Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 63

દાઉદનું ગીત. તે યહૂદિયાના અરણ્યમાં હતો તે વખતનુ ગીત.

હે દેવ, તમે મારા દેવ છો; તમારી શોધમાં હું કેટલું ફર્યો?
    જળ ઝંખતી વેરાન સૂકી ભૂમિની જેમ;
તમારે માટે મારો આત્મા કેટલો તલસે છે!
    ને દેહ તલપે છે.
તેથી તમારું સાર્મથ્ય તથા ગૌરવ જોવા,
    પવિત્રસ્થાનમાં હું અપેક્ષા રાખું છું.
કારણ, તમારી કૃપા જીવન કરતાં ઉત્તમ છે
    તેથી જ હું તમારી પુષ્કળ સ્તુતિ કરું છું.
હું તમારી સ્તુતિ મૃત્યુપર્યંત કરીશ,
    ને હું બે હાથ જોડીને પ્રાર્થના કરીશ.
મારી પથારીમાં હું તમારૂં સ્મરણ કરું છું,
    અને મધરાતે તમારૂં ધ્યાન ધરું છું.
જાણે કે મેં શ્રેષ્ઠ ખોરાક ખાધો હોય તેમ મારો આત્મા તૃપ્તિ અનુભવશે,
    આનંદી હોઠોથી મારું મુખ તમારી સ્તુતિ કરશે.
તમે મને સહાય કરી છે,
    અને હું તમારી પાંખોની છાયામાં હરખાઇશ.
મારા આત્માએ તમારો કેડો પકડ્યો છે,
    તેથી મને તમારો જમણો હાથ ઊંચકી રાખે છે.
જેઓ મારું જીવન નષ્ટ કરવાની યોજના ઘડે છે,
    તેઓ જરૂર પૃથ્વીના ઉંડાણમાં ધકેલાઇ જશે.
10 તેઓ તરવારથી માર્યા જશે,
    અને જંગલી શિયાળો દ્વારા ખવાઇ જશે.
11 પરંતુ રાજા દેવમાં આનંદ કરશે, અને તેમાંના દરે કે જેણે તેમને આજ્ઞાંકિત રહેવા વચન આપ્યાં,
    તે તેમની સ્તુતિ કરશે, અને જૂઠાઓનાં મોંઢા બંધ કરી દેવાશે.

ગીતશાસ્ત્ર 98

સ્તુતિગીત.

યહોવા સમક્ષ, કોઇ એક નવું ગીત ગાઓ;
    કેમ કે તેણે અદભૂત કૃત્યો કર્યાં છે.
એણે પવિત્ર બાહુબળનાં પુણ્ય
    પ્રતાપે જીત પ્રાપ્ત કરી છે.
યહોવાએ પોતાની તારણ શકિત બતાવી છે,
    તેમણે તેમનું ન્યાયીપણું પ્રજાઓ સમક્ષ પ્રગટ કર્યુ છે.
તેણે પોતાનો સાચો પ્રેમ તથા વિશ્વાસીપણું ઇસ્રાએલના લોકો માટે સંભાર્યા છે.
    બધા દૂરના રાષ્ટ્રોએ બધી સીમાઓએ તેમાં વસતાં પોતાની સગી આંખે જોયું કે,
    આપણા દેવે તેમના લોકોને કેવી રીતે બચાવ્યા.
હે પૃથ્વીનાં લોકો, યહોવાની આગળ હર્ષનાદ કરો.
    આનંદ અને ઉત્સાહથી તેમની સ્તુતિ ગાઓ.
તમે સિતારનાં તાર સાથે તાર મેળવો,
    સૂર સાથે યહોવાના સ્તોત્રો ગાઓ.
આપણા રાજા યહોવા સમક્ષ આનંદના પોકારો કરો!
    ભૂંગળા અને રણશિંગડા જોરથી વગાડો.
સઘળા સમુદ્રોને ત્યાં સંચરનારા ર્ગજી ઊઠો,
    આખું જગત અને આ ધરતી પર રહેનારાં ગાજો.
નદીઓના પ્રવાહો તાળી પાડો અને પર્વતો ગાન પોકારો;
    યહોવાની સમક્ષ અકત્ર હર્ષનાદ કરો.
યહોવા ધરતી પર ન્યાય શાસન કરવાં પધારે છે.
    તે ન્યાયીપણાએ પૃથ્વીનો, અને યથાર્થપણાએ લોકોનો ન્યાય કરશે.

ગીતશાસ્ત્ર 103

દાઉદનું ગીત.

હે મારા આત્મા, યહોવાની સ્તુતિ કર!
    હા સંપૂર્ણ હૃદયથી દેવનાં પવિત્ર નામને આશીર્વાદ આપ.
હે મારા આત્મા, યહોવાની સ્તુતિ કરો!
    ભૂલીશ નહિ, તેઓ અદભૂતકાર્યો તારા ભલા માટે કરે છે.
તારાં સઘળાં પાપ તે માફ કરે છે;
    અને તારાં સર્વ રોગ મટાડે છે.
અનંત નાશમાંથી તે તને છોડાવી લે છે
    અને પ્રેમભરી ભલાઇ અને કૃપાથી નવાજે છે.
તારા જીવનને તે ઉત્તમ વસ્તુઓથી ભરી દે છે;
    જેથી તારી યુવાની ગરૂડની જેમ તાજી કરાય છે.
જેઓ જુલમથી હેરાન થયેલા છે,
    તે સૌને માટે એ યહોવા ન્યાયનાં કામ, ને ચુકાદા કરે છે.
મૂસા તથા ઇસ્રાએલનાં લોકો સમક્ષ તેમણે તેમના માર્ગો
    અને તેમના કાર્યો પ્રગટ કર્યા હતા.
યહોવા દયાળુ અને ક્ષમાશીલ છે.
    તે દયા તથા પ્રેમથી ભરપૂર છે,
    પણ તે ગુસ્સે થવામાં ધીમાં છે.
યહોવા હંમેશા ટીકા કરતાં નથી,
    અને તે કદીય સદાને માટે ગુસ્સામાં રહેતા નથી.
10 તેઓ આપણા પાપ પ્રમાણે આપણી સાથે નથી ર્વત્યા.
    તેમણે આપણને આપણા અન્યાયી કાર્યો પ્રમાણે શિક્ષા કરી નથી.
11 કારણ તેના ભકતો પરની
    તેની કૃપા જેટલું આકાશ પૃથ્વીથી ઊંચુ છે તેટલી છે.
12 પૂર્વ જેટલું દૂર છે પશ્ચિમથી,
    એટલાં દૂર કર્યા છે આપણાં પાપ તેમણે આપણાથી.
13 જેમ પિતા પોતાના સંતાનો પર દયાળુ છે;
    તેમ યહોવા પોતાના ભકતો પર દયાળુ છે.
14 કારણકે તે જાણે છે બંધારણ આપણું;
    માત્ર ધૂળ છીએ આપણે એવું તે સંભારે છે.
15 આપણા જીવનનાં દિવસો ઘાસ જેવા છે,
    અને તે ફૂલની જેમ ટૂંકા અને થોડા છે.
16 પવન તેના પર થઇને વાય છે, અને તે ઊડી જાય છે;
    અસ્તિત્વની નિશાની રહેતી નથી, અને તે નષ્ટ થઇ જાય છે.
17 પણ યહોવાની કૃપા તેમના ભકતો પર અનાદિકાળથી તે અનંતકાળસુધી છે.
    અને તે તેનું ન્યાયીપણું તેના બીજા વંશજોને સર્વદા બતાવવાનું ચાલુ રાખશે.
18 જેઓ તેમનો કરાર અનુસરે છે;
    અને તેમની આજ્ઞાઓનું પાલન કરે છે તે સર્વ પર તે કૃપા કરે છે.
19 દેવે આકાશમાં રાજ્યાસન સ્થાપ્યું છે;
    અને ત્યાંથી તે સર્વ ઉપર શાસન ચલાવે છે.
20 તેમના હુકમનો અમલ કરનારાં
    અને તેમની આજ્ઞાઓને સાંભળનારા તેના સમર્થ દૂતો,
    તમે યહોવાને ધન્યવાદ આપો.
21 હે યહોવાનાં સૈન્યો તમો બધા,
    જે તેમના સેવકો છો તે જે ઇચ્છે છે તે કરો છો,
    તેમની સ્તુતિ કરો!
22 યહોવાનાં રાજ્યમાં સર્વત્ર તેમનાં ઉત્પન્ન કરેલા છે;
    હે મારા આત્મા તેમની સ્તુતિ કર;
દેવની સ્તુતિ કર!

યહોશુઆ 6:15-27

15 અને સાતમે દિવસે તેઓ મળસ્કે ઊઠયા અને એ જ રીતે સાત વખત નગરની પ્રદક્ષિણા કરી. 16 ફક્ત તે દિવસે જ તેમણે નગરની સાત વાર પ્રદક્ષિણા કરી હતી સાતમાં ફેરા વખતે લાંબા સમય સુધી યાજકોએ જોરથી રણશિંગડાં ફૂંકયા, તેથી યહોશુઆએ લોકોને કહ્યું, “જોરથી બૂમો પાડો યહોવાએ આપણને આ નગર આપી દીધું છે! 17 એ નગર તથા તેમાંનું બધુંજ યહોવાનું છે, કેવળ રાહાબ વારાંગના અને તેના ઘરના માંણસો સિવાયની પ્રત્યેક વ્યક્તિને માંરી નાખજો, કારણ કે તેણે આપણે મોકલેલા જાસૂસોને રક્ષણ આપ્યું હતું. 18 તમાંરે બધાંએ સતર્ક બનવું તેમાંની કોઈ શાપિત વસ્તુ ન લેવી જેનો સંપૂર્ણ નાશ કરવાનો છે. તમે એમાંથી કઈ લો અને રાખો તો ઇસ્રાએલી છાવણી પર વિપત્તિ આવશે અને તમે વિનાશ નોતરશો. 19 સોના અને ચાંદીની જેમ જ લોખંડનાં બધા પાત્ર યહોવાને માંટે અલગ રાખેલા છે અને તમાંરે તે બધું યહોવાના ભંડારમાં આપવાનું છે.”

20 તેથી લોકોએ પોકાર કર્યો અને યાજકોએ રણશિંગાં ફૂંકયાં, જ્યારે લોકોએ રણશિંગાંનો અવાજ સાંભળ્યો તેઓએ મોટી બૂમ પાડી અને તે સમયે નગરની દીવાલ પડી ગઈ, અને ત્યાં જે બધા લોકો ઉભા હતા અંદર ધસી ગયા અને તેને કબજે કરી લીધું. 21 તેમણે નગરનાં સર્વ સજીવો આબાલવૃદ્ધ સ્ત્રી-પુરુષોને તરવારથી વિનાશ કર્યો ઢોર, ઘેટાં, તથા ગધેડાંને પણ જીવતાં રહેવા દીધાં નહિ.

22 ત્યાર બાદ જે બે માંણસોએ દેશની જાસૂસી કરી હતી તેઓને યહોશુઆએ કહ્યું કે, “તમે બન્ને વારાંગનાના ઘરમાં જઈને તેને અને તેના પરિવારનાં માંણસોને તમે વચન આપ્યા મુજબ બહાર લઈ આવો.”

23 તેથી તેઓ ત્યાં ગયા અને રાહાબને, તેના પિતાને, માંતાને, ભાઈઓને અને તેના પરિવારના સર્વ લોકોને બહાર કાઢયા, અને ઇસ્રાએલી છાવણીની બહાર સુરક્ષિત જગ્યામાં રાખ્યા.

24 પછી તેઓએ નગર અને તેમાંનું સઘળું બાળી મૂક્યું. ફકત સોના-રૂપાની અને પિત્તળની અને લોઢાની વસ્તુઓ યહોવાના ભંડારમાં મૂકવામાં આવી હતી. 25 આમ યહોશુઆએ રાહાબ વારાંગનાને અને તેનાં બધાં કુટુંબીજનોને અને પરિવારને જીવતદાન આપ્યું. કારણ, તેણે યહોશુઆએ ચરીખોમાં જાસૂસી કરવા મોકલેલા માંણસોને સંતાડી રાખીને રક્ષણ કર્યુ હતું. તેના વંશજો આજસુધી ઇસ્રાએલમાં વસતા આવ્યા છે.

26 તે સમયે યહોશુઆએ તેઓને એવા શપથ ખવડાવ્યા કે:

“જે કોઈ ઊઠીને આ યરીખો શહેરને ફરી બાંધવા માંટે
    પ્રયત્ન કરશે તે યહોવાની આગળ શાપિત થાઓ.
જે કોઈ શહેરનો પાયો નાખશે તે
    એનો વડો પુત્ર ગુમાંવશે.
અને જે કોઈ એના દરવાજા ઊભા કરશે
    તેનો સૌથી નાનો પુત્ર ગુમાંવશે.”

27 એ પ્રમાંણે યહોવા યહોશુઆની સાથે હતા, અને તેના નામની કીર્તિ આખા દેશમાં પ્રસરી ગઈ.

પ્રેરિતોનાં કૃત્યો 22:30-23:11

યહૂદિ આગેવાનો સમક્ષ પાઉલનું વક્તવ્ય

30 બીજે દિવસે યહૂદિઓ પાઉલની વિરૂદ્ધ શા માટે બોલતા હતા. તેનું કારણ જાણવા માટે સરદારે નક્કી કર્યુ. તેથી તેણે મુખ્ય યાજકોને અને યહૂદિઓની ન્યાયસભાને હાજર થવા હુકમ કર્યો. તે સરદારે પાઉલની સાંકળો છોડી. પછી તે પાઉલને બહાર લાવ્યો અને તેઓની સભા આગળ પાઉલને ઊભો રાખ્યો.

23 પાઉલે યહૂદિઓની ન્યાયસભાની સભા તરફ જોઈને કહ્યું, “ભાઈઓ, હું મારું જીવન દેવ સમક્ષ શુદ્ધ અંત:કરણથી જીવ્યો છું, હંમેશા મને જે સાચું લાગ્યું હતું તે જ મેં કર્યુ છે.” અનાન્યા પ્રમુખ યાજક ત્યાં હતો. અનાન્યાએ પાઉલને સાંભળ્યો અને જે માણસો પાઉલની નજીક ઊભા હતા તેઓને તેના મોં પર મારવા કહ્યું. પાઉલે અનાન્યાને કહ્યું, “દેવ તને પણ મારશે. તું એક ગંદી દિવાલ જેવો છે જે સફેદ ધોળેલી છે. તું ત્યાં બેસે છે અને મારો ન્યાય મૂસાના નિયમશાસ્ત્રનો ઉપયોગ કરીને કરે છે. પણ તું તેઓને મને મારવાનું કહે છે અને તે મૂસાના નિયમની વિરૂદ્ધ છે.”

પાઉલની નજીક ઊભેલા તે માણસોએ તેને કહ્યું, “તું દેવના પ્રમુખ યાજકને આવું કહી શકે નહિ. તું એનું અપમાન કરે છે.”

પાઉલે કહ્યું, “ભાઈઓ, એ પ્રમુખ યાજક છે તે હું જાણતો નહોતો. તે ધર્મશાસ્ત્રોમાં લખ્યું છે, કે ‘તમારે તમારા લોકોના અધિકારી વિષે ખરાબ બોલવું જોઈએ નહિ.’(A)

સભામાંના કેટલાએક માણસો સદૂકિઓ અને બીજા કેટલાએક ફરોશીઓ હતા. તેથી પાઉલને વિચાર આવ્યો. તેણે તેઓના તરફ બૂમ પાડી, “મારા ભાઈઓ, હું ફરોશી છું અને મારા પિતા પણ ફરોશી હતા. હું અહીં કસોટી પર છું કારણ કે મને આશા છે કે લોકો મૃત્યુમાંથી ઉઠશે!” જ્યારે પાઉલે આમ કહ્યું, ત્યાં ફરોશીઓ અને સદૂકિઓની વચ્ચે એક મોટી તકરાર થઈ. સમૂહમાં ભાગલા પડ્યા હતા.

7-8 (સદૂકિઓ માનતા હતા કે મૃત્યુ પછી લોકો ફરીથી જીવતા થઈ શકે નહિ. સદૂકિઓ શીખવે છે કે દૂત અથવા આત્મા પણ નથી. પરંતુ ફરોશીઓ આ બધી વસ્તુઓમાં માને છે.) આ બધા યહૂદિઓએ વધારે મોટા સાદે બૂમો પાડવાની શરૂઆત કરી, શાસ્ત્રીઓ અને કેટલાએક જે ફરોશીઓ હતા તેઓ ઊભા થયા અને દલીલો કરી, “અમને આ માણસમાં કંઈ ખોટું જોવા મળ્યું નથી! દમસ્કના રસ્તા પર કદાચ દૂતે કે આત્માએ તેને કંઈ કહ્યું હોય!”

10 દલીલોમાંથી તકરાર શરૂ થઈ. સરદારને બીક હતી કે યહૂદિઓ પાઉલના ટુકડે ટુકડા કરશે. તેથી સરદારે સૈનિકોને નીચે જવાનું કહ્યું અને આ યહૂદિઓ પાસેથી પાઉલને દૂર લઈ જઈને લશ્કરના કિલ્લામાં લઈ જવા માટે કહ્યું.

11 બીજી રાત્રે પ્રભુ ઈસુ આવ્યો અને પાઉલની બાજુમાં ઊભો રહ્યો. તેણે કહ્યું, “હિંમત રાખ! તેં યરૂશાલેમમાં લોકોને મારા વિષે કહ્યું છે. તારે રોમમાં પણ ત્યાંના લોકોને મારા વિષે કહેવા માટે જવાનું છે!”

માર્ક 2:1-12

ઈસુનું પક્ષઘાતી માણસને સાજા કરવું

(માથ. 9:1-8; લૂ. 5:17-26)

થોડા દિવસો પછી, ઈસુ ફરી પાછો કફર-નહૂમમાં આવ્યો. તે સમાચાર પ્રસરી ગયા કે ઈસુ ઘેર પાછો ફર્યો હતો. ઘણા લોકો ઈસુનો ઉપદેશ સાંભળવા ભેગા થયા હતા. ઘર ભરેલું હતું. ત્યાં દરવાજા બહાર પણ ઊભા રહેવાની જગ્યા ન હતી. ઈસુ આ લોકોને ઉપદેશ આપતો હતો. કેટલાક લોકો એક પક્ષઘાતી માણસને ઊંચકીને લાવતા હતા. પણ તેઓ તે માણસને ઈસુ પાસે લાવી શક્યા નહિ કારણ કે ઘર લોકોથી ભરેલું હતુ. તેથી તે માણસો ઈસુ જ્યાં હતો તે છાપરાં પર ગયા અને છાપરામાં બકોરું પાડ્યું પછી તેઓએ પક્ષઘાતી માણસ જે ખાટલામાં પડેલો હતો તે ખાટલો નીચે ઉતાર્યો. ઈસુએ જોયું કે આ માણસોને ખૂબ વિશ્વાસ છે, તેથી તે પક્ષઘાતી માણસને કહ્યું, “જુવાન માણસ, તારા પાપો માફ થયાં છે.”

કેટલાક શાસ્ત્રીઓ ત્યાં બેઠેલા હતા. ઈસુએ જે કર્યુ તે તેઓએ જોયું, અને તેઓએ તેઓની જાતને કહ્યું, “આ માણસ આમ કેમ કહે છે? તે જે કહે છે તે દેવની વિરૂદ્ધ છે. ફક્ત દેવ જ પાપોને માફ કરા શકે.”

ઈસુએ જાણ્યું કે આ શાસ્ત્રીઓ તેના વિષે આવી બાબતો વિચારતા હતા. તેથી ઈસુએ તેઓને કહ્યું, “તમારા મગજમાં આવા વિચારો કેમ આવે છે? આ પક્ષઘાતી માણસને શું કહેવું સરળ છે, તારા પાપ માફ થયા છે, કે તેને કહેવું, ઊભો થા, તારી પથારી લઈને ચાલ? 9-10 પણ હું તમને સાબિત કરાવી આપીશ કે માણસના પુત્રને પૃથ્વી પર પાપો માફ કરવાનો અધિકાર છે.” તેથી ઈસુએ પક્ષઘાતી માણસને કહ્યું. 11 હું તને કહું છું, “ઊભો થા, તારી પથારી ઊચકીને તારે ઘેર ચાલ્યો જા.”

12 તે પક્ષઘાતી માણસ ઊભો થયો. તેણે તેની પથારી લીધી અને ઓરડામાંથી બહાર ચાલ્યો ગયો. બધા લોકો તેને જોઈ શક્યા. લોકો નવાઇ પામ્યા અને દેવની સ્તુતિ કરી. તેઓએ કહ્યું, “આજ સુધી જોયેલી સૌથી આશ્ચર્યકારક બાબત આ છે.”

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International