Book of Common Prayer
મંદિરની પ્રતિષ્ઠા માટેનાં ગીતોમાંનુ. દાઉદનું ગીત.
1 હે યહોવા, હું તમારી સ્તુતિ કરીશ,
કારણ તમે મને મુશ્કેલીઓમાંથી બહાર કાઢયો છે.
તમે મારા શત્રુઓને વિજયનો આનંદ લેવા દીધો નથી.
2 હે યહોવા, મારા દેવ, મેં તમને અરજ કરી,
અને તમે મને સાજો કર્યો છે.
3 હે યહોવા, તમે મને શેઓલમાંથી પાછો કાઢી જીવતો રાખ્યો છે,
તમે મને કબરમાં પડવા દીધો નથી.
4 હે દેવના વિશ્વાસુ અનુયાયીઓ, તમે સૌ તેમની સ્તુતિ ગાઓ.
અને તેમના પવિત્ર નામની આભાર સ્તુતિ ગાઓ.
5 તેમનો કોપ તો કેવળ ક્ષણિક છે,
પણ તેમની કૃપા “જીવન” ભર માટે છે.
રૂદન ભલે આખી રાત રહે,
પણ સવારમાં હર્ષાનંદ થાય છે.
6 હું જ્યારે નિર્ભય અને સુરક્ષિત હતો, ત્યારે મેં કહ્યું હતું, “હું ડગીશ નહિ.”
હું સમજતો હતો કે આ સ્થિતિ સદાય રહેશે.
7 હે યહોવા, તમે મારા પર કૃપા કરી
મને પર્વતની જેમ સ્થિર બનાવ્યો છે,
પણ પછી મારાથી મુખ આડુ ફેરવીને
તમે મને ભયભીત કર્યો છે.
8 હે યહોવા, મેં તમને પોકાર કર્યો
અને મેં તમને વિનંતી કરી.
9 “હે યહોવા, હું મરી જઇશ તો
તમારું શું સારું થશે?
મારી કબરની ધૂળ
તમારી સ્તુતિ કરી શકશે?
શું તે તમારી વિશ્વસનીયતા વિષે કહી શકશે?
10 હે યહોવા, મારા પર દયા કરો,
મારી અરજીને સંભળો મને સહાય કરો.”
11 પછી તમે મારા દુ:ખનું સુખ કર્યુ, અને રૂદનને બદલે નૃત્યુ આપ્યું;
મારા શોકના વસ્ત્રો ઉતારી લીધા
અને મને ઉત્સાહથી ઢાંકી દીધો.
12 કબરમાં શાંત પડી રહેવાને બદલે, હું આનંદપૂર્વક યહોવાની સ્તુતિ કરીશ;
હે યહોવા, મારા દેવ, હું સદાય તમારી આભારસ્તુતિ કરીશ.
દાઉદનું ગીત. માસ્કીલ.
1 જેના દોષને માફી મળી છે,
તથા જેનું પાપ ઢંકાઇ ગયું છે
તેને ધન્ય છે અને તે જ સુખી છે.
2 જેને યહોવા દોષિત ગણતા નથી,
અને જેના આત્મામાં કંઇ કપટ નથી
તે માણસ આશીર્વાદિત છે.
3 હું ભયંકર પાપી છું તેનો હું સ્વીકાર કરતો ન હતો,
તે દિવસથી મારી વ્યથા વધી ગઇ
અને મારા હાડકાં ર્જીણ થઇ ગયા.
4 આખો દિવસ અને આખી રાત,
તમારો ભારે હાથ મારા પર હતો.
જેમ ઉનાળાની ગરમીમાં જળ સુકાઇ જાય
તેમ મારી શકિત હણાઇ ગઇ હતી.
5 પણ મેં મારા બધાં પાપો તમારી સમક્ષ કબૂલ કરવાનો નિર્ણય લીધો.
મે મારા પાપોને છુપાવવાનું બંધ કર્યુ.
મે પોતાને કહ્યું, “હું મારા પાપો યહોવા સમક્ષ કબૂલ કરીશ.”
અને તમે મારા પાપો બદલ મને ક્ષમા આપી.
6 તેથી જ્યારે દેવનાં અનુયાયીઓને તેમનાં પાપનું ભાન થાય,
ત્યારે તેઓ પ્રાર્થના કરીને તેમનાં પાપની કબૂલાત કરશે.
અને જો પ્રચંડ પૂરની જેમ મુશ્કેલીઓ આવશે તો
પણ તે તેઓ સુધી પહોંચી શકશે નહિ.
7 જીવનનાં સર્વ સંકટોમાં
તમે મારી છુપાવવાની જગા છો,
તમે મને સંકટોમાં ઉગારી લો છો;
મારી આસપાસ તમારા ઉધ્ધારનાં સ્તોત્રો ગવડાવશો.
8 યહોવા કહે છે, “જીવનનાં પ્રત્યેક તબક્કે
તારે ક્યાં માર્ગે ચાલવું તે હું તને બતાવીશ,
હું તારો સતત ખ્યાલ રાખીને હું તને હંમેશા સાચો બોધ આપીશ.
9 ધોડા તથા ખચ્ચર જેને કંઇ સમજ નથી તેને કાબૂમાં રાખવા માટે લગામની જરૂર છે.
તું તેમનાં જેવો અણસમજુ થઇશ નહિ.”
10 દુષ્ટ લોકોને ઘણી તકલીફો સહન કરવી પડે છે;
પણ જેઓ દેવમાં વિશ્વાસ કરે છે, તેઓ તો યહોવાની કૃપાથી ધેરાયેલાં રહેશે.
11 હે સદાચારી લોકો, યહોવાથી આનંદીત થાઓ અને પ્રસન્ન થાઓ.
હે શુદ્ધ હૃદયી માણસો, હર્ષના પોકાર કરો.
ભાગ બીજો
(ગીત 42–72)
નિર્દેશક માટે. કોરાહનાં કુટુંબઓનું માસ્કીલ.
1 હરણ જેમ પાણીના ઝરણાં માટે તલપે છે,
તેમ હે યહોવા, હું તમારા માટે તલપું છું.
2 મારો આત્મા જીવતા દેવ માટે તરસે છે.
હું મારી જાતને એમની સમક્ષ ક્યારે હાજર કરી શકીશ?
3 મારા આંસુ રાત દિવસ મારો ભોજન થયા છે.
શત્રુ મહેણા મારે છે, “તારા દેવ ક્યાં છે?”
4 હે મારા આત્મા, તે સમય કયાંથી વીસરી શકાય?
ઉત્સવના દિવસોમાં હું મોટા લોકસમુદાયમાંથી પસાર થયો,
જેઓ આનંદથી યહોવાના સ્તુતિગીતો ગાતા હતાં
અને હું સૌને એક સાથે દેવના મંદિરમાં દોરી જતો હતો.
એનું સ્મરણ કરતાં, મારું હૃદય ભાંગી જાય છે.
5 હે મારા આત્મા, તું ઉદાસ કેમ થયો છે?
તું આટલો અસ્વસ્થ અને વ્યાકુળ કેમ થયો છે?
દેવની મદદ માટે રાહ જો!
તેમની કૃપા અને મદદ માટે હું હજી
પણ તેમની પ્રાર્થના કરીશ.
6 હે મારા દેવ, મારો આત્મા નિરાશ થયો છે.
તેથી હું તમારી કૃપાનું મિઝાર પર્વત પરથી જયાં હેમોર્ન પર્વત
અને યર્દન નદી મળે છે ત્યાંથી હું સ્મરણ કરું છું.
7 ઘરતીના ઊંડાણનું પાણી ભાંગી ને
ઘોઘમાં પડવાનો અવાજ મને સંભળાય છે.
તમારા બધા મોજાઓ
અને મોટા મોજાઓ મારા પર ફરી વળ્યાઁ છે.
8 અને છતાં યહોવા મારા માટે તેમનો સાચો પ્રેમ પ્રતિદિન દર્શાવે છે.
અને રોજ રાત્રે હું તેમના સ્તુતિગીત ગાઉં છું, એટલે મારા જીવનદાતા દેવની પ્રાર્થના કરું છું.
9 દેવ મારા ખડક છે, હું તેમને કહીશ કે,
“તમે કેમ મને ભુલી ગયા? મને કેમ તજી દીધો છે?
શા માટે શત્રુઓના જુલમ મારે સહન કરવા પડે?”
10 તારો દેવ ક્યાં છે એમ મશ્કરીમાં રોજ પૂછીને
મારા શત્રુઓના મહેણાં મારા હાડકાં ને કચરી નાખે છે.
11 હે મારા આત્મા, શા માટે તું આટલો દુ:ખી છે?
તું શા માટે આટલો અસ્વસ્થ અને વ્યાકુળ બની ગયો છે?
દેવની મદદ માટે રાહ જો!
જે મારા મુખનું તારણ તથા મારો દેવ છે,
તેનું હું હજી સ્તવન કરીશ.
1 હે દેવ, મારો ન્યાય કરો, અને મને નિર્દોષ પુરવાર કરો.
અને જે તમારો સંનિષ્ઠ અનુયાયી નથી તેવાથી મને બચાવો,
તેવા ઠગ અને છેતરપીંડી કરનારા માણસથી મને બચાવો.
2 કારણ, હે દેવ, તમે મારું સાર્મથ્ય છો.
તમે મને શા માટે તજી દીધો?
દુશ્મનોની ક્રૂરતાને લીધે
હું શોક કરતો ફરૂં છું.
3 હે યહોવા, તમારું સત્ય અને પ્રકાશ પ્રગટ કરો;
જેથી હું માર્ગદર્શન મેળવું અને તેઓ મને તમારા પવિત્ર પર્વતમાં તથા તમારા મંડપમાં લાવે.
4 તમે મારા અતિઆનંદ છો,
તમારી વેદી પાસે હું જઇશ,
અને હે દેવ, મારી વીણા સાથે
હું તમારી આભારસ્તુતિ ગાઇશ.
5 હે મારા આત્મા, તું શા માટે આટલો બધો ઉદાસ છે?
તું શા માટે બેચેન છે?
દેવની મદદની રાહ જો, જે મારા મુખનું તારણ
તથા મારા દેવ છે હજી હું તેની કૃપા
અને મદદ માટે પ્રાર્થના કરીશ.
6 યરીખોનગરના કરવાજાઓ બંધ કરી દેવામાં આવ્યા હતા, કારણ કે તેના લોકો ઇસ્રાએલીઓથી ભયભીત થયેલા હતા. કોઈ અંદર કે બહાર આવ-જા કરનું નહિ.
2 યહોવાએ યહોશુઆને કહ્યું કે, “હું તને યરીખો તેના રાજા અને બહાદુર યોદ્ધાઓને હરાવવા દઈશ. 3 તારે અને તારા સમગ્ર બહાદુર યોદ્ધાઓએ છ દિવસ સુધી પ્રતિદિન એક વખત શહેરની ફરતે પ્રદક્ષિણા કરવી. 4 સાત યાજકોએ હાથમાં ઘેટાંના શિંગડામાંથી બનાવેલ સાત રણશિંગડાં લઈને કોશની આગળ ચાલે. સાતમે દિવસે તારે અને તારા સૈનિકોએ સાત વખત શહરને ફરતે પ્રદક્ષિણા કરવી અને યાજકે રણશિંગડાઓ વગાડવાં. 5 ત્યારબાદ તેઓ લાંબા જોરદાર ધમાંકા સાથે રણશિંગુ ફૂંકશે અને તે સાંભળીને લોકો મોટા અવાજે બૂમ પાડશે, ત્યારે નગરનો દરવાજો તૂટી પડશે; અને તમાંરે બધાએ સીધા નગરમાં ધુસી જવું.”
યરીખોનું પતન
6 આથી યહોશુઆએ યાજકોને બોલાવ્યાં અને તેમને કહ્યું, “કરારકોશ ઊંચકો, અને 7 યાજકોને યહોવાના પવિત્રકોશ આગળ સાત રણશિંગડા લઈને ચાલે.”
7 અને તેણે લોકોને કહ્યું, “આગળ ચાલો અને નગરને ફરતે પ્રદક્ષિણા કરો અને હથિયારબંધ પુરુષો યહોવાનો પવિત્ર કોશની આગળ ચાલશે.”
8 જ્યારે યહોશુઆએ લોકો સાથે વાતો કરવાનું પૂરું કર્યું, ત્યારે સાત યાજકોએ યહોવાની આગળ સાત રણશિંગડાં ધરી રાખ્યાં હતાં તેને ફૂંક્યા. જ્યારે તેમને અનુસરતાં યાજકો દ્વારા લઈ જવાતો યહોવાનાં કરારનો કોશ તેમની પાછળ ચાલતો હતો. 9 યાજકોની આગળ સશસ્ત્ર સૈનિકો, અને પાછળના સંત્રીઓ પવિત્રકોશની પાછળ ચાલતા હતા સાથે રણશિંગડાં ફૂકતાં, 10 પણ યહોશુઆએ લોકોને શાંતિ જાળવવાની અને યુદ્ધનાદની બૂમો ન પાડવા કહ્યું. તેણે કહ્યું, “જ્યારે હું તમને બૂમ પાડવાનું કહીશ ત્યારે બૂમ પાડજો નહિતર કોઈ અવાજ ન કરતાં. જ્યારે હું તમને કહું ત્યારે જ તમે બૂમ પાડજો.”
11 એ પ્રમાંણે તેણે યહોવાનો પવિત્રકોશ લીધો અને પહેલી વાર શહેરની ફરતે પ્રદક્ષિણા કર્યા પછી તેઓ પોતાની છાવણીમાં પાછા ફર્યા અને રાતના ત્યાં આરામ કર્યો.
12 પછી સવારે યહોશુઆ વહેલો ઊઠયો, અને યાજકોએ યહોવાનો પવિત્રકોશ પાછો ઊંચકી લીધો. 13 ઘેટાનાં સાત રણશિંગડાં લઈને સાત યાજકો તેમને વગાડતાં યહોવાનાં પવિત્રકોશ આગળ ચાલ્યા. સશસ્ત્ર માંણસો આગળ ચાલતા હતા અને પાછળ રક્ષકોનું બીજું જૂથ ત્યાં કૂચ કરતું હતું. અને આ સર્વ સમય દરમ્યાન રણશિંગડાં વાગતા હતાં. 14 બીજા દિવસે ફરીથી તેમણે નગરની એક વાર પ્રદક્ષિણા કરી અને પાછા છાવણીમાં આવી ગયા. તેઓએ આ પ્રમાંણે છ દિવસ સુધી કર્યું.
રાજ્ય પ્રત્યેની ફરજો
13 દરેક માણસે મુખ્ય અધિકારીઓના હુકમનું પાલન કરવું જ જોઈએ. જે અધિકારી છે તેઓને દેવ દ્વારા એ સત્તા આપવામાં આવી છે. અને અત્યારે જે લોકો શાસન કરી રહ્યા છે, તેમને પણ દેવ દ્વારા એ સત્તા આપવામાં આવી છે. 2 તેથી જે વ્યક્તિ સરકારની વિરુંદ્ધમાં હોય તે ખરેખર તો દેવના આદેશની વિરુંદ્ધમાં છે. સરકારની વિરુંદ્ધ જતા લોકો પોતે શિક્ષા વહોરી લે છે. 3 જે લોકો સારાં કાર્યો કરતા હોય તેમણે સરકારી અધિકારીઓથી ડરવાની જરૂર નથી. પરંતુ જે લોકો ખોટાં કામો કરતા હોય તેમને તો અધિકારીઓનો ડર લાગવો જ જોઈએ. શું તમારે શાસકોના ડરમાંથી મુક્ત થવું છે? તો તમારે સારાં કામો કરવાં જોઈએ. જો તમે સારાં કાર્યો કરશો તો સરકારી અધિકારીઓ તમારાં વખાણ કરશે.
4 શાસક તો દેવનો સેવક છે. જે તમને મદદ કરે છે. પરંતુ જો તમે કઈક ખોટું કરશો તો તમારે ડરવું પડશે. શાસક પાસે શિક્ષા કરવાની સત્તા હોય છે, અને તે એ સત્તાનો ઉપયોગ કરશે. ખોટાં કામો કરનાર લોકોને સજા કરતો અધિકારી દેવનો સેવક છે. 5 તેથી તમારે સરકારના નિયમોનું પાલન કરવું જ જોઈએ. તમારે સરકારી કાયદાઓનું પાલન કરવું જોઈએ કારણ કે જો તમે પાલન ન કરો તો તમને શિક્ષા થાય. તમારે એટલા માટે પણ કાયદાનું પાલન કરવું જોઈએ કેમ કે, એમ કરવું જ યોગ્ય છે એ તમે જાણો છો.
6 અને તેથી જ તમે કરવેરા પણ ચૂકવો છો. જે સત્તાધારી છે તે દેવ માટે કાર્ય કરે છે અને શાસન કાર્યમાં પોતાનો બધો સમય આપે છે. 7 જે લોકોનું ઋણ તમારા માથે હોય તે તેમને ચૂકવો. કોઈ પણ જાતના કરવેરા કે કોઈ પણ જાતનું દેવું તમારા પર હોય તો તે ભરપાઈ કરી દો. જે લોકોને માન આપવા જેવું હોય તેમને માન આપો. અને જેમનું સન્માન કરવા જેવું હોય તેમનું સન્માન કરો.
પ્રભુનું ભોજન
(માર્ક 14:22-26; લૂ. 22:15-20; 1 કરિં. 11:23-25)
26 જ્યારે તેઓ જમતા હતા ત્યારે, ઈસુએ થોડી રોટલી લીધી અને રોટલી માટે દેવનો આભાર માની તેના ભાગ પાડ્યા અને તેના શિષ્યોને રોટલી આપી, ઈસુએ કહ્યું, “આ રોટલી લો અને તે ખાઓ. આ રોટલી મારું શરીર છે.”
27 પછી ઈસુએ એક દ્રાક્ષારસનો પ્યાલો લીઘો. તે માટે દેવનો આભાર માન્યો. અને તે તેના શિષ્યોને આપ્યો. ઈસુએ કહ્યું, “તમારામાંના દરેક જણ આ પીઓ. 28 આ દ્રાક્ષારસ મારું લોહી છે. નવા કરારનું એ મારું લોહી (મરણ) છે જે પાપીઓને માફીના અર્થે ઘણાઓને માટે વહેવડાવામાં આવ્યું છે. 29 હું તમને આ કહું છું કે: જયાં સુધી આપણે મારા પિતાના રાજ્યમાં ભેગા મળીશું નહિ ત્યાં સુધી હું ફરીથી આ દ્રાક્ષારસ પીશ નહિ. તે દ્રાક્ષારસ નવો હશે. ત્યારે હું તમારી સાથે ફરીથી પીશ.”
30 બધા શિષ્યોએ ગીત ગાયું. પછી તેઓ જૈતુનના પહાડ પર ગયા.
પિતરના નકારની આગાહી
(માર્ક 14:27-31; લૂ. 22:31-34; યોહ. 13:36-38)
31 ઈસુએ શિષ્યોને કહ્યું, “આજે રાત્રે તમે મારા કારણે તમારો વિશ્વાસ ગુમાવશો. શાસ્ત્રલેખમાં લખેલું છે.
‘હું ઘેટાંઓના પાળકને મારીશ,
અને ઘેટાંઓ દૂર ભાગી જશે.’ (A)
32 પણ મારા મરણ પછી, હું મરણમાંથી સજીવન થઈશ. પછી હું ગાલીલમાં જઈશ. તમારા ત્યાં જતાં પહેલા હું ત્યાં હોઈશ.”
33 પિતરે ઉત્તર આપ્યો, “તારા કારણે બીજાઓ કદાચ વિશ્વાસ ગુમાવે પણ હું મારો વિશ્વાસ કદી ગુમાવીશ નહિ.”
34 ઈસુએ ઉત્તર આપ્યો, “હું તને સત્ય કહું છું, આજે રાત્રે તું કહીશ તું મને ઓળખતો નથી. મરઘાના બોલતા પહેલા તું આ ત્રણ વાર કહીશ.”
35 પરંતુ પિતરે ઉત્તર આપ્યો, “જો કે મારે તારી સાથે મરવું પડે તો પણ હું તારો નકાર નહિ કરું!” અને બીજા શિષ્યોએ પણ એમ જ કહ્યું.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International