Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 102

એક ગરીબ માણસની પ્રાર્થના. જ્યારે તે દુ:ખી હોય છે ત્યારે તે દેવને ફરિયાદ કરે છે.

હે યહોવા, મારી પ્રાર્થના સાંભળો;
    મારા પોકારને કાન પર આવવા દો.
મારા સંકટને દુ:ખના સમયમાં તમે મારાથી મુખ અવળું ના ફેરવો;
    કાન ધરીને તમે મને સાંભળો અને તમે મને જલ્દી ઉત્તર આપો.
કારણ, મારા દહાડા; ધુમાડાની જેમ વીતી જાય છે,
    અને મારા હાડકાં ખોયણાની જેમ બળે છે.
મારું હૃદય તો ઘાસના જેવું કપાયેલું અને ચીમળાયેલું છે;
    તે એટલે સુધી કે રોટલી ખાવાનું પણ હું ભુલી જાઉં છું.
મારા ઘેરા વિષાદ ને નિસાસાને કારણે ફકત ચામડીથી
    ઢંકાયેલા હાડપિંજર જેવો હું થઇ ગયો છું.
હું દૂરના રણનાં ઘુવડ જેવો થઇ ગયો છું;
    વિધ્વંસની વચ્ચે જીવતા એક ઘુવડ જેવો.
હું જાગતો પડ્યો રહું છું,
    છાપરે બેઠેલી એકલવાયી ચકલીના જેવો થઇ ગયો છું.
મારા શત્રુ આખો દિવસ મને મહેણાઁ મારે છે;
    અને બીજાને શાપ દેવા મારા નામનો ઉપયોગ કરે છે.
રોટલીને બદલે હું રાખ ખાઉં છું;
    મારા આંસુ વહીને મારા પ્યાલામાં પડે છે.
10 તે તમારા રોષ તથા કોપને કારણે છે;
    કેમકે તમે મને ઊંચો કરી નીચે ફેંકી દીધો છે.

11 મારા દિવસો નમતી છાયા જેવા છે;
    ઘાસની જેમ હું કરમાઇ ગયો છું.
12 પરંતુ હે યહોવા, તમે સદાકાળ શાસન કરશો!
    પેઢી દર પેઢી સુધી તમે યાદ રહેશો.
13 મને ખબર છે; તમે ચોક્કસ આવશો અને તમે સિયોન પર તમારી કૃપા વરસાવશો.
    તમારા વચન પ્રમાણે, મદદ કરવાનો અને તેના પર કૃપા વરસાવવાનો આજ સમય છે.
14 કારણકે તમારા સેવકો તેની દીવાલનાં પ્રત્યેક પથ્થરને ચાહે છે,
    અને તેની શેરીઓની ધૂળ પ્રત્યે તેઓ મમતા ધરાવે છે.
15 પ્રજાઓ બીશે અને યહોવાના નામનો આદર કરશે,
    અને તેમના રાજાઓ તમારા ગૌરવનો આદર કરશે!
16 કારણ, યહોવા સિયોનને ફરીથી બાંધ્યું છે;
    અને તે તમારી સમક્ષ પોતાનાં સંપૂર્ણ મહિમા સહિત પ્રગટ થયો છે!
17 તે લાચાર અને દુ:ખીની પ્રાર્થનાઓ સાંભળશે;
    અને તેમની પ્રાર્થનાની અવગણના કરી નથી.
18 આવનાર પેઢી માટે આ સર્વ બાબતોની નોંધ કરો;
    જેથી તેઓ યહોવાની સ્તુતિ કરે.
    અને જે લોકો હજી જન્મ્યા નથી તેઓ યહોવાની સ્તુતિ કરશે.
19 તેઓને કહો કે; દેવે સ્વર્ગમાંથી
    નીચે પૃથ્વી પર દ્રૃષ્ટિ કરી છે.
20 તે બંદીવાનોની પ્રાર્થના સાંભળશે,
    જેઓ મૃત્યુ માટે દોષી ઠરાવાયા હતા તેઓને મુકત કરશે.
21 પછી સિયોનનાં લોકો યહોવાનું નામ જાહેર કરે છે
    અને તેઓ યરૂશાલેમમાં તેમની સ્તુતિ કરશે.
22 તે વખતે યહોવાની સેવા કરવા માટે લોકો
    તથા પૃથ્વીનાં રાજ્યો એકઠાં થશે.

23 મારા જીવનનાં મધ્યાહને તેમણે
    મારી શકિત ઘટાડી ને મારા દિવસો ટૂંકા કર્યા.
24 મેં તેમને પોકાર કર્યો, “હે મારા દેવ, તમે સદા સર્વકાળ જીવંત છો!
    મને મારા જીવનના મધ્યાહને મરવા ન દેશો.
25 તમે યુગો પહેલાં પૃથ્વીનો પાયો નાખ્યો હતો
    અને તમારા હાથો વડે આકાશો રચ્યાં હતાં.
26 એ સર્વ પણ નાશ પામશે, તમે સર્વકાળ છો;
    તેઓ જૂના થશે, ફાટી ગયેલાં કપડા જેવાં થશે;
અને માણસ જૂનું વસ્ર ફેંકી નવું ધારણ કરે,
    તેમ તમે પણ તેઓને બદલી નાંખશો.
27 પરંતુ તમે હે દેવ, તમે કદી બદલાતાં નથી;
    અને તમારા વર્ષોનો કદી અંત આવશે નહિ.
28 તમારા સેવકોનાં બાળકો અહીં વસશે,
    અને તેમનાં વંશજો
    તમારી સમક્ષ પ્રસ્થાપિત થશે.”

ગીતશાસ્ત્ર 107:1-32

ભાગ પાંયમો

(ગીત 107–150)

યહોવાનો આભાર માનો, કારણ તે ઉત્તમ છે;
    અને તેમની કૃપા સર્વકાળપર્યંત ટકે છે.
જે યહોવાના છોડાવાયેલા છે તેઓએ આ પ્રમાણે કહેવું જોઇએ,
    કે દેવે તેઓને તેમના શત્રુઓથી બચાવ્યા.
પૃથ્વીના દૂર દૂરનાં ખૂણે ખૂણેથી
    અને પૂર્વ, પશ્ચિમ, ઉત્તર દક્ષિણ દિશામાંથી તેમણે પોતાના લોકોને સાથે ભેગા કર્યા.

કેટલાંક ઉજ્જડ માર્ગે રણમાં ભટકતાં હતાં
    અને તેઓને વસવા નગર ન મળ્યું.
તેઓ ભૂખ્યા અને તરસ્યા હતાં,
    અને નબળા પડી રહ્યાં હતાં.
પોતાના સંકટમાં તેઓએ યહોવાને પોકાર કર્યો,
    અને યહોવાએ તેઓને દુ:ખમાંથી છોડાવ્યાં.
યહોવા તેઓને, જ્યાં તેઓ વસવાટ કરી શકે તેવા નગરમાં સીધે રસ્તે દોરી ગયાં.
દેવની કૃપા માટે તથા માનવ જાત માટે તેમણે કરેલાં અદભૂત કાર્યો
    માટે માણસો યહોવાની સ્તુતિ કરે તો કેવું સારું!
કારણ કે તે તરસ્યા આત્માને સંતોષે છે,
    અને ભૂખ્યા આત્માને ઉત્તમ વાનાઁથી તૃપ્ત કરે છે.

10 કારણ કે તેઓએ દેવના વચનોની સામે બંડ પોકાર્યુ હતું
    તેમણે પરાત્પર દેવના બોધનો તિરસ્કાર કર્યો હતો.
11 કેટલાંક લોકોને અંધારી જેલમાં સળિયા પાછળ
    તાળું મારીને કેદ કરવામાં આવ્યાં હતા.
12 તેઓ તેમની મુશ્કેલીઓથી
    નરમ થઇ ગયાં છે.
તેઓ લથડીને નીચે પડ્યાં,
    છતાં તેમને મદદ કરનાર કોઇ ન હતું.
13 તેઓએ પોતાના સંકટમાં યહોવાને પોકાર કર્યો;
    એટલે તેણે તેઓને દુ:ખમાંથી તાર્યા.
14 તે તેઓને અંધકાર અને મરણછાયામાંથી કાઢી લાવ્યાં;
    અને બંધન તોડી નાખ્યાઁ.
15 ભલે આભાર માને તેઓ યહોવાનો તેમની કૃપા માટે
    અને વિસ્મયજનક કાર્યો જે તેઓ માનવજાત માટે કરે છે.
16 તેણે બંદીખાનાના પિત્તળના દરવાજા તોડી નાખ્યા
    અને તેઓની લોખંડની ભૂંગળો પણ તોડી નાખી.

17 મૂર્ખ લોકો પોતાના પાપથી
    તથા પોતાની ભૂંડાઇથી સંકટમાં આવી પડે છે.
18 સર્વ પ્રકારના ખોરાકથી, તેઓના જીવ કંટાળી જાય છે;
    અને મૃત્યુ તરફ પહોંચી જાય છે.
19 પોતાના સંકટોમા તેઓ યહોવાને પોકારે છે;
    અને યહોવા તેઓને દુ:ખમાંથી તારે છે.
20 તેઓ પોતાનું વચન મોકલીને તેમને સાજા કરે છે,
    અને તેણે તેઓને દુર્દશામાંથી ઉગાર્યા છે.
21 ભલે આભાર માને તેઓ યહોવાનો તેમની કૃપા માટે
    અને વિસ્મયજનક કાર્યો જે તેઓ માનવજાત માટે કરે છે.
22 તેમને દેવને આભારસ્તુતિનાં અર્પણો આપવા દો.
    યહોવાના કાર્યોને ગીતો દ્વારા પ્રગટ થવા દો.

23 જે નાવિકો સમુદ્રમાં એક બાજુએથી બીજી બાજુ સુધી નૌકા વિહાર કરે છે
    અને સમુદ્ર પર કૌશલ્યનું કામ કરે છે,
24 તેઓ પણ દેવની કાર્યશકિત નિહાળે છે;
    અને અદ્ભૂત કૃત્યો ઊંડાણોમાં જુએ છે.
25 તે આજ્ઞા આપે છે તો તોફાની પવનો ચડી આવે છે;
    તેથી મોજાઓ ઊંચા ઊછળે છે.
26 મોજા સાથે તેઓના વહાણો ઊંચા ઊંચકાય છે;
    અને પાછા ઊંડાણમાં પટકાય છે;
    લાચાર સ્થિતિમાં ખલાસીઓની હિંમત ઓગળી જાય છે.
27 તેઓ પીધેલાની જેમ આમતેમ ડોલતા લથડે છે;
    અને તેમ તેઓની બુદ્ધિ બહેર મારી જાય છે.
28 તેઓ સંકટમાં હોય ત્યારે “યહોવાને” પોકારે છે;
    તે તેઓને દુ:ખમાંથી કાઢે છે.
29 તેણે તોફાનને અટકાવ્યા
    તથા મોજાઓને શાંત કર્યા છે.
30 પછી તેઓ મહાસાગરની સ્થિરતાનો આનંદ માણે છે
    અને દેવ તેઓને તેમની પસંદગીના બંદરે દોરી જાય છે.
31 તેમની આ કૃપા તથા માનવજાતને માટેના, તેનાં અદભૂત કાર્યો માટે;
    તેઓને યહોવાનો આભાર માનવા દો.
32 લોકોની સભામાં યહોવાને મોટા મનાવો;
    અને વડીલોના મંડળમાં તેઓની સ્તુતિ કરો.

ઉત્પત્તિ 32:22-33:17

22 તે રાત્રે મોડેથી યાકૂબ ઊઠયો અને પોતાની બે પત્નીઓ, બે દાસીઓ, અને અગિયાર બાળકોની સાથે યાબ્બોક નદીને પાર ચાલ્યો ગયો. 23 યાકૂબે પોતાની પત્નીઓ અને બાળકોને તેમજ પોતાની બધી મતાને નદીની પાર મોકલી દીધાં અને તે એકલો રહી ગયો.

દેવ સાથે દ્વંદ્વ યુદ્વ

24 યાકૂબ નદીને પાર કરનાર છેલ્લો માંણસ હતો. પરંતુ પાર કરતા પહેલાં જયારે તે એકલો હતો ત્યારે એક માંણસ આવ્યો અને તેની સાથે કુસ્તી કર્યા કરી. જયાં સુધી સૂરજ ના ઊંગ્યો ત્યાં સુધી તે વ્યકિએ યાકૂબ સાથે કુસ્તી કર્યા કરી. 25 તે વ્યકિતએ જયારે જોયું કે, પોતે યાકૂબને હરાવી શકતો નથી ત્યારે તેણે યાકૂબના જાંઘના સાંધા પર ઠોંસો માંર્યો અને યાકૂબ કુસ્તી કરતો હતો ત્યાં જ તેની જાંઘનો સાંધો ઊતરી ગયો.

26 પછી તે વ્યકિતએ યાકૂબને કહ્યું, “પરોઢ થવા આવ્યું છે, એટલે મને છોડી દો.”

પરંતુ યાકૂબે કહ્યું, “જયાં સુધી તું મને આશીર્વાદ નહિ આપે ત્યાં સુધી હું તને છોડીશ નહિ.”

27 એટલે પેલા વ્યકિતએ પૂછયું, “તારું નામ શું છે?”

અને યાકૂબે કહ્યું, “માંરું નામ યાકૂબ છે.”

28 પછી પુરુષે કહ્યું, “હવે તારું નામ યાકૂબ નહિ પણ ઇસ્રાએલ કહેવાશે. કારણ કે તેં દેવ સાથે તથા પુરુષો સાથે લડીને વિજય મેળવ્યો છે.”

29 પછી યાકૂબે પેલાને પૂછયું, “કૃપા કરીને મને જરા તમાંરું નામ કહેશો?”

પરંતુ પેલી વ્યકિતએ કહ્યું, “તું માંરું નામ શા માંટે પૂછે છે?” અને પછી તે સમયે પેલી વ્યકિતએ યાકૂબને આશીર્વાદ આપ્યા.

30 એટલા માંટે યાકૂબે તે જગ્યાનું નામ પનુએલ પાડયું. યાકૂબે કહ્યું, “આ જગ્યાએ મેં દેવના પ્રત્યક્ષ દર્શન કર્યા છે. પરંતુ માંરો જીવ બચી ગયો.” 31 જેવો તે પનુએલ આગળથી પસાર થયો કે, તરત જ સૂર્યોદય થયો. યાકૂબ પોતાના પગને કારણે લંગડો ચાલતો હતો. 32 એટલા માંટે આજે પણ ઈસ્રાએલના લોકો પ્રાણીની જાંઘના સાંધાનો સ્નાયુ ખાતા નથી. કારણ કે યાકૂબની જાંઘના સાંધાના સ્નાયુ પર તેણે ઈજા પહોચાડી હતી.

યાકૂબની વીરતાનું દર્શન

33 યાકૂબે સામે નજર કરી તો એસાવને આવતો જોયો; તેની સાથે 400 માંણસો હતા. યાકૂબે તેના પરિવારને ચાર સમૂહોમાં વહેંચ્યો. લેઆહ અને તેનાં બાળકો એક સમૂહમાં હતા. રાહેલ અને યૂસફ એક સમૂહમાં હતા. દાસીઓ અને તેનાં બાળકો બે સમૂહમાં હતા. યાકૂબે દાસીઓ અને તેમનાં બાળકોને મોખરે રાખ્યાં. તેમની પાછળ લેઆહ અને તેનાં બાળકોને રાખ્યાં. અને યાકૂબે છેલ્લાં રાહેલ અને યૂસફને રાખ્યાં.

યાકૂબ પોતે એસાવની પાસે ગયો. તેથી એ પહેલો માંણસ હતો જેની પાસે એસાવ આવ્યો. તેના ભાઈ સુધી ચાલતાં યાકૂબે સાત વાર સાષ્ટાંગ પ્રણામ કર્યા.

જયારે એસાવે યાકૂબને જોયો. તે તેને મળવા દોડી આવ્યો અને તે તેને ભેટીને તેને ગળે વળગી પડીને ચુંબન કરવા લાગ્યો. બંન્ને ભાઈની આંખમાં આનંદના અશ્રુ આવ્યાં. બંન્ને રડી પડયા. જયારે એસાવે નજર ઊંચી કરીને સ્ત્રીઓ અને બાળકોને જોયા ત્યારે તેણે પૂછયું, “તારી સાથે આ બધાં કોણ છે?”

યાકૂબે જવાબ આપ્યો, “આ એ બાળકો છે જે મને દેવની કૃપાથી પ્રાપ્ત થયા છે. દેવ માંરા પ્રત્યે દયાળુ રહ્યાં છે.”

પછી દાસીઓ તેમનાં બાળકો સાથે તેમની નજીક આવી અને પગે લાગી. એ જ રીતે લેઆહ અને તેનાં બાળકો નજીક આવ્યા અને પગે લાગ્યાં. અને છેવટે યૂસફ અને રાહેલ નજીક આવ્યા અને પગે પડયાં.

એસાવે કહ્યું, “મેં જે બધા લોકોને અહીં આવતાં જોયા, તે લોકો કોણ છે? અને આ બધાં પશુઓ શા માંટે છે?”

યાકૂબે જવાબ આપ્યો, “એ તમાંરા માંટે માંરા તરફથી ભેટ છે. જેથી તમે માંરો સ્વીકાર કરી શકો. અને માંરા માંલિકની માંરા તરફ દયા રહે.”

પરંતુ એસાવે કહ્યું, “ભાઈ, તારે મને કોઈ ભેટ આપવાની જરૂર નથી. માંરી પાસે પૂરતું છે, તારું તારી પાસે રાખ.”

10 યાકૂબે કહ્યું, “ના,ના; હું તમાંરી પાસે માંગુ છું કે, માંરા પર કૃપા કરીને હું જે ભેટો આપું છું તેનો સ્વીકાર કરો. હું તમને ફરીથી જોઈને પ્રસન્ન થયો છું. કારણકે માંરે મન એ દેવનું મુખ જોવા જેવું છે. તમે માંરો સ્વીકાર કર્યો છે તે જાણીને હું પ્રસન્ન થયો છું. 11 તેથી હું વિનંતી કરું છું કે, જે ભેટો હું તમને આપું છું તેનો તમે સ્વીકાર કરો, દેવ માંરા પર ખૂબ દયાળું રહ્યાં છે અને માંરી પાસે મને જોઇતું બધું જ છે.” આમ તેણે એસાવને ભેટો સ્વીકારવા આજીજી કરી. તેથી એસાવે તે સ્વીકારી.

12 પછી એસાવે કહ્યું, “હવે તું તારી યાત્રા શરૂ કરી શકે છે. હું તારી સાથે આવીશ.”

13 પરંતુ યાકૂબે તેને કહ્યું, “તમે એ જાણો છો કે, માંરાં બાળકો હજુ નાનાં અને નિર્બળ છે, અને માંરી સાથે ધાવણાં બચ્ચાંવાળાં ઘેટાંબકરાં અને ઢોર છે. તેમની મને ચિંતા છે. એમને એક દિવસ પણ વધારે ઝડપથી ચલાવીએ તો બધાં જ ઢોરો મરી જશે. 14 તેથી મહેરબાની કરી તમે માંરાથી આગળ જાઓ, અને હું ધીમે ધીમે તમાંરી પાછળ આવીશ, હું માંરા બાળકો અને માંરા ઢોરોના રક્ષણ માંટે ધીમે ધીમે જઇશ જેથી તેઓ વધારે થાકી ન જાય. હું તમને સેઈરમાં મળીશ.”

15 એટલા માંટે એસાવે કહ્યું, “તો પછી હું માંરા માંણસોને તમાંરી સહાયતા માંટે મૂકતો જાઉ.”

પરંતુ યાકૂબે કહ્યું, “એ તો તમાંરી વિશેષ દયા છે. શી જરૂર છે? આપની દયા છે એટલું બસ છે.” 16 એટલે એસાવ તે જ દિવસે સેઇર જવા પાછો વળ્યો. 17 પરંતુ યાકૂબ મજલ કાપતો કાપતો સુક્કોથ પહોચ્યો. ત્યાં તેણે તેને માંટે એક ઘર બનાવ્યું અને પોતાનાં ઢોરો માંટે નાનાં નાનાં (માંડવા) તબેલા બનાવ્યા, તેથી તે જગ્યાનું નામ “સુક્કોથ” રાખવામાં આવ્યું.

1 યોહાન 3:1-10

આપણે દેવનાં છોકરાં છીએ

પિતાએ આપણા પર કેટલો બધો પ્રેમ કયો છે! એ જ બતાવે છે કે તેણે આપણને કેટલો પ્રેમ કયો છે! આપણે દેવનાં છોકરાં કહેવાઈએ છીએ અને ખરેખર આપણે તેનાં છોકરાં છીએ. પરંતુ જગતનાં લોકો સમજતા નથી કે આપણે દેવનાં છોકરાં છીએ, કારણ કે તેઓએ તેને ઓળખ્યો નથી. વ્હાલા મિત્રો, હવે આપણે દેવના છોકરા છીએ. અને ભવિષ્યમાં આપણે કેવા થઈશું તે હજી સુધી પ્રગટ થયું નથી. પણ આપણે જાણીએ છીએ કે જ્યારે ઈસુ ફરીથી આવશે ત્યારે આપણે ખ્રિસ્ત જેવા થઈશું. તે જેવો છે તેવો આપણે તેને જોઈશું. ખ્રિસ્ત પવિત્ર છે. અને પ્રત્યેક વ્યક્તિ જેને ખ્રિસ્તમાં આશા છે તે પોતાની જાતને ખ્રિસ્ત જેવી પવિત્ર રાખે છે.

જ્યારે કોઈ વ્યક્તિ પાપ કરે છે, ત્યારે તે દેવના નિયમને તોડે છે. હા, પાપ કરવુ તે દેવના નિયમ વિરુંધ્ધ જીવવા જેવું છે. તમે જાણો છો કે ખ્રિસ્ત લોકોનાં પાપોને દૂર કરવા આવ્યો હતો. ખ્રિસ્તમાં કોઈ પાપ નથી. તેથી જે વ્યક્તિ ખ્રિસ્તમાં જીવે છે તે પાપ કરતો નથી. જે કોઈ વ્યક્તિ પાપ કરે છે, તે ખરેખર ખ્રિસ્તને સમજ્યો નથી અને કદી તેણે ખ્રિસ્તને ઓળખ્યો નથી.

વહાલાં બાળકો, કોઈ તમને ખોટા રસ્તે દોરે નહિ. ખ્રિસ્ત ન્યાયી છે. ખ્રિસ્તની જેમ સારા થવા માટે, વ્યક્તિએ જે ન્યાયી છે તે કરવું જોઈએ. શેતાન આરંભકાળથી જ પાપ કરે છે જે વ્યક્તિ પાપ કરવાનું ચાલુ રાખે છે તે શેતાનનો છે. દેવનો પુત્ર શેતાનનાં કામોનો નાશ કરવા માટે આવ્યો.

જ્યારે દેવ એક વ્યક્તિને તેનો બાળક બનાવે છે, ત્યારે તે વ્યક્તિ પાપ કરવાનું ચાલું રાખતો નથી. શા માટે? કારણ કે દેવે તેનામાં જે બીજ રોપ્યું છે તે તેની અંદર રહે છે અને તે પાપ કરી શકતો નથી. કારણ કે તે દેવથી જન્મેલો છે. 10 તેથી આપણે જોઈ શકીએ છીએ કે દેવનાં છોકરાં કોણ છે. વળી, આપણે જાણી શકીએ છીએ કે શેતાનનાં છોકરાં કોણ છે જે લોકો સાચુ જે છે તે કરતા નથી તે દેવનાં છોકરાં નથી. અને જે વ્યક્તિ તેના ભાઈને પ્રેમ કરતો નથી. તે પણ દેવનું બાળક નથી.

યોહાન 10:31-42

31 ફરીથી યહૂદિઓએ ઈસુને મારી નાખવા પથ્થરો હાથમાં લીધા. 32 પરંતુ ઈસુએ તેઓને કહ્યું, “મેં પિતા તરફથી ઘણાં સારા કામો કર્યા છે. તમે તે બધા કામો જોયા છે. તે સારા કામોમાંના કયા કામને કારણે તમે મને મારી નાખો છો?”

33 યહૂદિઓએ ઉત્તર આપ્યો, “તેં કરેલાં કોઈ સારાં કામને લીધે અમે તને મારી નાખતા નથી. પણ તું જે વાતો કહે છે તે દેવની વિરૂદ્ધ છે. તું ફક્ત એક માણસ છે, પરંતુ તું કહે છે કે તું દેવ સમાન છે. તે જ કારણથી અમે તને પથ્થરો વડે મારી નાખવા પ્રયત્ન કરીએ છીએ!”

34 ઈસુએ ઉત્તર આપ્યો, “તે તમારા કાયદામાં લખેલું છે, ‘હું (દેવ) કહું છું કે તમે દેવો છો.’(A) 35 આ શાસ્ત્રલેખમાં પેલા લોકોને દેવો કહ્યા છે – તે લોકો કે જેમને દેવનો સંદેશ પ્રાપ્ત થયો છે. આ શાસ્ત્રલેખ હંમેશા સાચો છે. 36 તો પછી તમે શા માટે કહો છો કે હું જે કહું છું દેવની વિરૂદ્ધ છે. કારણ કે મેં કહ્યું, ‘હું દેવનો દીકરો છું.’ હું એ જ છું જેને દેવે પસંદ કર્યો છે અને જગતમાં મોકલ્યો છે. 37 જો મારા પિતા જે કરે છે તે હું ન કરું તો, પછી હું જે કહું તે ના માનશો. 38 પણ જો હું મારા પિતા જે કરે છે તે જ કરું તો, પછી તમારે હું જે કઈ કરું તેમાં વિશ્વાસ રાખવો જોઈએ. તમે મારામાં વિશ્વાસ ન કરો, પરંતુ હું જે કંઈ કરું છું તેમાં તમે વિશ્વાસ કરો. પછી તમે જાણશો અને સમજશો કે પિતા મારામાં છે અને હું પિતામાં છું.”

39 ઈસુને પકડવાનો પ્રયત્ન યહૂદિઓએ ફરીથી કર્યો. પરંતુ ઈસુ તેઓની પાસેથી નીકળી ગયો.

40 પછી ઈસુ યર્દન નદીને પેલે પાર ગયો. જ્યાં પહેલા યોહાન બાપ્તિસ્મા કરતો હતો. તે સ્થળે ઈસુ ગયો. ઈસુ ત્યાં રહ્યો. 41 અને ઘણા લોકો તેની પાસે આવ્યા. તે લોકોએ કહ્યું, “યોહાને કદી ચમત્કારો કર્યા નથી. પરંતુ યોહાને આ માણસ વિષે જે બધું કહ્યું હતું તે સાચું છે.” 42 અને ત્યાં ઘણા લોકોએ ઈસુમાં વિશ્વાસ કર્યો.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International