Book of Common Prayer
1 પૃથ્વીનાં સર્વ લોકો યહોવાને મોટા મનાઓ.
બધી પ્રજાઓ સર્વ સ્થળે યહોવાની સ્તુતિ કરો.
2 કારણ કે તેમની અનહદ કૃપા આપણા પર છે;
યહોવાની સત્યતા ટકે છે સર્વકાળ!
યહોવાની સ્તુતિ હો.
1 યહોવાનો આભાર માનો; કારણકે તે ભલા છે
તેમનો સાચો પ્રેમ સદાય રહે છે.
2 ઇસ્રાએલના પ્રજાજનો, તેમની સ્તુતિ કરો આ શબ્દોથી,
“તેમની કૃપા સદાય રહે છે.”
3 હારુન પુત્રો, આ પ્રાર્થના ગીત ગાઓ,
“તેમનો સાચો પ્રેમ સદાય રહે છે.”
4 યહોવાના અન્ય ભકતો, તમે પણ કહો કે;
“તેમનો સાચો પ્રેમ સદાય રહે છે.”
5 મારા સંકટમાં મેં યહોવાને વિનંતી કરી;
તેમણે મને ઉત્તર આપી ને મને બચાવ્યો.
6 યહોવા મારા પક્ષમાં છે, મને ડર શાનો?
પૃથ્વી પરનો માણસ મને શું કરી શકે?
7 યહોવા મને મદદ કરશે, તે મારા પક્ષમાં છે;
તેથી મારી સગી આંખે હું મારા શત્રુઓને પરાજીત થતાં જોઇશ.
8 માણસો પર ભરોસો રાખીએ તે કરતાં;
યહોવા પર ભરોસો રાખીએ તે વધુ સારુ છે.
9 સમર્થ રાજાઓના આશ્રયે જવું તે કરતાં;
યહોવામાં આશ્રય મેળવવો તે વધું સારો છે.
10 બધી પ્રજાઓએ મને ઘેરી લીધો છે,
પણ હું યહોવાનું નામ લઇને તેમને પરાજીત કરીશ.
11 હા, મને શત્રુઓએ ઘેર્યો હતો ખરેખર તેમણે મને ઘેર્યો હતો;
પણ યહોવાના નામેં હું તેમને હરાવીશ.
12 તેઓએ મને મધમાખીઓની જેમ ઘેર્યો હતો;
પણ તેઓ સળગતાં કાંટાની જેમ તુરંત જ ઓલવાઇ ગયા છે.
હું તેમને યહોવાનું નામ લઇને હરાવીશ.
13 ઓ મારા શત્રુઓ, તમે મારો વિનાશ કરવા ઘણી મહેનત કરી.
પણ મને યહોવાએ સહાય કરી.
14 પણ યહોવા મારું સાર્મથ્ય છે અને વિજયગીત છે;
તે જ મારું તારણ થયા છે.
15 સદાચારીઓના મંડપમાં, વિજયોત્સવના હર્ષનાદ સંભળાય છે,
યહોવાનો જમણો હાથ બહાદુરીના કાર્યો કરે છે.
16 યહોવાનો જમણો હાથ ઊંચો થયેલો છે;
અને યહોવાનો જમણો હાથ પરાક્રમ કરે છે.
17 હું મરીશ નહિ પણ હું જીવતો રહીશ;
અને યહોવાએ કરેલા સર્વ કાર્યોને ઉચ્ચારીશ.
18 યહોવાએ મને ભારે શિક્ષા કરી,
પણ તેણે મને મૃત્યુને સ્વાધીન કર્યો નથી.
19 ન્યાયીપણાનું પ્રવેશદ્વાર ઉઘાડો, હું તેમા થઇને જઇશ;
અને યહોવાનો આભાર માનીશ.
20 એ દ્વાર યહોવાની સમક્ષ જવાનું છે;
યહોવાનો ભય રાખનાર ન્યાયીઓ તેમાં જશે.
21 હે યહોવા, તમે મારી પ્રાર્થનાનો જવાબ આપ્યો છે;
અને મારો ઉદ્ધાર કર્યો છે, હું તમારો આભાર માનું છું.
22 જે પથ્થરને ઘર બાંધનારાઓએ નકાર્યો હતો;
તે જ ખૂણાનો મુખ્ય પથ્થર થયો છે.
23 આ કાર્ય તો યહોવાથી થયું છે;
આપણી દ્રૃષ્ટિમાં તે આશ્ચર્યકારક છે.
24 યહોવાએ આપણને આ દિવસ આપ્યો છે;
આપણે તેમાં આનંદોત્સવ કરીએ.
25 હે યહોવા, અમારી ઉપર દયા રાખ અને અમને તારણ આપો;
હે યહોવા, અમારી પર દયા કર અને મહેરબાની કરીને અમને સફળ બનાવો.
26 યહોવાને નામે જે આવે છે તેને ધન્ય છે;
યહોવા મંદિરમાંથી અમે તમને આશીર્વાદ દીધો છે.
27 યહોવા તે જ દેવ છે અને તે અમારો પ્રકાશ છે.
બલિદાન માટે બાંધેલા ઘેટાને વેદીના શિંગ તરફ લઇ જતાં ઉત્સવના સરઘસમાં તમે બધાં જોડાઇ જાઓ.
28 તમે મારા યહોવા, હું તમારો આભાર માનીશ;
તમે મારા દેવ છો, હું તમને મોટા માનીશ.
29 યહોવાનો આભાર માનો, તે ઉત્તમ છે;
અને તેમની કૃપા સર્વકાળ ટકે છે.
1 યહોવાની સ્તુતિ થાઓ!
જે યહોવાનો ડર રાખે છે અને માન આપે છે તેને ધન્ય છે.
અને જેઓ ખુશીથી તેની આજ્ઞાને અનુસરે છે તેઓ આશીર્વાદિત છે.
2 તેઓનાં સંતાન પૃથ્વી પર બળવાન થશે;
અને ન્યાયીઓના વંશજો સાચા અર્થમાં આશીર્વાદ પામશે.
3 તેમના ઘરમાં ધનદોલતની વૃદ્ધિ થશે;
અને તેમનું ન્યાયીપણુ કદી વિસરાશે નહિ.
4 સારા લોકો માટે અંધકારમાં પ્રકાશ પ્રગટ થાય છે;
તેઓને માટે દેવ ભલા, દયાળુ અને કૃપાળુ છે.
5 વ્યકિત માટે દયાળુ અને ઉદાર થવું તે સારું છે,
વ્યકિત માટે એ તેના બધાં વ્યવહારમાં ન્યાયી રહેવું તે સારું છે.
6 તે વ્યકિત કદી પડશે નહિ
તેથી સારા માણસનું સ્મરણ સર્વકાળ રહેશે.
7 તે ખરાબ સમાચારથી ડરતો નથી;
અને શું થશે તેની પણ ચિંતા કરતો નથી તે દેવ પર ભરોસો રાખી દ્રઢ રહે છે.
8 તેનું અંત:કરણ શાંત અને સ્થિર રહે છે;
તેથી તે ડરશે નહિ. શત્રુઓ પર જીત મેળવશે.
9 તેણે ઉદારતાથી નિર્ધનોની મદદ કરી છે,
અને તેનું ન્યાયીપણું સર્વકાળ ટકે છે;
અને તે મોટું સન્માન પ્રાપ્ત કરશે.
10 જ્યારે દુષ્ટો આ જોશે ત્યારે ગુસ્સે થશે,
તેઓ ક્રોધમાં પોતાના દાંત પીસશે;
અને દુબળા થઇ જશે એમ દુષ્ટોની યોજનાઓ નિષ્ફળ જશે.
1 યહોવાની સ્તુતિ કરો!
હે યહોવાના સેવકો, સ્તુતિ કરો,
યહોવાના નામની સ્તુતિ કરો.
2 યહોવાનું નામ આ સમયથી
તે સર્વકાળ સુધી સ્તુત્ય થાઓ.
3 સૂર્યોદયથી તે સૂર્યાસ્ત સુધી
યહોવાના નામની સ્તુતિ કરો.
4 યહોવા સર્વ પ્રજાઓ પર સવોર્પરી અધિકારી છે;
અને તેનું ગૌરવ આકાશો કરતાં મોટું છે.
5 આપણા દેવ યહોવા જેવો છે કોણ?
જે ઉચ્ચસ્થાનમાં પોતાનું રહેઠાણ રાખે છે.
6 આકાશો ને પૃથ્વીથી યહોવા ઘણા ઊંચા છે.
પોતાને નીચા નમાવે છે, તેથી તેને જોવા તેમણે નીચું જોવુ પડે.
7 રાંકને ધૂળમાંથી તે ઉઠાવી લે છે;
અને ભૂખ્યાઓને કચરાનાં ઢગલામાંથી.
8 અને બેસાડે છે પોતાના લોકોને અમીર ઉમરાઓ સાથે;
રાજકુમારોની મધ્યે.
9 તે નિ:સંતાન સ્રી ને સંતાન આપે છે;
અને સુખી થશે માતા!
યહોવાની સ્તુતિ થાઓ.
ખડકમાંથી પાણી
17 ઇસ્રાએલના લોકોના સમગ્ર સમાંજે સીનના રણમાંથી છાવણી ઉઠાવીને યહોવાની આજ્ઞા મુજબ યાત્રા કરતા કરતા આગળ વધીને તેમણે રફીદીમમાં છાવણી નાખી રોકાણ કર્યું. પરંતુ ત્યાં લોકોને પીવા માંટે પાણી પણ દુર્લભ હતું. 2 તેથી લોકોએ મૂસા સાથે તકરાર કરી અને કહ્યું, “અમને પીવા માંટે પાણી આપો.”
એટલે મૂસાએ તેમને કહ્યું, “તમે લોકો માંરી સાથે શા માંટે તકરાર કરો છો? તમે યહોવાની કસોટી શા માંટે કરો છો? તમે એમ સમજો છો કે દેવ આપણી સાથે નથી?”
3 પરંતુ લોકો બહુ તરસ્યા હતા. તેથી તે લોકોએ મૂસા વિરુદ્ધ બડબડાટ કરતાં કહ્યું કે, “તમે અમને, અમાંરાં બાળબચ્ચાંને અને ઢોરઢાંખરને તરસે માંરવા શા માંટે મિસર દેશમાંથી અહીં લઈ આવ્યા?”
4 આથી મૂસાએ યહોવાને પોકાર કર્યો, “આ લોકો સાથે હું શું કરું? તેઓ મને માંરી નાખવા તૈયાર છે.”
5 યહોવાએ મૂસાને કહ્યું, “જા, ઇસ્રાએલના કેટલાક વડીલોને સાથે લઈને તું લોકોની આગળ ચાલતો થા. જે લાકડીથી તેં નાઈલ નદી પર પ્રહાર કર્યો હતો તે તારા હાથમાં રાખજે. 6 જો, હોરેબ પર્વતના એક ખડક ઉપર હું તારી સામે ઊભો રહીશ, પછી તું તે ખડક ઉપર પ્રહાર કરજે, એટલે તે ખડકમાંથી પાણી નીકળશે, જેથી લોકોને પીવા પાણી મળશે.”
ઇસ્રાએલીઓના વડીલોના દેખતાં મૂસાએ તે મુજબ કર્યુ. 7 અને મૂસાએ તે જગ્યાનું નામ માંસ્સાહ અને મરીબાહ રાખ્યું. કારણ કે આ એ જ જગ્યા હતી જ્યાં ઇસ્રાએલના લોકો એની વિરુદ્ધ થયા હતા. અને તેઓએ યહોવાની પરીક્ષા કરી હતી, તે લોકો જાણવા માંગતા હતા કે યહોવા અમાંરી વચ્ચે છે કે નહિ?
જ્યારે આપણે ખ્રિસ્ત તરફ દૃષ્ટિ કરીએ છીએ, ત્યારે આપણે દેવને નિહાળીએ છીએ
15 કોઈ પણ વ્યક્તિ દેવને જોઈ શક્તી નથી.
પરંતુ ઈસુ દેવની પ્રતિમાં જ છે. ઈસુ જ,
જે બધી વસ્તુઓનું સર્જન કરવામાં આવ્યું છે તેનો શાસક છે.
16 તેના સાર્મથ્ય વડે દરેક વસ્તુનું સર્જન કરવામાં
આવ્યું-આકાશની વસ્તુઓ, પૃથ્વીની વસ્તુઓ, દૃશ્યમાન અને અદૃશ્ય વસ્તુઓ,
સમગ્ર આત્મીય સત્તા, અધિકારીઓ,
દરેક વસ્તુનું સર્જન ખ્રિસ્ત દ્વારા અને ખ્રિસ્ત માટે જ કરવામાં આવ્યું.
17 કોઈ પણ વસ્તુના સર્જન પહેલા ખ્રિસ્ત હતો.
અને તેના જ કારણે દરેક વસ્તુમાં સાતત્ય છે.
18 ખ્રિસ્ત તો શરીરનું એટલે મંડળીનું શિર છે.
તે આરંભ, એટલે મૂએલાંઓમાંથી પ્રથમ ઊઠેલો છે;
કે જેથી સઘળામાં તે શ્રેષ્ઠ થાય.
19 કેમ કે તેનામાં સર્વ પ્રકારની સંપૂર્ણતા રહે એમ બાપને પસંદ પડયું; તેનુ પોતાનું જીવન પરિપૂર્ણ ખ્રિસ્તમાં હતું તેથી દેવ પ્રસન્ન હતો.
20 દેવ પ્રત્યેક વસ્તુને પોતાના માટે ખ્રિસ્ત દ્વારા પુનઃપ્રાપ્ત કરીને પ્રસન્ન થયો
પૃથ્વી પરની અને આકાશની વસ્તુઓ.
દેવે વધસ્તંભના ખ્રિસ્તના રક્ત (મરણ) દ્વારા શાંતિ કરાવી.
21 એક સમયે તમે દેવથી વિખૂટા પડી ગયેલા. મનમાં તો તમે દેવના શત્રું હતા, કારણ કે જે દુષ્ટ આચરણ તમે કરેલું તે દેવ વિરુંદ્ધ હતું. 22 પરંતુ હવે ખ્રિસ્તે તમને ફરીથી દેવના મિત્ર બનાવી દીઘા છે. જ્યારે તે તેના શરીરમાં હતો, ત્યારે ખ્રિસ્તે તેના મરણ દ્વારા આમ કર્યુ. તે તમને દેવ સમક્ષ લઈ જઈ શકે તેથી ખ્રિસ્તે આમ કર્યુ. તે તમને દેવ સમક્ષ એવા લોકો તરીકે પ્રસ્તુત કરે છે કે જે પવિત્ર છે, જેનામાં કોઈ ક્ષતિ નથી, અને દેવ જેને પાપો ગણી તમને પાપી ન ઠેરવી શકે. 23 જો તમે સાંભળેલ સુવાર્તામાં વિશ્વાસ ધરાવતા રહેશો, તો ખ્રિસ્ત આમ કરશે. તમારે તમારા વિશ્વાસમાં સ્થાપિત અને દ્રઢ બનવાનું ચાલુ રાખવું જોઈએ. સુવાર્તાએ જે આશા તમને પ્રદાન કરી છે તેમાંથી તમારે કદાપિ ચલિત થવું જોઈએ નહિ. અને તે સુવાર્તા આખા વિશ્વમાં પ્રગટ થઈ છે. હું પાઉલ, તે સુવાર્તા પ્રગટ કરવામાં મદદ કરું છું.
ઈસુ પવિત્ર આત્મા વિષે કહે છે
37 પર્વનો છેલ્લો દિવસ આવ્યો. તે ઘણો જ અગત્યનો દિવસ હતો. તે દિવસે ઈસુ ઊભો થયો અને મોટા સાદે કહ્યું, “જો કોઈ માણસ તરસ્યો હોય તો તે મારી પાસે આવે અને પીએ. 38 જો કોઈ માણસ મારામાં વિશ્વાસ મૂકે છે તો તેના હૃદયમાંથી જીવતા પાણીની નદીઓ વહેશે. શાસ્ત્ર જે કહે છે તે એ જ છે.” 39 ઈસુ પવિત્ર આત્મા વિષે કહેતો હતો. પવિત્ર આત્મા હજુ લોકોને આપવામાં આવ્યો ન હતો કારણ કે હજુ ઈસુ મૃત્યુ પામીને મહિમાવાન થયો ન હતો. પણ પાછળથી પેલા લોકો જે ઈસુમાં વિશ્વાસ રાખશે તેઓ આત્માને પ્રાપ્ત કરશે.
ઈસુની લોકો વિષે દલીલ
40 લોકોએ ઈસુએ જે બધી બાબતો કહી તે સાંભળી. કેટલાક લોકોએ કહ્યું, “આ માણસ ખરેખર પ્રબોધક જ છે.”
41 બીજા કેટલાક લોકોએ કહ્યું, “તે જ ખ્રિસ્ત છે.”
બીજા લોકોએ કહ્યું, “ખ્રિસ્ત ગાલીલમાંથી આવશે નહિ. 42 શાસ્ત્ર કહે છે, ખ્રિસ્ત દાઉદના વંશમાંથી આવનાર છે, અને શાસ્ત્ર કહે છે કે ખ્રિસ્ત બેથલેહેમમાંથી આવનાર છે, જે શહેરમાં દાઉદ હતો.” 43 તેથી લોકો ઈસુ વિષે એકબીજા સાથે સંમત થયા નહિ. 44 કેટલાક લોકો ઈસુની ધરપકડ કરવા ઈચ્છતા હતા. પણ આમ કરવાનો કોઈએ પ્રયત્ન કર્યો નહિ.
યહૂદિ અધિકારીઓએ વિશ્વાસ કરવાની ના પાડી
45 મંદિરના ભાલદારો મુખ્ય યાજકો અને ફરોશીઓ પાસે પાછા ગયા. યાજકો અને ફરોશીઓએ પૂછયું, “તમે ઈસુને શા માટે લાવ્યા નથી?”
46 મંદિરના ભાલદારોએ ઉત્તર આપ્યો, “તે જે બાબતો કહે છે તે કોઈ પણ માણસના શબ્દો કરતા મહાન છે.”
47 ફરોશીઓએ ઉત્તર આપ્યો, “ઈસુએ તમને પણ મૂર્ખ બનાવ્યા શું! 48 અધિકારીઓમાંથી કોઈએ તેનામાં વિશ્વાસ કર્યો? ના! શું આપણા ફરોશીઓમાંથી કોઈને તેનામાં વિશ્વાસ હતો? ના! 49 પણ પેલા લોકો બહાર છે તેઓ નિયમશાસ્ત્ર વિષે જાણતા નથી. તેઓ દેવના શાપિત છે!”
50 નિકોદેમસ ત્યાં તે સમૂહમાં હતો. નિકોદેમસ તેઓમાંનો એક જે અગાઉ ઈસુ પાસે આવ્યો હતો. નિકોદેમસે કહ્યું,
51 “માણસને પહેલા સાંભળ્યા વિના શું આપણું નિયમશાસ્ત્ર આપણને તેનો ન્યાય કરવા દે છે? જ્યાં સુધી તેણે શું કર્યું છે તે આપણે જાણીએ નહિ ત્યાં સુધી આપણે તેનો ન્યાય કરી શકતા નથી.”
52 યહૂદિ અધિકારીઓએ ઉત્તર આપ્યો, “શું તું પણ ગાલીલનો છે? શાસ્ત્રોનો અભ્યાસ કર, તું વાંચી શકીશ કે કોઈ પ્રબોધક ગાલીલમાંથી આવનાર નથી.”
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International