધો નથી.
એણે મને કદી બહાર જતા રોક્યો નથી.
લોકોના મારા પરના ધિક્કારથી હું ડરતો નથી.
35 “અરે હું ઇચ્છું છું, મને કોઇ સાંભળતું હોત!
મને મારી બાજુ સમજાવવા દો.
હું ઇચ્છું છું કે સર્વસમર્થ દેવ મને જવાબ આપે.
હું ઇચ્છું છું કે તેને જે લાગે મેં ખોટું કર્યુ છે તો તે લખી નાખે.
36 તો હું એને મારે ખભે લટકાવીશ.
હું રાજમુગટની જેમ તેને પહેરીશ.
37 હું મારા એકેએક પગલાનો અહેવાલ તેને આપીશ.
હું મારું માથું ઊચુ રાખીને એની સામે ઊભો રહીશ.
38 “મેં મારી જમીન કોઇ પાસેથી ચોરી નથી,
કોઇપણ મને તેની ચોરી માટે દોષિત ઠરાવી શકે તેમ નથી.
39 મેં હંમેશા ખેડૂતોને તેના ખોરાક માટે પૈસા ચૂકવ્યા,
જે મને આ જમીનમાંથી મળ્યા.
મેં કદી બીજા માણસની જમીન
તેને મારી નાખીને ઝૂંટવવાની કોશિષ કરી નથી.
40 જો મેં કોઇ આવી ખરાબ બાબત કરી હોય
તો એવું થજો કે મારી જમીનમાં ઘંઉ અને જવને બદલે કાંટા અને ખડ ઉગે!”
અયૂબનું નિવેદન પૂરું થયું.
12 પછી આખો સમૂહ શાંત થયો. તેઓએ પાઉલ અને બાર્નાબાસની વાણીને ધ્યાનપૂર્વક સાંભળી. પાઉલ અને બાર્નાબાસે બિનયહૂદિ લોકોની વચમાં દેવ દ્ધારા જે ચમત્કારો તથા અદભૂત પરાક્રમો કર્યા હતા તે બધા વિષે કહ્યું, 13 પાઉલ અને બાર્નાબાસે તેમનું વક્તવ્ય પૂરું કર્યુ. પછી યાકૂબે કહ્યું. તેણે કહ્યું, “મારા ભાઈઓ, મને ધ્યાનથી સાંભળો. 14 સિમોને (પિતર) અમને બતાવ્યું કે બિનયહૂદિ લોકો પર દેવે તેનો પ્રેમ કેવી રીતે દર્શાવ્યો છે. દેવે પ્રથમ વખત જ બિનયહૂદિ લોકોને સ્વીકારીને તેઓને તેઓના લોકો બનાવ્યા. 15 પ્રબોધકોનાં વચનો પણ આ સાથે સુસંગત છે:
16 ‘હુ (દેવ) આ પછી પાછો આવીશ.
હું દાઉદનું મકાન ફરીથી બાંધીશ.
તે નીચે પડી ગયેલું છે.
હું તેના મકાનના ભાગોને ફરીથી બાંધીશ.
જે નીચે ખેંચી કાઢવામાં આવેલ છે. હું તે મકાન ફરીથી બાંધીશ.
17 પછી બીજા બધા બાકીના લોકો પ્રભુને શોધશે.
બધા જ બિનયહૂદિ લોકો પણ મારા લોકો છે.
પ્રભુએ આ કહ્યુ છે.
અને પ્રભુ જે આ બધું કરે છે તે આ એક કહે છે.’(A)
18 ‘દુનિયાના આરંભથી આ વસ્તુઓ પ્રગટ થયેલ છે.’
19 “તેથી હું વિચારું છું કે આપણે બિનયહૂદિ ભાઈઓ જે દેવ તરફ વળ્યા છે તેઓને હેરાન ન કરીએ. 20 તેને બદલે, આપણે તેઓને પત્ર લખવો જોઈએ. આપણે તેઓને આ બાબતો કહેવી જોઈએ:
મૂર્તિઓને ધરાવેલો ખોરાક તેઓએ ખાવો નહિ. આનાથી ખોરાક અશુદ્ધ બને છે.
કોઈ પણ પ્રકારનું વ્યભિચારનું પાપ કરવું નહિ.
લોહીવા ચાખો (ખાઓ) નહિ. ગૂંગળાવીને મારી નાખેલાં પશુઓને ખાઓ નહિ.
21 તેઓએ આ બાબતો કરવી જોઈએ નહિ, કારણ કે આજે પણ દરેક શહેરમાં હજી એવા માણસો (યહૂદિઓ) છે જેઓ મૂસાના નિયમશાસ્ત્રનો બોધ આપે છે. ઘણા વર્ષોથી પ્રત્યેક વિશ્રામવારે સભાસ્થાનોમાં મૂસાના વચનો વાંચવામાં આવે છે.”
30 ઈસુ હજુ ગામમાં આવ્યો ન હતો. તે હજુ માર્થા તેને જ્યાં મળી તે જગ્યાએ હતો. 31 યહૂદિઓ મરિયમ સાથે ઘરમાં હતા. તેઓ તેને દિલાસો આપતા હતા. તેઓએ જોયું કે મરિયમ ઉતાવળથી ઊભી થઈને બહાર ગઈ. તેઓએ ધાર્યું કે તે લાજરસની કબર તરફ જાય છે. તેઓએ વિચાર્યુ કે તે ત્યાં વિલાપ કરવા જાય છે. તેથી તેઓ તેને અનુસર્યા. 32 મરિયમ ઈસુ જે જગ્યાએ હતો ત્યાં ગઈ. જ્યારે તેણે ઈસુને જોયો. તે તેના પગે પડી. મરિયમે કહ્યું, “પ્રભુ, જો તું અહીં હોત તો મારો ભાઈ મરત નહિ.”
33 ઈસુએ જોયું કે મરિયમ રડતી હતી. ઈસુએ તે પણ જોયું કે યહૂદિઓ તેની સાથે આવ્યા હતા. તેઓ પણ રડતા હતા. ઈસુનું હૃદય ઘણું દુઃખી થયું અને તે ઘણો વ્યાકુળ હતો. 34 ઈસુએ પૂછયું, “તમે તેને (લાજરસ) ક્યાં મૂક્યો છે?”
તેઓ કહે છે, “પ્રભુ આવીને જો.”
35 ઈસુ રડ્યો.
36 અને યહૂદિઓએ કહ્યું, “જુઓ! ઈસુ લાજરસ પર પ્રેમ રાખતો હતો!”
37 પણ કેટલાક યહૂદિઓએ કહ્યું, “ઈસુએ આંધળા માણસની આંખો સાજી કરી છે. ઈસુમાં શું લાજરસ ન મરે એવું પણ કરવાની શક્તિ ન હતી?”
ઈસુ લાજરસને ફરીથી સજીવન કરે છે
38 ફરીથી ઈસુને તેના હૃદયમાં ઘણું દુઃખ થયું.
જ્યાં લાજરસ હતો તે કબર પાસે ઈસુ આવ્યો. તે કબર એક ગુફા હતી. તેના પ્રવેશદ્વારને મોટા પથ્થર વડે ઢાંકેલું હતું. 39 ઈસુએ કહ્યું, “આ પથ્થરને દૂર કરો.”
માર્થાએ કહ્યું, “પણ પ્રભુ, લાજરસને મરી ગયાને હજુ ચાર દિવસ થયા છે. ત્યાં દુર્ગંધ હશે.” માર્થા મૃત્યુ પામનાર માણસ (લાજરસ) ની બહેન હતી.
40 પછી ઈસુએ માર્થાને કહ્યું, “યાદ કર મેં તને શું કહ્યું હતું?” મેં કહ્યું, “જો તું વિશ્વાસ કરશે તો પછી તું દેવનો મહિમા જોઈ શકશે.”
41 તેથી તેઓએ પ્રવેશદ્વાર પરથી પથ્થર હઠાવ્યો. પછી ઈસુએ ઊંચે જોયું અને કહ્યું, “પિતા, હું તારો આભાર માનું છું. કારણ કે તેં મને સાંભળ્યો. 42 હું જાણું છું કે તુ મને હંમેશા સાંભળે છે. પરંતુ મેં આ કહ્યું કારણ કે અહીં મારી આજુબાજુ લોકો છે. હું ઈચ્છું છું કે તેઓ વિશ્વાસ કરે કે તેં મને મોકલ્યો છે.”
43 ઈસુએ આમ કહ્યા પછી મોટા સાદે પોકાર કર્યો, “લાજરસ બહાર આવ!” 44 તે મૃત્યુ પામેલ માણસ (લાજરસ) બહાર આવ્યો. તેના હાથ અને પગ લૂગડાંના ટૂકડાઓથી વીંટળાયેલા હતા. તેનો ચહેરો રૂમાલથી ઢાંકેલો હતો.
ઈસુએ લોકોને કહ્યું, “તેના પરથી લૂગડાંના ટૂકડા લઈ લો અને તેને જવા દો.”
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International