Add parallel Print Page Options

અલીફાઝ તેમાનીનો બીજો સંવાદ

15 પછી અલીફાઝ તેમાનીએ જવાબ આપ્યો:

“અયૂબ જો તું ખરેખર બુદ્ધિમાન હોત તો
    રડતા શબ્દોથી તું ઉત્તર ન આપત.
    શું કોઇ શાણો માણસ, પોલા શબ્દોથી દલીલ કરે?
તને એવું લાગે છે કે શાણો માણસ નકામા શબ્દો
    અને અર્થ વગરની વાતોથી દલીલ કરશે?
અયૂબ, જો તારી પાસે તારા પોતાના રસ્તા હોત તો
    કોઇએ પણ દેવને માન આપ્યું કે ઉપાસના કરી ન હોત.
તું જે વાતો કરે છે તે તારા પાપો બતાવે છે. અયૂબ,
    તું ચતુરાઇ ભરેલા શબ્દો વડે તારા પાપ છૂપાવવાનો પ્રયત્ન કરે છે.
હું નહિ, તારા શબ્દો જ તને દોષિત ઠરાવે છે,
    હા, તારી વાણી જ તારું પાપ પોકારે છે.

“તું જ પહેલવહેલો જન્મ્યો છે એમ તું માને છે?
    શું પર્વતો ઉત્પન્ન થયા તે પહેલાં તું જન્મ્યો હતો?
દેવની ગુપ્ત યોજનાઓ વિષે તમે સાંભળ્યું છે ખરું?
    શું તને એમ છે તું એક જ બુદ્ધિશાળી વ્યકિત છે?
અમારી પાસે ન હોય એવું ક્યું જ્ઞાન તારી પાસે છે?
    અમારાં કરતાં તારામાં કઇ વિશેષ સમજદારી છે?
10 જેઓ તારા પિતા કરતાં પણ મોટી ઉમરનાં છે
    તે વૃદ્ધ અને અનુભવવાળાં માણસો અમારા પક્ષે છે!
11 દેવ તને આશ્વાસન આપવાની કોશિષ કરે છે, પણ એ તારા માટે પૂરતું નથી.
    અમે તને દેવનો સંદેશો નમ્રતા પૂર્વક કહ્યો.
12 તું શા માટે ઉશ્કેરાઇ જાય છે?
    તારી આંખો કેમ મિચાય છે?
13 તું તારો ગુસ્સો દેવની ઉપર કેમ ઠાલવો છો?
    તમે શા માટે આમ બોલો છો?

14 “શું માણસ પવિત્ર હોઇ શકે?
    સ્ત્રીજન્ય માનવી કદી નિર્દોષ હોઇ શકે?
15 જો, તે પોતાનાં સંત પુરુષોનો પણ ભરોસો કરતો નથી.
    તેમની દ્રષ્ટિએ તો આકાશો પણ સ્વચ્છ અને શુદ્ધ નથી!
16 મનુષ્ય તો અધમમાં અધમ છે.
    મનુષ્ય મલિન અને અપ્રામાણિક છે.
    પછી માણસનું શું તે જે પાપોને પાણીની જેમ પી જાય છે.

17 “હું કહું તે સાંભળો; અને હું તો મેં જે જોયું છે,
    જાણ્યું છે તે જ કહેવાનો છું.
18 આવા જ અનુભવો જ્ઞાની માણસોને થયેલા છે.
    તેઓ તેઓનાં પિતૃઓ પાસેથી જે શીખ્યા હતા તે કાંઇ
    પણ તેઓએ છૂપાવ્યું નથી.
19 એકલા આપણા પિતૃઓનેજ તેઓની પોતાની ભૂમિ આપવામાં આવી હતી.
    કોઇ વિદેશીઓ તેઓની ભૂમિમાથી પસાર થતા નહિ.
તેઓ જે તેમના પિતાઓ પાસે શીખ્યા તેમાંથી કાઇ પણ છૂપાવ્યું નથી.
    તેઓએ જ આ ડહાપણ ભરેલી શિખામણ આપેલી છે.
20 એક દુષ્ટ માણસ તેના આખા જીવન પર્યંત પીડા ભોગવે છે.
    દુષ્ટ લોકોના દહાડા બહુ ટૂંકા હોય છે.
21 દરેક અવાજ તેને ડરાવે છે. જે સમયે તે વિચારે છે કે તે સુરક્ષિત છે
    ત્યારે તેના દુશ્મનો આવી અને તેના પર હૂમલો કરશે.
22 અંધકારમાંથી છટકવાની એને કોઇ આશા નથી.
    કોઇક જગ્યાએ ત્યાં એક તરવાર તેને મારવાની રાહ જોઇ રહી છે.
23 તે ખોરાક માટે ભટકે છે પરંતુ તે ક્યાં મેળવે છે?
    તે જાણે છે કે મૃત્યુના દિવસો નજીક છે.
24 સંકટ તથા વેદના તેને ભયભીત કરે છે;
    યુદ્ધને માટે સજ્જ થયેલા રાજાની જેમ તેઓ તેના પર વિજય મેળવે છે.
25 તેણે દેવની સામે પોતાની મુઠ્ઠી ઉગામી છે
    અને સર્વસમર્થ દેવની સામે લડે છે.
26 તે દુષ્ટ વ્યકિત બહુ દુરાગ્રહી છે.
    મજબૂત ઢાલથી સજ્જ થઇને તે દેવને પડકાર કરે છે.
27 એ દુષ્ટ માણસ છકી ગયેલો, પુષ્ટ અને ધનવાન છે.
    તે માણસ કદાચ ચરબી યુકત અને ધનવાન હશે.
28 પરંતુ તેના નગરો ખંડેર બની જશે,
    તેના ઘરનો નાશ થઇ જશે
    અને તેનું ઘર ઉજ્જડ થઇ જશે.
29 તે ધનવાન નહિ રહે એની સમૃદ્ધિ ટકશે નહિ.
    તે તેની સંપતિ ટકશે નહિ.
30 દુષ્ટ માણસ અંધકારમાંથી બચશે નહિ,
    તે એક વૃક્ષ જેવો થશે જેની કુમળી ડાળીઓ
    જવાળાઓથી બળી જાય છે અને પવનમાં ફૂંકાઇ જાય છે.
31 દુષ્ટ માણસે નિરર્થક બાબતોમાં વિશ્વાસ કરીને પોતાને મૂર્ખ બનાવવો જોઇએ નહિ.
    કારણકે તેને કાંઇ મળશે નહિ.
32 દુષ્ટ માણસ તેના જીવનનો અંત આવે
    તે પહેલા વૃદ્ધ થશે અને કરમાઇ જશે, તે સૂકી શાખા જેવો થશે.
33 તે જેની કાચી દ્રાક્ષ ખરી પડે એવા દ્રાક્ષના વેલા જેવો,
    જેનું અપકવ ફળ ખરી પડે એવા જૈતૂનના વૃક્ષ જેવો છે,
34 કારણકે દેવ વિનાના લોકો પાસે કાઇ હોતું નથી.
    જેઓ પૈસાને પ્રેમ કરે છે, તેઓના ઘરો અગ્નિથી નાશ પામી જશે.
35 દુષ્ટ લોકો હમેશા હેરાન કરવા માટે દુષ્ટ યોજનાઓ બનાવે છે.
    તેઓ હંમેશા લોકોને છેતરવાની યોજનાઓ બનાવતા હોય છે.”