Add parallel Print Page Options

યરૂશાલેમ પર આશ્શૂરની સેનાનું આક્રમણ

36 હિઝિક્યા રાજાની કારકિદીર્ના અમલના ચૌદમા વર્ષે આશ્શૂરના રાજા સાન્હેરીબે યહૂદાનાં બધાં કિલ્લેબંદી નગરો ઉપર ચઢાઇ કરીને તે કબ્જે કરી લીધાં. લાખીશથી આશ્શૂરના રાજાએ મુખ્ય સંદેશવાહકને મોટા લશ્કર સાથે રાજા હિઝિક્યા પાસે યરૂશાલેમ મોકલ્યા, અને તેમણે યરૂશાલેમ પહોંચીને ધોબીઘાટને રસ્તે આવતા ઉપલા તળાવના ગરનાળા આગળ પડાવ નાખ્યો, અને રાજાને તેડાવ્યો;

એટલે ઇસ્રાએલના હિલ્કિયાનો પુત્ર એલ્યાકીમ જે મહેલનો કારભારી હતો, રાજાનો મંત્રી શેબ્ના તથા આસાફનો પુત્ર જે નોંધણીકાર હતો, યોઆહ તે બધાં સાથે મળીને નગરની બહાર તેને મળવા ગયા.

મુખ્ય સંદેશવાહકે તેમને કહ્યું, “જાવ હિઝિક્યાને જઇને કહો કે, આશ્શૂરના મહાન રાજાનો આ સંદેશ છે:

“‘તને આટલો બધો આત્મવિશ્વાસ શાથી છે? તું શું એમ માને છે કે, મુત્સદ્દીગીરી અને લશ્કરી બળ માત્ર ખોખલાં શબ્દો લઇ શકે છે? તું કોના ઉપર આધાર રાખીને મારી સામે બળવો પોકારે છે? મિસર ઉપર? મિસર તો ભાંગેલું બરું છે; જે કોઇ એનો આધાર લે છે તેના હાથ ચિરાઇ જાય છે મિસરનો રાજા તો એવો છે જે કોઇ તેના પર વિશ્વાસ રાખે છે તેના એવા હાલ થાય છે.

“‘તમે કદાચ એમ કહેશો કે, “અમે તો અમારા દેવ યહોવા પર આધાર રાખીએ છીએ.” પણ તમારા એ જ દેવનાં ઉચ્ચસ્થાનોને અને વેદીઓને હિઝિક્યાએ જ હઠાવી દીધાં છે અને યહૂદા અને યરૂશાલેમના લોકોને એમ જણાવ્યું કે, “તમારે એક જ વેદી આગળ ઉપાસના કરવાની છે.”

“‘જુઓ, મારા ધણી આશ્શૂરના રાજા સાથે કરાર કરી લો, હું તમને બે હજાર ઘોડા આપવા તૈયાર છું, જો તમે એટલા સવારો મેળવી શકતા હો તો. તમે એવું કેમ વિચારો છો કે તમે મારા ધણીના નાનામાં નાના અમલદારને સુદ્ધાં હરાવી શકશો, જ્યારેં તમે રથો અને ઘોડાઓ માટે મિસર પર આધાર રાખો છો?

10 “‘શું તમે એમ માનો છો કે હું યહોવાના કહ્યા વિના આ ભૂમિને જીતી લેવા અહીં આવ્યો છું? યહોવાએ મને કહ્યું છે કે, “તું જઇને તેનો નાશ કર!”’”

11 એલ્યાકીમ, શેબ્ના અને યોઆહે વડા અમલદારને કહ્યું, “મહેરબાની કરીને અમારી સાથે અરામીમાં બોલો. અમે એ ભાષા સમજીએ છીએ. કોટ ઉપરના લોકોના સાંભળતાં અમારી સાથે યહૂદીઓની ભાષામાં ના બોલશો.”

12 પણ સંદેશવાહકે પ્રત્યુત્તર આપ્યો, “કેવળ તું અને તારો માલિક જ નહિ પરંતુ યરૂશાલેમમાં વસનારા દરેક વ્યકિત આ સાંભળે તેવું મારા ધણી ઇચ્છે છે, કારણ કે તેઓ પોતાની વિષ્ટા ખાવા માટે અને પોતાનો પેશાબ પીવા માટે નિયત થયેલા છે.”

13 પછી સંદેશવાહકે ટટાર ઊભા રહીને ઊંચા સાદે યહૂદીઓની ભાષામાં કહ્યું,

‘આશ્શૂરના રાજાધિરાજનો સંદેશો સાંભળો; 14 રાજા કહે છે: હિઝિક્યાથી ભોળવાશો નહિ; એ તમને નહિ બચાવી શકે. 15 યહોવા જરૂર આપણું રક્ષણ કરશે, “આ શહેર કદી આશ્શૂરના રાજાના હાથમાં જવાનું નથી.” એમ કહીને હિઝિક્યા તમને યહોવા પર આધાર રાખવા સમજાવે તો માનશો નહિ.

16 ‘એની વાત સાંભળશો નહિ, હું આશ્શૂરનો રાજા તો એમ કહું છું કે, “મારી સાથે સંધિ કરો, મારે તાબે થાઓ; તો તમારામાંના એકેએક જણ પોતાની દ્રાક્ષનીવાડીનાં અને અંજીરીના ફળ ખાવા પામશે અને પોતાની ટાંકીનું પાણી પીવા પામશે; 17 અને છેલ્લે, હું તમને તમારા દેશ જેવા જ એક દેશમાં મોકલી આપીશ, જ્યાં પુષ્કળ અનાજ અને દ્રાક્ષારસ છે.”

18 ‘પરંતુ સાવધ રહેજો! હિઝિક્યા તો તમને કદાચ એમ કહીને ગેરમાર્ગે દોરે છે કે, “યહોવા આપણું રક્ષણ કરશે. બીજી પ્રજાના દેવે મારા હાથમાંથી એના દેશને બચાવ્યો છે ખરો? 19 હમાથ અને આર્પાદની મેં કેવી દશા કરી હતી તે શું તમને યાદ નથી? શું તેઓના દેવો તેઓને બચાવી શક્યા? અને સફાર્વાઇમ તથા સમરૂનનું શું થયું? તેઓના દેવો હાલ ક્યાં છે? 20 આ બધા દેશોના દેવોમાંથી કોણે પોતાના દેશને મારા સાર્મથ્યમાંથી છોડાવ્યા છે? યહોવા યરૂશાલેમને મારા હાથમાંથી છોડાવી શકશે એમ તમે માનો છો શું?’”

21 બધા લોકો મૂંગા રહ્યાં, અને એક પણ શબ્દ ઉચ્ચાર્યો નહિ, કારણ કે હિઝિક્યાએ તેઓને કહ્યું હતું કે “તેઓએ જવાબમાં કશું કહેવું નહિ.”

22 પછી મહેલના મુખ્ય કારભારી હિલ્કીયાના પુત્ર એલ્યાકીમ, મંત્રી શેબ્ના અને નોંધણીકાર આસાફના પુત્ર યોઆહે દુ:ખના માર્યા પોતાનાં કપડાં ફાડી નાખ્યાં, અને હિઝિક્યા પાસે જઇને સંદેશવાહકે જે કહ્યું હતું તે કહી સંભળાવ્યું.