Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 119:145-176

કોફ

145 મેં ખરા હૃદયથી અરજ કરી છે, હે યહોવા,
    મને ઉત્તર આપ, હું તમારા નિયમોનું પાલન કરીશ.
146 “મારું રક્ષણ કરો” મેં તમને પ્રાર્થના કરી છે;
    એટલે હું તમારા નિયમોનું પાલન કરીશ.
147 પ્રભાત થતાં પહેલા મેં પ્રાર્થના કરી;
    અને મે તમારી વાતની આશા રાખી.
148 તારા વચનનું મનન કરવા માટે;
    મારી આંખો રાતના છેલ્લા પહોર અગાઉ ઊઘડી ગઇ હતી.
149 તમારી કૃપા પ્રમાણે મારી વાણી સાંભળો;
    હે યહોવા, તમારા ન્યાયવચનો પ્રમાણે મને જિવાડો.
150 તમારા નિયમનો ભંગ કરનારા અને દુષ્ટ પ્રપંચ ઘડનારા
    મારા પર હુમલો કરવા આવી રહ્યાં છે.
151 હે યહોવા, તમે મારી નજદીક છો;
    અને તમારી સર્વ આજ્ઞાઓ સત્ય છે.
152 લાંબા સમય પૂવેર્ તમારા સાક્ષ્યોમાંથી મેં જાણ્યું
    કે તમે તેઓને સદાને માટે સ્થાપ્યાં છે.

રેશ

153 મારા સંકટ સામે જુઓ અને મારી રક્ષા કરો;
    કારણ, હું તમારો નિયમ ભૂલતો નથી.
154 મારી લડતને લડો અને મને બચાવો!
    મને તમારા વચન પ્રમાણે જીવવા દો.
155 દુષ્ટ અન્યાયીઓથી તારણ દૂર રહે છે;
    કારણકે તે તમારા નિયમો શોધતા નથી.
156 હે યહોવા, તારી કરુણા ધણી મહાન છે;
    તારાં ન્યાયવચનો પ્રમાણે મને જિવાડ.
157 મને સતાવનારા, મારા શત્રુઓ ઘણા છે;
    છતાં હું તારા નિયમોથી પાછો હઠી ગયો નથી.
158 જ્યારે મેં વિશ્વાસઘાતીઓને જોયા; ત્યારે મેં તેમનો અસ્વીકાર કર્યો;
    કારણકે, તેઓ તમારા વચનનું પાલન કરતાં નથી.
159 હું તમારા શાસનો પર કેટલો બધો પ્રેમ રાખુ છું,
    તે ધ્યાનમાં લે જો હે યહોવા, તમારી કૃપા અનુસાર તમે મને જિવાડો.
160 તમારા બધાં વચનો અથથી તે ઇતિ સુધી સત્ય છે;
    અને તમારા સર્વ ન્યાયી વચનો અનંતકાળ સુધી ટકવાના છે.

શીન

161 મને સરદારોએ વિના કારણ સતાવ્યો છે;
    પણ મારું હૃદય તમારાં વચનોનો ભય રાખે છે.
162 જેમ કોઇકને મોટો ખજાનો મળે
    તેમ તમારા વચન મને રાજી કરે છે.
163 હું અસત્યને ધિક્કારું છું, હું તેમનો તિરસ્કાર કરું છું
    પરંતુ હું તમારા નિયમને ચાહું છું.
164 તમારા યથાર્થ અને ન્યાયી વચનોને કારણે,
    હું દિવસમા સાત વખત તમારી સ્તુતિ કરું છું.
165 તમારા નિયમ પર પ્રેમ રાખનારાઓને અત્યંત શાંતિ મળે છે;
    તેઓને કોઇ પણ ઠોકર ખવડાવી શકે તેમ નથી.
166 હે યહોવા, તમારા તારણની મેં આશા રાખી છે;
    કારણ, મે તમારી આજ્ઞાઓ પાળી છે.
167 હું તમારા સાક્ષ્યોને અનુસર્યો
    અને તેથી હું તેમના પર ઘણો પ્રેમ રાખું છું.
168 હું તમારા બધાં શાસનો અને સાક્ષ્યોને અનુસર્યો છું,
    હે યહોવા, હું જે કરું તે બધુ તમે જાણો છો.

તાવ

169 હે યહોવા, મારી પ્રાર્થનાઓ સાંભળો;
    અને તમે વચન આપ્યું છે તે પ્રમાણે મને સમજણ આપો.
170 મારી પ્રાર્થનાને તમારી સમક્ષ આવવા દો;
    અને તમારા વચન પ્રમાણે મને ઉગારો.
171 મારા હોઠો તમારી સ્તુતિ ઉચ્ચારશે,
    કારણકે, તમે મને તમારા વિધિઓ શીખવો છો.
172 મને તમારા વચનોનો જવાબ આપવા દો, અને મને મારું ગીત ગાવા દો.
    કારણ કે, તમારી આજ્ઞાઓ પૂર્ણ ન્યાયી છે.
173 મને મદદ કરવા તમારો હાથ તૈયાર થાઓ કારણ કે,
    મેં તમારાં શાસનોને અનુસરવાનું પસંદ કર્યુ છે.
174 હે યહોવા, હું તારા તારણ માટે અભિલાષી છું;
    તમારો નિયમ એ જ મારો આનંદ છે.
175 મારા આત્માને જિવાડો જેથી હું તમારી સ્તુતિ કરી શકું;
    તમારા ન્યાયવચનો મને મદદરૂપ થાઓ.
176 હું ભૂલા પડેલા ઘેટાઁની જેમ ભટકી ગયો છું;
    તમે આવો
અને મને તમારા સેવકને શોધી કાઢો.
    કારણકે હું તમારી આજ્ઞાઓને ભૂલ્યો નથી.

ગીતશાસ્ત્ર 128-130

મંદિરે ચઢવાનું ગીત.

જેઓ યહોવાનો ભય રાખે છે અને તેના માર્ગમાં ચાલે છે;
    તે સર્વને ધન્ય છે.

તેઓ જાત પરિશ્રમથી કમાયેલી વસ્તુઓનો આનંદ માણશે.
    તેઓ સુખી થશે અને તેઓ આશીર્વાદિત હશે.
તારી પત્ની તારા ઘરના અંત:પુરમાં ફળવત દ્રાક્ષાવેલાના જેવી થશે;
    તારા સંતાનો તારી મેજની આસપાસ જૈતુન વૃક્ષના રોપા જેવા થશે.
જે યહોવાથી ડરે છે તેને એવો આશીર્વાદ મળશે.
યહોવા તને સિયોનમાંથી આશીર્વાદ આપશે;
    તમે જીવનના સર્વ દિવસો પર્યંત યરૂશાલેમની સારી વસ્તુઓનો આનંદ માનશો.
તું પોતાના સંતાનોનાં સંતાનો જોશે.

ઇસ્રાએલને શાંતિ થાઓ.

મંદિર ચઢવા માટેનું ગીત.

ઇસ્રાએલને કહેવા દો,
    “મારી યુવાવસ્થાથી મારી પાસે ઘણાં દુશ્મનો હતાં.”
મારી યુવાવસ્થાથી મારી પાસે ઘણા દુશ્મનો હતા
    પણ તેઓ મને હરાવી ન શક્યા!
પીઠ પર લાંબા અને ઊંડા કાપા પડ્યા તેટલો માર્યો,
    હળથી ખેતરમાં ચાસ પાડ્યા હોય તેમ.
પરંતુ યહોવા તો ન્યાયી છે,
    દુષ્ટ લોકોએ મને બાંધેલા દોરડાં ને (બંધનોને) તેણે કાપ્યાં છે.
સિયોનને ધિક્કારનારા બધાં અપમાનિત થાઓ
    અને હારીને ભાગી જાય.
તેઓ છાપરા ઉપર અંકુરિત થતા ઘાસ જેવા થાઓ;
    જે વૃદ્ધિ પામ્યાં પહેલા સુકાઇ જાય છે.
જેથી કાપનાર પોતાનો હાથ
    અને પૂળા બાંધનાર પોતાની બાથ ભરી શકતો નથી.
તેઓની પાસેથી જનારા એવું કહેતા નથી કે,
    “યહોવાનો આશીર્વાદ તમારા પર હો!
    યહોવાના નામે અમે તમને આશિષ આપીએ છીએ.”

મંદિરે ચઢવા માટેનું ગીત.

હે યહોવા, સંકટોનાં ઉંડાણમાંથી મેં
    તમને મદદ માટે પોકાર કર્યો.
હે યહોવા, મારી હાકલ સાંભળ;
    અને મદદ માટેની મારી હાકલ પર તમારા કાન ધ્યાન આપે.
હે યહોવા, અમારા પ્રભુ; જો તમે ખરેખર અમને અમારા પાપો માટે શિક્ષા કરી હોત,
    તો કોઇનું અસ્તિત્વ રહેત નહિ.
પરંતુ તમે લોકોને માફી આપો છો,
    તેથી તમે આદર પામશો.

તેથી હું મોટી આશા સાથે યહોવાની વાટ જોઉ છું,
    મારો આત્મા તેમની રાહ જુએ છે,
    હું તેમના વચન પર આધાર રાખું છું.
પહેરો ભરનાર સંત્રી પ્રભાતની રાહ જુએ તે કરતાં વિશેષ
    હું યહોવાની રાહ જોઉં છું.
હે ઇસ્રાએલ, યહોવામાં તમારો વિશ્વાસ મૂકો,
    કારણ, તે દયાળુ ને કૃપાળુ છે
અને તે આપણને બચાવવા આપણી પાસે આવે છે.
    તેઓના બધાં પાપોને માટે તે પોતે ઇસ્રાએલને માફ કરશે.

ન્યાયાધીશો 18:16-31

16 યુદ્ધ માંટે તૈયાર એવા દાન કુળસમૂહના સશસ્ત્ર 300 સૈનિકો દરવાજા બહાર ઊભા હતાં. 17 અને જે પાંચ જણ માંહિતી મેળવવા આવ્યા હતાં, તેઓએ અંદર જઈને લાકડાની કોતરકામ કરેલી અને ચાંદીથી મઢેલી મૂર્તિ, એફ્રોદ તથા કુળદેવતાઓને લઈ લીધા. દરમ્યાન યાજક 600 સશસ્ત્ર સૈનિકો સાથે દરવાજા આગળ ઊભો હતો. 18 જ્યારે યુવાન યાજકે પેલા પાંચ જણને મીખાહના ઘરમાં પેસીને લાકડાની કોતરેલી અને ચાંદીથી ઢાળેલી મૂર્તિ એફ્રોદ તથા બીજી મૂર્તિઓ લઈ બહાર જતા જોયા ત્યારે યાજકે તેમને પૂછયું, “શું કરો છો?”

19 ત્યારે તેઓએ કહ્યું, “ચૂપ રહો! એક શબ્દ પણ બોલશો નહિ, અમાંરી સાથે ચાલો અને અમાંરા કુળના યાજક અને અગ્રણીનું સ્થાન અમાંરે માંટે લો. ફક્ત એક જણના યાજક થવું તે સારું કે પછી સમગ્ર ઈસ્રાએલી કુળસમૂહના યાજક થવું તે સારું?”

20 આ સાંભળીને તે યાજક તેઓની સાથે જવા માંટે રાજી થઈ ગયો, તેણે એફોદ, ઘરના દેવો તથા બીજી મૂર્તિઓ પોતાની સાથે લઈ લીધી.

21 તેઓ બધાં પોતાને રસ્તે આગળ વધ્યા. તેઓએ બાળકો, ઢોરઢાંખર તથા ઘરવખરી સૌથી આગળ રાખ્યાં.

22 જ્યારે તેઓ મીખાહના ઘરથી થોડે દૂર નીકળી ગયા ત્યારે મીખાહના ઘરના માંણસો અને તેની આસપાસ રહેતા લોકોએ દાનકુળસમૂહનો પીછો કર્યો અને તેમને પકડી પાડયા. 23 તેમણે તેઓને થોભી જવા માંટે જોરથી બૂમ પાડી, એટલે દાનકુળસમૂહઓએ પાછા ફરીને જોયું અને મીખાહને પૂછયું, “શું વાત છે? શા માંટે તમાંરા માંણસોને લડવા બોલાવ્યા છે?”

24 મીખાહે ગુસ્સામાં કહ્યું, “મેં માંરા માંટે બનાવડાવેલી મૂર્તિને અને યાજકને લઈને તમે રસ્તે પડયા છો, પછી માંરી પાસે રહ્યું શું અને પાછા ઉપરથી પૂછો છો કે, શું છે?”

25 દાન કુળસમૂહે જવાબ આપ્યો, “મોટેથી ન બોલ. નહિ તો આ લોકોનો પિત્તો જશે અને તેઓ તારા ઉપર તૂટી પડશે. તું અને તારું કુટુંબ બંને હતાં નહતાં થઈ જશો.”

26 એમ કહીને દાનવંશીઓ રસ્તે પડયા અને મીખાહ સમજી ગયો કે એ લોકોને માંરાથી પહોંચાય એમ નથી, તેથી તે ઘેર પાછો ફર્યો.

27 ત્યાર પછી દાન કુળસમૂહના લોકોએ મૂર્તિઓ અને યાજકને “લાઈશ” નામના સ્થળે લઈ ગયા જ્યાં શાંતિમય અને શંકારહિત લોકો હતાં. તેઓ નગરની અંદર ગયા અને સર્વ લોકોની તેઓની તરવારથી હત્યા કરી અને તેને બાળી નાખ્યા. 28 ત્યાં એ લોકોને મદદ કરે એવું કોઈ ન હતું. કારણ કે તેઓ નગર સિદોનથી ધણા દૂર હતા અને તેઓને અરામના લોકો સાથે કોઈ સંબધ નહોતો, લાઈશ એ બેથ-રહોબના એક ભાગમાં ખીણમાં આવેલું હતું. દાનકુળસમહોએ ફરી તે નગર બાંધવાનું શરૂ કર્યુ અને ત્યાં વસવાટ કર્યો. 29 તેઓએ પોતાના પિતૃના નામ ઉપરથી તે નગરનું નામ “દાન” પાડયું; દાન, જે ઈસ્રાએલમાં જન્મ્યો હતો, પણ તેનું મૂળ નામ “લાઈશ” હતું.

30 દાનકુળસમૂહોએ પેલી મૂર્તિઓ લઈ અને તેઓની પ્રતિષ્ઠા કરી યોનાથાન ગેર્શોમનો પુત્ર, તથા મૂસાનો પૌત્ર હતો અને તેના પુત્રો દેશ, બંદીવાન થયો ત્યાં સુધી દાન કુળસમૂહના યાજક બની રહ્યાં. 31 મુલાકાત મંડપ જયાં સુધી દેવનું ઘર શીલોહમાં રહ્યું ત્યાં સુધી દાનના કુળે મીખાહની મૂર્તિઓનું ભજન કર્યુ.

પ્રેરિતોનાં કૃત્યો 8:14-25

14 પ્રેરિતો હજુ યરૂશાલેમમાં હતા. તેઓએ સાંભળ્યું કે સમારીઆના લોકોએ દેવની વાત સ્વીકારી છે તેથી પ્રેરિતોએ પિતર અને યોહાનને સમારીઆના લોકો પાસે મોકલ્યા. 15 જ્યારે પિતર અને યોહાન આવી પહોંચ્યા ત્યારે, તેઓએ સમારીઆના વિશ્વાસીઓ પવિત્ર આત્મા પામે તે માટે પ્રાર્થના કરી. 16 આ બધા લોકોને ઈસુના નામે બાપ્તિસ્મા આપ્યું. પરંતુ હજુ સુધી તેઓમાંના કોઈમાં પવિત્ર આત્મા ઉતર્યો ન હતો. તેથી પિતર અને યોહાને પ્રાર્થના કરી. 17 તે બે પ્રેરિતોએ તે લોકો પર હાથ મૂક્યા. પછી તે લોકો પવિત્ર આત્મા પામ્યા.

18 સિમોને જોયું કે જ્યારે પ્રેરિતોએ તેઓના પર તેઓના હાથ મૂક્યા ત્યારે જ તેઓને પવિત્ર આત્મા પ્રાપ્ત થયેલ છે. તેથી સિમોને પ્રેરિતોને પૈસા આપવાની દરખાસ્ત કરી. 19 સિમોને કહ્યું, “તમારા જેવો અધિકાર મને પણ આપો જેથી જ્યારે હું કોઇ માણસના માથે હાથ મૂકું તો તેને પવિત્ર આત્મા પ્રાપ્ત થાય.”

20 પિતરે સિમોનને કહ્યું, “તું અને તારા પૈસા બંને બરબાદ થઈ જશે! કારણ કે તેં વિચાર્યુ કે દેવનું દાન પૈસાથી મળે છે. 21 તું આ કામમાં અમારી સાથે ભાગ લઈ શકીશ નહિ. તારું હ્રદય દેવ સમક્ષ ન્યાયી નથી. 22 તું પસ્તાવો કર! તેં આ જે કંઈ ખરાબ કર્યુ છે ત્યાંથી તું પાછો વળ. પ્રભુને પ્રાર્થના કર. કદાચ તારા અંત:કરણના આ વિચારને તે માફ કરશે. 23 હું જોઈ શકું છું કે તું અદેખાઈની કડવાશમાં અને પાપના બંધનમાં છે.”

24 સિમોને જવાબ આપ્યો, “તમે બંને પ્રભુને મારા માટે પ્રાર્થના કરો. પ્રાર્થના કરો કે તમે જે કહ્યું છે તે હવે મારી સાથે બનશે નહિ!”

25 પછી તે બે પ્રેરિતોએ ઈસુની જે વાતો જોઈ હતી તે કહી. પ્રેરિતોએ લોકોને પ્રભુનો તે સંદેશ કહ્યો. પછી તેઓ યરૂશાલેમ પાછા ફર્યા. રસ્તામાં જતાં જતાં સમરૂનીઓમાંનાં ઘણાં ગામોમાં લોકોને સુવાર્તા પ્રગટ કરી.

યોહાન 6:1-15

ઈસુ 5,000થી વધારે લોકોને જમાડે છે

(માથ. 14:13-21; માર્ક 6:30-44; લૂ. 9:10-17)

એ પછી ઈસુ ગાલીલના સમુદ્રને પાર ગયો (તિબેરિયાસ સરોવર). ઘણા લોકો ઈસુને અનુસર્યા. તેઓ તેની પાછળ ગયા કારણ કે ઈસુએ જે રીતે ચમત્કારો કરીને માંદાઓને સાજા કર્યા તે તેઓએ જોયું. ઈસુ ટેકરીની તરફ ગયો. ત્યાં તે પોતાના શિષ્યો સાથે બેઠો. હવે લગભગ યહૂદિઓના પાસ્ખાપર્વનો સમય નજીક હતો.

ઈસુએ ઊંચે જોયું તો ઘણા લોકો તેના તરફ આવતા હતા. ઈસુએ ફિલિપને કહ્યું, “આ બધા લોકોને ખાવા માટે પૂરતી રોટલી આપણે ક્યાંથી ખરીદીએ?” (ઈસુએ ફિલિપને પારખવા સારું આ પ્રશ્ન કર્યો, કારણ કે તે શું કરવાનો હતો તે જાણતો હતો).

ફિલિપે ઉત્તર આપ્યો, “અહીના દરેક વ્યક્તિને એક રોટલીનો નાનો ટુકડો મળે તે માટે પૂરતી રોટલીઓ ખરીદવા માટે આપણે બધાએ એક માસ કામ કરવાની જરૂર છે.”

બીજો એક શિષ્ય આન્દ્રિયા ત્યાં હતો. આન્દ્રિયા સિમોન પિતરનો ભાઈ હતો. આન્દ્રિયાએ કહ્યું, “અહીં એક છોકરો છે જેની પાસે જવની પાંચ રોટલીઓ અને બે માછલી છે. પરંતુ તે આટલા બધા લોકો માટે પૂરતી નથી.”

10 ઈસુએ કહ્યું, “લોકોને બેસી જવા માટે કહો.” આ ઘણી ઘાસવાળી જગ્યા હતી. ત્યાં લગભગ 5,000 માણસો બેઠા હતા. 11 પછી ઈસુએ રોટલીના ટુકડાઓ લીધા. ઈસુએ રોટલી માટે દેવનો આભાર માન્યો અને ત્યાં નીચે બેઠેલા લોકોને તે આપ્યા. તેણે માછલીનું પણ તેમ જ કર્યુ. ઈસુએ તેઓને જેટલું જોઈતું હતું તેટલું લોકોને આપ્યું.

12 બધા લોકો પાસે પૂરતું ખાવાનું હતું. જ્યારે તેઓએ ખાવાનું પૂરું કર્યુ, ઈસુએ તેના શિષ્યોને કહ્યું, “જે છાંડેલાં માછલી અને રોટલીના ટુકડાઓ છે તે ભેગા કરો. કઈ પણ બગડવા દેશો નહિ.” 13 તેથી શિષ્યોએ છાંડેલા ટુકડા ભેગા કર્યા. તે લોકોએ ફક્ત પાંચ જવની રોટલીમાંના ટુકડાથી જમવાનું શરું કર્યુ હતુ. પરંતુ ખોરાકના છાંડેલા ટુકડાઓમાંથી શિષ્યોએ બાર મોટી ટોપલીએ ભરી.

14 લોકોએ ઈસુએ કરેલો આ ચમત્કાર જોયો. લોકોએ કહ્યું, “ખરેખર તે પ્રબોધક હોવો જોઈએ. જે જગતમાં આવનાર છે.”

15 ઈસુએ જાણ્યું કે લોકો તેને રાજા બનાવવા ઈચ્છતા હતા. લોકોએ ઈસુને પકડવા માટે આવવાની અને તેને તેઓને રાજા બનાવવાની યોજના કરી. તેથી ઈસુ તેઓને છોડીને પહાડ પર ફરીથી એકલો ગયો.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International