Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 97

યહોવા શાસન કરે છે.
    હે પૃથ્વી, આનંદિત થાઓ!
હે દૂરનાં પ્રદેશો,
    સુખી થાઓ!
તેની આસપાસ મેઘ ને અંધકાર છે;
    ન્યાયીપણું તથા ન્યાય તેના રાજ્યાસનનો પાયો છે.
અગ્નિ તેમની આગળ ચાલે છે
    અને તેમનાં સર્વ શત્રુઓને ભસ્મ કરે છે.
તેમની વીજળીઓ જગતને ચમકાવે છે અને પ્રકાશિત કરે છે;
    તે જોઇને પૃથ્વી થરથર કાંપે છે.
પૃથ્વી પરના બધાં પર્વતો સમગ્ર પૃથ્વીના
    પ્રભુ યહોવા સમક્ષ મીણની જેમ પીગળી ગયાં.
તેનું ન્યાયીપણું આકાશો પ્રગટ કરે છે;
    અને સર્વ લોકોએ તેનો મહિમા જોયો છે.

મૂર્તિઓનું પૂજન કરનારા
    અને તેના વિષે ડંફાસ હાંકનારા સહુ શરમાઓ,
તેમના “દેવો” નમશે
    અને યહોવાની ઉપાસના કરશે.
હે યહોવા, તમારા અદલ ન્યાયથી સિયોન આનંદ પામ્યું,
    તે સાંભળી યહૂદિયાની દીકરીઓ હરખાઇ.
હે યહોવા, સમગ્ર પૃથ્વીના પરાત્પર દેવ છો;
    અને તમે સર્વ દેવો કરતાં શ્રેષ્ઠ છો.
10 હે યહોવા, પર પ્રેમ કરનારાઓ,
    તમે દુષ્ટતાને ધિક્કારો,
તે પોતાના ભકતોના આત્માઓનું રક્ષણ કરે છે.
    તે તેઓને દુષ્ટોના હાથમાંથી છોડાવે છે.
11 સજ્જનો પર તેજ પ્રકાશે છે,
    જેઓના હૃદય શુદ્ધ છે તેઓને સુખથી ભરી દેવામાં આવે છે.
12 હે ન્યાયી લોકો, તમે યહોવામાં આનંદ કરો;
    અને તેનાં પવિત્ર નામને માન આપો!

ગીતશાસ્ત્ર 99-100

યહોવા રાજ કરે છે,
    પ્રજાઓ તેમની સમક્ષ કાઁપો,
કરૂબીમ પર તે બિરાજે છે,
    સમગ્ર પૃથ્વી કાપો.
સિયોનમાં યહોવા મહાન છે
    તે સર્વ પ્રજાઓમાં પ્રતિષ્ઠિત છે!
તેઓ તમારા મહાન
    અને ભયાવહ નામની સ્તુતિ કરો;
    તે પવિત્ર છે.
સાર્મથ્યવાન રાજા ન્યાયને ચાહે છે, હે દેવ,
    તમે ભલાઇનું સર્જન કર્યુ છે
    અને તમે ભલમનસાઇ અને ન્યાય ઇસ્રાએલમાં સ્થાપિત કર્યો છે.
આપણા દેવ યહોવા મોટો મનાવો,
    અને તેમના ચરણોમાં તેમના પાયાસન પાસે આવો
    અને તેની ઉપાસના કરો, તે પવિત્ર છે.
તેમના યાજક, મૂસા, હારુન અને શમુએલે,
    સહાયને માટે યહોવાને વિનંતી કરી;
    ત્યારે તેમણે તેઓને ઉત્તર આપ્યો.
તેમણે મેઘસ્તંભમાંથી તેમની સાથે વાત કરી,
    તેઓ તેમને આપેલા તેના આદેશો
    અને કાયદાને અનુસર્યા.
હે યહોવા, અમારા દેવ, તેં તેઓને ઉત્તર દીધો;
    જો કે તેં તેઓના કામનો બદલો વાળી દીધો.
    તો પણ તેઓને ક્ષમા કરનાર દેવ તો તું હતો.
આપણા યહોવા દેવને પ્રતિષ્ઠિત કરો.
    પવિત્ર પર્વત પર તેમની ઉપાસના કરો,
    કેમ કે આપણા દેવ યહોવા પવિત્ર છે.

આભારસ્તુતિનું ગીત.

હે પૃથ્વીના લોકો, યહોવાની સમક્ષ ગાઓ!
આનંદથી યહોવાની સેવા કરો, હર્ષથી સ્તુતિગાન કરતાં;
    તેમની સમક્ષ આવો.
અને તમે જાણો, યહોવા તે જ દેવ છે;
    તેણે આપણને ઉત્પન્ન કર્યા છે, અને આપણે તેનાં જ છીએ;
    આપણે તેમનાં લોકો અને આપણે તેમનાં ઘેટા છીએં.
આભારસ્તુતિ સાથે તેમના દરવાજામાંથી પ્રવેશો,
    અને સ્તવન કરતાં તેના આંગણામાં આવો;
    આભાર માનીને તેના નામને આશીર્વાદ આપો.
કારણ, યહોવા ઉત્તમ છે,
    તેમની કૃપા સર્વકાળ છે;
    અને પેઢી દરપેઢી તેમનું ન્યાયીપણું ટકી રહે છે.

ગીતશાસ્ત્ર 94-95

હે દેવ યહોવા, ખોટું કરનારને તમે શિક્ષા કરો છો,
    હે બદલો લેનારા દેવ! દર્શન આપો!
હે પૃથ્વીના ન્યાયાધીશ,
    ઊઠો અને ગવિર્ષ્ઠોને યોગ્ય શિક્ષા કરો.
હે યહોવા, ક્યાં સુધી તમે દુષ્ટ લોકોને તેમની હસીમજાક કરવા દેશો?
    કેટલી વધારે?
તેઓ અભિમાન યુકત વાતો કરે છે;
    અને સર્વ અન્યાય કરનારા વડાઇ કરે છે.
હે યહોવા, તેઓ તમારા લોકો પર જુલમ કરે છે;
    અને તેઓ તમારા વારસાને દુ:ખ દે છે.
તેઓ વિધવાઓ અને વિદેશીઓની ભારે હત્યા કરે છે;
    અનાથની હત્યા કરે છે.
તેઓ કહે છે, “યહોવા અમને જોતા નથી.
    યાકૂબના દેવ ધ્યાન આપતા નથી.”

હે મૂર્ખ લોકો,
    ડાહ્યાં થાઓ!
ઓ અજ્ઞાની લોકો
    તમે ક્યારે ડાહ્યાં થશો?
જે કાનનો ઘડનાર છે,
    તે નહિ સાંભળે?
આંખનો રચનાર જે છે
    તે શું નહિ જુએ?
10 જે રાષ્ટ્રોને શિસ્તમાં રાખે છે, તે શું તમને સખત ઠપકો આપતા નથી?
    દેવ લોકોને તેઓ જે જાણે છે તે શીખવે છે.
11 યહોવા સારી રીતે જાણે છે
    કે માનવજાતના વિચારો કેવાં વ્યર્થ અને મર્યાદિત છે!

12 હે યહોવા, તમે જેને શિસ્તમાં રાખો છો અને તમારા નિયમશાસ્ત્ર શીખવો છો,
    તેઓને આશીર્વાદ મળેલા છે.
13 તમે તેના પર સંકટના દિવસો નથી આવવા દેતા,
    દુષ્ટને માટે ખાડો ખોદાય ત્યાં સુધી.
14 યહોવા, પોતાના લોકોને તરછોડશે નહિ;
    અને પોતાના વારસાનો ત્યાગ કરશે નહિ.
15 કારણ, ન્યાય પાછો વળશે અને તે ન્યાયીપણું લાવશે
    અને સર્વ યથાર્થ હૃદયવાળાં તેને અનુસરશે.

16 મારો પક્ષ લઇને દુષ્ટોની સામે કોણ ઉભું રહેશે?
    દુષ્કમીર્ઓથી મારું રક્ષણ કરવા કોણ મારી બાજુમાં ઉભું રહેશે?
17 યહોવાએ મારી સહાય ન કરી હોત
    તો હું જરૂર મૃત્યુ પામ્યો હોત.
18 જ્યારે મેં વિચાર્યુ કે હું હવે પડવાનો છું
    ત્યારે યહોવા દેવે મને ટેકો આપ્યો.
19 હે યહોવા, મારા મન અને હૃદય ચિંતા અને પરેશાનીથી ભરાઇ ગયા હતાં.
    પરંતુ તમે મને દિલાસો આપ્યો અને મને સુખી બનાવ્યો.

20 હે દેવ, ચોક્કસ, તમે દુષ્ટ શાસકોને ટેકો આપતા નથી જેઓએ
    પોતાના નિયમો દ્વારા લોકોનું જીવન વધારે મુશ્કેલ બનાવી દીધું છે.
21 તેઓ સારા લોકો પર હુમલો કરે છે;
    તેઓ નિર્દોષને દોષિત ઠરાવીને તેમને મૃત્યદંડ આપે છે.
22 પણ યહોવા મારા ગઢ છે, અને મારો દેવ મારા સાર્મથ્યવાન ખડક છે;
    અને હું તેમનો આશ્રય લઉં છું.
23 દેવ દુષ્ટ માણસોના પાપ પ્રમાણે તેઓને બદલો આપ્યો છે;
    અને તે બધાનો સંહાર કરશે, તેઓની દુષ્ટતાને કારણે,
    યહોવા આપણો દેવ તેઓનો જરૂર સંહાર કરશે.

આવો, યહોવા સમક્ષ આપણે ગાઇએ;
    આપણા તારણના ખડક સમક્ષ હર્ષનાદ કરીએ.
તેની હજૂરમાં આભારસ્તુતિ સાથે આવીએ;
    અને આપણે તેની સમક્ષ સ્તુતિગાન કરીએ.
કારણ, યહોવા મહાન દેવ છે;
    તે સર્વ દેવો પર મહાન રાજા છે.
તેમનાં હાથમાં પૃથ્વીનાં ઊંડાણો છે;
    અને ઊંચા પર્વતોના માલિક પણ તે છે.
જેણે સમુદ્ર બનાવ્યો અને કોરી ભૂમિ
    પણ બનાવી તેમના તે માલિક છે.
આવો આપણે તેને ભજીએ અને નમીએ;
    ને આપણા કર્તા યહોવાને ઘૂંટણિયે પડીએ.
કારણ તે આપણા દેવ છે,
    આપણે તેના ચારાના લોક
    અને તેના હાથના ઘેટાં છીએ.

આજે જો તમે તેની વાણી સાંભળો તો કેવું સારું!
    દેવ કહે છે, “ઇસ્રાએલી લોકોએ અરણ્યમાં મરીબાહમાં તથા માસ્સાહમાં,
    પોતાના હૃદય કઠણ કર્યા, તેવું તમે કરશો નહિ.
તમારા પિતૃઓએ મારી કસોટી કરી,
    પરંતુ પછીથી તેઓએ જોયું કે હું શું કરી શકું છું!”
10 યહોવા દેવ કહે છે, “ચાળીસ વર્ષ સુધી મેં તે પેઢીને સહન કરી છે પણ જ્યારે હું તેમનાથી કંટાળ્યો ત્યારે મેં કહ્યું,
    તે લોકો અવિનયી છે.
    તેઓએ મારા માર્ગો કદી શીખ્યાં નથી.
11 મેં મારા અતીશય ક્રોધમાં પ્રતિજ્ઞા લીધી
    કે મેં તેઓ માટે નક્કી કરેલા વિશ્રામમાં વચનનાં દેશમાં,
    તેઓ કદાપિ પ્રવેશ કરશે જ નહિ.”

હઝકિયેલ 7:10-15

10 “ઇસ્રાએલ માટે વિનાશનો દિવસ આવે છે, ભયની ઘંટડી વાગી ચૂકી છે, ન્યાયનો દંડ મ્હોરી ચૂક્યો છે અને ઉદ્ધતાઇ સમૃદ્ધ થઇ છે. 11 હિંસા ક્યારનીયે વધી ગઇ છે અને તેણે દુષ્ટતાનો ટેકો લઇ લીધો છે. એ તેમનામાંથી કે તેમના સંગ્રાહકોમાંથી કે તેમના વિષ્વાસઘાતીઓમાંથી કે તેમના બળવાખોરોમાંથી નથી આવતી.

12 “સમય આવી રહ્યો છે, દિવસ ઉગવાની તૈયારીમાં છે. ખરીદનારે હરખાઇ જવાનું નથી, કે વેચનારે પસ્તાવાનું નથી, કારણ, મારો રોષ બધા પર એકસરખો ઊતરનાર છે. 13 રણશિંગાના વર્ષમાં જ્યારે પાછા આવવાનો સમય થશે ત્યારે પોતે જીવતો હશે તોપણ વેચનાર પોતાના સ્થળે પાછો નહિ આવે. કારણ કે, આ સંદર્શન તો આખા સમુદાય વિષે છે. તેઓ પાછા ફરવાના નથી.[a] કોઇ માનવીનું જીવન તેણે કરેલા અનિષ્ટોને કારણે બચશે નહિ.

14 “ઇસ્રાએલના સૈન્યને એકત્ર કરવા એ લોકો રણશિંગડું વગાડે છે. લડાઇ માટે બધી તૈયારીઓ કરે છે પણ કોઇ યુદ્ધમાં જતું નથી, કારણ મારો રોષ સૌ ઉપર એકસરખો ઊતરનાર છે. 15 કિલ્લાની બહાર તરવાર છે અને અંદર રોગચાળો અને ભૂખમરો છે. જેઓ લડાઇનાં મેદાનમાં છે તેઓ તરવારનો ભોગ બનશે. અને જેઓ નગરમાં છે તેમને રોગચાળો અને ભૂખમરો ગળી જશે.

હઝકિયેલ 7:23-27

23 “મારા લોકોને માટે સાંકળો તૈયાર કરો. કારણ કે સમગ્ર દેશ લોહીથી ખરડાયેલો છે. ગામેગામ હિંસા ફાટી નીકળી છે. 24 હું દુષ્ટમાં દુષ્ટ પ્રજાઓને અહીં લઇ આવીશ અને તેમને આ લોકોનાં ઘર પડાવી લેવા દઇશ. હું બળવાનોનો ઘમંડ ઉતારીશ અને તેમનાં મંદિરો ષ્ટ કરાવીશ.

25 “જ્યારે ભયનો સમય નજીક આવે ત્યારે, તેઓ નિરાશ થઇ જશે અને લોકો શાંતિ ઝંખશે પણ કદી શાંતિ પામશે નહિ. 26 આફત એક પછી એક આવી પડશે, એક પછી એક અફવા ફેલાશે, તેઓ પ્રબોધકોને ભાવી જાણવા ફોગટ પૂછ-પૂછ કરશે. યાજકો પણ કશું માર્ગદર્શન નહિ આપી શકે, તેમ વડીલો કશી સલાહ નહિ આપી શકે. 27 રાજાઓ શોક કરશે, અમલદારો પાયમાલીથી ઘેરાઇ જશે, ને લોકો ભયથી કાંપી ઊઠશે. તમારા આચરણ પ્રમાણે હું તમને સજા કરીશ; તથા તેઓના કાર્યો મુજબ હું તેમને ન્યાય કરીશ. ત્યારે તેઓ જાણશે કે હું યહોવા છું.”

હિબ્રૂઓ 6:13-20

13 દેવે ઈબ્રાહિમને વચન આપ્યું, ત્યારે પોતાના (દેવના) કરતાં કોઈ મહાન નહિ હોવાને લીધે તેણે પોતાનાં જ નામે શપથ લીધા. 14 દેવે કહ્યું. “હું તને નક્કી ઘણાજ આશીર્વાદો અને ઘણા જ સંતાનો આપીશ.”(A) 15 એ વચન પરિપૂર્ણ થાય, ત્યાં સુધી ઈબ્રાબિમે ઘણી જ ધીરજ રાખી. અને દેવે જે વચન આપ્યું હતું, તે ઈબ્રાહિમે મેળવ્યું.

16 માણસ પોતાના કરતાં મહાન વ્યક્તિના નામે શપથ લે છે. અને શપથથી સઘળી તકરારોનો અંત આવે છે. 17 દેવને એ ખાતરી કરાવવી હતી કે તેણે આપેલ વચન સત્ય હતું. તેને એ સાબિત કરવું હતું કે તેણે જેને જે વચન આપ્યાં છે તે તેઓ પ્રાપ્ત કરશે કારણ તેનો નિર્ણય બદલી શકાય તેમ નથી. તેથી વચનના પાલન સંબધી સંપૂર્ણ ખાતરી માટે દેવ પોતે પણ શપથથી બંધાયો છે. 18 પેલી બે વસ્તુ કદી બદલાતી નથી. એક તો દેવ કઈક કહે છે ત્યારે તે કદી અસત્ય હોતું નથી અને જ્યારે તે સમ લે છે ત્યારે તે જૂઠા હોઈ શકે નહિ.

આ બે બાબતો આપણને દિલાસો આપે છે કે આશાને વળગી રહેવા દેવ પાસે આશ્રય માટે આવનારને સલામતી આશ્રય અને સામથ્યૅ મળે છે. 19 આ આશા આપણા આત્માઓના એક મજબૂત અને વિશ્વાસ યોગ્ય લંગર સમાન છે. વળી તે આપણને સૌથી પવિત્ર સ્થાનના પડદા પાછળ રહેલાં સ્વર્ગીય મંદિરમાં દેવ સાથે બાંધે છે. 20 ઈસુ ખ્રિસ્તે સ્વર્ગીય સ્થાનમાં આપણી અગાઉ પ્રવેશ કર્યો છે. અને આપણા માટે રસ્તો ખુલ્લો કર્યો છે અને મલ્ખીસદેકના ધારા પ્રમાણે તે હંમેશને માટે આપણો પ્રમુખયાજક થયો છે.

લૂક 10:1-17

ઈસુ 72 માણસોને મોકલે છે

10 આ પછી, પ્રભુએ બીજા વધારે 72[a] માણસો પસંદ કર્યા અને જે દરેક શહેર અને જગ્યાએ જવાનું તેણે આયોજન કર્યુ હતું, ત્યાં બબ્બેના સમૂહમાં પોતાના પહેલાં મોકલ્યા. ઈસુએ તેઓને કહ્યું, “પાક ઘણો સારો છે, પણ પાકના કામમાં મજૂરો બહુ થોડા છે, પાકના (લોકો) ધણીને પ્રાર્થના કરો કે તેના પાકને ભેગો કરવામાં મદદ માટે વધારે મજૂરોને મોકલે.

“તમે હમણા જઇ શકો છે. પણ ધ્યાનથી સાંભળો! હું તમને મોકલું છું અને તમે વરુંઓમાં ઘેટાંનાં બચ્ચાં જેવા હશો. પૈસા, ઝોળી કે જોડાં કંઈ પણ તમારી સાથે લઈ જશો નહિ. રસ્તામાં કોઈની સાથે વાત કરવા રોકાશો નહિ. કોઈ પણ ઘરમાં પ્રવેશ કરતા પહેલા કહો કે, ‘આ ઘરનાંને શાંતિ થાઓ.’ જો શાંતિનો દીકરો ત્યાં રહેતો હોય તો તમારા આશીર્વાદની શાંતિ તેમની સાથે રહેશે. પણ જો, માણસ શાંતિ નહિ રાખતો હોય તો પછી તમારા આશીર્વાદની શાંતિ તમારી પાસે પાછી આવશે. શાંત ઘરમાં જ રહો. લોકો તમને ત્યાં જે કંઈ આપે તે ખાઓ અને પીઓ. કારણ કે મજૂર તેના વેતનને પાત્ર છે. તેથી એક ઘેરથી બીજા ઘેર જશો નહિ.

“જો તમે કોઈ શહેરમાં પ્રવેશો અને લોકો તમને આવકારે તો તેઓ તમને જે ખાવાનું આપે તે ખાઓ. ત્યાં રહેતા માંદા લોકોને સાજા કરો, પછી તેઓને કહો, ‘દેવનું રાજ્ય જલદીથી તમારી પાસે આવે છે!’

10 “પણ જો તમે કોઈ શહેરમાં જાઓ અને લોકો તમને આવકારે નહિ તો પછી તે શહેરની શેરીઓમાં જાઓ. અને કહો; 11 ‘તમારા શહેરની જે ધૂળ અમારા પગ પર છે તે પણ અને તમારી સામે ખંખેરી નાખીએ છીએ. પણ એટલું યાદ રાખજો કે દેવનું રાજ્ય જલદી આવે છે.’ 12 હું કહું છું કે ન્યાયના દિવસે તે શહેરના લોકોની હાલત સદોમના લોકો કરતાં વધારે ખરાબ થશે.

ઈસુની અવિશ્વાસુ લોકોને ચેતવણી

(માથ. 11:20-24)

13 “ઓ ખોરાઝીન, તે તારે માટે ખરાબ છે, ઓ બેથસૈદા, તે તારા માટે ખરાબ છે. મેં તમારામાં ઘણા ચમત્કારો કર્યા છે. તે જો તૂર તથા સિદાનમાં થયા હોય તો, તે શહેરના લોકોએ તેઓનાં જીવનમાં પરિવર્તન કર્યુ હોત અને ઘણા વખત રહેલાં પાપો કરવાનું બંધ કર્યુ હોત. તેઓએ તાટના વસ્ત્રો પહેર્યા હોત અને તેમની જાતે રાખ ચોળીને તેઓએ તેઓનાં પાપો માટે પશ્ચાતાપ દર્શાવ્યો હોત. 14 પરંતુ ન્યાયના દિવસે તૂર અને સિદોન કરતાં તમારા માટે વધારે ખરાબ થશે. 15 અને ઓ કફર-નહૂમ, શું તને આકાશ સુધી ઊંચુ કરાશે? ના! તને તો નરકમાં ફેંકી દેવામાં આવશે!

16 “જ્યારે કોઈ વ્યક્તિ તમને ધ્યાનથી સાંભળે છે, તે વ્યક્તિ ખરેખર મને પણ ધ્યાનથી સાંભળે છે અને જ્યારે કોઈ વ્યક્તિ તમને સ્વીકારવાની ના પીડે, ત્યારે તે મને પણ સ્વીકારવાની ના પાડે છે. અને જે મને સ્વીકારવાની ના પાડે છે, તે જેણે મને અહીં મોકલ્યો છે તેને સ્વીકારવાની ના પાડે છે.”

શેતાનની પડતી

17 જ્યારે 72 માણસો તેઓનો પ્રવાસ કરીને પાછા ફર્યા ત્યારે તેઓ ઘણા પ્રસન્ન હતા. તેઓએ કહ્યું, “પ્રભુ, જ્યારે અમે તારા નામનો ઉપયોગ કર્યો ત્યારે ભૂતો પણ અમને તાબે થયા.”

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International