Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 30

મંદિરની પ્રતિષ્ઠા માટેનાં ગીતોમાંનુ. દાઉદનું ગીત.

હે યહોવા, હું તમારી સ્તુતિ કરીશ,
    કારણ તમે મને મુશ્કેલીઓમાંથી બહાર કાઢયો છે.
    તમે મારા શત્રુઓને વિજયનો આનંદ લેવા દીધો નથી.
હે યહોવા, મારા દેવ, મેં તમને અરજ કરી,
    અને તમે મને સાજો કર્યો છે.
હે યહોવા, તમે મને શેઓલમાંથી પાછો કાઢી જીવતો રાખ્યો છે,
    તમે મને કબરમાં પડવા દીધો નથી.

હે દેવના વિશ્વાસુ અનુયાયીઓ, તમે સૌ તેમની સ્તુતિ ગાઓ.
    અને તેમના પવિત્ર નામની આભાર સ્તુતિ ગાઓ.
તેમનો કોપ તો કેવળ ક્ષણિક છે,
    પણ તેમની કૃપા “જીવન” ભર માટે છે.
રૂદન ભલે આખી રાત રહે,
    પણ સવારમાં હર્ષાનંદ થાય છે.

હું જ્યારે નિર્ભય અને સુરક્ષિત હતો, ત્યારે મેં કહ્યું હતું, “હું ડગીશ નહિ.”
    હું સમજતો હતો કે આ સ્થિતિ સદાય રહેશે.
હે યહોવા, તમે મારા પર કૃપા કરી
    મને પર્વતની જેમ સ્થિર બનાવ્યો છે,
પણ પછી મારાથી મુખ આડુ ફેરવીને
    તમે મને ભયભીત કર્યો છે.
હે યહોવા, મેં તમને પોકાર કર્યો
    અને મેં તમને વિનંતી કરી.
“હે યહોવા, હું મરી જઇશ તો
    તમારું શું સારું થશે?
મારી કબરની ધૂળ
    તમારી સ્તુતિ કરી શકશે?
    શું તે તમારી વિશ્વસનીયતા વિષે કહી શકશે?
10 હે યહોવા, મારા પર દયા કરો,
    મારી અરજીને સંભળો મને સહાય કરો.”

11 પછી તમે મારા દુ:ખનું સુખ કર્યુ, અને રૂદનને બદલે નૃત્યુ આપ્યું;
    મારા શોકના વસ્ત્રો ઉતારી લીધા
    અને મને ઉત્સાહથી ઢાંકી દીધો.
12 કબરમાં શાંત પડી રહેવાને બદલે, હું આનંદપૂર્વક યહોવાની સ્તુતિ કરીશ;
    હે યહોવા, મારા દેવ, હું સદાય તમારી આભારસ્તુતિ કરીશ.

ગીતશાસ્ત્ર 32

દાઉદનું ગીત. માસ્કીલ.

જેના દોષને માફી મળી છે,
    તથા જેનું પાપ ઢંકાઇ ગયું છે
    તેને ધન્ય છે અને તે જ સુખી છે.
જેને યહોવા દોષિત ગણતા નથી,
    અને જેના આત્મામાં કંઇ કપટ નથી
    તે માણસ આશીર્વાદિત છે.

હું ભયંકર પાપી છું તેનો હું સ્વીકાર કરતો ન હતો,
    તે દિવસથી મારી વ્યથા વધી ગઇ
    અને મારા હાડકાં ર્જીણ થઇ ગયા.
આખો દિવસ અને આખી રાત,
    તમારો ભારે હાથ મારા પર હતો.
જેમ ઉનાળાની ગરમીમાં જળ સુકાઇ જાય
    તેમ મારી શકિત હણાઇ ગઇ હતી.

પણ મેં મારા બધાં પાપો તમારી સમક્ષ કબૂલ કરવાનો નિર્ણય લીધો.
    મે મારા પાપોને છુપાવવાનું બંધ કર્યુ.
મે પોતાને કહ્યું, “હું મારા પાપો યહોવા સમક્ષ કબૂલ કરીશ.”
    અને તમે મારા પાપો બદલ મને ક્ષમા આપી.

તેથી જ્યારે દેવનાં અનુયાયીઓને તેમનાં પાપનું ભાન થાય,
    ત્યારે તેઓ પ્રાર્થના કરીને તેમનાં પાપની કબૂલાત કરશે.
અને જો પ્રચંડ પૂરની જેમ મુશ્કેલીઓ આવશે તો
    પણ તે તેઓ સુધી પહોંચી શકશે નહિ.
જીવનનાં સર્વ સંકટોમાં
    તમે મારી છુપાવવાની જગા છો,
તમે મને સંકટોમાં ઉગારી લો છો;
    મારી આસપાસ તમારા ઉધ્ધારનાં સ્તોત્રો ગવડાવશો.

યહોવા કહે છે, “જીવનનાં પ્રત્યેક તબક્કે
    તારે ક્યાં માર્ગે ચાલવું તે હું તને બતાવીશ,
    હું તારો સતત ખ્યાલ રાખીને હું તને હંમેશા સાચો બોધ આપીશ.
ધોડા તથા ખચ્ચર જેને કંઇ સમજ નથી તેને કાબૂમાં રાખવા માટે લગામની જરૂર છે.
    તું તેમનાં જેવો અણસમજુ થઇશ નહિ.”

10 દુષ્ટ લોકોને ઘણી તકલીફો સહન કરવી પડે છે;
    પણ જેઓ દેવમાં વિશ્વાસ કરે છે, તેઓ તો યહોવાની કૃપાથી ધેરાયેલાં રહેશે.
11 હે સદાચારી લોકો, યહોવાથી આનંદીત થાઓ અને પ્રસન્ન થાઓ.
    હે શુદ્ધ હૃદયી માણસો, હર્ષના પોકાર કરો.

ગીતશાસ્ત્ર 42-43

ભાગ બીજો

(ગીત 42–72)

નિર્દેશક માટે. કોરાહનાં કુટુંબઓનું માસ્કીલ.

હરણ જેમ પાણીના ઝરણાં માટે તલપે છે,
    તેમ હે યહોવા, હું તમારા માટે તલપું છું.
મારો આત્મા જીવતા દેવ માટે તરસે છે.
    હું મારી જાતને એમની સમક્ષ ક્યારે હાજર કરી શકીશ?
મારા આંસુ રાત દિવસ મારો ભોજન થયા છે.
    શત્રુ મહેણા મારે છે, “તારા દેવ ક્યાં છે?”

હે મારા આત્મા, તે સમય કયાંથી વીસરી શકાય?
    ઉત્સવના દિવસોમાં હું મોટા લોકસમુદાયમાંથી પસાર થયો,
જેઓ આનંદથી યહોવાના સ્તુતિગીતો ગાતા હતાં
    અને હું સૌને એક સાથે દેવના મંદિરમાં દોરી જતો હતો.
એનું સ્મરણ કરતાં, મારું હૃદય ભાંગી જાય છે.

હે મારા આત્મા, તું ઉદાસ કેમ થયો છે?
    તું આટલો અસ્વસ્થ અને વ્યાકુળ કેમ થયો છે?
દેવની મદદ માટે રાહ જો!
    તેમની કૃપા અને મદદ માટે હું હજી
    પણ તેમની પ્રાર્થના કરીશ.
હે મારા દેવ, મારો આત્મા નિરાશ થયો છે.
    તેથી હું તમારી કૃપાનું મિઝાર પર્વત પરથી જયાં હેમોર્ન પર્વત
    અને યર્દન નદી મળે છે ત્યાંથી હું સ્મરણ કરું છું.
ઘરતીના ઊંડાણનું પાણી ભાંગી ને
    ઘોઘમાં પડવાનો અવાજ મને સંભળાય છે.
તમારા બધા મોજાઓ
    અને મોટા મોજાઓ મારા પર ફરી વળ્યાઁ છે.

અને છતાં યહોવા મારા માટે તેમનો સાચો પ્રેમ પ્રતિદિન દર્શાવે છે.
    અને રોજ રાત્રે હું તેમના સ્તુતિગીત ગાઉં છું, એટલે મારા જીવનદાતા દેવની પ્રાર્થના કરું છું.
દેવ મારા ખડક છે, હું તેમને કહીશ કે,
    “તમે કેમ મને ભુલી ગયા? મને કેમ તજી દીધો છે?
    શા માટે શત્રુઓના જુલમ મારે સહન કરવા પડે?”
10 તારો દેવ ક્યાં છે એમ મશ્કરીમાં રોજ પૂછીને
    મારા શત્રુઓના મહેણાં મારા હાડકાં ને કચરી નાખે છે.

11 હે મારા આત્મા, શા માટે તું આટલો દુ:ખી છે?
    તું શા માટે આટલો અસ્વસ્થ અને વ્યાકુળ બની ગયો છે?
દેવની મદદ માટે રાહ જો!
    જે મારા મુખનું તારણ તથા મારો દેવ છે,
    તેનું હું હજી સ્તવન કરીશ.

હે દેવ, મારો ન્યાય કરો, અને મને નિર્દોષ પુરવાર કરો.
    અને જે તમારો સંનિષ્ઠ અનુયાયી નથી તેવાથી મને બચાવો,
    તેવા ઠગ અને છેતરપીંડી કરનારા માણસથી મને બચાવો.
કારણ, હે દેવ, તમે મારું સાર્મથ્ય છો.
    તમે મને શા માટે તજી દીધો?
દુશ્મનોની ક્રૂરતાને લીધે
    હું શોક કરતો ફરૂં છું.
હે યહોવા, તમારું સત્ય અને પ્રકાશ પ્રગટ કરો;
    જેથી હું માર્ગદર્શન મેળવું અને તેઓ મને તમારા પવિત્ર પર્વતમાં તથા તમારા મંડપમાં લાવે.
તમે મારા અતિઆનંદ છો,
    તમારી વેદી પાસે હું જઇશ,
અને હે દેવ, મારી વીણા સાથે
    હું તમારી આભારસ્તુતિ ગાઇશ.

હે મારા આત્મા, તું શા માટે આટલો બધો ઉદાસ છે?
    તું શા માટે બેચેન છે?
દેવની મદદની રાહ જો, જે મારા મુખનું તારણ
    તથા મારા દેવ છે હજી હું તેની કૃપા
    અને મદદ માટે પ્રાર્થના કરીશ.

હાગ્ગાય 2:1-9

નવા મંદિરમાં દેવનો ભાવી વૈભવ

એ જ વરસના સાતમા મહિનાની એકવીસમી તારીખે પ્રબોધક હાગ્ગાયને યહોવાની વાણી આ પ્રમાણે સંભળાઇ: “યહૂદિયાના સૂબા શઆલ્તીએલના પુત્ર ઝરુબ્બાબેલને તથા પ્રમુખ યાજક યહોસાદાકના પુત્ર યહોશુઆને તથા બાકી રહેલા લોકોને હવે કહે કે, ‘આ મંદિરનો અગાઉનો વૈભવ જોનારાઓમાંનો કોઇ તમારામાં જીવતો રહ્યો છે? અને હાલ તમે તેને કેવી હાલતમાં જુઓ છો? શું તે તમારી નજરમાં શૂન્યવત્ત નથી? તોપણ હવે, યહોવા કહે છે, “હે ઝરુબ્બાબેલ, હિંમત હારીશ નહિ,” હે યહોસાદાકના પુત્ર યહોશુઆ, પ્રમુખ યાજક, “બળવાન થા; યહોવા કહે છે, હે દેશના સર્વ લોકો, તમે બળવાન થઇને કામે લાગો; કારણકે હું તમારી સાથે છું,” સૈન્યોનો દેવ યહોવા આમ કહે છે.

“‘તમે જ્યારે મિસરમાંથી બહાર આવ્યા, ત્યારે મેં તમને વચન આપ્યા પ્રમાણે મારો આત્મા તમારામાં હતો; તેથી ડરશો નહિ,’ કારણ કે સૈન્યોનો દેવ યહોવા કહે છે, ‘હું થોડી જ વારમાં ફરીથી આકાશ, પૃથ્વી, સમુદ્ર અને સૂકી ધરતીને હચમચાવી મૂકીશ. હું આ બધા રાષ્ટ્રોને હચમચાવી મૂકીશ, અને તેમની ધનસંપતિ અહીં આવશે અને આ મંદિરને હું ખજાનાથી ભરી દઇશ.’ એમ સૈન્યોનો દેવ યહોવા કહે છે, ‘તેઓની ચાંદી અને સોનું મારું છે. તેથી આ મંદિરની પ્રતિષ્ઠા હવે પહેલાના કરતાં ઘણી વધારે હશે. અને આ મંદિરને હું સુખ અને શાંતિ આપીશ.’ આ સૈન્યોનો દેવ યહોવાના વચન છે.”

પ્રકટીકરણ 3:1-6

સાદિર્સમાંની મંડળીને ઈસુનો પત્ર

“સાદિર્સમાંની મંડળીના દૂતને આ લખ કે:

“તે એક કે જેની પાસે સાત આત્મા અને સાત તારા છે તે તમને આ વાતો કહે છે.

“તું જે કામો કરે છે તે હું જાણું છું. લોકો કહે છે કે તું જીવે છે. પણ તું ખરેખર મૃત્યુ પામેલ છે. જાગૃત થા! હજુ જ્યારે તારે કંઈક છોડવાનું હોય તો તારી જાતને વધારે મજબૂત બનાવ. તે સંપૂર્ણ રીતે મૃત્યુ પામે તે પહેલા તારી જાતને વધુ મજબુત બનાવ. મેં શોધ્યું છે કે તું જે કામો કરે છે તે મારા દેવ માટે સંપૂર્ણ થયેલા નથી. તેથી તને જે મળ્યુ છે અને તેં જે સાંભળ્યુ છે, તેને યાદ કર અને તેને અનુસર. ને પસ્તાવો કર. તારે જાગૃત થવું જોઈએ. અથવા હું તારી પાસે આવીશ અને તને ચોરની જેમ નવાઈ પમાડીશ. હું ક્યારે આવીશ તે તને માલૂમ પડશે નહિ.

“પણ તારા સમૂહમાં સાદિર્સમાં તારી પાસે થોડાં લોકો છે જેઓએ તેમની જાતને શુદ્ધ રાખી છે. તે લોકો મારી સાથે ફરશે. તેઓ ઊજળાં વસ્ત્રો પહેરશે કારણકે તેઓ લાયક છે. પ્રત્યેક વ્યક્તિ જે વિજય પ્રાપ્ત કરે છે તેને આ લોકોની જેમ ઊજળા વસ્ત્રો પહેરાવવામાં આવશે. હું તે વ્યક્તિનું નામ જીવનના પુસ્તકમાંથી કાઢી નાખીશ નહિ. હું મારા પિતા અને તેના દૂતોની આગળ કહીશ કે તે વ્યક્તિ મારી છે. પ્રત્યેક વ્યક્તિ જે આ વાતો સાંભળે છે તેણે આત્મા મંડળીઓને જે કહે છે તે સાંભળવું જોઈએ.

માથ્થી 24:1-14

મંદિરના નાશની આગાહી

(માર્ક 13:1-31; લૂ. 21:5-33)

24 ઈસુએ મંદિર છોડયું અને ચાલતો હતો, ત્યારે શિષ્યો તેની પાસે આવ્યા. તેઓ તેને મંદિર બતાવવા લાગ્યા. ઈસુએ કહ્યું, “તમે આ બધું જુઓ છો? હું તમને સત્ય કહું છું, આ બધું તોડી પાડવામાં આવશે.એક પથ્થર પર બીજો પથ્થર રહેવા દેવામા આવશે નહિ. અને એક એક પથ્થરને જમીનદોસ્ત કરવામાં આવશે.”

પછી ઈસુ જૈતૂન પર્વત પર બેઠો હતો ત્યારે શિષ્યો તેની સાથે એકાંત માટે આવ્યા અને પૂછયું એ બધું ક્યારે બનશે? અને “અમને કહે કે તારા આગમનની અને જગતના અંતની નિશાનીઓ શું હશે?”

ઈસુએ કહ્યું, “સાવધાન રહો! તમને કોઈ ગેરમાર્ગે ન દોરે. ઘણા લોકો આવશે અને મારા નામનો ઉપયોગ કરશે અને કહેશે, ‘હું જ ખ્રિસ્ત છું.’ અને તેઓ ઘણા લોકોને છેતરશે. પણ તમે લડાઈઓ વિષે અને લડાઈઓની અફવાઓ વિષે સાંભળશો ત્યારે તમે ગભરાશો નહિ. એ બધું જ અંત પહેલા બનવાનું છે અને ભબિષ્યનો અંત હજી બાકી છે. રાષ્ટ્ર બીજા રાષ્ટ્રોની સામે અને રાજ્યો બીજા રાજ્યોની વિરૂદ્ધ ઊઠશે. અને એક સમય એવો આવશે કે લોકોને ખાવા માટે ખોરાક પણ નહિ હોય અને જુદા જુદા વિસ્તારોમાં ધરતીકંપ થશે. પણ એ બધાં તો દુ:ખોનો આરંભ જ છે.

“આ સમયે તમને શિક્ષા માટે સુપ્રત કરવામાં આવશે અને તમને મારી નાંખશે કારણ કે તમે મારા શિષ્યો છો. બધા જ રાષ્ટ્રો તમારો તિરસ્કાર કરશે. 10 આ સમયે ઘણા લોકોનો વિશ્વાસ ડગી જશે. એકબીજાની સામે થઈ જશે અને એકબીજાનો તિરસ્કાર કરશે. 11 અનેક જૂઠા પ્રબોધકો નીકળી પડશે અને તેઓ ઘણાને આડે માર્ગે દોરી જશે. 12 અનિષ્ટ સર્વત્ર પ્રસરશે. પરિણામે ઘણાનો પ્રેમ ઠંડો પડી જશે. 13 પરંતુ જે કોઈ અંત સુધી ટકશે તે જ તારણ પામશે. 14 દેવના રાજ્યની સુવાર્તા આખા વિશ્વમાં બધી જ જાતિના લોકોને સંભળાવવામાં આવશે. ત્યારે અંત આવશે.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International