Add parallel Print Page Options

એસ્તેરને રાણીપદ

જ્યારે અહાશ્વેરોશ રાજાનો ગુસ્સો શમી ગયો, ત્યારે તેણે વાશ્તી રાણી વિશે વિચાર્યુ અને તેને યાદ કર્યુ કે, તે કેવી રીતે વર્તી હતી અને તેણીની સામે કેવા પગલાં ભરવામાં આવ્યાં હતાં. ત્યારે રાજાના અંગત સેવકોએ સલાહ આપી, ચાલો રાજ્યની સૌથી વધુ સ્વરૂપવાન કુમારિકાઓની શોધ થાય અને તેઓને તમારી પાસે લાવીએ. ભલે રાજા દરેક પ્રાંતમાં આ કામને માટે લોકોને નીમે. તેઓ જુવાન સૌદર્યવાન કુમારિકાઓને પસંદ કરીને પાટનગર સૂસાના મહેલના જનાનખાનામાં લઇ આવે. જનાનખાના પર નીમેલા રાજાના ખોજા હેગેની સંભાળ નીચે તેઓ રહે. આ કુમારિકાઓને સૌંદર્યના દ્રવ્યો હેગે પુરા પાડશે. પછી જે કન્યા રાજાને સૌથી વધુ પસંદ પડે તે કુમારિકા વાશ્તીને બદલે રાણી થાય. આ સલાહ રાજાને ગમી, તેણે તરત જ આ યોજનાનો અમલ કર્યો.

પાટનગર સૂસામાં એક યહૂદી રહેતો હતો. તેનું નામ મોર્દખાય હતું. તે બિન્યામીન ટુકળીના, કીશના પુત્ર શિમઇના પુત્ર યાઇરનો પુત્ર હતો. જ્યારે નબૂખાદનેસ્સાર રાજાએ યરૂશાલેમનો નાશ કર્યો અને યહૂદાના રાજા યહોયાકીન અને તે બીજા અનેક યહૂદીઓની સાથે દેશ નિકાલ કરાવી તેને બંદીવાન તરીકે બાબિલ લઇ જવાયો હતો. તેના કાકાની પુત્રી હદાસ્સાહ ઊર્ફે એસ્તેરને માબાપના મૃત્યુ પછી મોર્દખાયએ પોતાની પુત્રી તરીકે ખોળે લીધી હતી. અને તેને ઉછેરીને મોટી કરી હતી. તે કુમારિકાનો દેહ ઘાટીલો અને મુખ રૂપાળું હતું.

રાજાનો હુકમ બહાર પડ્યા પછી ઘણી કુમારિકાઓને પાટનગર સૂસા લાવીને હેગેને સોંપવામાં આવી હતી. એસ્તેરને પણ રાજાના મહેલમાં લઇ જઇને હેગેને સોંપવામાં આવી હતી. જ્યારે હેગેએ એસ્તેરને જોઇ ત્યારે તે તેનાથી ખૂબજ પ્રભાવિત થયો અને તેને પ્રસન્ન રાખવા તેણે પોતાનાથી બનતું બધું જ કર્યુ. તેણે એસ્તેર માટે તરત જ સૌંદર્ય પ્રસાધનો અને વિશિષ્ટ ખોરાકની વ્યવસ્થા કરી આપી અને રાજમહેલમાંથી તેને સાત ચૂંટેલી દાસીઓ પણ આપી, ઉપરાંત તેણીને અને તેણીની દાસીઓને જનાનખાનાનો શ્રે ભાગ રહેવા માટે આપ્યો. 10 પોતે યહૂદી છે તેવું એસ્તેરે કોઇને જણાવ્યું ન હતું કારણકે મોર્દખાયે તેને તેમ કરવાની ના પાડી હતી. 11 એસ્તેરની શી સારસંભાળ છે અને નિયતિ વિષે પૂછપરછ કરવા માટે મોર્દખાય પ્રતિદિન સ્ત્રીઓના કક્ષોના ચોગાન સામે આગળ પાછળ ચાલ્યા કરતો હતો.

12 રાજા અહાશ્વેરોશની સામે કુમારિકાઓના દરેકના વારા આવે તે પહેલાં તેઓને છ માસ સુધી સુગંધી પદાથોર્ વડે માવજત આપવામાં આવતી. પછી બીજા છ માસ તેઓને તેલો અને સૌંદર્ય માવજતો આપવામાં આવતી. આમ તેઓની બાર માસ સુધી કાળજી લઇ તૈયાર કરવામાં આવતી. 13 જ્યારે અહાશ્વેરોશ રાજા પાસે જવાનો કુમારિકાનો વારો આવે ત્યારે તેને જનાનખાનામાંથી જે કંઇ ગમે તે આપવામાં આવતું. 14 સાંજે તે કુમારિકા મહેલમાં જતી, અને સવારે બીજી સ્રીના જનાનખાનામાં પાછી ફરતી, જેની સંભાળ રાજાની ઉપપત્નીઓનો રક્ષક જે ખોજો શાઆશ્ગાઝની દેખરેખ હેઠળ હતી. રાજાને તે ખાસ પસંદ પડી હોય અને તેને નામ લઇને બોલાવે તે જ કુમારિકા રાજા પાસે ફરી જતી.

15 એસ્તેરનો વારો જ્યારે રાજા પાસે જવાનો આવ્યો ત્યારે તેણે કોઇ પણ વસ્તુની માગણી ન કરી અને તેણીએ હેગેની સલાહ સ્વીકારી કે તેણીએે શું લેવું (હેગે રાજાના જનાનખાનાનો અખત્યાર સંભાળતો ખોજો હતો. એસ્તર તેના કાકાની દીકરીની દત્તક પુત્રી હતી.) બીજી કુમારિકાઓએ જ્યારે તેને જોઇ ત્યારે તેઓએ તેની ખૂબ પ્રશંસા કરીને પ્રસન્નતા વ્યકત કરી. એસ્તેર તે સૌનુ મન હરી લીધું જેઓએ તેણીને જોઇ. 16 રાજા અહાશ્વેરોશના શાસનના સાતમા વર્ષે દશમા એટલે કે ટેબેથ મહિનામાં તેને રાજા પાસે લઇ જવામાં આવી ત્યારે બીજી કુમારિકાઓ કરતાં રાજાને તે વધારે પસંદ પડી.

17 અને રાજા એસ્તેરથી બહુંજ ખુશ હતો અને તે એસ્તેરને પ્રેમ કરતો અને બીજી કોઇ કુમારિકાઓ કરતાં એસ્તેરને વધારે માન્ય રાખતો. તે એસ્તેરથી એટલો બધો પ્રસન્ન થયો કે તેણે સોનાનો મુગટ તેણીના માથા પર મૂક્યો અને વાશ્તી રાણીની જગ્યાએ તેને રાણી તરીકે જાહેર કરી. 18 ત્યારપછી રાજાએ એસ્તેરના માનમાં પોતાના અમલદારોને અને દરબારીઓને મોટો ભોજન સમારોહ આપ્યો. વળી તેણે રાજ્યના બધા પ્રાંતોમાં રજા જાહેર કરી અને રાજાને શોભે એવી ભેટોની લ્હાણી કરી.

કાવત્રાં વિશે જાણતો મોર્દખાય

19 ત્યારબાદ જ્યારે બીજીવાર સુંદર કુમારિકાઓને એકત્રિત કરવામાં આવી તે સમયે મોર્દખાય રાજાના દરવાજાની બાજુમાં બેઠો હતો. 20 મોર્દખાયની સૂચના પ્રમાણે એસ્તેરે પોતે યહૂદી છે તેવું કોઇને જણાવ્યું ન હતું. હજુ પણ તે મોર્દખાયના ઘરમાં રહેતી હતી, ત્યારે તેણી જેમ તેની સૂચનાઓનું પાલન કરતી હતી તે જ પ્રમાણે પાળવાનું તેણે ચાલુ રાખ્યું હતું.

21 જ્યારે મોર્દખાય રાજાના દરવાજાની બાજુમાં બેઠો હતો તે દરમ્યાન રાજાના દરવાજાના માર્ગે ચોકી કરતા બે અધિકારીઓ બિગ્થાન અને તેરેશ જે રાજાથી ગુસ્સે થયા હતા અને તેમણે અહાશ્વેરોશનું ખૂન કરવાનું કાવત્રું રચ્યું. 22 મોર્દખાયને તેની જાણ થતાં તેણે રાણી એસ્તેરને વાત કરી, અને તેણે મોર્દખાયનું નામ દઇને રાજાને જાણ કરી. 23 તપાસ કરતાં તે સાચુ નીકળ્યું. બંને ચોકીદારોને ફાંસીએ ચઢાવવામાં આવ્યાં. આ બધી વાતો રાજાની પાસે રખાતા કાળવૃત્તાંતના પુસ્તકમાં લખવામાં આવી હતી.