Book of Common Prayer
દાઉદનું ગીત.
1 હે યહોવા, મારી જાતને તને સોપું છું.
2 હું હમેશા તમારો વિશ્વાસ કરું છું.
તો મારી સાથે કોઇ એવી વસ્તુ
ન બને કે જેથી મારે શરમાવું પડે.
મારા શત્રુઓને મારી ઉપર હસવા દેતા નહિ.
3 જેઓ યહોવામાં વિશ્વાસ રાખે છે તેઓએ કદી કશાથી પણ શરમાવાનું નહિ.
પણ વિશ્વાસઘાતીઓની માનહાનિ થશે.
તેઓને તેમના વિશ્વાસઘાતથી કોઇ ફાયદો નહિ થાય.
4 હે યહોવા, મને તમારાં માર્ગ બતાવો;
તમારા રસ્તા વિષે મને શીખવો.
5 મને માર્ગદર્શન અને જ્ઞાન આપો; કારણ,
તમે જ માત્ર મને તારણ આપનાર દેવ છો.
હું આખો દિવસ તમારી રાહ જોઉ છુઁ.
6 હે યહોવા, તમારી કૃપા અને તમારી પ્રેમાળ દયાળુતાને યાદ રાખો કારણ તે સનાતન છે.
7 મારી જુવાનીનાં પાપ અને મારા અપરાધનું સ્મરણ ન કરો.
હે યહોવા, તમારા શુભ નામને માટે,
તમારી કૃપા અને અનુકંપા સાથે મને યાદ કરો.
8 યહોવા સારા અને પ્રામાણિક છે, તેથી તેઓ પાપીઓને સાચા માર્ગે દોરે છે,
અને તેઓ તેમને શું ન્યાયી અને નિષ્પક્ષ છે તે શીખવે છે.
9 તેઓ નમ્ર લોકોને ન્યાયી બનવા માટે દોરે છે
અને તેઓ તેમને તેમના માર્ગે જીવવાનું શીખવે છે.
10 જે લોકો તેનો પવિત્ર કરાર અને કાયદાઓનું પાલન કરે છે
તેમનાં તરફ યહોવા દયાળુ અને વિશ્વાસુ છે.
11 હે યહોવા, મારા પાપ તો ઘણાં છે,
તમારા નામના મહિમા માટે મને ક્ષમા કરો.
12 યહોવાથી ડરે એવા માણસો કયાં છે?
શ્રેષ્ઠ જીવન જીવવાનો શ્રેષ્ઠ રસ્તો પસંદ કરવાનું તેમને યહોવા શીખવશે.
13 તે માણસ પર યહોવાના આશીર્વાદ રહેશે;
તેનાં સંતાન પૃથ્વીનો વારસો પામશે.
14 જેઓ યહોવાનો ભય અને તેમના માટે માન રાખે તેઓની સાથે તેઓ પોતાના રહસ્યો વહેંચે છે.
તેઓ તેઓને તેમનો કરાર શીખવે છે.
15 મારી ષ્ટિ સહાય માટે સદાય યહોવા તરફ છે,
કારણ, તે એકલાં જ મારા પગ ફાંદામાંથી કાઢશે.
16 હે યહોવા, હવે તમે આવો, ને મારા પર દયા કરો.
હું નિરાશ્રિત, દુ:ખી, નિ:સહાય અને એકલો છું.
17 મારી મુસીબતો અને સમસ્યાઓ દિનપ્રતિદિન વધુ ખરાબ થતા જાય છે.
હે યહોવા, તે બધામાંથી મને મુકત કરો.
18 મારાઁ દુ:ખ તથા વેદના પર જરા નજર કરો,
અને કૃપા કરી મારાં સર્વ પાપની ક્ષમા કરો.
19 મારા શત્રુઓ ઘણાં છે તે જરા જુઓ;
તેઓ કેટલી ક્રૂરતાથી મારી ધૃણા કરે છે તે જુઓ.
20 મારું રક્ષણ કરો અને મારો જીવ બચાવો.
મારી લાજ જવા દેતા નહિ, કારણ હું તમારો વિશ્વાસ કરું છું.
21 મારા પ્રામાણિપણું તથા ન્યાયીપણાના, તમે રક્ષક બનો.
કારણ, રક્ષણ માટે હું તમારી આશા રાખું છું.
22 હે યહોવા, હવે તમે ઇસ્રાએલને
સર્વ સંકટોમાંથી છોડાવો.
નિર્દેશક માટે. રાગ: “મુથ-લાબ્બેન” દાઉદનું ગીત.
1 હું યહોવાની, મારા સંપૂર્ણ હૃદયથી આભારસ્તુતિ કરીશ;
અને તેમના અદભૂત કૃત્યો હું પ્રત્યેક વ્યકિત સમક્ષ પ્રગટ કરીશ.
2 હે દેવ, હું તમારામાં આનંદ પામીશ અને ખુશ થઇશ.
સૌથી ઉયા દેવ હું તમારી પ્રશંશા કરતાં સ્તોત્રો ગાઇશ.
3 જ્યારે મારા સર્વ શત્રુઓ પાછા ફરીને તમારાથી ભાગશે
અને તેઓ ઠોકર ખાઇને નાશ પામશે.
4 સૌથી ઉયા અને ન્યાયાસન પર બેસીને તમે સાચો ન્યાય કર્યો છે.
તમે મને ન્યાય કરીને મારી સજા નિશ્ચિત કરી છે.
5 હે યહોવા, તમે વિદેશી રાષ્ટ્રોને,
અન્ય પ્રજાઓને અને દુષ્ટ લોકોનો નાશ કર્યો છે.
અને તમે સદાને માટે તેઓના નામ ભૂંસી નાખ્યાં છે.
6 હે યહોવા, સર્વ શત્રુઓનો અંત આવ્યો છે.
અને સદાકાળ માટે નાશ પામ્યા છે.
જે નગરો તમે પાયમાલ કર્યા છે, તેના નામોનિશાન નથી રહ્યાં.
7 પરંતુ યહોવા સદાકાળ રાજા તરીકે બિરાજે છે;
અને તેમની રાજગાદી સદા ન્યાય કરવાં સ્થાયી છે.
8 તે જગતનો ન્યાય નિશ્પક્ષતાથી કરે છે
અને તે રાષ્ટ્રોનો ન્યાય પ્રામાણિકતાથી કરે છે.
9 યહોવા, ત્રાસીને હેરાન થયેલા લોકોને કિલ્લારૂપ થશે,
તે સર્વ સંકટોમાં સહુ લોકોના ગઢ થશે.
10 જેઓ તમારૂં નામ જાણે છે તેઓ તમારો વિશ્વાસ કરશે,
કારણકે તમારી પાસે મદદ માટે આવેલાંઓને તમે કયારેય તરછોડયા નથી.
11 યરૂશાલેમમાં વસનાર યહોવાના સ્તુતિગાન ગાઓ;
ભૂલી ન શકાય તેવાં તેમના કૃત્યો જગતને જણાવો.
12 કારણ જે ન્યાય શોધતા હોય છે
તેઓને તે યાદ રાખે છે.[a]
તેઓ રૂદન કરતા ગરીબ
લોકોને મદદ કરવાનું ભુલતાં નથી.
13 “હે યહોવા, તમે મારા પર દયા કરો,
મને મોતના મુખમાંથી બચાવો,
મને કેવું દુ:ખ છે!
તે તમે જુઓ.
14 જેથી પછી હું યરૂશાલેમના દરવાજે બધાં લોકોની સમક્ષ તમારી સ્તુતિ ગાઇશ
અને તમારા રક્ષણમાં ખુશ રહીશ.”
15 જે રાષ્ટ્રોએ બીજાઓ માટે ખાડા ખોધ્યા હતા,
તેઓ પોતેજ ખાડામાં પડયા છે.
તેઓ પોતે ગોઠવેલા છટકામાં પોતેજ સપડાયા છે.
16 યહોવાએ ન્યાયી ચુકાદાઓ આપીને,
પોતાની ઓળખાણ આપી છે અને દુષ્ટો પોતાનીજ પ્રપંચી જાળમાં ફસાઇ ગયા છે.
17 દેવને ભૂલનારા દુષ્ટોને નરકમાં ધકેલી દેવાશે.
યહોવાને ભૂલનારા સઘળાં લોકો શેઓલમાં જશે.
18 ભિખારીઓ કદીય ભૂલાઇ જશે નહિ.
ગરીબોની આશા હંમેશ માટે નિરાશામાં નહિ ફેરવાય.
19 હે યહોવા, ઊઠો; માણસને વધુ બળવાન થવા ન દેશો!
ભલે રાષ્ટ્રોનો ન્યાય તમારી સંમુખ થાય.
20 હે યહોવા, તેઓને ભયભીત કરો,
જેથી તેઓ એમ જાણે કે તેઓ માત્ર સામાન્ય મનુષ્યો છે.
દાઉદનું ગીત.
1 હે યહોવા, તમારા પવિત્ર મંડપમાં કોણ નિવાસ કરશે?
તમારા પવિત્ર પર્વત પર આવીને કોણ રહેશે?
2 જે સાધુશીલતા પાળે છે,
જે ન્યાયથી વર્તતા હૃદયથી સત્ય બોલે છે.
3 તે કદી બીજા લોકો માટે ખરાબ બોલતો નથી,
તે તેના પરિવાર માટે શરમજનક વાત કયારેય કરતો નથી.
તે કયારેય પોતાના મિત્રનું ભૂંડુ કરતો નથી;
અને કયારેય પોતાના પડોશીને હાની પહોંચાડતો નથી.
4 તેની દ્રૃષ્ટિમાં પાપી માણસ વખોડવાને પાત્ર છે.
જેઓ યહોવાનો ભય અને આદર રાખે છે તેને તે માન આપે છે.
તેને નુકશાન સહન કરવું પડે તો
પણ પોતાના વચન કયારેય તોડતો નથી.
5 તે તેણે ધીરેલાં નાણાં ઉપર વ્યાજ લઇને
તે કોઇનું શોષણ કરતો નથી.
તે નિર્દોષ માણસો સામે જૂઠી સાક્ષી દઇને કદી લાંચ લેતો નથી.
જેઓ આ રીતે જીવે છે તે હંમેશા સુરક્ષિત રહેશે.
અયૂબનો ઉત્તર
12 ત્યારે અયૂબે ઉત્તર આપ્યો કે,
2 “હા, તમે જ પ્રજાના ડહાપણનો ભંડાર છો;
તમારા મૃત્યુની સાથે ડહાપણ પણ મરી પરવારશે!
3 પરંતુ તમારી જેમ મને
પણ ડહાપણ અને અક્કલ છે;
અને હું તમારા કરતાં ઊતરતો નથી; હા,
એ બધું કોણ નથી જાણતું?
4 ‘એક દિવસ દેવ મારી પ્રાર્થના સાંભળતા હતા;’
પણ હવે તો મારા મિત્રો પણ મારી પર હસે છે,
હું ખરેખર સાચો છું
અને નિર્દોષ છું છતાં તેઓ હસે છે.
5 જે લોકોને મુશ્કેલીઓ નથી, તેઓ જે લોકોને મુશ્કેલીઓ છે તેમનો તિરસ્કાર કરે છે.
સ્થિર માણસ જેના પગ લથડી રહ્યાં છે તેને છેતરે છે.
6 ચોર ડાકુઓના ઘર આબાદ થાય છે.
તેઓ સુખથી જીવે છે અને દેવને પડકારનારાઓ સુરક્ષિત હોય છે;
તેઓની તાકાત તે જ તેમનો દેવ છે.
13 પરંતુ ખરું ડહાપણ અને સાર્મથ્ય તો દેવનાં જ છે.
સમજ અને સત્તા તો તેની પાસે જ છે.
14 તે મહા પરાક્રમી છે. તે જે કાંઇ ફાડી નાખે છે તે ફરીથી બાંધી શકાતું નથી.
જ્યારે તે માણસને કેદ કરે છે, ત્યારે કોઇ તેને છોડાવી શકતું નથી.
15 જ્યારે તે વરસાદને અટકાવે છે, એટલે જમીન સૂકાઇ જાય છે
અને જ્યારે તે વરસાદને છોડી દે છે, ત્યારે પાણી પૃથ્વી પર ફરી વળે છે.
16 દેવ સર્વસમર્થ છે અને હંમેશા જીતે છે.
છેતરનારા અને છેતરાયેલાં બંને તેનાં હાથમાં જ છે.
17 તે રાજમંત્રીઓની બુદ્ધિ લૂંટી લે છે
અને ન્યાયકર્તાઓને મૂર્ખા બનાવે છે.
18 રાજાઓ ભલે લોકોને કેદમાં પૂરે, પણ દેવ તે લોકોને મુકત કરે છે,
અને તેમને શકિતશાળી બનાવે છે.
19 તે દેવ યાજકો પાસેથી તેમની સત્તા આંચકી લે છે
સરકારી અધિકારીઓને તેમની નોકરીમાંથી કાઢી મુકે છે.
20 વિશ્વાસપાત્ર સલાહકારોને એ ચૂપ કરે છે,
અને વડીલોનું શાણપણ પણ છીનવી લે છે.
21 દેવ રાજાઓ ઉપર તિરસ્કાર કરે છે.
તે શકિતશાળીઓની સત્તા આંચકી લે છે.
22 દેવ ગુપ્તમાં ગુપ્ત રહસ્ય પણ પ્રગટ કરે છે,
તે મૃત્યુ જેવી કાળી જગ્યાએ પણ પ્રકાશ પહોચાડે છે.
23 તે રાષ્ટને મોટું બનાવે છે
પછી તેના લોકોને વિખેરી નાખે છે.
24 તે પૃથ્વીના લોકોના આગેવાનોની સમજશકિત હણી લે છે
અને તેઓને દિશા-વિહોણા અરણ્યમાં રખડતાં હોય તેવા,
25 ઘોર અંધકારમાં અથડાતાં
અને છાકટા માણસની જેમ લથડતાં તેઓને કરી મૂકે છે.”
અંત્યોખમાં સુવાર્તા
19 સ્તેફનના મૃત્યુ પછી થયેલી સતાવણીને લીધે વિશ્વાસીઓ વિખરાઈ ગયા હતા. કેટલાક વિશ્વાસીઓ તે દૂર દૂરના સ્થળે ફિનીકિયા, સૈપ્રસ અને અંત્યોખ ગયા હતા. વિશ્વાસીઓએ સુવાર્તા આ જગ્યાઓએ કહી, પણ તેઓએ તે ફક્ત યહૂદિઓને જ કહી. 20 આ વિશ્વાસીઓમાંના કેટલાક સૈપ્રસ અને કુરેનીના માણસો હતા. જ્યારે આ માણસો અંત્યોખમાં આવ્યા. તેઓએ આ ગ્રીક લોકોને પણ પ્રભુ ઈસુ વિષેની સુવાર્તા કહી. 21 પ્રભુ વિશ્વાસીઓને મદદ કરતો હતો અને એક મોટો લોકોનો સમૂહ પ્રભુમાં માનવા લાગ્યો અને તેને અનુસરવા લાગ્યો.
22 યરૂશાલેમમાં મંડળીએ આ નવા વિશ્વાસીઓ વિષે સાંભળ્યું. તેથી યરૂશાલેમના વિશ્વાસીઓએ બાર્નાબાસને અંત્યોખમાં મોકલ્યો. 23-24 બાર્નાબાસ એક સારો માણસ હતો. તે પવિત્ર આત્માથી અને પૂર્ણ વિશ્વાસથી ભરપૂર હતો. જ્યારે બાર્નાબાસ અંત્યોખ ગયો. તેણે જોયું કે દેવે આ લોકોને ઘણા આશીર્વાદ આપ્યા છે, આથી બાર્નાબાસ ઘણો પ્રસન્ન થયો. તેણે અંત્યોખમાં બધા વિશ્વાસીઓને પ્રોત્સાહન આપ્યું. તેણે તેઓને કહ્યું, “તમારો વિશ્વાસ કદી ગુમાવો નહિ, હંમેશા તમારા ખરા હ્રદયપૂર્વક પ્રભુની આજ્ઞાઓ માનો,” ઘણા બધા લોકો પ્રભુ ઈસુના શિષ્યો બન્યા.
25 પછી બાર્નાબાસ તાર્સસના શહેરમાં ગયો. તે શાઉલની શોધમાં હતો. 26 જ્યારે તેણે શાઉલને શોધ્યો ત્યારે તે તેને અંત્યોખ લાવ્યો. શાઉલ અને બાર્નાબાસ ત્યાં આખું એક વર્ષ રહ્યા. દરેક વખતે વિશ્વાસીઓનો સમૂહ ભેગો મળતો. શાઉલ અને બાર્નાબાસ તેઓને મળ્યા અને સાથે રહીને ઘણા લોકોને બોધ કર્યો, અંત્યોખના શહેરમાં ઈસુના શિષ્યો સૌ પ્રથમ વાર જ “ખ્રિસ્તી” તરીકે ઓળખાયા.
27 લગભગ તે સમય દરમ્યાન કેટલાક પ્રબોધકો યરૂશાલેમથી અંત્યોખ ગયા. 28 આમાંના એક પ્રબોધકનું નામ આગાબાસ હતું. અંત્યોખમાં આગાબાસ ઊભો થયો અને બોલ્યો. પવિત્ર આત્માની સહાયથી તેણે કહ્યું, “આખા વિશ્વ માટે ઘણો ખરાબ સમય આવી રહ્યો છે. ત્યાં લોકોને ખાવા માટે ખોરાક મળશે નહિ.” (આ સમયે જ્યારે કલોદિયસ બાદશાહ હતો ત્યારે દુકાળ પડ્યો હતો.) 29 વિશ્વાસીઓએ નિર્ણય કર્યો કે તેઓ બધા તેઓના ભાઈઓને તથા બહેનોને જે યહૂદિયામાં રહે છે તેઓને મદદ કરવા પ્રયત્ન કરશે. પ્રત્યેક વિશ્વાસીએ પોતાના સાર્મથ્ય અનુસાર તેઓને મોકલવાની યોજના ઘડી. 30 તેઓએ પૈસા ભેગા કર્યા અને તે બાર્નાબાસને અને શાઉલને આપ્યા. પછી બાર્નાબાસ અને શાઉલે તે (નાણાં) યહૂદિયાના વડીલો પર મોકલ્યા.
યહૂદિઓ ઈસુ વિષે સમજતા નથી
21 ફરીથી ઈસુએ લોકોને કહ્યું, “હું તમને છોડીશ. તમે મારી શોધ કરશો, પણ તમે તમારા પાપ સાથે મૃત્યુ પામશો. હું જ્યાં જાઉં છું, ત્યાં તમે આવી શકશો નહિ.”
22 તેથી યહૂદિઓએ તેમની જાતે પૂછયુ, “તમે ધારો છો કે ઈસુ આત્મહત્યા કરશે? તો પછી આ બાબત હોવી જોઈએ. કારણ કે તેણે કહ્યું, ‘હું જ્યાં જાઉં છું ત્યાં તમે આવી શકશો નહિ’?”
23 પણ ઈસુએ પેલા યહૂદિઓને કહ્યું, “તમે નીચેની દુનિયાના છો, હું ઉપરની દુનિયાનો છું. તમે આ દુનિયાના છો, હું આ દુનિયાનો નથી. 24 તેથી મેં તમને કહ્યું છે કે તમે તમારા પાપોમાં મૃત્યુ પામશો. હા, હું (તે) છું એવો તમે વિશ્વાસ નહિ કરો તો તમે તમારાં પાપોમાં મૃત્યુ પામશો.”
25 યહૂદિઓએ પૂછયું, “તો પછી તું કોણ છે?”
ઈસુએ ઉત્તર આપ્યો, “મેં તમને શરુંઆતથી જે કહ્યું છે તે હું છું. 26 મારી પાસે તમારા વિષે કહેવાની ઘણી બાબતો છે. હું તમારો ન્યાય કરી શકું છું તો પણ જેણે મને મોકલ્યો છે અને મેં તેની પાસેથી જે વાતો સાંભળી છે તે જ ફક્ત હું લોકોને કહું છું અને તે સત્ય કહું છું.”
27 ઈસુ કોના વિષે વાત કરતો હતો તે લોકો સમજતા ન હતા. ઈસુ તેઓને પિતા (દેવ) વિષે વાત કરતો હતો. 28 તેથી ઈસુએ લોકોને કહ્યું, “તમે માણસના દીકરાને ઊચો કરશો (મારી નાખશો) પછી તમે હું તે જ છું તે તમે જાણી શકશો અને હું મારી પોતાની જાતે કઈ કરતો નથી પણ જેમ પિતાએ જે મને શીખવ્યું છે, તેમ હું એ વાતો તમને કહું છું. 29 જેણે (દેવે) મને મોકલ્યો છે તે મારી સાથે છે. તેને જે ગમે છે તે હું હમેશા કરું છું. તેથી તેણે મને એકલો છોડ્યો નથી.” 30 જ્યારે ઈસુ આ વાતો કહેતો હતો ત્યારે, ઘણા લોકોએ તેનામાં વિશ્વાસ મૂક્યો હતો. ઈસુ પાપમાંથી છુટકારા વિષે વાત કરે છે.
પાપ વિષે ચેતવણી
31 તેથી જે યહૂદિઓએ તેનામાં વિશ્વાસ મૂક્યો હતો તેઓને ઈસુએ કહ્યું, “જો તમે મારા બોધને માનવાનું ચાલુ રાખશો તો પછી તમે મારા સાચા શિષ્યો છો. 32 પછી જ તમને સત્ય સમજાશે અને સત્ય તમને મુક્ત કરશે.”
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International