Book of Common Prayer
1 યહોવા રાજ કરે છે,
ભવ્યતા અને સાર્મથ્યને તેણે વસ્રોની જેમ ધારણ કર્યા છે
તેણે જગતને તેવી રીતે પ્રસ્થાપિત કર્યુ છે
કે તે અચળ રહેશે.
2 હે દેવ, પુરાતન કાળથી તમારું રાજ્યાસન સ્થપાયેલું છે;
તમે સદાકાળ અસ્તિત્વ ધરાવો છો!
3 હે યહોવા, નદીઓએ ગર્જનાકરી છે.
વહેતી નદીઓએ તેમનો અવાજ વધાર્યો છે
અને પોતાના મોજાં ઊંચા ઉછાળ્યાં છે.
4 તમે વધુ ગર્જના કરતાં સમુદ્રોથી વધારે શકિતશાળી છો,
અને સમુદ્રોનાઁ મોજાઁઓથી વધારે બળવાન.
ઉપરવાળો દેવયહોવા,પરમ ઊંચામાં પરાક્રમી છે.
5 તમારા કરારો સંપૂર્ણ રીતે વિશ્વાસપાત્ર છે,
હે યહોવા, સર્વકાળ પવિત્રતા તમારા મંદિરને શોભે છે.
1 યહોવા સમક્ષ નવું ગીત ગાઓ!
સમગ્ર પૃથ્વી પર સર્વત્ર એ ગીત ગાઓ, યહોવા સમક્ષ ગાઓ.
2 તેમના નામને ધન્યવાદ આપો;
દિનપ્રતિદિન તેનું તારણ પ્રગટ કરો.
3 પ્રજાઓને તેના મહિમા વિષે જણાવો
અને બધા લોકોને તેમના ચમત્કારો વિષે કહો.
4 કારણ, યહોવાની મહાનતા અવર્ણનીય છે;
અને તે બહુ સ્તુત્ય છે; તેજ માત્ર ભયાવહ દેવ;
સર્વ “દેવોની” ઉપર છે.
5 લોકોના સર્વ “દેવો,” મૂર્તિઓ માત્ર છે;
પણ યહોવાએ આકાશોને ઉત્પન્ન કર્યા છે.
6 ભવ્યતા અને મહિમા તેમની સામે ચમકે છે.
સાર્મથ્ય અને સૌન્દર્ય તેમના પવિત્રસ્થાનમાં છે.
7 હે વિશ્વની સર્વ પ્રજાઓ, યહોવા એકલા જ છે મહિમાવાન અને પરાક્રમી;
તે તમે કબૂલ કરો ને તેમને માન આપો.
8 યહોવાને ઘટે છે ગૌરવ જે તે તેમને આપો,
તેમની આરાધના કરવાને તમારા અર્પણો લઇને તેનાં આંગણામાં જાઓ.
9 પવિત્રતાની સુંદરતા ધારણ કરી, યહોવાની ઉપાસના કરો;
અને ધ્રૂજો સમગ્ર પૃથ્વી તેમની સમક્ષ.
10 પ્રજાઓની વચ્ચે જાહેર કરો, યહોવા એ છે જે જગત પર શાસન કરે છે અને ટકાવી રાખે છે,
તેથી તેનો વિનાશ થશે નહિ.
બધાં લોકોનો નિષ્પક્ષતાથી ન્યાય કરશે.
11 આકાશો આનંદ પામો! હે પૃથ્વી,
સુખી થાવ! હે ગર્જના કરતા સમુદ્રની વિશાળતા હર્ષથી પોકારો.
12 ખેતરો અને તેમાં જે કઇં ઊગે છે તે સર્વ સુખી થાઓ.
હે વનનાં સર્વ વૃક્ષો યહોવાની આગળ હર્ષ સાથે ગાઓ.
13 પૃથ્વીનો ન્યાય કરવાને,
યહોવા આવે છે;
તે સર્વ પ્રજાઓનો ન્યાય સત્યતાએ કરશે;
અને જગતનો યથાર્થપણે.
દાઉદનું ગીત. એ ત્યારે લખાયું હતું જ્યારે તેણે ગાંડપણનો ઢોંગ કર્યો જેથી અબીમેલેખ તેને કાઢી મૂકે. દાઉદ આ રીતેતેનાથી નાસી છુટયો.
1 હું હમેશા યહોવાની પ્રશંશા કરીશ,
અને હું હંમેશા તેમના મહિમા વિષે વાત કરીશ.
2 મારો આત્મા યહોવાની મોટાઇ કરશે.
આથી નમ્ર માણસો મારી સ્તુતિ સાંભળશે અને આનંદિત થશે.
3 આપણે સૌ સાથે મળી યહોવાની સ્તુતિ કરીએ.
અને તેના નામનો મહિમા વધારીએ.
4 યહોવાને મેં પ્રાર્થના કરી અને તેમણે મારી પ્રાર્થનાનો ઉત્તર આપ્યો.
તેમણે મને જે બધી બાબતોનો ભય હતો તેમાથી છોડાવ્યો.
5 જેઓ યહોવાની કૃપા પામ્યા છે, તેઓના મુખ પ્રકાશિત છે;
તેઓના મુખ પર કોઇ નિરાશા નથી.
6 આ લાચાર માણસે યહોવાને પોકાર કર્યો,
અને તે સાંભળીને તેમણે તેને સર્વ સંકટમાંથી ઉગાર્યો.
7 યહોવાનો દૂત, યહોવાના ભકતોની આસપાસ પડાવ નાખે છે
અને તેમને મુશ્કેલીમાંથી ઉગારે છે, તેમનું રક્ષણ કરે છે.
8 યહોવા કેટલાં ઉમદા છે તેનો અનુભવ કરો અને જુઓ.
જેઓ તેમના ઉપર આધાર રાખે છે તેઓ ને ધન્ય છે.
9 યહોવાનાં પવિત્ર અનુયાયીઓ તેનું ભય રાખે છે અને તેમનો આદર કરે છે;
કેમકે, તેને કોઇ વસ્તુની ખોટ પડની નથી.
10 અને કદાચ તંગી પડે સિંહના બચ્ચાંને અને ભૂખ વેઠવી પડે છે,
પણ દેવની સહાય શોધનારને ઉત્તમ વસ્તુઓની અછત પડતી નથી.
11 મારા બાળકો આવો, મારું સાંભળો;
“હું તમને યહોવાનો આદર કરતાં શીખવીશ.”
12 સુખી-લાંબા જીવનની ઈચ્છા કોને છે?
અને તમારામાંથી જીવન વહાલું કોને છે?
13 તો હંમેશા તમારી જીભ પર કાબૂ રાખો;
ને તમારા હોઠોને જૂઠું બોલવાથી દૂર રાખો.
14 દરેક દુષ્ટાથી દૂર રહો અને ભલું કરો.
શાંતિ શોધી તેની પાછળ લાગો.
15 યહોવાની આંખો હંમેશા સત્યનિષ્ઠ લોકો પર નજર રાખે છે.
તેમની મદદ માટેની પ્રાર્થના સાંભળવા માટે તેમનો કાન સદા ખુલ્લો હોય છે.
16 દુષ્ટ માણસોની યાદને પૃથ્વી પરથી
ભૂંસી નાંખવાનો યહોવાએ સંકલ્પ કર્યો છે.
17 યહોવા ન્યાયીઓના પોકાર સાંભળે છે,
અને તેઓને સર્વ સંકટમાંથી છોડાવે છે.
18 યહોવા હંમેશા તેઓની સાથે હોય છે જેમના હૃદય ભાંગી ગયા છે.
જેમનો આત્મા કચડાઇ ગયો છે અને જેઓ નમ્ર છે તેમને યહોવા મુકિત આપે છે.
19 ન્યાયી માણસનાં જીવનમાં ઘણા દુ:ખો આવે છે,
પણ કૃપાળુ યહોવા તેમને તે સર્વમાંથી ઉગારે છે.
20 યહોવા તેનાં સર્વ હાડકાંનું રક્ષણ કરે છે,
તેઓમાંનું એકપણ ભાંગવામાં આવતું નથી.
21 દુષ્ટો પોતાની જ દુષ્ટતાથી નાશ પામશે,
અને ન્યાયીઓના દ્વેષીઓ દોષિત ઠરશે.
22 યહોવા પોતાના સેવકોના પ્રાણોનો ઉદ્ધાર કરે છે;
યહોવામાં ભરોસો રાખનારાઓમાંથી કોઇ દોષિત ઠરશે નહિ.
મિદ્યાનીઓનું ઈસ્રાએલીઓ સાથે યુદ્ધ
6 ત્યારબાદ ફરીવાર યહોવાની દૃષ્ટિએ પાપ ગણાય એવું આચરણ ઈસ્રાએલી પ્રજાએ કર્યુ. અને તેણે તેઓને સાત વર્ષ સુધી મિદ્યાનીઓના હાથમાં સોંપી હેરાન-પરેશાન કર્યા.
2 ઈસ્રાએલી પ્રજા કરતાં મિદ્યાનીઓ વધારે શક્તિશાળી હતાં એટલે મિદ્યાનીઓની ક્રૂરતાથી પોતાને બચાવવા માંટે ઈસ્રાએલી પ્રજાને પર્વત પર ટેકરીની ગુફાઓમાં અને અન્ય ગુપ્ત જગ્યાએ ભરાઈ જવું પડયું. 3 જયારે જયારે ઈસ્રાએલી પ્રજા પોતાના ખેતરોમાં વાવણી કરતી ત્યારે ત્યારે મિદ્યાનીઓ, અમાંલેકીઓ અને બીજી પૂર્વની પ્રજાઓ આવીને તેમના ઉપર હુમલો કરતી. 4 તેઓ છેક ગાઝા સુધીના પ્રદેશમાં પડાવ નાખીને ત્યાં નિવાસ કરતા, તેઓ ત્યાં રહેતા અને લોકોના પાક અને કાપણીનો નાશ કરતા. તેઓ ઈસ્રાએલીઓ માંટે કશું જ ખાવાનું રહેવા દેતા નહિ, નહિ ઘેટું, નહિ બકરી, નહિ બળદ કે નહિ ગધેડું. 5 તેઓ તેમના ઢોર અને તેમના તંબુઓ સાથે ટોળાબંધ ચઢી આવતા, અને લોકો ઉપર મધમાંખીની જેમ ત્રાટકતા એમનાં ઊંટ ગણ્યા ગણાય એમ નહોંતા, અને તેઓ બધાં ભૂમિનો નાશ કરવા આવતા. 6 આમ ઈસ્રાએલીઓ મિદ્યાનીઓ આગળ લાચાર હતાં.
7 આથી ઈસ્રાએલીઓએ મિદ્યાનીઓ સામે મદદ મેળવવા યહોવાને પોકાર કર્યો. 8 ત્યારે યહોવાએ એક પ્રબોધક દ્વારા સંદેશો મોકલ્યો, તેણે તેઓને કહ્યું, “ઈસ્રાએલના દેવ યહોવા જે કહે છે ‘તે આ છે; તમને મિસરમાંથી મેં બહાર કાઢયા હતાં અને તમને ગુલામીમાંથી મુક્ત કર્યા હતાં. 9 મિસરીઓના અને તમાંરા ઉપર જુલમ ગુજારનારાઓના હાથમાંથી તમને છોડાવનાર હું હતો. આ લોકોને મેં તમાંરી સામેથી હાંકી કાઢયા હતાં, અને તેમની જમીન તમને આપી હતી.’ 10 મેં તમને કહ્યું હતું, ‘હું તમાંરો દેવ યહોવા છું; તમે જે અમોરીઓના દેશમાં અત્યારે વસો છો તેમના દેવોની પૂજા કરશો નહિ.’ પણ તમે માંરી વાત સાંભળી નથી.”
ગિદિયોનની મુલાકાતે યહોવાનો દૂત
11 એક દિવસ યહોવાનો દૂત અબીએઝેરી કુટુંબના યોઆશની માંલિકોના ઓફ્રાહ ગામે ગયો હતો અને ઓકના ઝાડ નીચે બેઠો. યોઆશનો પુત્ર ગિદિયોન મિદ્યાનીઓની નજર ન પડે માંટે દ્રાક્ષના કોલુમાં ઘઉં ઝૂડતો હતો. 12 યહોવાના દૂતે તેને દર્શન દઈને કહ્યું, “મહાન યોદ્ધા, યહોવા તારી સાથે છે.”
13 ત્યાર પછી ગિદિયોને કહ્યું, “માંરા યહોવા, જો યહોવા સાચે જ માંરી અને ઈસ્રાએલીઓની પડખે હોય તો અમને આ બધું શું થયું? અમાંરા પિતૃઓએ અમને યહોવાના પ્રચંડ કાર્યો વિષે કહ્યું હતું જ્યારે તેઓ તેમને મિસરમાંથી બહાર લઈ આવ્યા હતાં, અને જ્યારે તેઓએ આ વિષે વાત કરી ત્યારે તેઓએ અદભૂત શોર્ય અને મહાન ઘટનાનું વર્ણન કર્યુ હતું. તે બધાં કયાં ગયા? હવે આજે તો યહોવાએ અમાંરો ત્યાગ કર્યો છે અમને મિદ્યાનીઓના હાથમાં સોંપી દીધા છે.”
14 પછી યહોવાએ તેના તરફ વળીને કહ્યું, “જા, અને તારી તાકાતથી તું ઈસ્રાએલીઓને મિદ્યાનીઓના હાથમાંથી છોડાવ. હું પોતે જ તને મોકલું છું.”
15 ગિદિયોને કહ્યું, “પણ, યહોવા હું ઈસ્રાએલીઓને કેવી રીતે છોડાવી શકું? તમે જાણો છો કે માંરું કુળસમૂહ મનાશ્શાના વંશમાં નબળામાં નબળું છે, અને માંરા બાપના કુટુંબમાં હું સૌથી નાનો માંણસ છું.”
16 ત્યારે યહોવાએ કહ્યું, “હું તારી મદદમાં રહીશ અને તું મિદ્યાનીઓને તેઓ જાણે એક જ માંણસ હોય તેમ કચડી શકીશ.”
17 ગિદિયોને યહોવાને કહ્યું, “જો તમે માંરા પર પ્રસન્ન થયા હો તો તમે જ માંરી સાથે વાત કરો છો એની કોઈ નિશાની આપો; 18 અને જયાં સુધી હું તમને અર્પણ લાવીને ના ધરાવું ત્યાં સુધી અહીંથી ચાલ્યા જશો નહિ.”
યહોવાએ કહ્યું, “તું પાછો આવે ત્યાં સુધી હું અહીં જ રહીશ.”
19 આથી ગિદિયોને જલ્દી ઘેર જઈને એક લવારું લઈને રાંધ્યું તથા એક એફ્રાહ[a] લોટની બેખમીર રોટલી બનાવી. તેણે માંસ એક ટોપલીમાં મૂક્યું. રસો તપેલીમાં લીધો અને તે બધું તે ઓકના ઝાડ નીચે લાવ્યો અને તેણે યહોવાને ધરાવ્યું.
20 યહોવાના દેવદૂત કહ્યું, “માંસ અને રોટલી આ ખડક ઉપર મૂક અને તેના પર રસો રેડી દે.” ગિદિયોને તે પ્રમાંણે કર્યુ.
21 ત્યારે યહોવાના દૂતે પોતાના હાથમાંની લાકડી લંબાવીને તેની અણી માંસને અને બેખમીર રોટલીને અટકાડી. તરત જ ખડકમાંથી અગ્નિ પ્રગટયો અને તે માંસને તથા રોટલીને સ્વાહા કરી ગયો. અને એ જ ક્ષણે યહોવાનો દૂત અલોપ થઈ ગયો.
22 ગિદિયોને ત્યારે જાણ્યું અને તેને ખાતરી થઈ કે એ યહોવાનો દૂત હતો. અને તે બોલી ઊઠયો, “મને અફસોસ! ઓ યહોવા સર્વસમર્થ, કારણ કે મે યહોવાના દૂતને મોંઢા મોંઢ જોયો છે.”
23 પણ યહોવાએ તેને કહ્યું, “શાંતિ રાખ, ડરીશ નહિ, તું મરી નહિ જાય.”
24 ત્યારબાદ ગિદિયોન ત્યાં ગયો અને ત્યાં યહોવાને માંટે એક વેદી બાંધી અને તેનું નામ “યહોવાની શાંતિ” પાડયું. આજના દિવસે પણ એ વેદી “યહોવાની શાંતિ” યહોવા શાલોમ: ઓફ્રાહ નગરમાં છે જ્યાં અબીએઝરીનું કુટુંબ વસે છે.
6 આટલું યાદ રાખજો-જે વ્યક્તિ અલ્પ વાવે છે તે અલ્પ લણે છે. પરંતુ જે વ્યક્તિ અધિક વાવે છે તે અધિક લણે છે. 7 દરેક વ્યક્તિએ તેના હૃદયમાં નક્કી કર્યુ હોય તેટલું આપવું જોઈએ. જો આપવાથી વ્યક્તિ વ્યથિત થતી હોય તો તેણે ન આપવું જોઈએ. અને વ્યક્તિએ તો પણ ન આપવું જોઈએ જો તેને એમ લાગે કે તેને આપવા માટે ફરજ પાડવામાં આવી છે. જે સહર્ષ આપે છે તે વ્યક્તિને દેવ ચાહે છે. 8 અને દેવ તમને જરૂર છે તે કરતાં પણ વધારે આશીર્વાદ આપી શકે છે. ત્યારે બધી જ વસ્તુ તમારી પાસે પુષ્કળ પ્રમાણમાં હશે. દરેક સારાં કામ માટે આપવાને તમારી પાસે પૂરતું હશે. 9 પવિત્રશાસ્ત્રોમાં લખ્યું છે કે:
“તે ઉદારતાથી ગરીબોને આપે છે;
તેની મમતા અનંત સુધી સતત રહેશે.” (A)
10 દેવ તે એક છે જે વ્યક્તિને વાવણી માટે બીજ આપે છે. અને તે આહાર માટે રોટલી આપે છે. અને દેવ તમને આત્મિક બીજ આપશે અને તે બીજને અંકૂરીત કરશે. તમારી સદભાવનાની તે ઉત્તમ કાપણી કરશે. 11 દેવ તમને દરેક રીતે સમૃદ્ધ બનાવશે કે જેથી મુક્ત રીતે તમે હંમેશા આપી શકો. અને અમારા થકી અનુદાન લોકોને દેવ પ્રત્યે આભારી બનાવશે.
12 આ પવિત્ર સેવા કે જે તમે કરો છો તે માત્ર દેવના લોકોની જરૂરિયાતમાં મદદ કરે છે. એમ નહિ પરંતુ દેવની સ્તુતિરૂપી પુષ્કળ ફળ પણ ઉત્પન્ન કરે છે. 13 આ સેવા જે તમે કરો છો તે તમારા વિશ્વાસની સાબિતી છે. આ માટે લોકો દેવની સ્તુતિ કરે છે કારણ કે તમે ખ્રિસ્તની સુવાર્તાને અનુસર્યા; એ સુવાર્તા કે જેમાં તમને વિશ્વાસ છે. લોકો દેવની સ્તુતિ કરશે કારણ કે તમે મુક્ત રીતે તેમની સાથે અને બધા લોકોની સાથે ભાગીદારી કરી. 14 અને જ્યારે તે લોકો પ્રાર્થના કરશે. ત્યારે તેવી અભિલાષા રાખશે કે તેઓ તમારી સાથે હોય. દેવની ઘણી કૃપા જે તમને પ્રાપ્ત થઈ છે તે કારણે તેઓ આવો અનુભવ કરશે. 15 જેનું વર્ણન થઈ શકે તેમ નથી તેના દાન માટે દેવની સ્તુતિ થાઓ.
કેટલાકનો ઈસુમાં શેતાન હોવાનો આક્ષેપ
(માથ. 12:22-32; લૂ. 11:14-23; 12:10)
20 પછી ઈસુ ઘેર ગયો. પણ ફરીથી ત્યાં ઘણા લોકો ભેગા થયા. ત્યાં એટલા બધા લોકો હતા કે ઈસુ અને તેના શિષ્યો ખાઈ શક્યા નહિ. 21 ઈસુના કુટુંબે આ બધી બાબતો વિષે સાંભળ્યું. તેઓ તેને પકડવા ગયા. કારણ કે લોકોએ કહ્યું કે, ઈસુ ઘેલો હતો.
22 યરૂશાલેમના શાસ્ત્રીઓએ કહ્યું, “તેનામાં (ઈસુ) બઆલઝબૂલ (શેતાન) વસે છે ને ભૂતોના સરદારની મદદથી તે ભૂતોને કાઢે છે.”
23 તેથી ઈસુએ લોકોને બોલાવ્યા. અને લોકોને શીખવવા વાર્તાઓનો ઉપયોગ કર્યો. ઈસુએ કહ્યું, “શેતાન તેના પોતાના અશુદ્ધ આત્માઓને લોકોમાંથી બહાર કાઢવા દબાણ કરશે નહિ. 24 જે રાજ્ય તેની પોતાની વિરૂદ્ધ લડે છે તે ચાલુ રહી શકતું નથી. 25 અને જે પરિવારમાં ભાગલા પડે છે તે સફળ થઈ શકતું નથી. 26 અને જો શેતાન તેની જાતની વિરૂદ્ધ હોય અને તેના પોતાના લોકો વિરૂદ્ધ લડે તો તે નભી શકતો નથી. તે શેતાનનો અંત હશે.
27 “જો કોઈ વ્યક્તિની ઈચ્છા બળવાન માણસના ઘરમાં પ્રવેશવાની અને તેના ઘરમાંથી તેની વસ્તુઓની ચોરી કરવાની હોય તો તે વ્યક્તિએ પહેલાં બળવાન માણસને બાંધવો જોઈએ, પછીથી તે વ્યક્તિ ઘરમાંથી વસ્તુઓ ચોરી શકશે.
28 “હું તમને સત્ય કહું છું કે લોકોના પાપો માફ થઈ શકે છે. અને લોકો દેવની વિરૂદ્ધ જે બધી ખરાબ વાતો કહે તે પણ માફ થઈ શકે છે. 29 પણ જે કોઈ વ્યક્તિ પવિત્ર આત્માની વિરૂદ્ધ ખરાબ વાતો કહ છે તે કદાપિ માફ થઈ શકશે નહિ. તે હંમેશા તે પાપ માટે દોષિત રહેશે.”
30 ઈસુએ આ કહ્યું કારણ કે શાસ્ત્રીઓ કહેતા હતા કે ઈસુને આત્મા વળગેલા છે.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International