Book of Common Prayer
નિર્દેશક માટે. રાગ: “શોશાન્નિમ.” કોરાહના કુટુંબનું માસ્કીલ. પ્રેમનું ગીત.
1 મારૂં હૃદય સુંદર શબ્દોથી ભરાઇ ગયું છે.
મેં રાજા માટે કવિતા રચી છે તે.
હું બોલ છું.
મારી જીભ શ્રેષ્ઠ લેખકની જેમ ઘણા શબ્દોથી ભરાઇ ગઇ છે.
2 તમે કોઇ પણ માણસ કરતાં વધારે સુંધર છો.
તમારાં શબ્દો કૃપાથી ભરેલાં છે.
તમો દેવ દ્વારા સદાને માટે આશીર્વાદ પામેલા છો.
3 હે પરાક્રમી, તમે તમારી તરવાર કમરે બાંધો;
અને ગૌરવથી પ્રતાપ પરિધાન કરો.
4 તમે ભવ્ય દેખાઓ છો, જાઓ, સત્ય અને ભલાઇ અને ન્યાયની લડતમાં વિજયી થાઓ.
પ્રભાવશાળી કાર્યો કરવા માટે તમારી શકિતશાળી જમણી બાહુ કેળવાયલી છે.
5 તમારા તીક્ષ્ણ બાણો મારા શત્રુઓના હૃદયો વીંધે છે,
તેઓ તમારા ચરણોમાં ઢળી પડે છે અને લોકો તમારા શરણે આવે છે.
6 હે દેવ, તમારૂં રાજ્યાસન સનાતન છે;
અને તમારો રાજદંડ એ તમારૂં ન્યાયી શાસન છે.
7 તમને ન્યાયીપણા પર પ્રીતિ છે, અને દુષ્ટતા પ્રતિ તિરસ્કાર છે;
માટે સર્વસમર્થ દેવ, હા, તારા દેવે;
તમને સર્વ કરતાં શ્રેષ્ઠ ગણીને આનંદના તેલથી અભિષિકત કર્યા છે.
8 હાથીદાંતના મહેલોમાં મારાં વસ્રો બોળ, અગરને તજની સુગંધથી કેવા મહેકે છે,
ને તારનાં વાદ્યો તને આનંદ આપે છે.
9 તમારી માનીતી સ્રીઓમાં ઘણી રાજકુમારીકાઓ છે.
શુદ્ધ સોનામાંથી બનાવેલો મુગટ પહેરેલી રાણી તમારી જમણે ઊભી છે.
10 હે રાજકન્યા, હું કહું તે તું કાને ધર;
ને પછી વિચાર કર;
તારા લોકોને ભૂલી જા અને તારા બાપનું ઘર ભૂલી જા.
11 તારા સૌંદર્યમાં મોહિત થઇને રાજા અતિ આનંદ પામે છે,
તે તારા સ્વામી છે,
માટે તેની સેવાભકિત કર.
12 તૂરના ધનવાન લોકો તમારા માટે ભેટ સોગાદો
લઇને તમને મળવા આવશે.
13 અતિ સુંદર રાજકન્યા, જનાનખાનામાં રાહ જુએ છે;
તેનાં સુંદર જરીનાં વસ્રોમાં, સોનાના તાર વણેલા છે.
14 તેણીએ સુંદર, શણગારેલા વસ્ત્રો પરિધાન કર્યા છે.
તેણીને રાજા પાસે લઇ જવામાં આવે છે.
તમારા માટે લાવવામાં આવેલી
કુમારિકાઓ તેને અનુસરે છે.
15 જ્યારે રાજમહેલમાં તેઓ પ્રવેશ કરશે
ત્યારે તેઓ આનંદ તથા ઉત્સાહથી ભરેલાં હશે.
16 તારા વંશજો તારા પછી શાસન કરશે.
તું તેમને સમગ્ર પ્રદેશના હાકેમ બનાવીશ.
17 હું તારું નામ સદા સર્વ પેઢીઓમાં અત્યંત પ્રિય કરીશ;
પૃથ્વી પરનાં સર્વ લોક સદા તારી આભારસ્તુતિ કરશે.
નિર્દેશક માટે. કોરાહનાં કુટુંબનું ગીત.
1 આવો તમે, હે સર્વ લોકો, તાળી પાડો,
આનંદથી મોટા અવાજે દેવના સ્તુતિગાન કરો.
2 કારણ પરાત્પર યહોવા સમગ્ર પૃથ્વીના
રાજાધિરાજ એ અતિ ભયાવહ છે.
3 તે બીજા રાષ્ટ્રોને આપણા તાબામાં
અને આપણા શાસન નીચે મૂકે છે.
4 તે આપણા માટે આપણો વારસો પસંદ કરે છે,
અને એટલે જ તેમણે, પોતાના વહાલા યાકૂબની ઉત્તમતા પસંદ કરી છે.
5 હા, આનંદના પોકારો સાથે અને રણશિંગડાના નાદ સાથે,
યહોવા રાજગાદી પર ચઢી ગયા છે.
6 દેવનાં સ્તોત્રો ગાઓ, આપણા રાજાના સ્તોત્રો ગાઓ;
પ્રશંસા કરતાં ગીતો ગાઓ.
7 દેવ સમગ્ર પૃથ્વીના રાજા છે.
તેમની પ્રશંસાના ગીતો ગાઓ.
8 તે પોતાનાં પવિત્ર સિંહાસન પર બિરાજમાન છે,
અને સર્વ પ્રજાઓ પર રાજ કરે છે.
9 ઇબ્રાહિમનાં દેવના લોકો સાથે બધાં રાષ્ટ્રોના
નેતાઓ ભેગા થયા છે.
બધાં રાષ્ટ્રોના બધા નેતાઓ દેવની માલિકીના જ છે,
દેવ સવોર્ચ્ચ છે.
ગાયન: કોરાહનાં કુટુંબનું ગીત.
1 યહોવા મહાન છે, આપણ દેવના નગરમાં
અને તેમનાં પવિત્ર પર્વતો પર તેમની ધણી સ્તુતિ થાય છે.
2 કેવું સિયોન પર્વતની ઊંચાઇએ આવેલું અતિ સુંદર નગર;
આખી પૃથ્વીના આનંદરૂપ, મહાન રાજાનું નગર,
સર્વ લોકો જોઇ શકે તેવું, રમ્ય,
આનંદરૂપ દ્રશ્ય, કેવું અદૃભૂત છે!
3 તે નગરના મહેલોમાં
દેવ આશ્રયની જગા તરીકે ઓળખાય છે.
4 પૃથ્વીના સર્વ રાજાઓ એકત્ર થયા,
અને એકત્ર થઇ સૌ નગર પર
કૂચ કરીને ગયા.
5 જ્યારે તેઓએ તે જોયું ત્યારે તેઓ સૌ વિસ્મય પામી ગયા,
ભયથી ગભરાઇ ગયાં તેથી ઝડપથી પાછા ચાલ્યા ગયા.
6 તેમને ભયથી ધ્રુજારી થઇ ગઇ
અને પ્રસૂતિની પીડા જેવું કષ્ટ થયું.
7 દેવ તમે તેમને બરાબર એવી રીતે ધ્રુજાવ્યા જેમ
તમે પૂર્વનાં શકિતશાળી વાયુ વડે તાશીર્શનાં વહાણોને ભાંગી નાંખો છો.
8 આપણે દેવની શકિત વિષે સાંભળ્યું છે.
આપણે તેને સૈન્યોના યહોવા દેવના નગરમાં, આપણા દેવના નગરમાં,
હવે તે આપણે પોતે નિહાળીએ છીએ યરૂશાલેમનું સદાકાળ માટે દેવે સ્થાપન કર્યુ છે.
9 હે યહોવા, તમારા મંદિરમાં તમારી અચળ કૃપા વિષે અમે મનન કર્યુ છે.
10 હે દેવ, સમગ્ર પૃથ્વી પર તમારું નામ જાણીતું છે,
પૃથ્વીની સીમા પર્યંત તમારી સ્તુતિ થાય છે;
તમારો જમણો હાથ ન્યાયીપણાથી ભરેલો છે.
11 તમારા ન્યાયનાં કાર્યોથી સિયોન પર્વત આનંદ પામશે
અને યહૂદિયાનાં નગરો હરખાશે.
12 સિયોનની આસપાસ પ્રદક્ષિણા કરો;
અને તેના બુરજોની ગણતરી કરો.
13 તેનો કોટ ધ્યાનથી જુઓ,
તેના મહેલોની મુલાકાત લો;
જેથી તમે તે વિષે તમારાં સંતાનોને કહી શકો.
14 કારણ, આ દેવ આપણા સનાતન દેવ છે
જે આપણને સદાય દોરી જશે.
અયૂબનો રોષ
29 વધુમાં અયૂબે અનુસંધાનમાં કહ્યું:
2 “હું ઇચ્છું છું, મારું જીવન થોડા મહિના પહેલા હતું તેવું હોત.
તે વખતે દેવ મારું ધ્યાન રાખતા હતા અને મારી સંભાળ લેતા હતા.
3 ત્યારે તેનો દીવો મારા પર ઝળહળતો હતો અને એના પ્રકાશથી હું અંધકારમાં ચાલી શકતો હતો.
દેવે મને જીવવા માટેનો સાચો રસ્તો બતાવ્યો હતો.
4 હું એ દિવસો માટે ઇચ્છું છું જ્યારે
હું સફળ હતો અને દેવ મારા નિકટના મિત્ર હતા.
5 તે વખતે સર્વસમર્થ દેવ મારી સાથે હતા
અને મારા સંતાનો મને વીંટળાયેલા રહેતા હતાં.
6 તે વખતે જીવન સારું હતું, હું મારા પગ દૂધની તરથી ધોતો
અને મારી પાસે પુષ્કળ પ્રમાણમાં સારામાં સારુ તેલ હતું.[a]
7 “એ દિવસોમાં હું જ્યારે નગરના દરવાજે જતો
ત્યારે આદરપાત્ર આગેવાનોની વચ્ચે જાહેર સભાના સ્થળમાં હું બેઠો હતો.
8 ત્યારે યુવાનો મને જોઇને માર્ગ મૂકતા હતાં
અને વૃદ્ધો ઊભા થઇને મને માન આપતા હતાં.
9 નેતાઓ પણ મને જોઇને બીજાઓને ચૂપ કરવા માટે બોલવાનું બંધ કરી દેતા
અને મોં પર તેઓના હાથ મૂકતાં.
10 નગરનાં ઉચ્ચ અધિકારીઓ ધીમા અવાજે બોલ્યા.
તેઓની જીભ તેઓના મોઢાના તાળવે ચોંટી ગઇ.
11 મેં જે કહ્યું તે લોકોએ સાંભળ્યુઁ અને પછી મારા વિશે સારી વાતો કરી.
મેં જે કર્યું તે લોકોએ જોયું અને પ્રસંશા કરી.
12 કારણકે જ્યારે ગરીબોએ મદદ માટે બોલાવ્યો,
મેં અનાથને મદદ કરી કે જેની સંભાળ લે તેવું કોઇન હતું.
13 જેઓ મરવા પડ્યા હતાં તેઓ મને આશીર્વાદ આપતા હતાં.
વિધવાઓના હૈયા હું ઠારતો હતો.
14 સદાચારી રહેવું એ મારા વસ્ત્રો હતા.
પ્રામાણિક વર્તન એ મારો ઝબ્બો અને પાઘડી હતા.
15 હું અંધજનોની આંખ સમાન હતો.
તેઓને જ્યાં ક્યાંય પણ જવાની ઇચ્છા હતી, મેં તેઓને રસ્તો બતાવ્યો.
અને હું લંગડા માટે પગ સમાન હતો.
તેઓ જ્યાં જવાં માંગતા હતા હું તેઓને ઊંચકીને લઇ ગયો.
16 ગરીબો સાથે હું તેઓના પિતાની જેમ વર્તતો.
મેં લોકોને ન્યાયાલયમાં તેઓની દલીલો જીતવા મદદ કરી જેઓને હું જાણતો પણ ન હતો.
17 મેં દુષ્ટ લોકોને તેઓની શકિતનો દુરુપયોગ કરતા રોક્યા
અને નિર્દોષ લોકોને તેઓથી બચાવ્યા.[b]
18 “હું આખો વખત વિચાર કરતો કે
હું મારી આસપાસ મારા કુટુંબ સાથે લાંબુ જીવન જીવીશ.
19 મેં વિચાર્યુ, હું નીરોગી છોડ જેના મૂળિયા ને ખૂબ પાણી છે
અને જેની ડાળીઓ ઝાકળથી ભીની છે તેના જેવો તંદુરસ્ત અને મરદાન પુરુષ થઇશ.
20 મેં વિચાર્યું દરેક નવો દિવસ તેજસ્વી અને નવી
અને ઉત્તેજિત વસ્તુઓથી ભરેલો હશે.[c]
ઈકોનિયામાં પાઉલ અને બાર્નાબાસ
14 ઈકોનિયા શહેરમાં પાઉલ અને બાર્નાબાસ ગયા તેઓ યહૂદિઓના સભાસ્થાનમાં પ્રવેશ્યા. (તેઓએ બધાં શહેરોમાં જે કંઈ કર્યુ તે આ છે.) તેઓ ત્યાં લોકો સાથે બોલ્યા. પાઉલ અને બાર્નાબાસ એટલું સારું બોલ્યા કે ઘણા યહૂદિઓ અને ગ્રીકોએ, તેઓએ જે કહ્યું તેમાં વિશ્વાસ કર્યો. 2 પરંતુ કેટલાક યહૂદિઓએ વિશ્વાસ કર્યો નહી. આ યહૂદિઓએ બિનયહૂદિ લોકોને ઉશ્કેર્યા અને ભાઈઓના વિષે મનમાં ખરાબ વસ્તુઓ વિચારતા કર્યા.
3 તેથી પાઉલ અને બાર્નાબાસ લાંબા સમય સુધી ઇકોનિયામાં રહ્યા અને તેઓ પ્રભુ વિષે આશ્ચર્યથી હિંમત રાખીને બોલ્યા. પાઉલ અને બાર્નાબાસ દેવની કૃપા વિષે બોધ આપતા હતા. પ્રભુએ પૂરવાર કર્યુ, કે તેઓ જે કહેતા હતા તે સાચું હતું. પ્રેરિતોને (પાઉલ તથા બાર્નાબાસ) ચમત્કારો તથા અદભૂત કૃત્યો કરવામાં તે મદદ કરતા. 4 પરંતુ શહેરના કેટલાક લોકો યહૂદિઓ સાથે સંમત થયા. શહેરના બીજા લોકો પાઉલ અને બાર્નાબાસમાં વિશ્વાસ કરતા. તેથી શહેરના ભાગલા પડ્યા હતા.
5 કેટલાક બિનયહૂદિ લોકો, કેટલાક યહૂદિઓ, અને તેઓના યહૂદિ અધિકારીઓએ પાઉલ અને બાર્નાબાસને ઇજા પહોંચાડવાનો પ્રયત્ન કર્યો. આ લોકોની ઈચ્છા તેઓને પથ્થરોથી મારી નાખવાની હતી. 6 જ્યારે પાઉલ અને બાર્નાબાસે આ સંબંધી જાણયું. ત્યારે તેઓએ તે શહેર છોડયું, તેઓ લુસ્ત્રા અને દર્બેમાં લુકોનિયાના શહેરોમાં અને તેની આજુબાજુના શહેરોના વિસ્તારમાં ગયા. 7 તેઓએ ત્યાં પણ સુવાર્તા પ્રગટ કરી.
લુસ્ત્રામાં પાઉલ અને બાર્નાબાસ
8 લુસ્ત્રામાં એક માણસ હતો જેના પગમાં કંઈક ખોડ હતી. તે જન્મથી જ અપંગ હતો; તે કદી ચાલ્યો નહોતો. 9 આ માણસ બેઠો હતો અને પાઉલને ધ્યાનથી સાંભળતો હતો, પાઉલે તેના તરફ જોયું કે તે માણસને વિશ્વાસ હતો કે દેવ તેને સાજો કરી શકે તેમ છે. 10 તેથી પાઉલે મોટા અવાજે કહ્યું, “તારા પગ પર ઊભો થા!” તે માણસ કૂદીને ઊભો થયો અને આજુ બાજુ ચાલવા માંડ્યો.
11 પાઉલે જે કર્યુ તે જ્યારે લોકોએ જોયું ત્યારે તેઓએ તેઓની પોતાની લુકોનિયાની ભાષામાં પોકાર કર્યો. તેઓએ કહ્યું, “દેવો, માણસોનું રૂપ લઈને આવ્યા છે. તેઓ આપણી પાસે નીચે ઉતર્યા છે!” 12 લોકોએ બાર્નાબાસને “ઝિયૂસ”[a] કહ્યો. તેઓએ પાઉલને “હર્મેસ”[b] કહ્યો, કારણ કે તે જ મુખ્ય બોલનાર હતો. 13 ઝિયૂસનું મંદિર શહેરમાં નજીકમાં હતું. આ મંદિરના યાજકે કેટલાક બળદો અને ફૂલો શહેરના દરવાજા પાસે આણ્યાં. તે યાજક અને લોકો પાઉલ અને બાર્નાબાસને ભક્તિપૂર્વક ભેટ અર્પણ કરવા ઇચ્છતા હતા.
14 પરંતુ જ્યારે પ્રેરિતો, પાઉલ અને બાર્નાબાસ લોકો શું કરતા હતા તે સમજ્યા, ત્યારે તેઓએ તેમનાં પોતાનાં વસ્ત્રો ફાડ્યાં.[c] પછી તેઓ લોકોમાં અંદર દોડી ગયા અને તેઓને માટે સાદે કહ્યું: 15 “સજ્જનો, તમે આ બધું શા માટે કરો છો? અમે દેવો નથી! અમારે પણ તમારા જેવી લાગણીઓ છે. અમે તમને સુવાર્તા કહેવા આવ્યા છે. અમે તમને આ નિરર્થક વસ્તુઓ તરફથી પાછા ફરવાનું કહીએ છીએ. ઉત્પન્ન કરનાર જીવતા દેવ તરફ ફરો. તેણે આકાશ, પૃથ્વી, સમુદ્ર અને તેઓના માં રહેલી પ્રત્યેક વસ્તુઓનું સર્જન કર્યુ છે.
16 “ભૂતકાળમાં દેવે પ્રત્યેક રાષ્ટ્રોને તેઓની ઈચ્છા પ્રમાણે કરવા દીધું હતું. 17 પરંતુ દેવે જે કર્યુ તે ખરું છે. દેવ પોતાના વિષે સાક્ષી આપ્યા વગર રહ્યો નથી. તે તમારા માટે સારું કામ કરે છે. તે તમને આકાશમાંથી વરસાદ આપે છે. તે તમને યોગ્ય સમયે સારી ફસલ આપે છે. તે તમને પુષ્કળ પ્રમાણમાં અનાજ આપે છે અને તે તમારા હ્રદયને આનંદથી ભરે છે.”
18 પાઉલ અને બાર્નાબાસે તે લોકોને આ વાતો કરી પરંતુ હજુ સુધી પાઉલ અને બાર્નાબાસ લોકોને લગભગ તેઓની ભક્તિ અને બલિદાન કરતાં ભાગ્યે જ અટકાવી શક્યા.
31 ફરીથી યહૂદિઓએ ઈસુને મારી નાખવા પથ્થરો હાથમાં લીધા. 32 પરંતુ ઈસુએ તેઓને કહ્યું, “મેં પિતા તરફથી ઘણાં સારા કામો કર્યા છે. તમે તે બધા કામો જોયા છે. તે સારા કામોમાંના કયા કામને કારણે તમે મને મારી નાખો છો?”
33 યહૂદિઓએ ઉત્તર આપ્યો, “તેં કરેલાં કોઈ સારાં કામને લીધે અમે તને મારી નાખતા નથી. પણ તું જે વાતો કહે છે તે દેવની વિરૂદ્ધ છે. તું ફક્ત એક માણસ છે, પરંતુ તું કહે છે કે તું દેવ સમાન છે. તે જ કારણથી અમે તને પથ્થરો વડે મારી નાખવા પ્રયત્ન કરીએ છીએ!”
34 ઈસુએ ઉત્તર આપ્યો, “તે તમારા કાયદામાં લખેલું છે, ‘હું (દેવ) કહું છું કે તમે દેવો છો.’(A) 35 આ શાસ્ત્રલેખમાં પેલા લોકોને દેવો કહ્યા છે – તે લોકો કે જેમને દેવનો સંદેશ પ્રાપ્ત થયો છે. આ શાસ્ત્રલેખ હંમેશા સાચો છે. 36 તો પછી તમે શા માટે કહો છો કે હું જે કહું છું દેવની વિરૂદ્ધ છે. કારણ કે મેં કહ્યું, ‘હું દેવનો દીકરો છું.’ હું એ જ છું જેને દેવે પસંદ કર્યો છે અને જગતમાં મોકલ્યો છે. 37 જો મારા પિતા જે કરે છે તે હું ન કરું તો, પછી હું જે કહું તે ના માનશો. 38 પણ જો હું મારા પિતા જે કરે છે તે જ કરું તો, પછી તમારે હું જે કઈ કરું તેમાં વિશ્વાસ રાખવો જોઈએ. તમે મારામાં વિશ્વાસ ન કરો, પરંતુ હું જે કંઈ કરું છું તેમાં તમે વિશ્વાસ કરો. પછી તમે જાણશો અને સમજશો કે પિતા મારામાં છે અને હું પિતામાં છું.”
39 ઈસુને પકડવાનો પ્રયત્ન યહૂદિઓએ ફરીથી કર્યો. પરંતુ ઈસુ તેઓની પાસેથી નીકળી ગયો.
40 પછી ઈસુ યર્દન નદીને પેલે પાર ગયો. જ્યાં પહેલા યોહાન બાપ્તિસ્મા કરતો હતો. તે સ્થળે ઈસુ ગયો. ઈસુ ત્યાં રહ્યો. 41 અને ઘણા લોકો તેની પાસે આવ્યા. તે લોકોએ કહ્યું, “યોહાને કદી ચમત્કારો કર્યા નથી. પરંતુ યોહાને આ માણસ વિષે જે બધું કહ્યું હતું તે સાચું છે.” 42 અને ત્યાં ઘણા લોકોએ ઈસુમાં વિશ્વાસ કર્યો.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International