Book of Common Prayer
નિર્દેશક માટે. રાગ: “કમળ નો કરાર.” આસાફનું સ્તુતિગીત.
1 હે ઇસ્રાએલનાં પાળક, અમારી પ્રાર્થના સાંભળો;
તમે તે જાણો છો જેણે યૂસફના લોકોને ઘેટાંની જેમ દોર્યા હતા.
કરૂબ દેવદૂત પર બેઠેલા હે દેવ,
અમને પ્રકાશ આપો!
2 એફાઇમ, બિન્યામીન અને મનાશ્શા આગળ તમારું સાર્મથ્ય બતાવો!
અમને તારવાને આવ.
3 હે દેવ, અમને તમે ફેરવો;
તમારા મુખનો પ્રકાશ પાડો એટલે અમારો ઉદ્ધાર થાય.
4 હે સૈન્યોના યહોવા દેવ,
ક્યાં સુધી ક્રોધાયમાન રહીને અમારી પ્રાર્થનાઓ નકારશો?
5 તમે તમારા લોકોને આંસુવાળી રોટલી ખવડાવી છે
અને પુષ્કળ આંસુઓ પાયાં છે.
6 તમે અમને અમારા પડોશીઓને લડવા માટે યુદ્ધના નિશાન બનાવ્યાં છે;
અમરા શત્રુઓ અમારી હાંસી કરે છે.
7 હે સૈન્યોના દેવ, અમને પાછા ફેરવો,
તમારા મુખનો પ્રકાશ અમારા પર પાડો,
જેથી અમારો ઉદ્ધાર થાય.
8 તમે વિદેશી રાષ્ટ્રોને હાંકી કાઢયા
અને અહીં “દ્રાક્ષાવેલો” રોપ્યો.
9 તમે ભૂમિને તેને વાસ્તે સાફ કરી,
તેમાં દ્રાક્ષાવેલાના મૂળ નાંખ્યા અને તેનાથી દેશ ભરપૂર થયો.
10 તેની છાયાથી પર્વતો ઢંકાઇ ગયા,
અને તેની વિશાળ લાંબી ડાળીઓથી દેવદારનાં વૃક્ષો ઢંકાઇ ગયા.
11 તેણે પોતાની ડાળીઓ સમુદ્ર સુધી પ્રસારી
અને તેની ડાંખળીઓ નદી સુધી પ્રસારી.
12 તમે તેનો કોટ એવી રીતે કેમ તોડ્યો છે
કે જેથી રસ્તે જતાં મુસાફરો તેની દ્રાક્ષો ચૂંટી લે છે?
13 જંગલમાંથી ડુક્કરો આવીને તેને બગાડે છે,
અને રાની પશુઓ તેને ખાઇ જાય છે.
14 હે સૈન્યોના દેવ, તમે પાછા આવો, આકાશમાંથી નીચે દ્રષ્ટિ કરો,
અને આ દ્રાક્ષાવેલાની રક્ષા કરો.
15 તમે તમારા જમણા હાથે જેને રોપ્યો છે, અને તમે બળવાન કર્યો છે,
જે દીકરાને પોતાને માટે, તેનું રક્ષણ કરો.
16 તમારા “દ્રાક્ષાવેલા”ને કાપી નાખ્યો છે અને અગ્નિથી બાળી નાખ્યા છે.
તમારા ક્રોધથી તમારા લોકો નાશ પામશે.
17 તમારા જમણા હાથે જે માણસ છે,
અને તમે તમારા પોતાના માટે જે માનવપુત્રને બળવાન કર્યો છે તેના પર તમારો હાથ રાખો.
18 તમારાથી અમે કદી વિમુખ થઇશું નહિ;
અમને પુર્નજીવન આપો, અને અમે તમારા નામમાં પ્રાર્થના કરીશું.
19 હે સૈન્યોના દેવ યહોવા, અમને પાછા ફેરવો;
તમારા મુખનો પ્રકાશ અમારા પર પાડો, જેથી અમારો ઉદ્ધાર થાય.
નિર્દેશક માટે. યદૂથૂનની રીત પ્રમાણે રચાયેલું.આસાફનું ગીત.
1 મે યહોવાને મદદ માટે પોકાર કર્યો;
મારી વિનંતી સાંભળે તે માટે પોકાર કર્યો.
2 જ્યારે મારા માથે ભારે સંકટ આવ્યું, મેં સહાય માટે યહોવા તરફ દ્રૃષ્ટિ કરી.
મેં તેમને આકાશ તરફ હાથ ઊંચા કરીને આખી રાત પ્રાર્થના કરી
જ્યાં સુધી મારા હકમાં કઈં કરશે નહિ ત્યાં સુધી દિલાસો પામીશ નહિ.
3 હું દેવનું સંભારું છું, અને નિસાસાની શરુઆત કરું છું.
મને શું થાય છે તે કહેવા માટે હું પ્રાર્થના કરવાનો પ્રયત્ન કરું છું,
પરંતુ હું નિર્બળ અને લગભગ મૂછિર્ત થાઉં છું.
4 તમે મને ઊંછમાંથી જાગતો રાખ્યો
હું ખૂબ મુશ્કેલીમાં હતો કે બોલી શકતો નહિ.
5 હું અગાઉના દિવસો
અને પૂર્વનાં વર્ષોનો વિચાર કરું છું.
6 તે સમયે આનંદના ગીતોથી મારી રાત્રીઓ ભરપૂર હતી,
હું મનન કરી બદલાયેલી સ્થિતિ વિષે આત્મખોજ કરું છું.
7 “શું યહોવા સર્વકાળ માટે તજી દેશે?
ફરીથી કદી તે શું પ્રસન્ન થશે નહિ?
8 શું અશ્ય થઇ ગયો તેમનો અચળ પ્રેમ?
શું નિષ્ફળ ગયાં તેમણે અમને આપેલા વચન?”
9 અમારા પર કૃપા કરવાનુ દેવ શું ભૂલી ગયાં?
શું તેમણે તેમની સહાનુભૂતિને કોપમાં બદલી નાખી?
10 પછી મેં મારી જાતે વિચાર્યુ, “મને જે સૌથી વધારે
અસ્વસ્થ કરે છે તે આ છે.”
11 શું પરાત્પર દેવે તેમનું સાર્મથ્ય બતાવવાનું બંધ કર્યુ છે?
અને હું તેમનાં અગાઉનાં ચમત્કાર સંભારીશ.
12 હું તમારાં સર્વ કામોનું મનન કરીશ,
અને તમારા કૃત્યો વિષે વિચાર કરીશ.
13 હે યહોવા, તમારા માર્ગો પવિત્ર છે,
તમારા જેવા મહાન કોઇ દેવ નથી!
14 તમે ચમત્કારો અને અદભૂત કાર્યો કરનાર દેવ છો,
તમે રાષ્ટ્રોને તમારું સાર્મથ્ય બતાવી દીધું છે.
15 તમે તમારા લોકો યાકૂબ અને યૂસફનાં બાળકોને
તમારા મહાન સાર્મથ્યથી બચાવ્યાં છે.
16 તમને રાતા સમુદ્રે જ્યારે નિહાળ્યાં ત્યારે તે ભયભીત થયો,
અને તેનાં ઊંડાણો પણ ધ્રૂજી ઊઠયાતા.
17 વાદળોએ પાણી વરસાવ્યું, ગર્જનાના પડઘા આકાશે પાડ્યાં;
વીજળીરૂપી બાણો ચોતરફ ઊડ્યા.
18 મેઘ ગર્જનામાંથી ભયંકર ઘોંઘાટ આવ્યો તારી ગર્જનાનો;
વીજળીઓ ચમકી અને જગતને પ્રકાશિત કર્યુ.
અને પૃથ્વી કંપી તથા ડોલી.
19 તમારો માર્ગ તો સમુદ્રમાં, અને વાટો હતી મહાજળમાં;
તમારા પગલાં કોઇનાં જોવામાં આવ્યાં નહિ.
20 તમે મૂસા તથા હારુનની મારફતે,
તમારા લોકોને ઘેટાનાં ટોળાની માફક દોર્યા.
નિર્દેશક માટે. આસાફના સ્તુતિગીતોમાંનુ.
1 હે દેવ, વિદેશી રાષ્ટ્રોએ તમારા લોકો પર આક્રમણ કર્યુ છે.
અને તમારા પવિત્ર મંદિરને અશુદ્ધ કર્યુ છે.
અને તેમણે યરૂશાલેમ તારાજ કર્યુ છે.
2 તેઓએ તમારા સેવકોનાં મૃતદેહોને જંગલી પક્ષીઓને ખાવા માટે આપ્યાં છે
અને તેઓએ તમારા વફાદાર અનુયાયીઓના મૃતદેહોને ખાવા માટે જંગલી પશુઓ છોડ્યા છે.
3 તેઓએ, યરૂશાલેમની આસપાસ, પાણીની રેલની જેમ રકત વહેવડાવ્યું છે;
ત્યાં મૃતદેહોને દફનાવનાર કોઇ નથી.
4 અમારી આસપાસ આવેલી પ્રજાઓ અમારી નિંદા,
તિરસ્કાર કરે છે, અને અમારા પડોશીઓ મશ્કરી કરે છે.
5 હે યહોવા, તમે અમારા ઉપર ક્યાં સુધી કોપાયમાન રહેશો?
તમારા કોપનો અગ્નિ ક્યાં સુધી સળગતો રહેશે?
6 તમે જે વિદેશીઓ જાણતા નથી તેઓ ઉપર તમારો ક્રોધ ઉતારો,
જે રાજ્યની પ્રજાઓ તમારા નામે અરજ કરતી નથી.
7 કારણ તેઓએ યાકૂબનો વિનાશ કર્યો છે
અને તેના વતનને ઉજ્જડ કર્યુ છે.
8 હે યહોવા, અમારા પૂર્વજોનાં પાપોને લીધે અમને દોષિત ઠરાવશો નહિ;
અમારા પર તમારી દયા કરવામાં વિલંબ કરશો નહિ કારણ,
અને બહુ દુર્દશામાં આવી પડ્યાં છીએ.
9 હે અમારા તારણના દેવ,
અમારી સહાય કરો,
તમારા નામના મહિમાને માટે,
હે દેવ અમારી રક્ષા કરો,
તમારા નામની માટે,
અમને અમારા પાપોની માફી આપો.
10 વિદેશીઓ શા માટે એવું કહે છે કે,
“ક્યાં છે તેઓના દેવ?”
તેઓએ તમારા લોકોનું લોહી વહેવડાવ્યું છે,
તેમને એવી રીતે શિક્ષા કરો કે અમારી આંખો જુએ અને લોકો તેના વિષે જાણે.
11 બંદીવાનોના નિસાસા તમારી આગળ પહોંચો;
તમારા હાથના પરાક્રમે મૃત્યુદંડ પામેલાઓનું રક્ષણ કરો.
12 હે યહોવા, જે અમારા પડોશી રાષ્ટ્રો તમારું અપમાન કરે છે,
તેઓને તમે સાતગણી સજા કરો.
13 પછી નિરંતર અમે તમારી આભારસ્તુતિ કરીશું,
તમારા લોક તથા ચારાના ઘેટાઁ
પેઢી દર પેઢી તમારું સ્તવન કરીશું.
બઆલની વેદીને ભાંગતો ગિદિયોન
25 તે રાત્રે યહોવાએ ગિદિયોનને કહ્યું, “તારા પિતાનો સાત વર્ષની ઉમરનો શ્રેષ્ઠ બળદ લે. તારા પિતાની જે બઆલ દેવની બેદી છે તે તોડી પાડ. 26 અને તેની પાસેની અશેરાહ દેવીની પ્રતિમાંને કાપી નાખ, અને ત્યાર પછી આ ટેકરા ઉપર તારા દેવ યહોવાને માંટે યોગ્ય રીતે બાંધેલી યજ્ઞવેદી બનાવ. પછી પેલો બીજો બળદ લઈને તેં કાપી નાખેલી પ્રતિમાંનાં લાકડાં વડે અર્પણ ચઢાવ.”
27 પછી ગિદિયોને દસ નોકરોને લઈને યહોવાના કહ્યાં પ્રમાંણે કર્યું. પણ તેને પોતાનાં કુટુંબીજનોની અને ગામ લોકોની બીક લાગતી હતી એથી તેણે આ કામ દિવસે ન કરતાં રાત્રે કર્યું.
28 બીજે દિવસે સવારે લોકોની અવરજવર શરૂ થઈ ત્યારે લોકોએ જોયું કે બઆલની વેદીને તોડી નાખી છે, તેની પાસેની અશેરા દેવીનો સ્તંભ તોડી નાખવામાં આવ્યો છે. તેઓએ એક નવી બાંધેલી વેદી પણ જોઈ જ્યાં બીજા બળદનું અર્પણ કરાયું હતું.
29 તેઓ એકબીજાને પૂછવા લાગ્યા, “આ કોણે કર્યુ?” અને તેમણે તપાસ કરી, આખરે તેઓને ખબર પડી કે, “યોઆસના પુત્ર ગિદિયોને આ કર્યુ છે.”
30 ત્યારે તેમણે યોઆશને કહ્યું, “તારા પુત્રને બહાર કાઢ, એને મૃત્યુદંડની સજા થશે જ; કારણ એણે બઆલની વેદી ઉખાડી નાખી છે અને તેની પાસેની અશેરાદેવીની પ્રતિમાં કાપી નાખી છે.”
31 પરંતુ યોઆશે તેની સામે ભેગા થયેલાં લોકોને કહ્યું, “તમે શા માંટે બઆલનો પક્ષ લો છો? શા માંટે તમે તેને બચાવવા માંગો છો? જે કોઈ બઆલનો પક્ષ કરશે તેને સવાર થતાં પહેલાં માંરી નાખવામાં આવશે. જો બઆલ ખરેખરા દેવ હોય અને કોઈ તેની વેદી તોડી પાડે તો તે પોતાની જાતનો બચાવ કરે.” 32 ત્યારથી ગિદિયોનનું નામ “યરૂબ્બઆલ પડયું, કારણ યોઆશે કહ્યું, તેણે બઆલની વેદી તોડી પાડી છે.”
મિદ્યાનીઓને હરાવતો ગિદિયોન
33 ત્યારબાદ મિદ્યાનીઓએ, અમાંલેકીઓએ અને પૂર્વની અન્ય પ્રજાઓએ ભેગા થઈને યર્દન નદી ઓળંગી યિઝ્રએલની ખીણમાં તેમના છાવણી તાણ્યા. 34 પછી યહોવાનો આત્માં ગિદિયોનમાં આવ્યો, યુદ્ધમાં જવાનું આહવાન આપવા તેણે રણશિંગડું ફૂંકયું, તેથી અબીએઝેરના પુરુષો તેની પાસે ભેગા થયા. 35 તેણે મનાશ્શાના કુળસમૂહના સમગ્ર પ્રદેશમાં પોતાના માંણસો મોકલ્યાં અને ત્યાથી લોકોને બોલાવી લીધા. અને તે બધાં તેની આજુબાજુ ભેગા થયાં તેણે આશેર, ઝબુલોન અને નફતાલીના લોકોને કાસદો મોકલ્યા અને તે કુળસમૂહોના લોકો પણ તેને આવી મળ્યાં.
36 પછી ગિદિયોને દેવને પૂછયું, “તમે મને વચન આપ્યું છે તે મુજબ તમે કહ્યું છે કે તમે ઈસ્રાએલીઓને બચાવશો, 37 તેથી હું આ ઘઉં ઝૂડવાની જમીન ઉપર ઊન પાથરું છું, જો એ ઊન ઉપર જ ઝાકળ જોવામાં આવે અને બધી જમીન સૂકી હોય, તો હું સમજીશ કે તમે વચન આપ્યા પ્રમાંણે માંરા હાથે ઈસ્રાએલીઓને બચાવવાના છો.”
38 અને એ જ પ્રમાંણે થયું. બીજા દિવસે તે સવારમાં વહેલો ઊઠયો, અને તેણે ઊનને નીચોવ્યું, તો તેમાંથી કટોરો ભરાય એટલું ઝાકળ નીકળ્યું.
39 પછી ગિદિયોને દેવને કહ્યું, “માંરા પર કોપ ન કરશો, હજી એક વાર મને બોલવા દો. હજી એક વખત મને ઊન દ્વારા તમાંરી કસોટી કરવા દો. આ વખતે ઊન કોરું જ રહે અને માંત્ર ચારેબાજુ જમીન ઉપર જ ઝાકળ પડે એમ કરો.”
40 તે રાત્રે તેણે માંગ્યું તે પ્રમાંણે દેવે કર્યુ, ઊન કોરું રહ્યું અને જમીન ઉપર ઝાકળ પડયું.
37 જ્યારે લોકોએ આ સાંભળ્યું ત્યારે, તેઓ ઘણા દુ:ખી થયા. તેઓએ પિતર અને બીજા શિષ્યોને પૂછયું, “ભાઈઓ, અમારે શું કરવું જોઈએ?”
38 પિતરે તેઓને કહ્યું, “પસ્તાવો કરો. તમારામાંનો દરેક ઈસુ ખ્રિસ્તના નામે બાપ્તિસ્મા પામો. પછી દેવ તમારાં પાપોને માફ કરશે. અને તમને પવિત્ર આત્માનું દાન પ્રાપ્ત થશે. 39 આ વચન તમારા માટે છે અને તે તમારાં બાળકો તથા જે લોકો દૂર દૂર છે તેઓને માટે પણ છે. આપણા પ્રભુ દેવ તેની પાસે જેટલાંને બોલાવશે તે દરેક માણસ માટે છે.”
40 પિતરે બીજા ઘણા શબ્દોથી તેઓને ચેતવણી આપી; તેણે તેઓને કહ્યું, “હાલમાં જે દુષ્ટ લોકો જીવી રહ્યા છે તેઓથી તમારી જાતનો બચાવ કરો!” 41 પછી જે લોકોએ પિતરે કહ્યું હતું તેમાં વિશ્વાસ કર્યો તેઓ બાપ્તિસ્મા પામ્યાં. તે દિવસે આશરે 3,000 લોકો વિશ્વાસીઓના સમૂહમાં ઉમેરાયા.
વિશ્વાસીઓનો ફાળો
42 વિશ્વાસીઓએ સંગતમાં ભેગા મળવાનું ચાલું રાખ્યું. તેઓ પ્રેરિતોના બોધ શીખવામાં તેઓના સમયનો ઉપયોગ કરતા. વિશ્વાસીઓ એકબીજાના સહભાગી બન્યા. તેઓ રોટલી ભાગવામાં તથા પ્રાર્થના કરવામાં લાગું રહ્યા. 43 પ્રેરિતો ઘણા અદભૂત કૃત્યો અને ચમત્કારો કરતા હતાં. પ્રત્યેક માણસના હ્રદયમાં દેવના માટે મહાન સન્માનની ભાવના જાગી. 44 બધા જ વિશ્વાસીઓ સાથે રહેતાં. તેઓ દરેક વસ્તુઓ વહેંચતા. 45 વિશ્વાસીઓએ તેઓની જમીનો તથા તેઓની માલિકીની વસ્તુઓ વેચી અને પછી તે પૈસા તેઓનામાં જ દરેકની જરૂરીયાત પ્રમાણે વહેંચી આપ્યા. 46 વિશ્વાસીઓ પ્રતિદિન મંદિરના આંગણામાં ભેગા મળતા. તેઓ બધાને હેતુ સર્વ સામાન્ય હતો. તેઓ તેઓના ઘરોમાં એક સાથે જમતા. તેઓ રોટલી ભાંગીને ઉમંગથી તથા નિખાલસથી ખાતા. 47 વિશ્વાસીઓ દેવની સ્તુતિ કરતા અને બધા જ લોકોને તેઓ ગમતા. પ્રતિદિન વધારે ને વધારે માણસોનો ઉદ્ધાર થતો; પ્રભુ વિશ્વાસીઓના સમૂહમાં તે લોકોનો ઉમેરો કરતો હતો.
ખ્રિસ્ત જગતમાં આવે છે
1 જગતનો આરંભ થયા પહેલાંથી, તે શબ્દ ત્યાં હતો. તે શબ્દ દેવની સાથે હતો. તે શબ્દ દેવ હતો. 2 તે શરુંઆતમાં ત્યાં દેવની સાથે હતો. 3 તેના થી જ બધી વસ્તુઓ ઉત્પન્ન થઈ. તેના વિના કશું જ ઉત્પન્ન થયું નથી. 4 તેનામાં જીવન હતું. તે જીવન લોકો માટે પ્રકાશ હતો. 5 તે અજવાળું અંધકારમાં પ્રકાશે છે. અંધકારે પ્રકાશને જાણ્યો નથી.
6 ત્યાં એક યોહાન નામનો માણસ આવ્યો, તેને દેવે મોકલ્યો હતો. 7 યોહાન લોકોને પ્રકાશ વિષે કહેવા આવ્યો. યોહાન દ્વારા લોકો પ્રકાશ વિષે સાંભળી અને માની શકે. 8 યોહાન પોતે પ્રકાશ નહોતો. પણ યોહાન લોકોને પ્રકાશ વિષે કહેવા આવ્યો. 9 સાચો પ્રકાશ જગતમાં આવતો હતો. આજ ખરો પ્રકાશ છે જે બધા લોકોને પ્રકાશ આપે છે.
10 તે શબ્દ જગતમાં હતો જ. તેના દ્વારા જ જગતનું નિર્માણ થયું છે. પણ જગતે તેને ઓળખ્યો નહિ. 11 જે જગતમાં આવ્યો તે તેનું પોતાનું જ હતું. પણ તેના પોતાના લોકોએ જ તેનો સ્વીકાર કર્યો નહિ. 12 કેટલાક લોકોએ તેનો સ્વીકાર કર્યો. તેઓએ તેનામાં વિશ્વાસ કર્યો. જે લોકોએ તેનામાં વિશ્વાસ કર્યો હતો તેઓને તેણે કંઈક આપ્યું. તેણે તેઓને દેવનાં બાળકો થવાનો અધિકાર આપ્યો. 13 જેવી રીતે નાનાં બાળકો જન્મ છે તેવી રીતે આ બાળકો જન્મ્યા ન હતા. તેઓ માતાપિતાની ઈચ્છાથી કે યોજનાથી જન્મ્યા ન હતા. આ બાળકો દેવથી જન્મ્યા હતા.
14 તે શબ્દ એક મનુષ્ય થયો અને આપણામાં વસ્યો. આપણે તેનો મહિમા જોયો. જે ફક્ત પિતાના દીકરાનો જ મહિમા છે. તે શબ્દ કૃપા તથા સત્યતાથી ભરપૂર હતો. 15 યોહાને લોકોને તેના વિષે કહ્યું, યોહાને કહ્યું, “હું જેના વિષે કહેતો હતો તે એ જ છે. મેં કહ્યું, ‘જે મારી પાછળ આવે છે તે મારા કરતાં પણ મોટો છે. તે મારી પહેલાનો હતો.’”
16 તે શબ્દ (ખ્રિસ્ત) કૃપા અને સત્યથી ભરપૂર હતો, તેની પાસેથી આપણે બધા વધારે ને વધારે કૃપા પામ્યા. 17 મૂસા મારફતે નિયમશાસ્ત્ર આપવામાં આવ્યું. પરંતુ કૃપા અને સત્યતા ઈસુ ખ્રિસ્ત મારફતે આવ્યાં. 18 કોઈ પણ માણસે આજપર્યંત દેવને જોયો નથી, પરંતુ એકાકીજનિત દીકરો (ઈસુ) જ દેવ છે. તે પિતા (દેવની) ની ઘણી નજીક છે. દેવ કોના જેવો છે, તે દીકરાએ આપણને બતાવ્યું છે.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International