Book of Common Prayer
1 આવો, યહોવા સમક્ષ આપણે ગાઇએ;
આપણા તારણના ખડક સમક્ષ હર્ષનાદ કરીએ.
2 તેની હજૂરમાં આભારસ્તુતિ સાથે આવીએ;
અને આપણે તેની સમક્ષ સ્તુતિગાન કરીએ.
3 કારણ, યહોવા મહાન દેવ છે;
તે સર્વ દેવો પર મહાન રાજા છે.
4 તેમનાં હાથમાં પૃથ્વીનાં ઊંડાણો છે;
અને ઊંચા પર્વતોના માલિક પણ તે છે.
5 જેણે સમુદ્ર બનાવ્યો અને કોરી ભૂમિ
પણ બનાવી તેમના તે માલિક છે.
6 આવો આપણે તેને ભજીએ અને નમીએ;
ને આપણા કર્તા યહોવાને ઘૂંટણિયે પડીએ.
7 કારણ તે આપણા દેવ છે,
આપણે તેના ચારાના લોક
અને તેના હાથના ઘેટાં છીએ.
આજે જો તમે તેની વાણી સાંભળો તો કેવું સારું!
8 દેવ કહે છે, “ઇસ્રાએલી લોકોએ અરણ્યમાં મરીબાહમાં તથા માસ્સાહમાં,
પોતાના હૃદય કઠણ કર્યા, તેવું તમે કરશો નહિ.
9 તમારા પિતૃઓએ મારી કસોટી કરી,
પરંતુ પછીથી તેઓએ જોયું કે હું શું કરી શકું છું!”
10 યહોવા દેવ કહે છે, “ચાળીસ વર્ષ સુધી મેં તે પેઢીને સહન કરી છે પણ જ્યારે હું તેમનાથી કંટાળ્યો ત્યારે મેં કહ્યું,
તે લોકો અવિનયી છે.
તેઓએ મારા માર્ગો કદી શીખ્યાં નથી.
11 મેં મારા અતીશય ક્રોધમાં પ્રતિજ્ઞા લીધી
કે મેં તેઓ માટે નક્કી કરેલા વિશ્રામમાં વચનનાં દેશમાં,
તેઓ કદાપિ પ્રવેશ કરશે જ નહિ.”
કોરાહના કુટુંબનું એક સ્તુતિગીત. નિર્દેશકને – દર્દનાક બિમારી વિષે, હેમાન એઝાહીનું માસ્કીલ.
1 હે યહોવા, મારા તારણના દેવ,
મેં રાતદિવસ તમારી વિનંતી કરી છે.
2 હવે તમે મારી પ્રાર્થના સાંભળો,
મારા પોકાર તમારે કાને ધરો.
3 કારણ, મારું જીવન મુશ્કેલીઓથી ભરેલું છે,
અને હું જલદીથી મૃત્યુ પામીશ.
4 હું કબરમાં ઊતરનાર ભેગો ગણાયેલો છું,
અને લાચાર સ્થિતિમાં આવી પડ્યો છું.
5 હું મૃત્યુ પામેલાઓની વચ્ચે પેડેલા મૃતદેહ જેવો છું.
જેઓ યુદ્ધમાં મરાયા હતાં અને કબરમાં દટાયા હતાં.
અને હવે તમે તેઓને યાદ કરતાં નથી.
તેઓ તમારી કાળજીથી દૂર રખાયાં છે, હું તેમના જેવો છું.
6 તમે મને છેક નીચલા ખાડામા ધકેલી દીધોં,
તેવા ઊંડાણોમાં અતિશય અંધકાર હોય છે.
7 મારા પર તમારો કોપ અતિ ભારે છે,
તમારા સર્વ મોજાંથી હું દુ:ખમાં ડૂબી ગયો છું;
8 તમે મારા મિત્રો પાસે મારો તિરસ્કાર કરાવ્યો છે,
મારાથી તેઓ દૂર નાસે છે;
હું ફાંદામા ફસાઇ ગયો છું, અને તેમાંથી બહાર નીકળી શકતો નથી.
9 દુ:ખને લીધે મારી આંખો ક્ષીણ થાય છે;
હે યહોવા, મેં તને સદા અરજ કરી છે
અને તારી સંમુખ મેં મારા હાથ જોડ્યા છે.
10 શું તમે મૂએલા સમક્ષ ચમત્કારો દેખાડશો?
શું તેઓ ઊઠીને તારી આભારસ્તુતિ કરશે?
11 શું તારી કૃપા કબરમાં કે વિનાશમાં
તારું વિશ્વાસપણું જાહેરમાં કરવામાં આવશે?
12 શું અંધકારમાં તારાં કૃત્યો જે આશ્ચર્યકારક છો, તે વિષે,
અને વિસ્મરણના દેશમાં તમારાં ન્યાયીપણાંનાં કૃત્યો વિષે જણાવવામાં આવે છે?
13 પણ, હે યહોવા, સહાય માટે હું વિનંતી કરું છું,
દરરોજ સવારે મારી પ્રાર્થના તમારી સમક્ષ આવશે.
14 હે યહોવા, તમે મને તજો છો શા માટે?
શા માટે તમે તમારું મુખ મારાથી ફેરવો છો?
15 મારી યુવાવસ્થાથી જ મારા પર દુ:ખ આવી પડ્યાં છે.
હું તમારા ગુસ્સાથી દુ:ખી થયો છું. હું અસહાય છું.
16 તમારો ઉગ્ર કોપ મારા પર આવી પડ્યો છે,
તમારા તરફથી મને ત્રાસ થાય છે;
અને તેથી હું ભાંગી પડ્યો છું.
17 મને જળપ્રલયની જેમ દરરોજ ઘેરી લે છે,
અને તેઓએ મને ડૂબાડી દીધો છે.
18 તમે મારા મિત્રોને અને સબંધીઓને મારાથી દૂર કર્યા છે.
ફકત અંધકાર જ મિત્ર તરીકે મારી પાસે છે.
1 પરાત્પર દેવના આશ્રયસ્થાનમાં જે વસે છે,
તે સર્વસમર્થની છાયામાં રહેશે.
2 હું યહોવાને કહું છું કે, “તમે મારો આશ્રય અને ગઢ છો એજ મારા દેવ છે,
હું તમારો વિશ્વાસ કરું છું.”
3 કારણકે તે તને સર્વ ફાંદાઓથી
અને જીવલેણ રોગ મરકીથી બચાવશે.
4 તેની પાંખો પ્રસરાવીને તે તારું રક્ષણ કરશે,
તમને તેની પાંખો નીચે આશ્રય મળશે,
તેની સત્યતા તમારું રક્ષણ કરતી ઢાલ અને દીવાલ જેવાં હશે.
5 હવે તું રાત્રે બીશ નહિ
કે દિવસે ઊડતા તીરોથી તું બીશ નહિ.
6 અંધકારમાં ફેલાતા ભયંકર ચેપી રોગથી
કે મધ્યાહને આવતી પ્રાણઘાતક બિમારીથી તું ગભરાઇશ નહિ.
7 તારી બાજુએથી હજાર
અને તારે જમણે હાથ પડશે દશ હજાર,
છતાં તને સ્પશીર્ શકશે નહિ.
8 તે તમે તમારી પોતાની આંખોથી જોશો
કે દુષ્ટ લોકોને કેવી સજા થાય છે!
9 શા માટે? કારણ તમે યહોવાનો વિશ્વાસ કરો છો.
તમે પરાત્પર દેવને તમારી સુરક્ષિત જગા બનાવ્યાં છે.
10 તેથી તમારા પર કોઇ અણધારી આફત આવશે નહિ,
તમારી પાસે, તમારા રહેઠાણની જગાની નજીક કોઇ બિમારી આવશે નહિ.
11 કારણ, તું જ્યાં જાય છે ત્યાં દેવ તારું રક્ષણ કરવા માટે તેના દેવદૂતોને આજ્ઞા કરશે.
12 તેઓ તને પોતાના હાથોમાં ધરી રાખશે,
જેથી તારો પગ માર્ગમાં ખડકો સાથે અફળાય નહિ.
13 માર્ગમાં સિંહ મળે કે પગ પડે ઝેરી સાપ પર,
તો પણ તું સુરક્ષિત રહેશે; હા,
તું તેઓને પગ નીચે છૂંદી નાંખશે.
14 યહોવા કહે છે, “તે મને ચાહે છે તેથી હું તેને મુકત કરીશ,
હું તેને મહાન બનાવીશ, કારણકે તે મારું નામ જાણે છે.
15 તે પોકાર કરશે એટલે હું ઉત્તર દઇશ;
સંકટમાં હું તેની સાથે રહીશ
અને તેને છોડાવીને સન્માનીશ.
16 હું તેને દીર્ઘ આયુષ્યથી તૃપ્ત કરીશ,
અને હું મારું તારણ તેને આપીશ.”
વિશ્રામવાર માટેનું સ્તુતિગીત.
1 યહોવાની સ્તુતિ કરવી અને આભાર વ્યકત કરવો અને તમારા નામના,
પરાત્પર દેવના સ્તોત્ર ગાન કરવા તે સારું છે.
2 દસ તારવાળા વાજીંત્ર તથા સિતાર
કે વીણાના મધુર સ્વર સાથે ગાવું તે ખરેખર સારું છે.
3 પ્રત્યેક સવારે તેમના માટે તમારો પ્રેમ વ્યકત કરો,
અને પ્રત્યેક રાત્રે તેમનામાં તમારો વિશ્વાસ વ્યકત કરો.
4 હે યહોવા, તમે તમારા કૃત્યોથી મને આનંદ પમાડ્યો છે;
હું તમારા હાથે થયેલાં કામને લીધે હર્ષનાદ કરીશ.
5 હે યહોવા, તમારા કૃત્યો કેવાં મહાન છે!
તમારા વિચારો બહુ ગહન છે.
6 ઊંડો વિચાર ન કરી શકે તેવા લોકો તે સમજી શકતાં નથી,
અને મૂર્ખ માણસ કદાપિ તેનો અર્થ પામી શકતો નથી.
7 દુષ્ટ માણસો ઘાસની જેમ પુષ્કળ ઉગે છે,
ભૂંડુ કરનાર દરેક જગાએ ફૂટી નીકળે છે.
પણ તેમનો સદાને માટે વિનાશ થશે.
8 પણ, હે યહોવા, તમે સર્વકાળનાં પરાત્પર દેવ છો.
9 હે યહોવા, તમારા શત્રુઓ અવશ્ય નાશ પામશે;
અને સર્વ ભૂંડુ કરનારાઓ વિખેરાઇ જશે.
10 પણ તમે મને, જંગલી ગોધાના જેવો, બળવાન કર્યો છે;
મને મૂલ્યવાન તેલ ચોળવામાં આવ્યું છે, જે ચેતનવંતો બનાવે.
11 મેં નજરે નિહાળ્યું છે ને મારા શત્રુઓની હાર થઇ છે;
અને મેં સાંભળ્યું છે, કે મારા દુષ્ટ દુશ્મનોને ભગાડી મૂકવામાં આવ્યા છે.
12 સદાચારી લોકો તાડના વૃક્ષની જેમ ખીલશે
અને લબાનોનના દેવદાર વૃક્ષોની જેમ વધશે.
13 યહોવાના મંદિરમાં જેઓને રોપવામાં આવેલા છે;
તેઓ આપણા દેવનાં આંગણામાં ખીલી ઊઠશે.
14 તેઓ ઘડપણમાં પણ ફળધારક થશે,
અને તેઓ તાજાં લીલાં વૃક્ષો જેવાં હશે.
15 તેથી તેઓ કહેશે કે, યહોવા સારા અને પ્રામાણિક છે.
તેઓ મારા ખડક છે, અને તેમના વિશે કઁઇ અન્યાયી નથીં.
યહોવા સાથેના કરારનું સ્મરણ
11 ફરીથી યર્મિયાને યહોવાની વાણી સંભળાઇ, 2 “આ કરારના શબ્દો ધ્યાનથી સાંભળ અને તે યહૂદિયાના લોકોને અને યરૂશાલેમના વતનીઓને કહી સંભળાવ. 3 તેમને કહે, ‘આ ઇસ્રાએલના દેવ યહોવાના વચન છે; જે માણસ આ કરારનું પાલન કરતો નથી તેના પર શાપ ઊતરશે!’ 4 જે દિવસે હું તમારા પિતૃઓને લોખંડ ગાળવાની ભઠ્ઠી સમા મિસરમાંથી બહાર લઇ આવ્યો, ત્યારે મેં તેમની સાથે આ કરાર કર્યો હતો. મેં તેમને કહ્યું હતું: જો તમે મારું કહ્યું સાંભળશો અને મારી એકેએક આજ્ઞાનું પાલન કરશો.
5 “તો તમે મારા લોકો થશો. અને હું તમારો દેવ થઇશ અને હું તમારા પિતૃઓને આપેલું વચન પાળીશ, હું તમને જ્યાં દૂધ અને મધની રેલછેલ હોય તેવી ભૂમિ આપીશ. અને મેં એ પ્રમાણે કર્યું પણ છે.”
પછી મેં જવાબ આપ્યો, “યહોવા આમીન, હું એમ કહીશ.”
6 ત્યારબાદ યહોવાએ કહ્યું, “યહૂદિયાનાં નગરોમાં અને યરૂશાલેમની શેરીઓમાં આ સંદેશો જાહેર કરો. તમારા પિતૃઓએ દેવ સાથે કરેલા આ કરારને યાદ કરો. તમારા પિતૃઓએ જે જે કરવાનું વચન દેવને આપ્યું હતું તે બધું તમે કરો. 7 આ કરારની શરતો ધ્યાનથી સાંભળો અને તેનું પાલન કરો, કારણ, હું જ્યારે તમારા પિતૃઓને મિસરમાંથી બહાર લઇ આવ્યો હતો, ત્યારે મેં તેમને સખત ચેતવણી આપી હતી અને આજ સુધી આપતો રહ્યો છું કે, મારું કહ્યું સાંભળો, 8 પણ તેમણે સાંભળ્યું નહિ, અને દરેક જણ પોતાનું હઠીલું અને દુષ્ટ મન કહે તેમ કરવા લાગ્યા. તેથી મેં તેમની સાથે જે કરાર કર્યો હતો અને જેનું તેમણે પાલન કર્યું નહોતું તેમાં દર્શાવેલી બધી સજાઓ મેં તેમને માથે ઉતારી.”
14 “તેથી, હે યર્મિયા, એ લોકો માટે પ્રાર્થના કરીશ નહિ. તેમના તરફથી કોઇ વિનંતી કે આજીજી કરીશ નહિ, કારણ કે સંકટના સમયે તે લોકો ઘા નાખશે તે હું સાંભળવાનો નથી.”
15 યહોવા કહે છે, “હે મારી પ્રિય પ્રજા,
તું મારા ઘરમાં બેશરમ વર્તન કરે છે.
તને અહીં શો અધિકાર છે?
તું શું સમજે છે?
પ્રતિજ્ઞાઓ અને બલિદાનો તમારા વિનાશને અટકાવી તમને ફરીથી જીવન
તથા આનંદ આપી શકશે?”
16 એક વખતે હું તમને મનોહર ફળથી લચી
જતું જૈતૂનનું વૃક્ષ કહીને બોલાવતો હતો,
પણ અત્યારે હું મોટા કડાકા સાથે તારાં પાંદડાને સળગાવી મૂકું છું
અને ડાળીઓને ભાંગી નાખું છું.
17 બઆલની આગળ ધૂપ બાળીને તથા
બલિદાનો ચઢાવીને ઇસ્રાએલે તથા યહૂદિયાએ દુષ્ટતા કરી છે
અને તેથી સૈન્યોનો દેવ યહોવાએ પોતે રોપેલા આ વૃક્ષનો વિનાશ કરવાનો હુકમ કર્યો છે.
યર્મિયા વિરુદ્ધ દુષ્ટ યોજનાઓ
18 યહોવાએ પોતે મને જણાવ્યું છે, જેથી હું સમજી શકું પછી તેણે મને બતાવ્યું કે તેઓ શું કરી રહ્યા છે. 19 હું તો કતલખાને દોરી જવાતા ગરીબ ઘેટા જેવો હતો. મને ખબર નહોતી કે તેઓ મારી વિરુદ્ધ કાવતરું રચી રહ્યા હતા અને કહેતા હતા કે, “ઝાડ જોરમાં છે ત્યાં જ આપણે એને કાપી નાખીએ; આપણે તેને જીવતાનાં જગતમાંથી હતો ન હતો કરી નાખીએ, એટલે એનું નામ પણ ભૂલાઇ જાય.” 20 ત્યારે મેં પ્રાર્થના કરી, હે સૈન્યોના દેવ યહોવા! તું સાચો ન્યાય કરનાર છે, તું માણસના મનને અને હૃદયને જાણે છે, મને જોવા દો કે તમે તેમની પર વૈર વાળશો કારણ કે એ તું જ છે જેની પર મે મારો બચાવ કરવા માટે વિશ્વાસ રાખ્યો છે.
પાપમાં મૂએલા પણ ખ્રિસ્તમાં જીવન
6 તો તમે શું એમ માનો છો કે આપણે પાપ કરવાનું ચાલુ રાખવું જોઈએ, જેથી દેવની વધુ ને વધુ કૃપા આપણા પર ઉતરે? 2 ખરેખર, ના! આપણે આપણા પાપમય જીવન માટે મૃત્યુ પામ્યા છીએ. તો પછી પાપી જીવન જીવવાનું આપણે કેવી રીતે ચાલુ રાખી શકીએ? 3 જ્યારે આપણે બાપ્તિસ્મા પામ્યા હતા ત્યારે આપણે સૌ ખ્રિસ્ત ઈસુ સાથે એકરૂપ થયા હતા, એ તમે શું ભૂલી ગયા છો? આપણા બાપ્તિસ્માથી આપણે તેના મૃત્યુ સાથે ભાગીદાર બન્યા હતા. 4 કારણ કે જ્યારે આપણું બાપ્તિસ્મ થયું ત્યારે આપણે પણ તેની સાથે મરણમાં દટાયા અને તેના મૃત્યુમાં ભાગીદાર થયા. આ રીતે બાપના મહિમાથી જેમ ખ્રિસ્ત મૃત્યુમાંથી ઊભો થયો તેમ આપણે પણ ઊભા થઈ શકીશું અને નવું જીવન જીવીશું.
5 ખ્રિસ્ત મૃત્યુ પામ્યો, અને આપણે પણ આપણા મૃત્યુથી ખ્રિસ્ત સાથે જોડાયા છીએ. તેથી જેમ ખ્રિસ્ત મૃત્યુમાંથી ફરી પુનરૂત્થાન પામ્યો તેમ આપણે પણ મૃત્યુમાંથી ફરી પુનરૂત્થાન પામીને તેની સાથે જીવનમાં એકરૂપ થઈશું. 6 આપણે જાણીએ છીએ કે વધસ્તંભ પર ખ્રિસ્તના મૃત્યુની સાથે જ આપણા જૂનાં માણસપણાનો અંત આવ્યો હતો. આપણા પાપમય ભૂતકાળની કોઈ અસર નવા જીવન પર ન પડે, અને (વળી પાછા) આપણે પાપના ગુલામ ન બનીએ માટે આમ થયું. 7 જે કોઈ વ્યક્તિ મૃત્યુ પામે છે તો તેને મૃત્યુની સત્તામાંથી મુક્ત કરવામાં આવે છે.
8 આપણે ખ્રિસ્તની સાથે મૃત્યુ પામ્યા તેથી આપણે માનીએ છીએ કે આપણે તેની સાથે નવુ જીવન પામીશું. 9 મૃત્યુમાંથી ખ્રિસ્તને પુર્નજીવિત કરવામાં આવ્યો હતો. આપણે જાણીએ છીએ કે તે હવે ફરીથી કદી મૃત્યુ પામી શકશે નહિ. હવે તેના પર મૃત્યુની કોઈ સત્તા નથી. 10 હા, જ્યારે ખ્રિસ્ત મૃત્યુ પામ્યો ત્યારે તે જ સમયે મૃત્યુની સત્તાને પરાસ્ત કરવા મર્યો હતો તે સદાને માટે પૂરતું હતું. હવે તે જીવે છે, એટલે દેવના સંબંધમાં તે જીવે છે. 11 એ જ પ્રમાણે, તમારી ઉપર પણ પાપની સત્તાનો હવે અંત આવ્યો છે. અને ખ્રિસ્ત ઈસુ દ્વારા દેવ-પ્રાપ્તિ સારું તમે હવે જીવંત છો, એવું તમારી જાત વિષે તમે વિચારો.
33 યહૂદિઓએ ઉત્તર આપ્યો, “અમે ઈબ્રાહિમના લોકો છીએ. અમે કદી ગુલામ રહ્યા નથી. તેથી શા માટે તું કહે છે કે એમ મુક્ત થઈશું?”
34 ઈસુએ ઉત્તર આપ્યો, “હું તમને સાચું કહું છું પ્રત્યેક વ્યક્તિ જે પાપ કરે છે તે ગુલામ છે. પાપ તેનો માલિક છે. 35 ગુલામ કુટુંબ સાથે હંમેશા રહેતો નથી. પરંતુ તે દીકરો હંમેશા કુટુંબનો રહી શકે. 36 તેથી જો દીકરો તમને મુક્ત કરે તો પછી તમે ખરેખર મુક્ત થશો. 37 હું જાણું છું તમે ઈબ્રાહિમના લોકો છો. પરંતુ તમે મને મારી નાખવા ઈચ્છો છો. શા માટે? કારણ કે તમે મારા બોધનો સ્વીકાર કરવા ઈચ્છતા નથી. 38 મારા પિતાએ જે મને બતાવ્યું છે તે જ કામો હું તમને કહું છું. પરંતુ તમે તમારા પિતાએ તમને જે કહ્યું છે તે કરો છો.”
39 યહૂદિઓએ કહ્યું, “અમારો પિતા ઈબ્રાહિમ છે.”
ઈસુએ કહ્યું, “જો તમે ખરેખર ઈબ્રાહિમના બાળકો હતા તો પછી તમે જે કામો ઈબ્રાહિમે કર્યા તે જ કરશો. 40 હું એ માણસ છું કે જેણે દેવ પાસેથી સાંભળ્યું તે સત્ય તમને કહ્યું છે. પરંતુ તમે મને મારી નાખવા પ્રયત્ન કરો છો. ઈબ્રાહિમે તેના જેવું કંઈ જ કર્યું નથી. 41 તેથી તમારા પિતાએ જે કંઈ કર્યુ તે તમે કરો છો.”
પણ યહૂદિઓએ કહ્યું, “અમે એના જેવા બાળકો નથી કે જે તેઓએ કદી જાણ્યું ન હોય કે તેમનો પિતા કોણ છે. દેવ અમારો પિતા છે. અમારો તે માત્ર એક જ પિતા છે.”
42 ઈસુએ પેલા યહૂદિઓને કહ્યું, “જો દેવ ખરેખર તમારા પિતા હોત, તો તમે મારા પર પ્રેમ રાખત; હું દેવમાંથી નીકળીને આવ્યો છું. અને હવે હું અહીં છું. હું મારી પોતાની સત્તાથી આવ્યો નથી. દેવે મને મોકલ્યો છે. 43 હું તમને આ બાબતો જે કહું છું તે તમે સમજી શકશો નહિ. શા માટે? કારણ કે તમે મારા બોધને સ્વીકારી શકતા નથી. 44 તમારો પિતા શેતાન છે, અને તમે તેના દીકરા છો. તે જે ઈચ્છે છે તે કરવા તમે ઈચ્છો છો. શેતાન શરુંઆતથી જ ખૂની હતો. શેતાન હંમેશા સત્યથી વિરૂદ્ધ છે અને તેથી તેનામાં સત્ય નથી. જૂઠું બોલવું તે તેનો સ્વભાવ છે. હા, તે જુઠો છે. અને તે જૂઠાનો બાપ છે.
45 “હું સત્ય કહું છું, તેથી તમે મારામાં વિશ્વાસ કરતા નથી. 46 તમારામાંથી કોણ સાબિત કરી શકે છે કે હું પાપનો ગુનેગાર છું. જો હું સત્ય કહું છું, તો પછી તમે શા માટે મારું માનતા નથી? 47 જે વ્યક્તિ દેવનો છે તે દેવ જે કહે છે તે સ્વીકારે છે. પણ તમે દેવ જે કહે છે તે સ્વીકારતા નથી. કારણ કે તમે દેવના નથી.”
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International