Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 146-147

યહોવાની સ્તુતિ કરો.
    હે મારા આત્મા યહોવાની સ્તુતિ કર.
મારા જીવન પર્યંત હું યહોવાની સ્તુતિ કરીશ;
    મારા જીવનનાં છેલ્લા શ્વાસ સુધી હું તેમનાં સ્તુતિગીતો ગાઇશ.
તમે રાજાઓ કે માણસોનો ભરોસો ન રાખો,
    કારણકે તેમની પાસે તારણ નથી.
તેનો પ્રાણ તેમને છોડી જાય છે,
    અને તેમનું શરીર ધૂળમાં પાછું મળી જાય છે;
    અને તેમની બધી યોજનાઓ નકામી જાય છે.
જે માણસને સહાય કરનાર યાકૂબના દેવ છે;
    અને જેની આશા તેના દેવ યહોવામાં છે; તે આશીર્વાદિત છે.
યહોવાએ પૃથ્વી તથા આકાશો,
    સમુદ્રો તથા તેમાંના સર્વસ્વનું સર્જન કર્યુ છે,
તે પોતાના પ્રત્યેક વચનનુઁ પાલન કરે છે.
તે કચડાયેલાઓનો ન્યાય જાળવી રાખે છે,
    તે ભૂખ્યાઓને અનાજ પૂરું પાડે છે.
યહોવા કેદીઓને મુકત કરાવે છે.
    યહોવા આંધળાને દેખતાઁ કરે છે;
યહોવા ભારે બોજથી દબાયેલાઓનો બોજો હલકો કરે છે,
    કારણકે યહોવા ન્યાયી માણસને પ્રેમ કરે છે.
યહોવા નિરાશ્રિતોનું રક્ષણ કરે છે;
    અને અનાથો તથા વિધવાઓની કાળજી લે છે;
    પણ દુષ્ટોની યોજનાઓને ઊંધી વાળે છે.
10 યહોવા સદાકાળ રાજ કરશે, હે સિયોન,
    તમારા દેવ પેઢી દર પેઢી રાજ કરશે.

યહોવાની સ્તુતિ થાઓ!

તે ભલા છે માટે યહોવાની સ્તુતિ થાઓ.
    આપણા દેવનાં સ્તુતિગીતો ગાઓ.
    કારણકે તે સારું અને ગમતું છે.
યહોવા યરૂશાલેમને બાંધે છે;
    તે ઇસ્રાએલી લોકો જેઓ બંદીવાન બનાવાયા હતાં તેઓને ભેગા કરશે અને પાછા લાવશે.
હૃદયભંગ થયેલાઓને તે સાજાઁ કરે છે;
    અને તે તેઓના ઘા રૂઝવે છે અને પાટા બાંધે છે.
તે તારાઓની ગણતરી કરે છે;
    અને તેઓને નામ દઇને બોલાવે છે.
આપણા પ્રભુ કેવા મહાન છે!
    તેમના સાર્મથ્યનો પાર નથી!
    તેમના જ્ઞાનની કોઇ સીમા નથી.
યહોવા નમ્રજનોને આધાર આપે છે;
    પરંતુ દુષ્ટોને અપમાનિત કરે છે.
યહોવાએ કરેલા ઉપકારો માટે તેમનો આભાર માનો;
    આપણા યહોવાના સિતાર સાથે સ્તોત્રગીત ગાઓ.
તે આકાશને વાદળોથી ઢાંકે છે;
    પૃથ્વીને માટે તે વરસાદ તૈયાર કરી રાખે છે;
    તે પહાડો પર ઘાસ ઉગાડે છે.
પશુઓને તેમજ પોકાર કરતાં કાગડાનાં બચ્ચાંને
    પણ તે જ ખોરાક આપે છે.
10 દેવની ખુશી યુદ્ધના ઘોડાઓની શકિતમાં
    અને બળવાન સૈનિકોમાં નથી.
11 પણ જેઓ તેમનો ભય રાખે છે;
    ને યહોવાની કૃપા માટે વાટ જુએ છે;
    તેથી યહોવા ખુશ રહે છે.
12 હે યરૂશાલેમ, તમે યહોવાની સ્તુતિ કરો;
    હે સિયોન, તમારા દેવની સ્તુતિ કરો.
13 કારણ, તેમણે તારા સર્વ શત્રુઓ વિરુદ્ધ, તારા દરવાજાઓને સુરક્ષિત કર્યા છે.
    અને તારા કુળના સર્વ સંતાનોને આશીર્વાદિત કર્યા છે.
14 તે તમારા સમગ્ર દેશમાં શાંતિ સ્થાપે છે;
    અને તે તારા કોઠારોને અનાજથી ભરપૂર કરે છે.
15 તે પોતાની આજ્ઞા પૃથ્વી પર મોકલે છે;
    અને તેનું વચન અતિ વેગથી દોડે છે.
16 તે જમીનને ઢાંકવા સફેદ ઊન જેવો બરફ મોકલે છે
    અને ધૂળ જેવી હવામાંથી બરફનાં કરાંની વૃષ્ટિ કરે છે.
17 તે આકાશમાંથી પથ્થરની જેમ પડતાં કરા મોકલે છે
    અને તેણે મોકલેલી ટાઢ આગળ કોણ ઊભું રહી શકે?
18 તે પોતાનું વચન મોકલીને તેમને ઓગળાવે છે;
    તે પોતાના પવનને ફૂંકાવાની આજ્ઞા કરે છે;
    અને સર્વ નદીઓમા પાણી વહેતાં થાય છે.

19 દેવે યાકૂબને તેમના વચન આપ્યા,
    તેમણે તેમના વિધિઓ અને નિયમો પણ ઇસ્રાએલને આપ્યા.
20 અન્ય કોઇ પ્રજા સાથે તેમણે આ પ્રમાણે કર્યુ નથી;
    અન્ય પ્રજાઓએ તેમની આજ્ઞાઓ જાણી નથી.

યહોવાની સ્તુતિ થાઓ.

ગીતશાસ્ત્ર 111-113

યહોવાની સ્તુતિ કરો!

ન્યાયીઓની સભામાં અને મંડળીઓમાં
    હું ખરા હૃદયથી યહોવાનો આભાર માનીશ.
યહોવાના કાર્યો મહાન છે;
    લોકોને જે સારી વસ્તુઓ જોઇએ છે જે દેવ પાસેથી આવે છે.
તેના કાર્યો તેજસ્વી અને અદ્ભૂત છે.
    અને તેની નિષ્પક્ષતા સદાકાળ ટકે છે.
દેવે તેના ચમત્કારોને અવિસ્મરણીય સ્મૃતિ બનાવી દીધાં છે.
    યહોવા દયાળુ અને કૃપાથી ભરપૂર છે.
તે તેના અનુયાયીઓને ખોરાક પૂરો પાડે છે,
    અને તે પોતાના વચનોને કદી ભૂલતા નથી.
તેણે તેના લોકોને બીજા રાષ્ટ્રોની જમીન આપી છે.
    અને આ રીતે તેમને તેના સાર્મથ્યભર્યા કૃત્યો દેખાડ્યા છે.
તેમણે જે કાંઇ કર્યુ છે તેમાં સત્યતા અને ન્યાય છે;
    તેમની સર્વ આજ્ઞાઓ વિશ્વાસ યોગ્ય છે.
કારણ, આ નિયમો સત્યમાંથી અને વિશ્વાસુપણામાંથી ઉદૃભવ્યા છે;
    તેઓ સદાને માટે અચળ છે.
દેવે તેના લોકોને ઉદ્ધાર મોકલ્યો છે, અને તેમણે તેઓની સાથે એક સનાતન કરાર બનાવ્યો છે.
    તેમનું નામ પવિત્ર તથા ભયાવહ છે.
10 દેવ માટે માન અને ડરથી ડહાપણ શરૂ થાય છે.
    જે લોકો તેના આદેશોનું પાલન કરે છે તેઓ ડાહ્યા છે.
    તેના માટે સદાય સ્તુતિના ગાન ગવાતા રહેશે.

યહોવાની સ્તુતિ થાઓ!

જે યહોવાનો ડર રાખે છે અને માન આપે છે તેને ધન્ય છે.
    અને જેઓ ખુશીથી તેની આજ્ઞાને અનુસરે છે તેઓ આશીર્વાદિત છે.
તેઓનાં સંતાન પૃથ્વી પર બળવાન થશે;
    અને ન્યાયીઓના વંશજો સાચા અર્થમાં આશીર્વાદ પામશે.
તેમના ઘરમાં ધનદોલતની વૃદ્ધિ થશે;
    અને તેમનું ન્યાયીપણુ કદી વિસરાશે નહિ.
સારા લોકો માટે અંધકારમાં પ્રકાશ પ્રગટ થાય છે;
    તેઓને માટે દેવ ભલા, દયાળુ અને કૃપાળુ છે.
વ્યકિત માટે દયાળુ અને ઉદાર થવું તે સારું છે,
    વ્યકિત માટે એ તેના બધાં વ્યવહારમાં ન્યાયી રહેવું તે સારું છે.
તે વ્યકિત કદી પડશે નહિ
    તેથી સારા માણસનું સ્મરણ સર્વકાળ રહેશે.
તે ખરાબ સમાચારથી ડરતો નથી;
    અને શું થશે તેની પણ ચિંતા કરતો નથી તે દેવ પર ભરોસો રાખી દ્રઢ રહે છે.
તેનું અંત:કરણ શાંત અને સ્થિર રહે છે;
    તેથી તે ડરશે નહિ. શત્રુઓ પર જીત મેળવશે.
તેણે ઉદારતાથી નિર્ધનોની મદદ કરી છે,
    અને તેનું ન્યાયીપણું સર્વકાળ ટકે છે;
    અને તે મોટું સન્માન પ્રાપ્ત કરશે.
10 જ્યારે દુષ્ટો આ જોશે ત્યારે ગુસ્સે થશે,
    તેઓ ક્રોધમાં પોતાના દાંત પીસશે;
    અને દુબળા થઇ જશે એમ દુષ્ટોની યોજનાઓ નિષ્ફળ જશે.

યહોવાની સ્તુતિ કરો!

હે યહોવાના સેવકો, સ્તુતિ કરો,
    યહોવાના નામની સ્તુતિ કરો.
યહોવાનું નામ આ સમયથી
    તે સર્વકાળ સુધી સ્તુત્ય થાઓ.
સૂર્યોદયથી તે સૂર્યાસ્ત સુધી
    યહોવાના નામની સ્તુતિ કરો.
યહોવા સર્વ પ્રજાઓ પર સવોર્પરી અધિકારી છે;
    અને તેનું ગૌરવ આકાશો કરતાં મોટું છે.
આપણા દેવ યહોવા જેવો છે કોણ?
    જે ઉચ્ચસ્થાનમાં પોતાનું રહેઠાણ રાખે છે.
આકાશો ને પૃથ્વીથી યહોવા ઘણા ઊંચા છે.
    પોતાને નીચા નમાવે છે, તેથી તેને જોવા તેમણે નીચું જોવુ પડે.
રાંકને ધૂળમાંથી તે ઉઠાવી લે છે;
    અને ભૂખ્યાઓને કચરાનાં ઢગલામાંથી.
અને બેસાડે છે પોતાના લોકોને અમીર ઉમરાઓ સાથે;
    રાજકુમારોની મધ્યે.
તે નિ:સંતાન સ્રી ને સંતાન આપે છે;
    અને સુખી થશે માતા!

યહોવાની સ્તુતિ થાઓ.

અયૂબ 38:1-11

યહોવાએ આપેલો જવાબ

38 પછી યહોવાએ વંટોળિયામાંથી અયૂબને જવાબ આપતાં કહ્યું કે,

“મૂર્ખતાથી ઇશ્વરી ઘટનાને પડકારનાર
    આ વ્યકિત કોણ છે?”
તારી કમર બાંધ; કારણકે હું તને પૂછીશ,
    અને તું મને જવાબ આપીશ, જવાબ આપવાનો તારો વારો છે.

“જ્યારે મેં પૃથ્વીના પાયા નાખ્યા ત્યારે તું ક્યાં હતો?
    તું બહુ સમજે છે તો એ તો કહે કે
પૃથ્વીને ઘડવા માટે એનાં તોલમાપ કોણે નક્કી કર્યા હતાં?
    દુનિયાને એક માપરેખાથી કોણે માપી હતી?
એના મજબૂત પાયાં શાના ઉપર નાંખવામાં આવ્યા છે?
    તેની જગ્યામાં પહેલો પથ્થર કોણે મૂક્યો?
પ્રભાતના તારાઓએ સાથે ગીત ગાયું
    અને દેવદૂતોએ જ્યારે તે થઇ ગયું ત્યારે આનંદથી બૂમો પાડી!

“સમુદ્રને પૃથ્વીના ઊંડાણમાંથી ધસી આવતા
    રોકવા દરવાજાઓ કોણે બંધ કર્યા હતા?
વાદળાં અને ગાઢ અંધકારરૂપી
    વસ્રો મેં તેને પહેરાવ્યેં.
10 મે તેની બાજુઓની હદ બનાવી
    અને બંધ દરવાજાઓની સીમાઓ પાછળ તેને મૂકી.
11 મે સમુદ્રને કહ્યું, ‘તું અહીં સુધી ગતિ કરજે, અહીંથી આગળ ઉલ્લંઘન કરીશ નહિ.
    તારા પ્રચંડ મોજા અહીં અટકી જશે.’

અયૂબ 42:1-5

અયૂબનો જવાબ

42 ત્યારે અયૂબે યહોવાને જવાબ આપતાં કહ્યું કે:

“હું જાણું છું કે તું ધારે તે બધુંજ કરી શકે છે.
    તને કોઇ અટકાવી શકે તેમ નથી.
યહોવા તેં આ પ્રશ્ર્ન પૂછયો: ‘આવી મૂર્ખ બાબતો બોલવાવાળો આ કોણ છે?’
    મેં એવી ઘણી બાબતોની વાત કરી જે હું સમજી શકતો નથી,
    મારા માટે અતિ અદૃભુત બાબતો જેને હું જાણતો નથી.

“તેં કહ્યું હતું કે, ‘સવાલ પૂછવાનો વારો મારો છે
    ને જવાબ આપવાનો વારો તારો છે.’
આજ સુધી મેં તારા વિષે પહેલા સાંભળ્યું જ હતું
    પરંતુ હવે મેં તને નજરે નિહાળ્યો છે.

પ્રકટીકરણ 19:4-16

પછી 24 વડીલો અને તે ચાર જીવતા પ્રાણીઓ નીચા નમ્યા. તેઓએ દેવની આરાધના કરી. જે રાજ્યાસન પર બેસે છે. તેઓએ કહ્યું કે:

“આમીન, હાલેલુયા!”

પછી રાજ્યાસનમાંથી એક વાણી આવી, તે વાણી એ કહ્યું કે:

“બધા લોકો જે તેની સેવા કરે છે, આપણા દેવની સ્તુતિ કરો.
તમે બધા લોકો નાના અને મોટા જે તેને માન આપો છો, દેવની સ્તુતિ કરો.”

પછી મેં જનસમૂહના અવાજના જેવું કંઈક સાંભળ્યું. તે પાણીના પૂરના જેવી અને ભારે ગર્જનાઓ જેવી વાણી હતી. લોકો કહેતા હતા કે:

“હાલેલુયા!
    આપણો પ્રભુ દેવ સર્વશક્તિમાન
    રાજ કરે છે.
આપણે આનંદ કરીએ અને ખુશ થઈએ અને દેવનો મહિમા ગાઇએ!
દેવને મહિમા આપીએ, કારણ કે હલવાન (ઈસુ) ના લગ્નનો દિવસ આવ્યો છે,
    હલવાનની કન્યા (મંડળી) તેની જાતે તૈયાર થઈ છે.
સુંદર શણનું વસ્ત્ર વધૂને તેણે પહેરવા માટે આપ્યું છે.
    તે શણનું વસ્ત્ર તેજસ્વી અને સ્વચ્છ છે.”

(તે સુંદર શણનું વસ્ત્ર સંતોના સત્કર્મો રૂપ છે. જે સારી વસ્તુઓ કરી છે તે.)

પછી તે દૂતે મને કહ્યું કે, “આ લખ: પેલા લોકો કે જેઓને હલવાનના લગ્નમાં ભોજન માટે નિમંત્રણ અપાયાં છે, તે લોકોને ધન્ય છે!” પછી તે દૂતે કહ્યું કે, “આ દેવના ખરાં વચનો છે.”

10 પછી હું દૂતના ચરણોમાં તેની આરાધના કરવા તેને પગે પડ્યો. પણ તે દૂતે મને કહ્યું કે, “મારી આરાધના ન કર. હું તો તારા જેવો અને તારા ભાઇઓ, જેઓની પાસે ઈસુનું સત્ય છે તેમના જેવો સેવક છું. કારણ કે ઈસુનું સત્ય પ્રબોધનો આત્મા છે, તેથી દેવની આરાધના કર.”

શ્વેત ઘોડા પરનો સવાર

11 પછી મેં ઊઘડેલું આકાશ જોયું. ત્યાં મારી આગળ એક શ્વેત ઘોડો હતો. ઘોડા પરનો સવાર વિશ્વાસુ તથા સાચો કહેવાય છે. તે તેના ન્યાયમાં તથા લડાઇ કરવામાં ન્યાયી છે. 12 તેની આંખો અગ્નિની જવાળા જેવી છે. તેના માથાં પર ઘણા મુગટ છે. તેના પર નામ લખેલું છે. પણ કેવળ તે જ એક છે જે નામ જાણે છે. 13 તેણે રક્તથી છંટાયેલો ઝભ્ભો પહેરેલો છે. તેનું નામ દેવનો શબ્દ છે. 14 આકાશનાં સૈન્યો તેની પાછળ આવતાં હતાં. તેઓ શ્વેત ઘોડાઓ પર સવારી કરતા હતા. તેઓ સ્વચ્છ શ્વેત અને શણનાં વસ્ત્રો પહેરેલા હતા. 15 એક અણીદાર બેધારી તલવાર સવારના મોંમાંથી બહાર આવી. તે આ તલવારનો ઉપયોગ રાષ્ટ્રોને હરાવવા માટે કરશે. તે લોઢાના દંડથી રાષ્ટ્રો પર શાસન કરશે. તે સર્વશક્તિમાન દેવના ભયંકર કોપનો દ્રાક્ષકુંડ ખૂંદે છે. 16 તેના ઝભ્ભા પર તથા તેની જાંધ પર આ નામ લખેલું હતું:

યોહાન 1:29-34

ઈસુ દેવનું હલવાન

29 બીજે દિવસે યોહાને ઈસુને તેના તરફ આવતો જોયો. યોહાને કહ્યું, “જુઓ દેવનું હલવાન, જે જગતના પાપોને દૂર કરે છે! 30 આ તે જ છે જેના વિષે મેં કહ્યું હતું, ‘એક મનુષ્ય મારી પાછળ આવશે. પણ તે મારા કરતાં મોટો છે, કારણ કે તે મારા પહેલાથી જીવે છે. તે સદાકાળ જીવંત છે.’ 31 જો કે મને ખબર ન હતી કે તે કોણ હતો. પણ હું લોકોને પાણીથી બાપ્તિસ્મા આપવા આવ્યો છું કે જેથી ઈસ્રાએલ (યહૂદિઓ) જાણી શકે કે ઈસુ તે જ ખ્રિસ્ત છે.”

32-34 પછી યોહાને કહ્યું, “હું પણ જાણતો નહોતો કે ખ્રિસ્ત કોણ હતો. પરંતુ દેવે મને લોકોનું પાણીથી બાપ્તિસ્મા કરવા મોકલ્યો અને દેવે મને કહ્યું, ‘તું જે માણસ પર આત્માને નીચે ઉતરતો અને રહેતો જોશે, તે માણસ પવિત્ર આત્માથી બાપ્તિસ્મા કરશે.’ યોહાને કહ્યું, મેં આમ થતાં જોયું છે. મેં આત્માને આકાશમાંથી નીચે આવતો જોયો. આત્મા કબૂતર જેવો દેખાયો અને તેના (ઈસુ) પર તે બેઠો. તેથી હું લોકોને કહું છું, ‘તે આ છે. તે (ઈસુ) દેવનો દીકરો છે.’”

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International