Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 69

નિર્દેશક માટે. રાગ: “શોશાન્નીમ.” દાઉદનું ગીત.

હે દેવ, મારા માથા સુધી પાણી ચઢી આવ્યું છે,
    મારી રક્ષા કરો.
કીચડમાં હું ઊંડે ને ઊંડે ખૂપતો જાઉં છું,
    જ્યાં ઊભા રહેવાને પણ આધાર નથી,
હું ઊઁડા જળમાં આવી પડ્યો છું,
    જળપ્રલયે મને ડૂબાડી દીધો છે.
હું રડી રડીને નિર્ગત થઇ ગયો છું અને મારું ગળું સુકાઇ ગયું છે.
    મારા દેવની વાટ જોતાં મારી આંખોનું તેજ ઘટી ગયું છે.
જેઓ વિનાકારણે મારો દ્વેષ કરે છે,
    તેઓ મારા માથાના વાળથી વધારે છે;
    હું નિર્દોષ છું છતાં મારો સંહાર કરવાની યોજના ઘડનારાં વધુ શકિતશાળી બન્યાં છે.
તે શત્રુઓ મારા વિષે અસત્ય બોલે છે.
    કહે છે મેં વસ્તુઓ ચોરી હતી.
    તેઓએ મેં જે વસ્તુઓ ચોરી ન હતી તેનું ભરણ કરવા મને ફરજ પાડે છે.
હે દેવ, તમે મારી મૂર્ખાઇ જાણો છો,
    અને મારા પાપો તમારાથી છુપાવેલા નથી.
હે સૈન્યના પ્રભુ યહોવા, મારા લીધે તમારા અનુયાયીઓ શરમીંદા ન થાય.
    હે ઇસ્રાએલનાં દેવ, ભલે જેઓ તમને શોધવા નીકળ્યા છે તેઓનું મારા લીધે અપમાન ન થાય.
મેં તમારા માટે શરમ સહન કરી છે,
    ને મારું મુખ પણ શરમથી ઢંકાયેલું છે.
મારા ભાઇઓને મન હું પારકા જેવો છું,
    અને મારી માના પુત્રને મન હું પરદેશી જેવો થયો છું.
કારણ, મારું હૃદય દેવ અને તેનાં મંદિર માટેના ઉત્સાહથી ઉત્તેજીત થયું છે.
    જેઓ તમારું અપમાન કરે છે તેમના અપમાનો મારી ઉપર આવ્યાં છે.
10 જ્યારે હું યહોવા સમક્ષ રૂદન અને ઉપવાસ કરું છું,
    ત્યારે તેઓ મારી મશ્કરી કરીને નિંદા કરે છે.
11 જ્યારે હું મારા પાપનું દુ:ખ પ્રગટ કરવા અને આત્માનું રાંકપણું દર્શાવવાં ટાટનાં વસ્ર ધારણ કરું છું,
    ત્યારે તેઓ મારી મશ્કરી કરે છે.
12 ભાગળમાં બેસનારાઓ મારી મશ્કરી કરે છે.
    અને છાકટાઓ મારા વિષે રાસડા ગાય છે.
13 પરંતુ હે યહોવા, તમારી કૃપાનાં સમયમાં મેં તમારી પ્રાર્થના કરવાનું ચાલુ રાખ્યું છે,
    તમારાં ભરપૂર પ્રેમમાં, તારણની સત્યતાએ પ્રત્યુતર આપો.
14 મને કીચડમાંથી કાઢો,
    મને ઊંડા પાણીમાં ડૂબવાં દેશો નહિ
અને દ્વેષીઓથી
    મારી રક્ષા કરો.
15 રેલ સંકટ મારા પર ફરી ન વળે,
    સાગરનાં ઊંડાણ મને ગળી ન જાય;
    અને ડરાવનાર કબરમાં મારી રક્ષા કરો.
16 હે યહોવા, મારી પ્રાર્થનાનો ઉત્તર આપો; કારણ તારી કૃપ ઉત્તમ છે;
    તમારા પુષ્કળ વાત્સલ્ય મુજબ મારા તરફ વળો.
17 તમારું મુખ તમારા આ દાસથી છુપાવશો નહિ,
    હું અપાર સંકટોમાં છું, મને જલદી ઉત્તર આપો.
18 હે યહોવા, આવો, મારા આત્માની રક્ષા કરો!
    મને મારા સર્વ શત્રુઓથી મુકત કરો.
19 તમે જાણો છો કે મારે શરમ તથા અપમાન અને નિંદા
    સહન કરવાં પડે છે.
    મારા શત્રુઓએ મારી સાથે કરેલી વસ્તુઓ તમે જોઇ છે.
20 નિંદાએ મારું હૃદય ભાંગ્યું છે,
    અને હું લાંબુ જીવવા
માટે ખૂબ દુર્બળ બની ગયો છું.
    દિલાસો અને આરામ
બતાવનારની રાહ જોઇ
    પરંતુ મને કોઇ પણ મળ્યું નહિ.
21 ખોરાકને બદલે મને પિત્ત ખાવા મળ્યું,
    ને તરસ લાગતાં મને સરકો પાવામાં આવ્યો.
22 ભલે તેમનું મેજ તેમના માટે છટકું બને,
    અને તેમનું મૈત્રીભોજન તેમનો ફાંસલો બને.
23 ભલે તેઓની આંખો કઇપણ જોવા માટે ઝાંખી બને,
    અને ભલે તેઓ અંધ બની જાય.
અને ભલે તેમની કમરો નબળી બને.
24 ભલે તમે તમારો કોપ તેઓ પર વરસાવો,
    તમારો ક્રોધાજ્ઞિ તેઓને પકડી પાડો.
25 તેમનાં ઘરો ઉજ્જડ થાઓ,
    ને તેમાં કદી કોઇ નિવાસ કરે નહિ.
26 કારણ, જેને તમે શિક્ષા કરી છે તેઓ તેની પૂઠ પકડે છે,
    અને જેને તમે ઘાયલ કર્યો છે તેનાં દુ:ખની વાત કરે છે.
27 તેઓને શિક્ષા કરો જેને તેઓ પાત્ર છે.
    તમે કેટલાં સારા છો તે તેમને ન બતાવો.
28 જીવન પુસ્તકમાંથી આ લોકોનાં નામ ભૂઁસી નાખો,
    સારા લોકોનાં નામોની યાદીના પુસ્તકમાં તેમનાં નામો સાથે ન મૂકો.
29 પણ હે દેવ હું તો નિ:સહાય અને ઉદાસ છું;
    હે દેવ, મારી રક્ષા કરો અને મને ઉપર ઊઠાઓ.
30 પછી હું ગીત ગાઇને દેવના નામનું સ્તવન કરીશ,
    અને આભાર માનીને તેમનાં નામની હું સ્તુતિ કરીશ.
31 અને તે બળદનાં અથવા વાછરડાંનાં બલિદાન કરતાં
    તેમને વધુ આનંદ આપશે.
32 નમ્ર જનો તે જોઇને આનંદ પામશે,
    દેવને શોધનારાઓ તમારા હૃદયો નવું જીવન પામો.
33 કારણ યહોવા દરિદ્રીઓની અરજ સાંભળે છે,
    અને તેમનાં જે લોકો બંદીવાન આપે છે તેઓનાથી તેઓ પોતાનું મુખ આડું ફેરવતાં નથી.
34 આકાશ તથા પૃથ્વી તેમનું સ્તવન કરો;
    સમુદ્રો તથાં તેમાનાં સર્વ જળચર તેમની સ્તુતિ કરો.
35 કારણ, દેવ સિયોનને તારશે
    અને યહૂદિયાનાં નગરોનું નવનિર્માણ કરશે;
તેનાં લોકો તે નગરોમાં વસવાટ કરશે અને તે જન્મભૂમિનો કબજો મેળવશે.
36     વળી તેના સેવકોનાં સંતાન દેશનો વારસો પામશે,
    તેમનાં નામ પર પ્રીતિ રાખનારાઁ તેમાં વસશે.

ગીતશાસ્ત્ર 73

ભાગ ત્રીજો

(ગીત 73–89)

આસાફના સ્તુતિગીત.

જેઓના હૃદય શુદ્ધ છે ઇસ્રાએલ પર;
    તેમના પર ખરેખર દેવ કૃપાવાન છે.
પરંતુ હું લગભગ લપસ્યો
    અને પાપ કરવા લાગ્યો,
કારણ જ્યારે મેં પેલા
    દુષ્ટ લોકોની શાંતિ અને સમૃદ્ધિ જોઇ.
તેઓને જીવનપર્યંત મુશ્કેલી આવતી નથી,
    અને તેઓ સમૃદ્ધ અને બળવાન થતાં જાય છે.
તેમનાં પર માનવજાતનાં દુ:ખો આવતાં નથી;
    અને બીજાઓની જેમ તેઓને પીડા થતી નથી.
તેઓનો ગર્વ ગળાની કંઠી જેવો છે, જે હીરાની જેમ ચમકે છે;
    તેઓએ હિંસા રૂપી વસ્ર ધારણ કર્યા છે.
તેઓ જે વસ્તુઓને જુએ છે તેને વધુ ને વધુ રાખવા ઇચ્છે છે;
    તેને પ્રાપ્ત કરવાના માર્ગો હંમેશા શોધે છે.
તેઓ અન્યોની મશ્કરી કરે છે અને ધિક્કારથી વાત કરે છે,
    તેમણે અન્યો પર કેવી રીતે દમન કર્યું તેના વિષે અભિમાનથી બોલે છે.
દેવની વિરુદ્ધ તેઓ બણગાં ફૂંકે છે,
    તેઓની જીભ અભિમાનથી વાતો કરે છે; પૃથ્વી પર.
10 તેથી દેવના લોકો પણ તેમની તરફ વળે છે
    અને તેઓ જે કહે તે સ્વીકારે છે.[a]
11 તેઓ પૂછે છે કે, “જે કાંઇ બની રહ્યું છે, તે વિષે શું દેવ માહિતગાર છે?
    શું પરાત્પરમાં કાંઇ જ્ઞાન છે?”

12 દુષ્ટ લોકોને જુઓ તો તેઓ હંમેશા ચિંતામુકત હોય છે;
    અને તેઓ શાંતિમાં રહીને સંપત્તિ વધારતા જાય છે.
13 મે મારું હૃદય શુદ્ધ રાખ્યું છે, અને મારા હાથ નિર્દોષ રાખ્યા છે;
    પણ તેથી કોઇ વિશેષ ફાયદો નથી.
14 કારણ હું આખો દિવસ પીડાયા કરું છું,
    અને દર સવારે મને શિક્ષા થાય છે.

15 પરંતુ જો મેં આ પ્રમાણે કહેવાનો નિર્ણય કર્યો હોત,
    તો મેં તમારા લોકોનો વિશ્વાસઘાત કર્યો હોત.
16 જ્યારે મેં તે સમજવા ઊંડો વિચાર કર્યો,
    ત્યારે મને લાગ્યું કે તે સમજવું મારે માટે બહુ કઠીન છે.
17 પછી હું દેવના પવિત્રસ્થાનમાં એક દિવસ ધ્યાન કરવા માટે ગયો,
    ત્યાં હું આખરે દુષ્ટ લોકો વિષે તેમનાં ભવિષ્ય અને તેમના અંત વિષે સમજ્યો.
18 તમે તેઓને લપસણી જગાએ મૂકો છો,
    અને તેઓને વિનાશમાં ફેંકી દો છો.
19 તેમની સુખસમૃદ્ધિનો તત્કાળ અંત આવશે,
    અને તેઓ અનંતકાળપર્યંત ત્રાસ પામશે.
20 તેઓનું વર્તમાન જીવન કેવળ એક સ્વપ્ન જેવું છે,
    માનવ સ્વપ્નમાંથી જાગી વાસ્તવિકતા નિહાળે છે;
તેમ તેઓ જાગ્રત થશે,
    હે યહોવા સત્ય સબંધી નીશ્ચે.

21 જ્યારે હું આ બધી વસ્તુઓ વિષે વિચારતો હતો
    ત્યારે મારું હૃદય ઉદાસ બની ગયું.
22 કેટલો મૂર્ખ અને અજ્ઞાની છું, હું તે જાણી શક્યો;
    હે દેવ, તમારી સમક્ષ હું તો હતો માત્ર એક પશુ જેવો.
23 પરંતુ, તેમ છતાંય, હું હંમેશા તમારી સાથે છું.
    અને તમે મારા જમણા હાથને પકડી રાખ્યો છે.
24 તમારા બોધથી અને સલાહથી જીવનપર્યત તમે દોરવણી આપશો;
    અને પછી તમે તમારા મહિમામાં મારો સ્વીકાર કરશો.
25 આકાશમાં તમારા વિના મારું બીજું કોણ છે;
    અને પૃથ્વી પર મને બીજું કોઇ પ્રિય નથી.
26 મારી તંદુરસ્તી ભલે મને છોડી જાય,
    મારું હૃદય ભલે તૂટી જાય, પણ મારી પાસે ખડક છે
    જેને હું ચાહું છું મારી પાસે દેવ સદાકાળ માટે છે.
27 પરંતુ તેઓ જે દેવથી દૂર છે તેમનો વિનાશ થશે.
    અને જેઓ તમને વફાદાર રહેતા નથી, તેમનો સંપૂર્ણ નાશ તમારા દ્વારા થશે.
28 પરંતુ હું દેવની નજીક રહ્યો છું અને તે મારા માટે સારું છે!
    મેં મારા પ્રભુ યહોવાને મારો આશ્રય બનાવ્યો છે!
    હું તમારા બધાં અદભૂત કૃત્યો વિષે કહેવા આવ્યો હતો.

ન્યાયાધીશો 5:1-18

દબોરાહનું ગીત

તે દિવસે દબોરાહ અને અબીનોઆમના પુત્ર બારાકે આ ગીત ગાયું.

“યહોવાની સ્તુતિ કરો, ગુણગાન ગાઓ!
    કારણ કે ઈસ્રાએલના યોદ્ધાઓ તૈયાર હતાં
અને એક સક્ષમ નેતા દ્વારા દોરાઈ જવા માંટે આગળ આવ્યાં.

“ઓ રાજાઓ, સાંભળો,
    હું યહોવાના ગીતો ગાઉં છું,
હું ઈસ્રાએલના દેવ
    યહોવાની સ્તુતિ ગાઉ છું.

“હે યહોવા, તમે સેઈરમાંથી બહાર આવ્યા,
    તમે અદોમના પ્રદેશમાંથી નીકળ્યા,
અને તે સમયે ધરતી ધ્રૂજતી હતી,
    આકાશ કંપતું હતું,
    અને વાદળાં પાણી રેડી રહ્યાં હતાં.
સિનાઈના દેવ, યહોવાની સામે,
    ઈસ્રાએલના દેવ યહોવાની સામે પર્વતો પણ થરથરી ગયા.

“આનાથના પુત્ર શામ્ગારના સમયમાં,
    યાએલના સમયમાં ધોરીમાંર્ગો પરની લોકોની અવરજવર થંભી ગઈ,
    અને લોકોએ નાના રસ્તાઓ પરથી ચાલવાનું શરૂ કર્યુ.

“ઓ દબોરાહ, તું ઈસ્રાએલની માંતા સમી પ્રગટી
    ત્યાં સુધી ઈસ્રાએલનાં બધાં ગામડાંઓ બિલકુલ ઉજજડ-નિર્જન હતાં.
    ત્યાં ફકત મોટા નગરો હતાં.

“ઈસ્રાએલીઓએ નવા દેવ પસંદ કર્યા,
    પછી તેઓને નગર દરવાજે લડવું પડતું હતું.
ભલે તેઓ સંખ્યાની દૃષ્ટિએ 40,000 યોદ્ધાઓ હતાં,
    પરંતુ તેમની પાસે તરવાર કે બખ્તર નહોતાં!

“હું માંરી જાતને શૂરવીર ઈસ્રાએલી
    સૈનિકોને સોપી દઈશ,
યહોવાની સ્તુતિ કરો!

10 “અરે, ઓ શ્વેત ગર્દભો
    પર સવારી કરનારાઓ,
    કિંમતી ગાલીચા પર બેસનારાઓ,
    પગપાળા પંથ કાપનારાઓ,
11 ઓ જળાશયો આગળ એકત્ર થઈને આનંદના
    પોકારો કરતાં લોકો યહોવાનાં વિજયગીત ગાય છે.
યહોવાએ ઈસ્રાએલના ખેડૂતોના
    સૈન્ય વડે મહા ઉદ્ધાર કર્યો છે.
    યહોવાના લોકોએ દરવાજાઓમાં થઈને કૂચ કરી.

12 “યહોવાના લોકો નગરમાંથી બહાર દોડી આવ્યા.
    દબોરાહ, ઊભી થા અને યહોવાની સ્તુતિ ગાઓ,
અબીનોઆમના પુત્ર બારાક, ઊભો થા,
    અને દુશ્મનોને પકડી લે.

13 “પછી યહોવાના લોકોમાંથી બચેલા શક્તિશાળી યોદ્ધાઓની સામે નીચે આવ્યા.
    યોદ્ધાઓની વિરૂદ્ધ તેઓ માંરી સાથે નીચે આવ્યા.

14 “એફ્રાઈમના લોકો જેઓ
    અમાંલેકી વચ્ચે રહેતા હતાં,
તે બિન્યામીન, તારા લોકો
    સાથે નીચે આવ્યા.
માંખીરથી સેનાપતિઓ
    કૂચ કરીને ધસી આવ્યા,
ઝબુલોનના કુળસમૂહના
    અધિકારીઓ પણ આવી પહોંચ્યા.
15 ઈસ્સાખારના આગેવાનો દબોરાહ સાથે હતાં:
    ઈસ્સાખારના લોકો બારાકની સાથે રહ્યાં,
    તેના હુકમથી તેઓ લડાઈના મેદાનમાં ગયા.

“પણ રૂબેનના કુળનાં સૈનિકો લાંબા સમય સુધી ચર્ચા કરતા રહ્યાં તેથી તેઓ લડવા માંટે ન ગયા.
16 કેમ તમે ઢોરની કોંઢમાં બેસી રહ્યાં હતાં?
ઘેટાંના ટોળા માંટે વગાડવામાં આવતું સંગીત સાંભળતા રૂબેનના
    સૈનિકો લાંબા વખત સુધી ચર્ચા કરતા હતાં.
17 યર્દન નદીની બીજી બાજુએ ગિલયાદના
લોકો ઘરમાં જ રહ્યાં,
    દાનના લોકો વહાણો પાસે શા માંટે રહ્યાં?
આશેરના લોકો સમુદ્રકાંઠે રોકાઈ રહ્યાં,
    અને તેઓ ખાડી પાસે રાહ જોતા રહ્યાં.

18 “પણ ઝબુલોનના લોકોએ જીવ જોખમમાં મૂકયો, નફતાલીના લોકોએ પણ યુદ્ધના મેદાનમાં પ્રાણ આપવાની હિંમત કરી મૃત્યુનો સામનો કર્યો.

પ્રેરિતોનાં કૃત્યો 2:1-21

પવિત્ર આત્માનું આગમન

જ્યારે પચાસમાનો દિવસ આવ્યો ત્યારે, પ્રેરિતો બધા એક જગ્યાએ ભેગા થયા હતા. અચાનક આકાશમાંથી અવાજ આવ્યો. આ અવાજ સખત ફૂંકાતા પવનના જેવો હતો. તેઓ જ્યાં બેઠા હતાં તે આખું ઘર આ અવાજથી ગાજી ઊઠ્યું. અગ્નિના જેવી છૂટી છૂટી પડતી જીભો તેઓના જોવામાં આવી. આ જીભો છૂટી પડીને પ્રત્યેક વ્યક્તિ પર ઊભી બેઠી. તેઓ બધા પવિત્ર આત્માથી ભરપૂર થયા, અને તેઓએ જુદી જુદી ભાષાઓ બોલવાનું શરૂ કર્યુ. પવિત્ર આત્માએ તેઓને આ કરવાનું સાર્મથ્ય આપ્યું.

આ સમયે યરૂશાલેમમાં કેટલાક ધાર્મિક યહૂદિઓ રહેતા હતા. દુનિયાના દરેક દેશમાંના આ માણસો હતા. આ માણસોનો મોટો સમૂહ ભેગો થયો હતો કારણ કે તેઓએ આ અવાજ સાંભળ્યો હતો. તેઓ નવાઇ પામ્યા હતા. કારણ કે પ્રેરિતો બોલતાં હતા. અને દરેક માણસે તેઓની પોતાની ભાષામાં તે સાંભળ્યું હતું.

બધા યહૂદિઓ આનાથી આશ્ચર્ય પામ્યા હતા. તેઓ સમજી શક્યા નહિ કે પ્રેરિતો આવું કેવી રીતે કરી શક્યા. તેઓએ કહ્યું, “જુઓ, આ બધા જ માણસો જેઓને આપણે બોલતાં સાંભળીએ છીએ તે બધા શું ગાલીલના નથી? પણ આપણે તેઓને આપણી પોતાની ભાષામાં બોલતાં સાંભળીએ છીએ. આ કેવી રીતે શક્ય છે? આપણે બધા જ જુદી જુદી જગ્યાઓના છીએ: પાર્થીઓ, માદીઓ, એલામીઓ, મેસોપોતામિયાના, યહૂદિયાના, કપ્પદોકિયાના, પોન્તસના, આશિયાના, 10 ફુગિયાના, પમ્ફૂલિયાના, ઇજીપ્તના, લિબિયાના, કૂરેની ભાષા તથા રોમ વિસ્તારના પ્રવાસીઓ, યહૂદિ તથા બીન-યહૂદિઓમાંથી થએલા યહૂદિ, 11 આમ આપણે જુદા જુદા દેશોના છીએ. પણ આપણે આ માણસને આપણી પોતાની ભાષામાં સાંભળીએ છીએ! તેઓ દેવના જે કંઈ મોટાં કામો વિષે કહે છે તે આપણે બધા સમજી શકીએ છીએ.”

12 બધા લોકો આશ્ચર્યચકિત થયા. અને મૂંઝાયા. તેઓ એકબીજાને પૂછે છે, “આ શું થઈ રહ્યું છે?” 13 બીજા લોકો પ્રેરિતો તરફ ઠઠ્ઠા કરી રહ્યાં હતા. આ લોકોએ વિચાર્યુ કે પ્રેરિતોએ વધારે પડતો દ્ધાક્ષારસ પીધેલો છે.

પિતરનું લોકોને ભાષણ

14 પછી પિતર અગિયાર બીજા પ્રેરિતો સાથે ઊભો રહ્યો. તે એટલા મોટા અવાજે બોલ્યો કે જેથી બધા લોકો સાંભળી શકે. તેણે કહ્યું, “મારા યહૂદિ ભાઈઓ તથા યરૂશાલેમમાં તમારામાંના બધા જે રહો છો, હું તમને કંઈક કહીશ, જે જાણવાની તમારે જરુંર છે. કાળજીપૂર્વક સાંભળો. 15 આ માણસો તમે ધારો છો એમ પીધેલા નથી; હજુ સવારના નવ વાગ્યા છે! 16 પણ યોએલ પ્રબોધકે જે બાબત માટે લખ્યું હતું તે આજે તમે અહીં થતું જુઓ છો. યોએલ પ્રબોધકે જે લખ્યું છે તે આ છે:

17 ‘દેવ કહે છે કે:
છેલ્લા દિવસોમાં, હું મારો આત્મા બધા લોકો પર રેડી દઈશ.
    તમારા પુત્રો અને પુત્રીઓ પ્રબોધ કરશે.
    તમારા જુવાનોને સંદર્શનો થશે.
    તમારા વૃદ્ધોને ખાસ સ્વપ્નો આવશે.
18 તે સમયે, હું મારા સેવક-સેવિકાઓ પર મારો આત્મા રેડીશ
    અને તેઓ પ્રબોધ કરશે.
19 હું ઊચે આકાશમાં આશ્ચર્યજનક કામો બતાવીશ.
    હું નીચે પૃથ્વી પર તેના અદભૂત ચિહનો આપીશ.
    ત્યાં લોહી, અગ્નિ, અને ધુમાડાના ગોટેગોટા દેખાડીશ.
20 સૂર્યનું પરિવર્તન અંધકારમાં થશે,
    અને ચંદ્ર લાલ લોહી જેવો બનશે.
પછી પ્રભુનો મહાન તથા પ્રસિધ્ધ દિવસ આવશે.
21 અને પ્રત્યેક માણસ જે પ્રભુમાં વિશ્વાસ કરશે ત તારણ પામશે.’(A)

માથ્થી 28:1-10

ઈસુ મરણમાંથી સજીવન થયાના સમાચાર

(માર્ક 16:1-8; લૂ. 24:1-12; યોહ. 20:1-10)

28 વિશ્રામવાર[a] પૂર્ણ થયા પછી અઠવાડિયાના પ્રથમ દિવસની વહેલી સવારે મગ્દલાની મરિયમ તથા બીજી મરિયમ કબર તરફ નજર કરવા આવી.

તે સમયે ત્યાં ભયંકર ધરતીકંપ થયો અને પ્રભુનો એક દૂત આકાશમાંથી ઉતર્યો અને કબરના પ્રવેશદ્વાર આગળથી પથ્થર ગબડાવી તેના ઉપર બેઠો. તેનો ચહેરો વીજળી જેવો ચમકતો હતો. અને તેનાં કપડાં બરફ જેવાં ઉજળાં હતાં. જે સિપાઈઓ કબરનો પહેરો ભરી રહ્યાં હતા તે ભયના માર્યા કાંપવા લાગ્યા અને જાણે મરણ પામ્યા હોય તેવા થઈ ગયા.

પછી દૂતે પેલી સ્ત્રીઓને કહ્યું, “ગભરાશો નહિ, હું જાણું છું કે વધસ્તંભે જડાયેલા ઈસુની તમે શોધમાં નીકળ્યા છો. પણ ઈસુ અહીં નથી, તેણે કહ્યું હતું તે પ્રમાણે તે ઊઠયો છે, આવો, તેનું શરીર જ્યાં પડ્યું હતું તે જગ્યા જુઓ. અને હવે જલદી જાવ અને તેના શિષ્યોને કહો: ‘ઈસુ મરણમાંથી ઊઠયો છે. અને તે ગાલીલ જશે. ત્યાં તેને મળો. મારે જે કહેવાનું હતું તે આ છે. તમારા પહેલાં એ ત્યાં હશે. તમે તેને ત્યાં ગાલીલમાં જોશો.’” પછી દૂતે કહ્યું: “મેં તમને કહ્યું તે યાદ રાખો.”

સ્ત્રીઓ તરત જ કબર પાસેથી પાછી વળી. તેઓનાં હૃદય ભય અને આનંદની લાગણી અનુભવતાં હતાં. તેના શિષ્યોને જે કાંઈ બન્યું તેનો સંદેશો આપવા દોડી ગઈ. તેઓ દોડતી જતી હતી, એવામાં તેઓએ ઈસુને ઉભેલો જોયો. ઈસુએ તેઓને કુશળતા પાઠવી. તેઓએ ઈસુના પગ પકડી તેનું ભજન કર્યુ. 10 પછી ઈસુએ તેમને કહ્યું, “ગભરાશો નહિ, જાઓ અને મારા ભાઈઓને (શિષ્યો) ગાલીલ જવા કહો. તેઓ મને ત્યાં જોશે.”

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International