Add parallel Print Page Options

15 “મૂસા તથા શમૂએલ પણ જો મારી સમક્ષ ઊભા રહે, તોયે હું લોકો પર દયા કરવાનો નથી. તેઓને મારી નજર સમક્ષથી દૂર લઇ જા! અને તેઓ તને જો એમ કહે; ‘પણ અમે ક્યાં જઇએ?’ ત્યારે તેઓને કહેજે: આ યહોવાના વચન છે:

“‘જેઓ રોગથી મૃત્યુ પામવાના છે
    તેમણે ત્યાં જવું,
જેઓ યુદ્ધમાં મૃત્યુ પામવાના છે
    તેમણે ત્યાં જવું,
જેઓ દુકાળથી મૃત્યુ પામવાના છે
    તેમણે દુકાળ તરફ જવું,
અને જેઓ બંદીવાસમાં જવા નિર્માયા છે
    તેમણે બંદીવાસમાં જવું.’
મેં એ લોકોને માટે ચાર
    પ્રકારના અંત નિર્માણ કર્યા છે.
તરવાર તેમનો સંહાર કરશે,
    કૂતરાં તેમને ફાડી ખાશે,
આકાશના પંખીઓ એમને ખાઇ જશે,
    અને બાકી રહ્યા તેમને જંગલી જાનવરો ખાઇ જશે.
હિઝિક્યાના પુત્ર, યહૂદિયાના રાજા મનાશ્શાએ યરૂશાલેમમાં કરેલાં દુષ્ટ કાર્યોને લીધે,
    હું તમને આકરી શિક્ષા કરીશ.
અને તમને કરવામાં આવેલી શિક્ષાને લીધે પૃથ્વીના
    સર્વ લોકો ભયભીત થશે.”

યહોવા કહે છે, “કોણ તારી દયા ખાશે,
    હે યરૂશાલેમ? કોણ તારે માટે શોક કરશે?
    તારી ખબર અંતર પૂછવાની તસ્દી પણ કોણ લેશે?
તમે મારો ત્યાગ કર્યો છે
    અને મારા તરફ પીઠ કરી છે;
તેથી તમારી વિરુદ્ધ મારો હાથ ઉઠાવીને
    હું તમારો વિનાશ કરીશ.
    દર વખતે પશ્ચાત્તાપ કરતાં હું થાકી ગયો છું.”
આ યહોવાના વચન છે.
“પ્રદેશના દરવાજા આગળ
    મેં તેઓને સૂપડાથી ઝાટક્યાં છે;
મેં મારા લોકોને નિ:સંતાન તથા નષ્ટ કર્યા છે;
    કારણ કે તેઓએ પોતાના સર્વ
    દુષ્ટ માર્ગો તજીને મારા તરફ પાછા ફર્યા નથી.
અસંખ્ય સ્ત્રીઓને મેં વિધવા બનાવી છે.
    મેં તેમના જુવાનોને ભરયુવાનીમાં મારી નાખ્યા છે;
અને તેમની માતાઓને વિલાપ કરાવ્યા છે;
    મેં તેમને એકાએક દુ:ખ અને ભયના ભોગ બનાવ્યા છે.
સાત સાત પુત્રોની માતા મૂર્છા ખાઇને પડી છે,
    શ્વાસ લેવા માટે હવાતિયાં મારે છે.
તે દિવસે તેને અંધારાં દેખાય છે,
    તેની શરમ અને નામોશીનો પાર નથી.
તમારામાંથી જેઓ હજુ પણ જીવતાં હશે,
    તેઓનો હું તમારા શત્રુઓ દ્વારા સંહાર કરાવીશ.”
આ યહોવાના વચન છે.

યર્મિયાએ ફરી દેવને ફરિયાદ કરી

10 પછી યર્મિયાએ કહ્યું, “હે મારી મા, તેં આ દુ:ખીયારાને શા માટે જન્મ આપ્યો!
    મારે દેશમાં બધા સાથે ઝગડો
તથા તકરાર કરવાં પડે છે!
    મેં નથી કોઇની પાસે ઊછીનું લીધું કે,
નથી કોઇને ઉછીનું આપ્યું,
    તેમ છતાં બધાં મને શાપ શા માટે આપે છે?
11 હે યહોવા, સાચે જ મેં તારી હૃદયપૂર્વક સેવા કરી નથી?
    મારા દુશ્મનો જ્યારે આફતમાં આવી પડ્યા,
    દુ:ખમાં આવી પડ્યા ત્યારે તેમના તરફથી તને મેં પ્રાર્થના નથી કરી?”

દેવે યર્મિયાને જવાબ આપ્યો

12 “શું કોઇ માણસ સળીયા
    એટલે ઉત્તરના દેશનાં લોખંડ
તથા કાંસુ ભેળવીને
    બનાવેલા સળીયા ભાંગી શકે?
13 હું તમારી મિલકતોને
    અને ખજાનાઓને લૂંટાવી દઇશ.
લોકોએ આના માટે કશું ભરવું નહી પડે.
    આનુ કારણ એ છે કે આખા દેશમાં
    તમે બધાયે મારી વિરુદ્ધ આચરેલા પાપ.
14 હું તમને અજાણ્યા દેશમાં
    તમારા દુશ્મનોના ગુલામ બનાવી દઇશ,
કારણ મારો ક્રોધ તમારી પર ભભૂકી ઊઠયો છે
    અને મારો ક્રોધ જેને ઓલવી ન શકાય
    તેવો ભડભડતા અગ્નિ જેવો છે.”

15 યર્મિયાએ કહ્યું, “હે યહોવા, તમે બધું જાણો છો,
    મને યાદ કરો ને મદદ કરો,
મને સતાવનારા પર વૈર લો.
    જ્યારે તમે તેમની સાથે ધીરજ રાખો છો,
ત્યારે તેઓ મને દૂર લઇ ન જાય. જરા,
    જુઓ તો ખરા,
તમારે ખાતર
    હું કેટકેટલાં અપમાન સહન કરું છું!
16 તમારા વચનો મને ટકાવી રાખ્યો છે;
    મારા ભૂખ્યા આત્માનું તે ભોજન છે,
તે મારા દુ:ખી હૃદયને આનંદિત અને હષિર્ત કરે છે.
    હે સૈન્યોના દેવ યહોવા, તમારું નામ ધારણ કરીને હું કેટલો ગર્વ અનુભવું છું.
17 મેં કદી નિરર્થક મોજમજા કરનારાઓના સંગમાં આનંદ માણ્યો નથી.
    તમે મને બનાવ્યો છે
અને એમના પ્રત્યે મારામાં પુણ્યપ્રકોપ જગાડ્યો છે
    તેથી હું અળગો રહ્યો છું.
18 મારાં દુ:ખોનો કોઇ પાર નથી,
    મારો ઘા અસાધ્ય કેમ છે,
રુઝાતો કેમ નથી?
    તમારી મદદ ચોમાસામાં વહેતાં ઝરણાં જેવી અચોક્કસ છે.
    કોઇ વાર પૂર આવે અને પછી હાડકાં જેવું એકદમ સૂકું હોય.”

19 યહોવાએ પ્રત્યુત્તર આપ્યો, “જો તું મારી પાસે પાછો આવીશ
    તો હું તને મારી સેવામાં પાછો રાખીશ.
તું જે કહે તે નિરર્થક નહોતાં,
    યથાયોગ્ય હોય તો હું તને મારાવતી બોલનારો બનાવીશ.
લોકો વળીને તારી પાસે આવવા જોઇએ,
    પણ તારે તેમની પાસે જવાનું નથી.
20 હું તને એ લોકો સામે પિત્તળની
    ભીંત જેવો બનાવી દઇશ,
તેઓ તારી સામે લડશે
    પણ તને હરાવી નહિ શકે.
કારણ, તારું રક્ષણ કરવા
    અને તને બચાવવા
હું તારી સાથે જ છું.”
    આ યહોવા વચન છે.
21 “હા, આ દુષ્ટ માણસોના હાથમાંથી હું તને જરૂર બચાવીશ
    અને જુલમગારોના પંજામાંથી મુકત કરાવીશ.”
આ યહોવાના વચન છે.