Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 83

આસાફના સ્તુતિગીતોમાંનુ.

હે દેવ, તમે છાના ન રહો;
    હે દેવ, તમે ચૂપ ન રહો;
    અને શાંત ન રહો.
જુઓ, તમારા શત્રુઓ હુલ્લડ મચાવે છે.
    અને જેઓ તમને ધિક્કાર છે તેમણે તમારી સામે માથું ઊંચું કર્યું છે.
તેઓ તમારા લોકો વિરુદ્ધ કપટભરી યોજનાઓ કરે છે,
    અને તમારા લોક જેઓ તમને મૂલ્યવાન છે, તેઓની વિરુદ્ધ પ્રપંચ રચે છે.
તેઓ કહે છે, “ચાલો, પ્રજા તરીકેના તેમના અસ્તિત્વનો આપણે સંપૂર્ણ નાશ કરીએ;
    જેથી ઇસ્રાએલના નામનું સ્મરણ કદી ન રહે.”
તેઓ નિર્ણય સર્વાનુમતે કરે છે, અને યોજનાઓ કરે છે;
    તેઓ તમારી વિરુદ્ધ કરાર કરે છે.
તંબુમાં રહેનાર અદોમીઓ, ઇશ્માએલીઓ, મોઆબીઓ તથા હાગ્રીઓ,
    ગબાલ, તથા આમ્મોન ને અમાલેક;
    અને તૂર દેશના લોકો પલિસ્તીઓ કરાર કરે છે.
તેઓની સાથે આશ્શૂર પણ સામેલ થાય છે;
    અને લોતના વંશજોને સહાય કરી છે.

તમે જે મિદ્યાન સાથે વ્યવહાર કર્યો હતો, કીશોન નદી પર સીસરા તથા યાબીન સાથે;
    તેવોજ વ્યવહાર તમે તેઓની સાથે કરો.
10 એન-દોરમાં તેઓ નાશ પામ્યા,
    અને ભૂમિ મૃતદેહોના કહોવાણથી ફળદ્રુપ થઇ.
11 જેમ ઓરેબ તથા ઝએબ મૃત્યુ પામ્યા, તેમ તેઓના સર્વ શૂરવીરો મૃત્યુ પામો;
    સર્વ અધિકારીઓના હાલ ઝેબાહ તથા સાલ્મુન્ના જેવા થાઓ.
12 તેઓએ કહ્યું, ચાલો આપણે પોતાને માટે
    દેવના નિવાસસ્થાનને કબજે કરીએ.
13 હે મારા દેવ, તેઓને વંટોળિયાની ધૂળ જેવા;
    અને પવનથી ઊડતાં ફોતરાં જેવા કરો.
14 જેમ અગ્નિ જંગલોને ભસ્મ કરે છે,
    અને આગ પર્વતોને સળગાવે તેમ વિનાશ કરો.
15 તમારા વંટોળિયાઓ અને તોફાનોથી
    તેમનો પીછો કરો અને તેમને ડરાવો.
16 તેઓ લજ્જિત થઇ પોતાનાં મુખ સંતાડે તેમ કરો.
    હે યહોવા, તેઓ તમારું નામ શોધે.
17 તેઓ હંમેશા લજ્જિત થાઓ, અને ગૂંચવાઇ જાઓ;
    તેઓ અપમાનિત થાઓ અને નાશ પામો.
18 જેથી તેઓ જાણે કે તમારું નામ છે,
    “યહોવા” છે અને તમે એકલાં જ સમગ્ર પૃથ્વી પર પરાત્પર દેવ છો.

ગીતશાસ્ત્ર 42-43

ભાગ બીજો

(ગીત 42–72)

નિર્દેશક માટે. કોરાહનાં કુટુંબઓનું માસ્કીલ.

હરણ જેમ પાણીના ઝરણાં માટે તલપે છે,
    તેમ હે યહોવા, હું તમારા માટે તલપું છું.
મારો આત્મા જીવતા દેવ માટે તરસે છે.
    હું મારી જાતને એમની સમક્ષ ક્યારે હાજર કરી શકીશ?
મારા આંસુ રાત દિવસ મારો ભોજન થયા છે.
    શત્રુ મહેણા મારે છે, “તારા દેવ ક્યાં છે?”

હે મારા આત્મા, તે સમય કયાંથી વીસરી શકાય?
    ઉત્સવના દિવસોમાં હું મોટા લોકસમુદાયમાંથી પસાર થયો,
જેઓ આનંદથી યહોવાના સ્તુતિગીતો ગાતા હતાં
    અને હું સૌને એક સાથે દેવના મંદિરમાં દોરી જતો હતો.
એનું સ્મરણ કરતાં, મારું હૃદય ભાંગી જાય છે.

હે મારા આત્મા, તું ઉદાસ કેમ થયો છે?
    તું આટલો અસ્વસ્થ અને વ્યાકુળ કેમ થયો છે?
દેવની મદદ માટે રાહ જો!
    તેમની કૃપા અને મદદ માટે હું હજી
    પણ તેમની પ્રાર્થના કરીશ.
હે મારા દેવ, મારો આત્મા નિરાશ થયો છે.
    તેથી હું તમારી કૃપાનું મિઝાર પર્વત પરથી જયાં હેમોર્ન પર્વત
    અને યર્દન નદી મળે છે ત્યાંથી હું સ્મરણ કરું છું.
ઘરતીના ઊંડાણનું પાણી ભાંગી ને
    ઘોઘમાં પડવાનો અવાજ મને સંભળાય છે.
તમારા બધા મોજાઓ
    અને મોટા મોજાઓ મારા પર ફરી વળ્યાઁ છે.

અને છતાં યહોવા મારા માટે તેમનો સાચો પ્રેમ પ્રતિદિન દર્શાવે છે.
    અને રોજ રાત્રે હું તેમના સ્તુતિગીત ગાઉં છું, એટલે મારા જીવનદાતા દેવની પ્રાર્થના કરું છું.
દેવ મારા ખડક છે, હું તેમને કહીશ કે,
    “તમે કેમ મને ભુલી ગયા? મને કેમ તજી દીધો છે?
    શા માટે શત્રુઓના જુલમ મારે સહન કરવા પડે?”
10 તારો દેવ ક્યાં છે એમ મશ્કરીમાં રોજ પૂછીને
    મારા શત્રુઓના મહેણાં મારા હાડકાં ને કચરી નાખે છે.

11 હે મારા આત્મા, શા માટે તું આટલો દુ:ખી છે?
    તું શા માટે આટલો અસ્વસ્થ અને વ્યાકુળ બની ગયો છે?
દેવની મદદ માટે રાહ જો!
    જે મારા મુખનું તારણ તથા મારો દેવ છે,
    તેનું હું હજી સ્તવન કરીશ.

હે દેવ, મારો ન્યાય કરો, અને મને નિર્દોષ પુરવાર કરો.
    અને જે તમારો સંનિષ્ઠ અનુયાયી નથી તેવાથી મને બચાવો,
    તેવા ઠગ અને છેતરપીંડી કરનારા માણસથી મને બચાવો.
કારણ, હે દેવ, તમે મારું સાર્મથ્ય છો.
    તમે મને શા માટે તજી દીધો?
દુશ્મનોની ક્રૂરતાને લીધે
    હું શોક કરતો ફરૂં છું.
હે યહોવા, તમારું સત્ય અને પ્રકાશ પ્રગટ કરો;
    જેથી હું માર્ગદર્શન મેળવું અને તેઓ મને તમારા પવિત્ર પર્વતમાં તથા તમારા મંડપમાં લાવે.
તમે મારા અતિઆનંદ છો,
    તમારી વેદી પાસે હું જઇશ,
અને હે દેવ, મારી વીણા સાથે
    હું તમારી આભારસ્તુતિ ગાઇશ.

હે મારા આત્મા, તું શા માટે આટલો બધો ઉદાસ છે?
    તું શા માટે બેચેન છે?
દેવની મદદની રાહ જો, જે મારા મુખનું તારણ
    તથા મારા દેવ છે હજી હું તેની કૃપા
    અને મદદ માટે પ્રાર્થના કરીશ.

ગીતશાસ્ત્ર 85-86

નિર્દેશક માટે. કોરાહના દીકરાઓનું એક સ્તુતિગીત

હે યહોવા, તમારા દેશ પર તમે તમારી કૃપા દર્શાવી છે.
    અને તમે યાકૂબના બંદીઓને આ દેશમાં પાછા મોકલી આપ્યા છે.
તમારા લોકોના પાપો તમે માફ કર્યા છે;
    અને તમે તેઓનાઁ બધા પાપોનું પ્રાયશ્ચિત કર્યુ છે.

તેથી હવે તમારા કોપનો ભસ્મ
    કરનારા ક્રોધનો અંત આવ્યો છે.
હે મારા દેવ, અમારા તારનાર, તમારા પર પ્રેમ કરવામાં તમે અમને સંસ્થાપિત કરો.
    જેથી ફરી કદી તમારે અમારા ઉપર ક્રોધીત ન થવું પડે.
શું તમે સદા અમારા પર કોપાયમાન રહેશો?
    શું તમારો કોપ પેઢી દર પેઢી લંબાવાશે?
હે યહોવા, અમને પુન:પ્રસ્થાપિત કરો જેથી અમે,
    તમારા લોકો ફરી તમારામાં આનંદ પામીએ.
તમારો પ્રેમ અને દયા, અમારા ઉપર રેડી દો.
    અને અમને તમારું તારણ પમાડો.

યહોવા દેવ જે કહે છે તે હું કાળજી પૂર્વક સાંભળુ છું.
    યહોવા તેના લોકોને અને તેના વફાદાર અનુયાયીઓને શાંતિનું વચન આપે છે;
    પરંતુ તેઓ તેમની મૂર્ખાઇ તરફ ચોક્કસ પાછા ન વળે.
જેઓ તેમનો ભય રાખે છે તેમને દેવનું તારણ છે.
    બહુ જલદી અમારી ભૂમિ પર અમે માન પૂર્વક રહીશું.
10 કૃપા અને સત્યતા એકબીજાની સાથે મળેલી છે;
    ન્યાયીપણાએ તથા શાંતિએ એકબીજાને ચુંબન કર્યુ છે.
11 પૃથ્વીમાંથી સત્ય ઉપર ઉંચે જાય છે.
    અને ન્યાયીપણું આકાશમાંથી વરસશે.
12 હા, યહોવા “કલ્યાણ” આપશે;
    અને આપણો દેશ મબલખ પાક ઉપજાવશે.
13 તેમનું ન્યાયીપણું આગળ ચાલશે,
    અને તેમનાં પગલા માટે માર્ગ તૈયાર કરે છે.

દાઉદની પ્રાર્થના.

હે યહોવા, મને ધ્યાનથી સાંભળો અને મને ઉત્તર આપો;
    કારણ કે હું નિર્ધન તથા અસહાય છું.
મારા જીવનની રક્ષા કરો,
    કારણ હું તમારો વફાદાર અનુયાયી છું, હે મારા દેવ,
    તમારા પર આસ્થા રાખનાર સેવકને બચાવો.
હે યહોવા, મારા પર દયા કરો,
    કારણ; આખો દિવસ હું તમારી સમક્ષ પોકાર કરું છું.
હે યહોવા, તમારા સેવકને આનંદ આપો;
    હે પ્રભુ, હું મારું જીવન તારા હાથમાં સોંપુ છું.
હે પ્રભુ, તમે ઉત્તમ; અને ક્ષમા કરનાર છો.
    સહાયને માટે તમને પ્રાર્થના કરનારા પર તમે બંધનમુકત પ્રેમ દર્શાવો.
હે યહોવા, મારી પ્રાર્થના સાંભળો;
    મારી કૃપા માટેની પ્રાર્થના સાંભળો.
મારા સંકટના ટાણે હું તમને પોકાર કરીશ,
    ને મને ખાતરી છે કે તમે મને ઉત્તર આપશો.
હે યહોવા, અન્ય દેવોમાં તમારા જેવો દેવ કોઇ નથી;
    અને તમારા જેવા પરાક્રમો પણ કોઇનાઁ નથી.
હે યહોવા, તમે જે રાષ્ટ્રોનું સર્જન કર્યુ છે તે બધાં આવીને તમને પ્રણામ કરશે;
    અને તેઓ તમારા નામનો મહિમા ગાશે.
10 કારણ તમે મહાન દેવ છો, અને અદૃભૂત ચમત્કારના કરનાર છો;
    તમે જ એકલાં દેવ છો.
11 હે યહોવા, તમે તમારા માર્ગ શીખવો;
    અને હું તે માર્ગ પર ચાલીશ અને સત્યનું પાલન કરીશ,
તમારા નામનો આદર કરવાને
    મારા હૃદયને એકાગ્ર કરો.
12 હે પ્રભુ, મારા દેવ, મારા પૂર્ણ અંત:કરણથી હું તમારી સ્તુતિ કરીશ;
    અને હું તમારા નામને સર્વદા મહિમા આપીશ.
13 કારણ, મારા પર તમારી અનહદ કૃપા છે;
    તમે શેઓલનાં ઊંડાણથી મારી રક્ષા કરી છે.
14 હે દેવ ઘમંડી અને ઉદ્ધત માણસો મારી સામા થયા છે;
    અને ક્રૂર અને દુષ્ટ માણસો મારો સંહાર કરવા માટે
    મારી પાછળ પડ્યાં છે તેઓ તમારું સન્માન કરતાં નથી.
15 પણ, હે પ્રભુ, તમે તો દયાને કરુણાથી ભરપૂર છો;
    તમે ક્રોધ કરવામાં ધીમા પણ નિરંતર કૃપા અને સત્યતાથી ભરપૂર છો.
16 મારી તરફ ફરો, ને મારા પર દયા કરો;
    તમારા આ દાસને તમારું સાર્મથ્ય આપો.
    મારી રક્ષા કરો, હું તમારો વફાદાર પુત્ર છું.
17 તમારી ભલાઇ ચિન્હ મને આપો; મારા શત્રુઓ તે જોશે અને નિરાશ થશે,
    કારણ હે યહોવા એ તમે છો જેણે મને મદદ કરી છે,
    અને દિલાસો આપ્યો છે.

યર્મિયા 10:11-24

11 યહોવા કહે છે, અન્ય દેવોની પૂજા કરનારાઓને તમે આ પ્રમાણે કહેજો:
    “જેમણે આકાશ અને પૃથ્વીનું સર્જન કર્યું નથી,
    તેવા તમારા દેવો આકાશ તળેથી તથા પૃથ્વી પરથી નાશ પામશે.”

12 પરંતુ આપણા દેવે પોતાના સાર્મથ્યથી પૃથ્વીને ઉત્પન કરી,
    પોતાના ડાહપણથી પૃથ્વીને સ્થાપી,
    પોતાના કૌશલ્યથી આકાશને વિસ્તાર્યુ.
13 તોફાની વાદળોની ગર્જનાઓથી
    તેમના અવાજનો પડઘો પડે છે,
તે ધુમ્મસને પૃથ્વી પરથી ઊંચે ચઢાવે છે.
    જેથી વીજળીને ચમકાવીને વરસાદ વરસાવે છે
    અને પોતાના ભંડારમાંથી વાયુઓને મોકલે છે.

14 તેની સરખામણીમાં બધા માણસો મૂર્ખ
    અને અજ્ઞાની થઇ ગયા છે.
દરેક સોની પોતે બનાવેલી મૂર્તિ જોઇને શરમાઇ જાય છે,
    કારણ, એ બધી મૂર્તિઓ તો અસત્ય અને પ્રાણ વગરની છે,
15 નકામી છે, હાંસીપાત્ર છે.
    દેવ તેમને સજા કરશે
    ત્યારે તેઓ નેસ્તનાબૂદ થઇ જશે.
16 પણ યાકૂબનો દેવ એવો નથી;
    તે તો આખી સૃષ્ટિનો સર્જનહાર છે,
અને ઇસ્રાએલીઓને તે પોતાની પ્રજા ગણે છે.
    તેનું નામ “સૈન્યોનો દેવ યહોવા છે.”

વિનાશ આવી ગયો

17 યહોવા કહે છે, “તમારામાંના જેઓ ઉપર ઘેરો નાખવામાં આવ્યો છે,
તેઓ તમારો સામાન બાંધો
    અને હવે જવાને માટે તૈયાર રહો.”
18 કારણ કે તે એમ કહે છે કે,
“આ વખતે હું એકાએક તેમને આ દેશમાંથી બહાર ફેંકી દઇશ
    અને મોટી આપત્તિઓ નીચે એમને કચડી નાખીશ,
    એક પણ માણસ બચવા પામશે નહિ.”

19 લોકોએ કહ્યું, “અમારા ઘાની વેદના અસહ્યં છે,
    તે ઘા કદી રૂજાય તેમ નથી, અમે વિચાર્યુ કે;
આતો ફકત એક બિમારી જ છે
    અને અમે આ સહન કરી શકીશું.”
20 પણ અમારો તંબુ હતો ન હતો થઇ ગયો છે,
    એનાં દોરડાં તૂટી ગયા છે;
અમારા પુત્રો અમને છોડીને ચાલ્યા ગયા છે;
    એક પણ રહ્યો નથી;
અમારો તંબુ ફરી ઊભો કરનાર
    કે એના પડદા બાંધનાર કોઇ નથી!
21 આનુ કારણ મારા લોકોના ઘેટાંપાળકો ભાન ભૂલી ગયા છે;
    તેઓ યહોવાને અનુસરતા નથી તેથી સફળ થતા નથી.
અને તેમના બધા લોકો ઘેટાંઓના ટોળાની
    જેમ વેરવિખેર થઇ ગયા છે.
22 સાંભળો, ઉત્તર તરફથી આવતાં મોટાં સૈન્યોનો ભયંકર અવાજ સાંભળો,
    તેઓ યહૂદિયાના નગરોને શિયાળવાની
    કોતરોમાં ફેરવી નાખશે.

23 હે યહોવા, હું જાણું છું કે માણસનું ભાગ્ય એના હાથની વાત નથી.
    તે પોતાનો જીવનમાર્ગ નક્કી કરી શકતો નથી.
24 તેથી હે યહોવા, તમે અમને સાચે માર્ગે વાળો.
    અમને પ્રમાણસર શિક્ષા કરો,
રોષમાં આવીને નહિ,
    નહિ તો અમે હતા ન હતા થઇ જઇશું.

રોમનો 5:12-21

આદમ અને ખ્રિસ્ત

12 એક માણસના (આદમના) લીધે આ જગતમાં પાપ પેઠું. પાપ દ્વારા મૃત્યુ પણ આવ્યું. આ જ કારણે સૌ લોકોને મરવું જ પડશે-કેમકે સઘળાએ પાપ કર્યું છે. 13 મૂસાના નિયમશાસ્ત્ર અગાઉ આ દુનિયામાં પાપનું અસ્તિત્વ હતું. પરંતુ જ્યાં સુધી કોઈ નિયમશાસ્ત્ર જ ન હોય ત્યાં સુધી દેવ લોકોને પાપના અપરાધી ગણતો નથી. 14 પરંતુ આદમથી મૂસા સુધીના સમયગાળા દરમ્યાન સૌ લોકો મૃત્યુ પામ્યા હતા. દેવના આદેશનું ઉલ્લંઘન કરવાના પાપને કારણે આદમ મૃત્યુ પામ્યો હતો. પરંતુ જે લોકોએ આદમની જેમ પાપ કર્યા ન હતાં તેમને પણ મરવું પડ્યું.

આદમ ભવિષ્યમાં આવનાર ખ્રિસ્તની પ્રતિચ્છાયારૂપ હતો. 15 એક માણસના પાપના કારણે ઘણા લોકો મૃત્યુ પામ્યા. પરંતુ દેવે લોકો પર જે કૃપા કરી તે ઘણી વધારે હતી. પરંતુ ઘણા લોકોને જીવનદાન મળ્યું. જે એક માણસ એટલે ઈસુ ખ્રિસ્તની કૃપાથી ઘણાના ઉપર દેવની કૃપા તથા દાન થયાં છે, જેથી જેવું પાપ છે તેવું કૃપાદાન છે એમ નથી. 16 આદમે એક પાપ કર્યું કે તરત જ તેને અપરાધી ઠરાવવામાં આવ્યો. પરંતુ દેવની બક્ષિસની વાત તો કાંઈ જુદી જ છે. અનેક પાપો થયાં પછી દેવની બક્ષિસ મળી. એ બક્ષિસ તો એવી છે કે જે લોકોને દેવ સાથે ન્યાયી બનાવે છે. 17 એક માણસનાં પાપથી મરણે સઘળાં પર રાજ કર્યું, પણ હાલ કેટલાએક લોકો દેવની પૂર્ણ કૃપા મેળવે છે, અને દેવ સાથે ન્યાયી થવાની ભેટ મેળવે છે. હજુ પણ આ લોકો ઈસુ ખ્રિસ્ત દ્વારા ખૂબ ખાતરીપૂર્વક ખરું જીવન મેળવશે.

18 આમ આદમનું એક જ પાપ સર્વ માણસો માટે મૃત્યુદંડ લાવ્યું. પરંતુ એ જ રીતે ખ્રિસ્તે એક જ ન્યાયી કૃત્યને કારણે બધા લોકોને દેવ સાથે ન્યાયી ઠેરવ્યા. 19 એક માણસે દેવના આદેશનું ઉલ્લંઘન કર્યું અને તેના પરિણામે અનેક લોકો પાપમાં પડ્યા. પરંતુ એ જ રીતે એક માનવે દેવનો આદેશ પવિત્ર અને ધાર્મિક રીતે પાળી બતાવ્યો. અને તેના પરિણામે અનેક લોકો દેવ સાથે ન્યાયી બનશે. 20 લોકો વધારે પાપ કરે તે માટે નિયમશાસ્ત્ર દાખલ કરવામાં આવ્યો હતો. પરંતુ જેમ જેમ લોકો વધુ ને વધુ પાપ કરતા ગયા, તેમ તેમ દેવ વધુ ને વધુ કૃપા કરવા લાગ્યો. 21 પાપ શસ્ત્ર તરીકે મૃત્યુનો ઉપયોગ કરતું હતું. દેવે લોકો પર પુષ્કળ દયા કરી તેથી દેવની કૃપાનું શાસન થશે અને પ્રભુ ઈસુ દ્વારા લોકો ન્યાયી ઠરશે. આમ આપણા પ્રભુ ઈસુ દ્વારા અનંતકાળનું જીવન મળશે.

યોહાન 8:21-32

યહૂદિઓ ઈસુ વિષે સમજતા નથી

21 ફરીથી ઈસુએ લોકોને કહ્યું, “હું તમને છોડીશ. તમે મારી શોધ કરશો, પણ તમે તમારા પાપ સાથે મૃત્યુ પામશો. હું જ્યાં જાઉં છું, ત્યાં તમે આવી શકશો નહિ.”

22 તેથી યહૂદિઓએ તેમની જાતે પૂછયુ, “તમે ધારો છો કે ઈસુ આત્મહત્યા કરશે? તો પછી આ બાબત હોવી જોઈએ. કારણ કે તેણે કહ્યું, ‘હું જ્યાં જાઉં છું ત્યાં તમે આવી શકશો નહિ’?”

23 પણ ઈસુએ પેલા યહૂદિઓને કહ્યું, “તમે નીચેની દુનિયાના છો, હું ઉપરની દુનિયાનો છું. તમે આ દુનિયાના છો, હું આ દુનિયાનો નથી. 24 તેથી મેં તમને કહ્યું છે કે તમે તમારા પાપોમાં મૃત્યુ પામશો. હા, હું (તે) છું એવો તમે વિશ્વાસ નહિ કરો તો તમે તમારાં પાપોમાં મૃત્યુ પામશો.”

25 યહૂદિઓએ પૂછયું, “તો પછી તું કોણ છે?”

ઈસુએ ઉત્તર આપ્યો, “મેં તમને શરુંઆતથી જે કહ્યું છે તે હું છું. 26 મારી પાસે તમારા વિષે કહેવાની ઘણી બાબતો છે. હું તમારો ન્યાય કરી શકું છું તો પણ જેણે મને મોકલ્યો છે અને મેં તેની પાસેથી જે વાતો સાંભળી છે તે જ ફક્ત હું લોકોને કહું છું અને તે સત્ય કહું છું.”

27 ઈસુ કોના વિષે વાત કરતો હતો તે લોકો સમજતા ન હતા. ઈસુ તેઓને પિતા (દેવ) વિષે વાત કરતો હતો. 28 તેથી ઈસુએ લોકોને કહ્યું, “તમે માણસના દીકરાને ઊચો કરશો (મારી નાખશો) પછી તમે હું તે જ છું તે તમે જાણી શકશો અને હું મારી પોતાની જાતે કઈ કરતો નથી પણ જેમ પિતાએ જે મને શીખવ્યું છે, તેમ હું એ વાતો તમને કહું છું. 29 જેણે (દેવે) મને મોકલ્યો છે તે મારી સાથે છે. તેને જે ગમે છે તે હું હમેશા કરું છું. તેથી તેણે મને એકલો છોડ્યો નથી.” 30 જ્યારે ઈસુ આ વાતો કહેતો હતો ત્યારે, ઘણા લોકોએ તેનામાં વિશ્વાસ મૂક્યો હતો. ઈસુ પાપમાંથી છુટકારા વિષે વાત કરે છે.

પાપ વિષે ચેતવણી

31 તેથી જે યહૂદિઓએ તેનામાં વિશ્વાસ મૂક્યો હતો તેઓને ઈસુએ કહ્યું, “જો તમે મારા બોધને માનવાનું ચાલુ રાખશો તો પછી તમે મારા સાચા શિષ્યો છો. 32 પછી જ તમને સત્ય સમજાશે અને સત્ય તમને મુક્ત કરશે.”

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International