Book of Common Prayer
મંદિરની પ્રતિષ્ઠા માટેનાં ગીતોમાંનુ. દાઉદનું ગીત.
1 હે યહોવા, હું તમારી સ્તુતિ કરીશ,
કારણ તમે મને મુશ્કેલીઓમાંથી બહાર કાઢયો છે.
તમે મારા શત્રુઓને વિજયનો આનંદ લેવા દીધો નથી.
2 હે યહોવા, મારા દેવ, મેં તમને અરજ કરી,
અને તમે મને સાજો કર્યો છે.
3 હે યહોવા, તમે મને શેઓલમાંથી પાછો કાઢી જીવતો રાખ્યો છે,
તમે મને કબરમાં પડવા દીધો નથી.
4 હે દેવના વિશ્વાસુ અનુયાયીઓ, તમે સૌ તેમની સ્તુતિ ગાઓ.
અને તેમના પવિત્ર નામની આભાર સ્તુતિ ગાઓ.
5 તેમનો કોપ તો કેવળ ક્ષણિક છે,
પણ તેમની કૃપા “જીવન” ભર માટે છે.
રૂદન ભલે આખી રાત રહે,
પણ સવારમાં હર્ષાનંદ થાય છે.
6 હું જ્યારે નિર્ભય અને સુરક્ષિત હતો, ત્યારે મેં કહ્યું હતું, “હું ડગીશ નહિ.”
હું સમજતો હતો કે આ સ્થિતિ સદાય રહેશે.
7 હે યહોવા, તમે મારા પર કૃપા કરી
મને પર્વતની જેમ સ્થિર બનાવ્યો છે,
પણ પછી મારાથી મુખ આડુ ફેરવીને
તમે મને ભયભીત કર્યો છે.
8 હે યહોવા, મેં તમને પોકાર કર્યો
અને મેં તમને વિનંતી કરી.
9 “હે યહોવા, હું મરી જઇશ તો
તમારું શું સારું થશે?
મારી કબરની ધૂળ
તમારી સ્તુતિ કરી શકશે?
શું તે તમારી વિશ્વસનીયતા વિષે કહી શકશે?
10 હે યહોવા, મારા પર દયા કરો,
મારી અરજીને સંભળો મને સહાય કરો.”
11 પછી તમે મારા દુ:ખનું સુખ કર્યુ, અને રૂદનને બદલે નૃત્યુ આપ્યું;
મારા શોકના વસ્ત્રો ઉતારી લીધા
અને મને ઉત્સાહથી ઢાંકી દીધો.
12 કબરમાં શાંત પડી રહેવાને બદલે, હું આનંદપૂર્વક યહોવાની સ્તુતિ કરીશ;
હે યહોવા, મારા દેવ, હું સદાય તમારી આભારસ્તુતિ કરીશ.
દાઉદનું ગીત. માસ્કીલ.
1 જેના દોષને માફી મળી છે,
તથા જેનું પાપ ઢંકાઇ ગયું છે
તેને ધન્ય છે અને તે જ સુખી છે.
2 જેને યહોવા દોષિત ગણતા નથી,
અને જેના આત્મામાં કંઇ કપટ નથી
તે માણસ આશીર્વાદિત છે.
3 હું ભયંકર પાપી છું તેનો હું સ્વીકાર કરતો ન હતો,
તે દિવસથી મારી વ્યથા વધી ગઇ
અને મારા હાડકાં ર્જીણ થઇ ગયા.
4 આખો દિવસ અને આખી રાત,
તમારો ભારે હાથ મારા પર હતો.
જેમ ઉનાળાની ગરમીમાં જળ સુકાઇ જાય
તેમ મારી શકિત હણાઇ ગઇ હતી.
5 પણ મેં મારા બધાં પાપો તમારી સમક્ષ કબૂલ કરવાનો નિર્ણય લીધો.
મે મારા પાપોને છુપાવવાનું બંધ કર્યુ.
મે પોતાને કહ્યું, “હું મારા પાપો યહોવા સમક્ષ કબૂલ કરીશ.”
અને તમે મારા પાપો બદલ મને ક્ષમા આપી.
6 તેથી જ્યારે દેવનાં અનુયાયીઓને તેમનાં પાપનું ભાન થાય,
ત્યારે તેઓ પ્રાર્થના કરીને તેમનાં પાપની કબૂલાત કરશે.
અને જો પ્રચંડ પૂરની જેમ મુશ્કેલીઓ આવશે તો
પણ તે તેઓ સુધી પહોંચી શકશે નહિ.
7 જીવનનાં સર્વ સંકટોમાં
તમે મારી છુપાવવાની જગા છો,
તમે મને સંકટોમાં ઉગારી લો છો;
મારી આસપાસ તમારા ઉધ્ધારનાં સ્તોત્રો ગવડાવશો.
8 યહોવા કહે છે, “જીવનનાં પ્રત્યેક તબક્કે
તારે ક્યાં માર્ગે ચાલવું તે હું તને બતાવીશ,
હું તારો સતત ખ્યાલ રાખીને હું તને હંમેશા સાચો બોધ આપીશ.
9 ધોડા તથા ખચ્ચર જેને કંઇ સમજ નથી તેને કાબૂમાં રાખવા માટે લગામની જરૂર છે.
તું તેમનાં જેવો અણસમજુ થઇશ નહિ.”
10 દુષ્ટ લોકોને ઘણી તકલીફો સહન કરવી પડે છે;
પણ જેઓ દેવમાં વિશ્વાસ કરે છે, તેઓ તો યહોવાની કૃપાથી ધેરાયેલાં રહેશે.
11 હે સદાચારી લોકો, યહોવાથી આનંદીત થાઓ અને પ્રસન્ન થાઓ.
હે શુદ્ધ હૃદયી માણસો, હર્ષના પોકાર કરો.
ભાગ બીજો
(ગીત 42–72)
નિર્દેશક માટે. કોરાહનાં કુટુંબઓનું માસ્કીલ.
1 હરણ જેમ પાણીના ઝરણાં માટે તલપે છે,
તેમ હે યહોવા, હું તમારા માટે તલપું છું.
2 મારો આત્મા જીવતા દેવ માટે તરસે છે.
હું મારી જાતને એમની સમક્ષ ક્યારે હાજર કરી શકીશ?
3 મારા આંસુ રાત દિવસ મારો ભોજન થયા છે.
શત્રુ મહેણા મારે છે, “તારા દેવ ક્યાં છે?”
4 હે મારા આત્મા, તે સમય કયાંથી વીસરી શકાય?
ઉત્સવના દિવસોમાં હું મોટા લોકસમુદાયમાંથી પસાર થયો,
જેઓ આનંદથી યહોવાના સ્તુતિગીતો ગાતા હતાં
અને હું સૌને એક સાથે દેવના મંદિરમાં દોરી જતો હતો.
એનું સ્મરણ કરતાં, મારું હૃદય ભાંગી જાય છે.
5 હે મારા આત્મા, તું ઉદાસ કેમ થયો છે?
તું આટલો અસ્વસ્થ અને વ્યાકુળ કેમ થયો છે?
દેવની મદદ માટે રાહ જો!
તેમની કૃપા અને મદદ માટે હું હજી
પણ તેમની પ્રાર્થના કરીશ.
6 હે મારા દેવ, મારો આત્મા નિરાશ થયો છે.
તેથી હું તમારી કૃપાનું મિઝાર પર્વત પરથી જયાં હેમોર્ન પર્વત
અને યર્દન નદી મળે છે ત્યાંથી હું સ્મરણ કરું છું.
7 ઘરતીના ઊંડાણનું પાણી ભાંગી ને
ઘોઘમાં પડવાનો અવાજ મને સંભળાય છે.
તમારા બધા મોજાઓ
અને મોટા મોજાઓ મારા પર ફરી વળ્યાઁ છે.
8 અને છતાં યહોવા મારા માટે તેમનો સાચો પ્રેમ પ્રતિદિન દર્શાવે છે.
અને રોજ રાત્રે હું તેમના સ્તુતિગીત ગાઉં છું, એટલે મારા જીવનદાતા દેવની પ્રાર્થના કરું છું.
9 દેવ મારા ખડક છે, હું તેમને કહીશ કે,
“તમે કેમ મને ભુલી ગયા? મને કેમ તજી દીધો છે?
શા માટે શત્રુઓના જુલમ મારે સહન કરવા પડે?”
10 તારો દેવ ક્યાં છે એમ મશ્કરીમાં રોજ પૂછીને
મારા શત્રુઓના મહેણાં મારા હાડકાં ને કચરી નાખે છે.
11 હે મારા આત્મા, શા માટે તું આટલો દુ:ખી છે?
તું શા માટે આટલો અસ્વસ્થ અને વ્યાકુળ બની ગયો છે?
દેવની મદદ માટે રાહ જો!
જે મારા મુખનું તારણ તથા મારો દેવ છે,
તેનું હું હજી સ્તવન કરીશ.
1 હે દેવ, મારો ન્યાય કરો, અને મને નિર્દોષ પુરવાર કરો.
અને જે તમારો સંનિષ્ઠ અનુયાયી નથી તેવાથી મને બચાવો,
તેવા ઠગ અને છેતરપીંડી કરનારા માણસથી મને બચાવો.
2 કારણ, હે દેવ, તમે મારું સાર્મથ્ય છો.
તમે મને શા માટે તજી દીધો?
દુશ્મનોની ક્રૂરતાને લીધે
હું શોક કરતો ફરૂં છું.
3 હે યહોવા, તમારું સત્ય અને પ્રકાશ પ્રગટ કરો;
જેથી હું માર્ગદર્શન મેળવું અને તેઓ મને તમારા પવિત્ર પર્વતમાં તથા તમારા મંડપમાં લાવે.
4 તમે મારા અતિઆનંદ છો,
તમારી વેદી પાસે હું જઇશ,
અને હે દેવ, મારી વીણા સાથે
હું તમારી આભારસ્તુતિ ગાઇશ.
5 હે મારા આત્મા, તું શા માટે આટલો બધો ઉદાસ છે?
તું શા માટે બેચેન છે?
દેવની મદદની રાહ જો, જે મારા મુખનું તારણ
તથા મારા દેવ છે હજી હું તેની કૃપા
અને મદદ માટે પ્રાર્થના કરીશ.
આંતરિક યુદ્ધ
12 રહાબઆમ શખેમમાં ગયો. કારણ કે ઇસ્રાએલના બધાં લોકો તેને રાજા બનાવવા માંટે ત્યાં ગયા હતા. 2 તે વખતે યરોબઆમ મિસરમાં હતો, સુલેમાંન રાજાની આગળથી તે ત્યાં નાસી ગયો હતો. આ રાજયાભિષેક વિષે તેણે તેના મિત્રો પાસેથી સાંભળ્યું, અને તે મિસરમાંથી પાછો આવ્યો.
3 કારણ કે ઇસ્રાએલના લોકોએ તેને બોલાવી લીધો હતો, પછી તે એ બધા લોકો સાથે રહાબઆમ પાસે ગયો અને કહ્યું, 4 “તમાંરા પિતા અમાંરા પ્રત્યે બહુ કઠોર હતા અને અમાંરી પાસે સખત કામ કરાવ્યા, હવે તમે અમાંરા પર તમાંરા પિતાએ મૂકેલો આ ભાર હળવો કરો, અને અમે તમાંરી સેવા કરીશું.”
5 પછી રહાબઆમે જણાવ્યું, “અહીંથી ચાલ્યા જાવ અને ત્રણ દિવસ પછી પાછા આવજો.” પછી લોકો તેમની પાસેથી દૂર ગયા. 6 ત્યારબાદ રાજા રહાબઆમે પોતાના પિતા સુલેમાંન જીવતા હતા ત્યારે જે વડીલો તેના સલાહકારો હતા તેઓની સલાહ લીધી. તેણે પૂછયું, “તમે મને આ લોકોને શો જવાબ આપવો તેની સલાહ આપો.”
7 તેમણે કહ્યું, “હવે આપ એ લોકોની ઇચ્છાને તાબે થઈ જાઓ અને એમની સાથે નમ્રતાથી વાત કરશો, તો તેઓ કાયમ માંટે તમાંરી સેવા કરશે.”
8 પરંતુ રહાબઆમે આ વડીલોની સલાહની અવગણના કરી; અને તેણે પોતાની સાથે ઉછરેલા જુવાન મિત્રોને બોલાવ્યા અને તેમની સલાહ લીધી, 9 તેણે પૂછયું, “આ લોકોએ જે મને કહ્યું છે કે, ‘તમાંરા પિતાએ અમાંરા પર જે ભાર મૂકયો છે તે હળવો કરો.’ તેઓને જવાબ આપવા માંટે તમે શી સલાહ આપો છો?”
10 જુવાન મિત્રોએ તેને કહ્યું, “તમે તેઓને એવો જવાબ આપો કે, ‘માંરા પિતાની કમર કરતાં માંરી ટચલી આંગળી જાડી છે. 11 અને માંરા પિતાએ તમાંરા પર જે બોજ મૂકયો હતો તેને હું વધારીશ. માંરા પિતા તમને કોરડાથી ફટકારતા હતા, હું તમને લોખંડના ટૂકડા બાંધેલા કોરડાથી ફટકારીશ.’”
12 યરોબઆમ અને તેના માંણસો ત્રણ દિવસ પછી રહાબઆમ પાસે ગયા. બરાબર જે પ્રમાંણે રાજાએ તેમને કરવા કહ્યું હતું તેમજ. 13 રાજાએ વડીલોની સલાહ માંની નહિ પણ લોકોને કઠોરતાથી જવાબ આપ્યો. 14 જેમ તેના મિત્રોએ તેને કહ્યું હતું તેમ તેણે કહ્યું, “માંરા પિતાએ તમાંરા પર જે ભાર મૂકયો હતો તે ભાર હું હજી વધારીશ. માંરા પિતા તો તમને ચાબુકથી ફટકારતા હતા, હું તો તમને લોખંડના ટુકડા બાંધેલા કોરડાથી ફટકારીશ.” 15 આમ, રાજાએ લોકોની વાત પર ધ્યાન આપ્યું નહિ, યહોવાએ શીલોના પ્રબોધક અહિયા માંરફતે નબાટના પુત્ર યરોબઆમને જે સંદેશો મોકલાવ્યો હતો તે પૂરો કરવાનો હતો, તેથી રાજાએ તે પ્રમાંણે વર્તન કર્યુ હતું.
16 જયારે લોકોએ જોયું કે રાજા આપણી વાત સાંભળતો નથી, ત્યારે તેઓએ જવાબ આપ્યો,
“દાઉદ સાથે અમાંરે શું સામ્ય છે?
યશાઇના પુત્ર સાથે અમાંરે શું લેવા દેવા છે?
ઓ ઇસ્રાએલીઓ, સૌ પોતપોતાને ઘેર પાછા જાઓ;
દાઉદ, હવેથી તું તારું ઘર સંભાળ.”
આમ, બધાં ઇસ્રાએલીઓ પોતપોતાને ઘેર ચાલ્યા ગયા. 17 અને આમ રહાબઆમે યહૂદાના નગરમાં વસતા ઇસ્રાએલીઓ પર રાજય કર્યુ.
18 રાજા રહાબઆમે વેઠ મજૂરોનું ખાતુ સંભાળતા અદોરામને ઇસ્રાએલીઓ પાસે મોકલ્યો, પણ તેઓએ તેને પથ્થરો માંરીને માંરી નાંખ્યો, આથી રાજા રહાબઆમને રથમાં બેસી યરૂશાલેમ ભાગી જવું પડયું. 19 ત્યારથી ઇસ્રાએલીઓએ દાઉદના કુટુંબ સામે બળવો કર્યો છે અને તેઓ આજ સુધી અલગ રહેતા આવ્યા છે.
20 જયારે ઇસ્રાએલના બધા લોકોએ સાંભળ્યું કે, યરોબઆમ પાછો આવ્યો છે, ત્યારે તેમણે તેને ઇસ્રાએલી સભા સમક્ષ બોલાવી, આખા ઇસ્રાએલનો રાજા બનાવ્યો. યહૂદાના કુળસમૂહ સિવાય કોઈ દાઉદના રાજવંશને વફાદાર રહ્યું નહિ.
ધીરજવાન બનો
7 ભાઈઓ અને બહેનો, ધીરજ રાખો, પ્રભુ ઈસુ આવશે; તેથી તે સમય સુધી ધીરજ રાખો. ખેડૂતો ધીરજવાન છે. ખેડૂત પોતાનો મૂલ્યવાન પાક જમીનમાંથી ઊંગે ત્યાં સુધી રાહ જુએ છે. ખેડૂત ધીરજથી પોતાના પાકને મળનાર પ્રથમ વરસાદ અને અંતિમ વરસાદની રાહ જુએ છે. 8 તમારે પણ ધીરજવાન થવું જોઈએે, આશા ન છોડશો. પ્રભુ ઈસુ ઘણો જલ્દી આવી રહ્યો છે. 9 ભાઈઓ અને બહેનો, એક બીજાની વિરૂદ્ધ ફરિયાદ ન કરો. જો તમે ફરિયાદ કરતા નહિ અટકાશો, તો તમે દોષિત થશો. ન્યાયાધીશને આવવાની તૈયારી છે!
10 ભાઈઓ અને બહેનો, જે પ્રબોધકો એ પ્રભુ વિશે વાત કરેલી તેના ઉદાહરણને અનુસરો. તેઓએ ઘણી ખરાબ વસ્તુઓ સહન કરી, પણ તેઓએ ધીરજ રાખી. 11 જેઓએ ધીરજ રાખી છે તે લોકોનો ધન્ય છે. તેઓ અત્યારે સુખી છે. અયૂબની ધીરજ વિષે તમે સાંભળ્યું છે અને પ્રભુથી જે પરિણામ આવ્યું તે ઉપરથી તમે જોયું છે કે, પ્રભુ ઘણો દયાળુ તથા કૃપાળુ છે.
તમારી વાણી અંગે સાવધ રહો
12 મારા ભાઈઓ અને બહેનો, જ્યારે તમે વચન આપો ત્યારે સમ ન ખાઓ. તે ખૂબજ મહત્વનું છે કે તમે જે કહો છો તેને સાબિત કરવામાં આકાશ, ધરતી અથવા બીજી કોઈ પણ વસ્તુના નામના સમ ન ખાઓ. જ્યારે તમે હકારાત્મક છો ત્યારે માત્ર “હા” કહો અને નકારાત્મક છો, ત્યારે માત્ર “ના” કહો. આમ કરો કે જેથી તમે ગુનેગાર ન ઠરો.
આત્માનો ઉધ્ધાર
19 મારા ભાઈઓ અને બહેનો, જો તમારામાંનો કોઈ સત્યમાંથી ભૂલો પડે તો બીજી વ્યક્તિ તેને સત્ય તરફ પાછા વળવા મદદરુંપ બને. 20 યાદ રાખો: જે વ્યક્તિ પાપીને ખોટા માર્ગેથી પાછી વાળે છે, તે વ્યક્તિ તે વ્યક્તિના પ્રાણને મોતમાંથી બચાવે છે. આમ તે પાપોની ક્ષમા માટે નિમિત્ત બને છે.
ઈસુ મરણ પામે છે
(માથ. 27:45-56; લૂ. 23:44-49; યોહ. 19:28-30)
33 બપોરે આખા દેશમાં અંધકાર છવાઇ ગયો. આ અંધકાર ત્રણ વાગ્યા સુધી ચાલુ રહ્યો. 34 ત્રણ વાગે ઈસુએ મોટા સાદે પોકાર કર્યો, “એલાઇ, એલાઇ, લમા શબક્થની.” આનો અર્થ છે, “મારા દેવ, મારા દેવ, તેં મને શા માટે એકલો મૂકી દીધો?”
35 ત્યાં ઊભા રહેલા કેટલાક લોકોએ આ સાંભળ્યું. તે લોકોએ કહ્યું, “ધ્યાનથી સાંભળો! તે એલિયાને બોલાવે છે.”
36 એક માણસ ત્યાં દોડ્યો અને વાદળી લીધી. તે માણસે વાદળીને સરકાથી ભરી અને વાદળીને લાકડીએ બાંધી. પછી ઈસુને તેમાંથી પાણી પીવા તે વાદળી આપવા તેણે લાકડીનો ઉપયોગ કર્યા. તે માણસે કહ્યું, “હવે આપણે રાહ જોઈએ અને જોઈએ કે એલિયા તેને વધસ્તંભથી નીચે ઉતારવા આવે છે કે કેમ.”
37 પછી ઈસુએ મોટે સાદેથી બૂમ પાડીને પ્રાણ છોડ્યો.
38 જ્યારે ઈસુ મરણ પામ્યો, તે જ વખતે મંદિરનો પડદો બે ભાગમાં ફાટી ગયો હતો. તે ઉપરથી શરું થયો અને છેક નીચે સુધી ફાટી ગયો. 39 લશ્કરનો અમલદાર જે ત્યાં વધસ્તંભ આગળ ઉભો હતો તેણે ઈસુનું મરણ થતાં શું બન્યું તે જોયું. તે અમલદારે કહ્યું, “આ માણસ ખરેખર દેવનો પુત્ર હતો!”
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International